Categories
વાચન સમૃદ્ધિ

સોમનાથ

હિન્દુઓનું પ્રસિદ્ધ તીર્થધામ. ભારતનાં બાર જ્યોતિર્લિંગોમાં તે પ્રથમ હોવાથી તેનું ધાર્મિક મહત્ત્વ અનેકગણું છે. તે પ્રભાસપાટણ તરીકે પણ જાણીતું છે. અહીં શ્રીકૃષ્ણનો દેહોત્સર્ગ થયો હોવાથી તે દેહોત્સર્ગ કે ભાલકા તીર્થ તરીકે પણ ઓળખાય છે. આ સ્થળ અહીંના શૈવમંદિર –સોમનાથના મંદિરને લીધે વધુ જાણીતું છે. મંદિરમાંનું લિંગ સ્વયંભૂ હોવાનું મનાય છે. પૌરાણિક કથા પ્રમાણે સોમે (ચંદ્રે) આ મંદિર બંધાવ્યું હોવાથી તે ‘સોમનાથ’ તરીકે પ્રસિદ્ધ થયું. તીર્થસ્થાન હોવા ઉપરાંત પ્રાચીન કાળમાં તે સમૃદ્ધ બંદર પણ હતું. રાતા સમુદ્રનાં, ઈરાની અખાતનાં અને પૂર્વ આફ્રિકાનાં બંદરો સાથે તેનો બહોળો વેપાર ચાલતો હતો. સોમનાથના મંદિરનો અનેક વાર જીર્ણોદ્ધાર થયો હતો. મૂળમાં એ મંદિર મૈત્રકકાળ (ઈ. સ. ૪૭૦–૭૮૮) દરમિયાન હયાત હોવાનું જણાય છે. સોલંકી રાજ્યના સ્થાપક મૂળરાજે આ મંદિરની અનેક વાર યાત્રા કરી હતી. ભીમદેવ પહેલાએ નવેસરથી આ મંદિર બંધાવ્યું હતું. ઈ. સ. ૧૦૨૬માં મહમૂદ ગઝનવીએ તેને ખંડિત કર્યું તેથી ભીમદેવે તેની મરામત કરાવી. રાજા કુમારપાલે ઈ. સ. ૧૧૬૯માં તેનું નવનિર્માણ કર્યું. ઈ. સ. ૧૨૯૯માં સુલતાન અલ્લાઉદ્દીન ખલજીના સરદાર ઉલૂઘખાને તે તોડ્યું. તે પછી જૂનાગઢના રાજા મહિપાલે તેનો પુનરુદ્ધાર કરેલો. તેના પુત્ર ખેંગારે ૧૩૨૫–૧૩૫૧ દરમિયાન તેમાં શિવલિંગની સ્થાપના કરેલી. ૧૪૬૯માં મહમ્મદ બેગડાએ મંદિરના સ્થાને મસ્જિદ બંધાવી. ૧૭૮૩માં ઇંદોરનાં રાણી અહલ્યાબાઈ હોલકરે જૂના મંદિરથી થોડે દૂર ફરી નવું મંદિર બંધાવ્યું. શિવલિંગની સ્થાપના ભોંયરામાં કરી અને ઉપરના ભાગે મંદિર બાંધવામાં આવ્યું.

સોમનાથ મંદિર, સોમનાથ

૧૯૪૭માં ભારત સ્વતંત્ર થયા બાદ સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, જામનગરના જામસાહેબ આદિ અગ્રણીઓએ ફરી એક વાર આ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. ૧૯૫૧–૧૯૬૧ દરમિયાન તેનું બાંધકામ પૂર્ણ થતાં તેને ‘કૈલાસ મહામેરુપ્રાસાદ’ નામ આપવામાં આવ્યું. ૧૧ મે, ૧૯૫૧ના રોજ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદને હસ્તે અહીં જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી. તાજેતરમાં સોમનાથ મંદિરના ગર્ભગૃહને સોનાના પતરાથી મઢવામાં આવ્યું છે. અહીં અરબી સમુદ્ર પાસે સરસ્વતી, હિરણ અને કપિલા નદીઓનો ત્રિવેણીસંગમ થાય છે. ભાવિકો ત્રિવેણીસંગમના સ્થાને સ્નાન કરી મહાદેવની પૂજા કરે છે. વળી આ સંગમના સ્થળે ચૈત્ર અને ભાદરવામાં લોકો પિતૃશ્રાદ્ધ કરે છે. કાર્તિકી પૂર્ણિમાને દિવસે અહીં ત્રિપુરાન્તક મેળો ભરાય છે. મંદિરથી થોડેક દૂર શ્રીકૃષ્ણના દેહોત્સર્ગનું સ્થાનક આવેલું છે, તે ભાલકા તીર્થ તરીકે ઓળખાય છે. અહીં વૈષ્ણવ સંપ્રદાયના શ્રીમદવલ્લભાચાર્યની બેઠક પણ આવેલી છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦

Categories
વાચન સમૃદ્ધિ

ગોવિંદ વલ્લભ પંત

જ. ૧૦ સપ્ટેમ્બર, ૧૮૮૭ અ. ૭ માર્ચ, ૧૯૬૧

ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામના અઠંગ લડવૈયા, રાષ્ટ્રીય કૉંગ્રેસના એક અગ્રણી નેતા, ઉત્તરપ્રદેશના પૂર્વ- મુખ્યમંત્રી અને પૂર્વકેન્દ્રીય ગૃહમંત્રી ગોવિંદ વલ્લભ પંતના પૂર્વજો દસમી સદીમાં મહારાષ્ટ્રમાંથી સ્થળાંતર કરી ઉત્તરપ્રદેશમાં સ્થાયી થયા હતા. બાળપણથી  તેમના પર પરદાદા અને મામાનો ખૂબ પ્રભાવ હતો. તેમણે મૅટ્રિક સુધીનું શિક્ષણ અલમોડા ખાતે લીધું હતું. ભણવામાં શરૂઆતથી જ એમની કારકિર્દી તેજસ્વી હતી. અલાહાબાદ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા બાદ તેમણે ત્યાંથી જ કાયદાશાસ્ત્રની પદવી પ્રાપ્ત કરી હતી અને લમ્સડેન સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. અલમોડા, રાણીખેત અને કાશીપુર ખાતે વકીલાતમાં નોંધપાત્ર નામના મેળવનાર પંતે વિખ્યાત ‘કાકોરી કાવતરા’ કેસમાં વકીલોની ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. કુમાઉ પ્રદેશના વિશિષ્ટ પ્રશ્નોને વાચા આપવા માટે તેમણે ‘શક્તિ’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું. ૧૯૧૨માં સ્વરાજ પક્ષના સભ્ય તરીકે તેઓ ઉત્તરપ્રદેશની વિધાન પરિષદમાં ચૂંટાયા અને પોતાની વક્તૃત્વશક્તિના પ્રભાવથી ગૃહમાં પક્ષના નેતા તરીકે નિમાયા હતા. ‘ભારત છોડો’ ચળવળમાં તેમની નોંધપાત્ર હિસ્સેદારી હોવાથી તેમણે જેલવાસ પણ વેઠ્યો હતો. આઝાદી પૂર્વેની વિવિધ રાજકીય બેઠકો અને ઉચ્ચસ્તરની મંત્રણાઓમાં તેમણે જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલની સાથે રહી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બંધારણસભાના સભ્ય તરીકે તેમણે મૂળભૂત અધિકારોનાં પ્રકરણ લખવામાં વિશેષ ફાળો આપ્યો હતો. ૧૯૪૬થી ૧૯૫૪ સુધી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીપદે રહ્યા બાદ પંડિત જવાહરલાલ નહેરુના આગ્રહથી જાન્યુઆરી, ૧૯૫૫માં કેન્દ્રીય પ્રધાનમંડળમાં પ્રથમ ખાતા વિનાના પ્રધાન અને ત્યારબાદ ગૃહમંત્રીપદે જવાબદારી સંભાળી હતી. જમીનદારી પ્રથા, વેશ્યાવૃત્તિ અને સ્ત્રીઓના વેપાર જેવાં આર્થિક અને સામાજિક દૂષણો ડામવા માટે તેમજ સર્વધર્મસમભાવ અને વ્યસનમુક્તિ માટે જીવનપર્યંત કાર્યો કર્યાં. માનવતાવાદી ગુણોથી વિભૂષિત પંતજી અજાતશત્રુ હતા. દેશ પ્રત્યેની તેમની સેવાઓની કદર રૂપે ૨૬ જાન્યુઆરી, ૧૯૭૫ના રોજ તેમને મરણોપરાંત ‘ભારતરત્ન’થી નવાજવામાં આવ્યા હતા.

Categories
સાંપ્રત કાર્યક્રમો

વિવેચક અને સંશોધક શ્રી યશવંત દોશી સ્મૃતિ-વ્યાખ્યાનશ્રેણી

વિષ : કાશ્મીરમાં આપણે |

વક્તા : સંજય-તુલા |

17 સપ્ટેમ્બર, 2025, બુધવાર, સાંજના 5-30