Categories
વાચન સમૃદ્ધિ

ડમરો

દ્વિદળી વર્ગમાં આવેલા લૅબિએટી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ocimum basilicum Linn. Sweet Basil; સં. मुञारिकी सुरसा, वरवाळा; હિં. बाबुई तुलसी, गुलाल तुलसी, काली तुलसी, मरूआ; મ. मरवा, सब्जा, ગુ. ડમરો, મરવો; તે. ભૂતુલસી, રુદ્રજડા, વેપુડુપચ્છા; તા. તિરનિરુપચાઈ, કર્પૂરા તુલસી; ક. કામકસ્તૂરી, સજ્જાગીદા; ઊડિયા : ઢલાતુલસી, કપૂરકાન્તિ; કાશ્મીરી : નીઆજબો; પં. ફુરુન્જ મુશ્ક, બાબુરી, નીઆજબો. તે મધ્ય એશિયા અને વાયવ્ય ભારતની મૂલનિવાસી વનસ્પતિ છે અને ભારતના લગભગ બધા ભાગમાં ઉછેરવામાં આવે છે તેમજ કુદરતી રીતે પણ ઊગે છે. તે ૩૦થી ૯૦ સેમી. ઊંચી, લગભગ અરોમિલ (glabrous), બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે. તેનાં પર્ણો સમ્મુખ, સાદાં અને અંડાકાર કે ભાલાકાર હોય છે. પર્ણકિનારી દંતુરવાળી કે અખંડિત હોય છે. પર્ણો બંને સપાટીએ સુંવાળાં અને ગ્રંથિમય હોય છે. પુષ્પ નાનાં, સફેદ અથવા આછા જાંબલી રંગનાં અને અશાખિત કે શાખિત પુષ્પવિન્યાસમાં ચક્રાકાર રીતે ગોઠવાયેલાં હોય છે. બીજ કાળાં, ચળકતાં, નાનાં ઉપવલયજ (ellipsoid) અને ખાડાવાળાં હોય છે.

ડમરાની ઘણી જાતો છે. ઉછેરવામાં આવતી આ જાતિમાં બહુસ્વરૂપીયતા અને પરપરાગનયનને લીધે તેની ઘણી ઉપજાતિઓ અને જાતો જોવા મળે છે, જે વૃદ્ધિનું સ્વરૂપ, રુવાંટીની ઘટ્ટતા અને પ્રકાંડ, પર્ણ તથા પુષ્પના રંગ વગેરે લક્ષણોમાં ભિન્નતા દર્શાવે છે. આમાં કુંચિત (curly) પર્ણોની જાત ઉછેર માટે સૌથી અનુકૂળ છે. ફ્રાન્સમાં આ જાતનો ઉછેર થાય છે, જે વધુ પ્રમાણમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતું તેલ આપે છે. ડમરાનું પ્રસર્જન (propagation) બીજ દ્વારા થાય છે. સુગંધિત છોડ તરીકે તેને બાગમાં ઉછેરવામાં આવે છે. બીજ વાવવા માટે સૌથી સારી ઋતુ ભારતના મેદાની પ્રદેશમાં ઑક્ટોબર-નવેમ્બર અને પર્વતીય પ્રદેશમાં માર્ચ-એપ્રિલ છે. નર્સરીમાં ઉછેરેલા રોપાની ફેરરોપણી બે હાર વચ્ચે ૩૦ સેમી. અને હારમાં છોડ વચ્ચે ૪૦ સેમી.નું અંતર રાખીને કરવામાં આવે છે. રોપણી બાદ ૨.૫થી ૩ માસમાં કાપણી માટે તે યોગ્ય થઈ જાય છે. એકથી વધારે વખત કાપણી લઈ શકાય છે. જમીનની નજીકથી છોડ કાપી લઈ સૂકવવામાં આવે છે અને  સૂકાં પર્ણ અને પુષ્પ ઉતારી લેવામાં આવે છે. કાનપુર ખાતે અખતરામાં બે કાપણીમાં ૬૮૦૦ કિલો જેટલું પર્ણ-પુષ્પનું ઉત્પાદન પ્રતિ હેક્ટરે મળેલું છે. બંધારણ અને પ્રકાર : ડમરો લવિંગ જેવી સુગંધ ધરાવે છે. તેના તેલનાં બંધારણ અને લક્ષણ ભિન્ન પ્રદેશમાં જુદાં જુદાં હોય છે, તેમાંથી ચાર પ્રકારનાં તેલ પ્રાપ્ત થાય છે : (૧) યુરોપિયન પ્રકાર : યુરોપ અને અમેરિકામાં ઉછેરાતા ડમરામાંથી તેલ નિસ્યંદનથી મેળવાય છે. તેમાં મુખ્યત્વે મિથાઇલ ચેવીકોલ અને લિનાલૂલ હોય છે પણ કપૂર હોતું નથી. તે તેની સારી સુગંધને લીધે અત્યંત કીમતી છે. (૨) રીયુનિયન પ્રકાર : રીયુનિયન ટાપુ, કોમોરો, માડાગાસ્કર અને સીચિલીસ ટાપુઓમાં તેનું ઉત્પાદન થાય છે. તેમાં મિથાઇલ ચેવીકોલ અને કપૂર હોય છે. લિનાલૂલ હોતું નથી. યુરોપિયન પ્રકાર કરતાં ગુણવત્તા ઓછી હોય છે. (૩) મિથાઇલ સિનામેટ પ્રકાર : બલ્ગેરિયા, સિસિલી, ઇજિપ્ત, ભારત અને હાઇટીમાં ઉત્પન્ન થાય છે. તે મિથાઇલ ચેવીકોલ, લિનાલૂલ અને મૂલ્યવાન મિથાઇલ સિનામેટ ધરાવે છે. (૪) યુજેનૉલ પ્રકાર : જાવાસીચિલિસ, સામોઆ અને રશિયામાં ઉત્પન્ન થાય છે. તે મુખ્ય ઘટક તરીકે યુજેનૉલ ધરાવે છે. યુરોપિયન પ્રકારનું તેલ સુગંધ તરીકે મીઠાઈ, બિસ્કિટ, મસાલેદાર રસ, ટમેટા કેચઅપ, માવો, અથાણાં, સરકો, મસાલા ભરેલું માંસ, સુગંધિત પીણાં વગેરેમાં વપરાય છે. દંતમંજનના પાઉડર, પેસ્ટ, માલિશ માટેનાં તેલ અને સુગંધિત અત્તરો ખાસ કરીને જૂઈના અત્તરમાં તેમજ સાબુની બનાવટમાં વપરાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ડમરો, પૃ. ૪૫૯)

Categories
વાચન સમૃદ્ધિ

એસ. કે. રામચંદ્ર રાવ

જ. ૪ સપ્ટેમ્બર, ૧૯૨૫ અ. ૨ ફેબ્રુઆરી, ૨૦૦૬

શ્રી એસ. કે. રામચંદ્ર રાવનું પૂરું નામ શાલિગ્રામ ક્રિષ્ના રામચંદ્ર રાવ છે. તેઓ ભારતીય લેખક, મનોવિજ્ઞાનના અધ્યાપક અને સંસ્કૃતના વિદ્વાન હતા. તેમનો જન્મ કર્ણાટકના હસ્સન નામે નાનકડા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે તેમનું બાળપણ દાદા-દાદી સાથે બૅંગાલુરુમાં વિતાવ્યું હતું. તેમણે સંસ્કૃતના અભ્યાસની શરૂઆત વિદ્વાન અગ્નિહોત્રી યજ્ઞવિઠ્ઠલાચાર પાસે કરી હતી. સંસ્કૃત શિક્ષણની આ તાલીમ પાછળથી તેમને પુસ્તકોનાં લેખનમાં ખૂબ ઉપયોગી નીવડી હતી. જ્યારે તેમના દાદાનું અવસાન થયું, તેઓ પોતાનાં માતાપિતા સાથે રહેવા નાનકડા ગામમાં ગયા. પછી તરત જ મૈસૂર જઈ શાળાકીય શિક્ષણ પૂરું કર્યું. ઈ. સ. ૧૯૪૯માં તેઓ મૈસૂર યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન વિષય સાથે એમ.એ. થયા. ઈ. સ. ૧૯૫૪થી ૧૯૬૫ સુધી તેઓ ‘ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેન્ટલ હેલ્થ’(હવે NIMHANS)માં અધ્યાપક હતા. ૧૯૬૨માં તેમની પાસેથી ‘ધ ડેવલપમેન્ટ ઑફ સાઇકોલૉજિકલ થૉટ ઇન ઇન્ડિયા’ પુસ્તક મળ્યું. ૧૯૬૫માં NIMHANS છોડ્યા પછી તેમણે બૅંગાલુરુની અનેક સંસ્થાઓમાં સાઇકોલૉજી, ફિલૉસૉફી, ઇન્ડોલૉજી, શિક્ષણ અને સમાજકાર્યવિષયક મુલાકાતી અધ્યાપક તરીકે સેવા બજાવી હતી. તેમનાં મોટા ભાગનાં લખાણો ભારતીય સંસ્કૃતિ, તત્ત્વજ્ઞાન, કલા, સંગીત અને સાહિત્યવિષયક છે. તેમનાં લખાણોનો આધાર પ્રાચીન ભારતીય ગ્રંથો અને હસ્તપ્રતો છે. તેઓ ચિત્રકલા અને શિલ્પકલાના પણ જાણકાર હતા. બૅંગાલુરુના રવીન્દ્રકલાક્ષેત્રમાં તેમની આ કલાના નમૂનાઓ કાયમી ધોરણે સ્થાન પામ્યા છે. તેમના મૃત્યુ સમયે તેઓ ઋગ્વેદ પરની ૩૨ ગ્રંથોની યોજના માટે લેખનકાર્ય કરતા હતા. તેમના મૃત્યુ પછી ખંડ સોળમો ૨૦૦૭માં પ્રકાશિત થયો હતો. બૅંગાલુરુમાં તેમનું અવસાન થયું હતું.

Categories
સાંપ્રત કાર્યક્રમો

એક નવી પહેલ

શ્રી ધીરુબહેન પટેલ બાળ-કિશોર સાહિત્ય કેન્દ્ર

વક્તૃત્વ સજ્જતા અભિયાન |

વિષય : ‘આપણા ગુજરાતની ગૌરવગાથા’

કેટલીક સ્કૂલ દ્વારા પસંદગી પામેલા ધો.8થી 12ના વિદ્યાર્થીઓનાં વક્તવ્ય

આયોજન – દર્શા કિકાણી, પ્રીતિ શાહ, શ્રદ્ધા ત્રિવેદી, અલ્પા શાહ |

6 સપ્ટેમ્બર 2025, શનિવાર, સવારના 10-00