Categories
વાચન સમૃદ્ધિ

અમૃતલાલ હરગોવિંદદાસ

જ. ૨૯ ઑગસ્ટ, ૧૮૮૯ અ. ૧૧ માર્ચ, ૧૯૭૪

ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર અમૃતલાલનો જન્મ અમદાવાદ નજીક કુહા ગામમાં થયો હતો. ગુજરાત કૉલેજમાંથી બી.એ. અને મુંબઈથી એલએલ.બી. થઈ ઈ. સ. ૧૯૧૨-૧૩માં અમદાવાદ ખાતે વકીલાતથી કારકિર્દી આરંભીને દોઢ-બે વર્ષ બાદ પિતાજીની શરાફી પેઢીમાં જોડાયા. તેમણે ઝડપથી વ્યવસાય શીખી લીધો અને ટૂંક સમયમાં કાપડમિલના માલિક બન્યા. ત્યારબાદ અમદાવાદ ટેક્સટાઇલ મિલ ઑનર્સ ઍસોસિયેશનના પ્રમુખ પણ બન્યા. ઈ. સ. ૧૯૨૭માં જ્યારે ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે હજારો મકાનો પડી ગયાં હતાં અને જાનમાલની ભારે ખુવારી થઈ હતી તે સમયે તેમણે સરદાર વલ્લભભાઈની સાથે રહીને રાહત તેમ જ પુનર્વસવાટનાં કાર્યોમાં સક્રિય ફાળો આપ્યો હતો. ગરીબ કુટુંબોને પૂરેપૂરી સહાય મળે તેવો આગ્રહ રાખ્યો હતો. ઈ. સ. ૧૯૩૬માં પિતાશ્રીના નામ પરથી અમદાવાદની પ્રસિદ્ધ એચ. એલ. (હરગોવનદાસ લખમીચંદ) કૉલેજ ઑફ કૉમર્સની સ્થાપના કરી. પોતાના સોળ વર્ષના પુત્ર બંસીલાલની સ્મૃતિમાં આણંદ ખાતેની બંસીલાલ ઍગ્રિકલ્ચરલ કૉલેજ અને ધર્મપત્નીના સ્મરણાર્થે અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલ ખાતે મણિબહેન અમૃતલાલ આયુર્વેદિક કૉલેજની સ્થાપના કરી હતી. ઈ. સ. ૧૯૩૬માં બગીચા મિલનું અને ૧૯૫૬માં બગીચા મિલ નં. ૨નું સફળ સંચાલન કર્યું. ૧૯૬૭માં તેમણે બંને મિલો વેચીને જનહિતનાં કાર્યો પર લક્ષ આપ્યું. ઈ. સ. ૧૯૩૫માં શેઠ કસ્તૂરભાઈ સાથે રહી અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના, ૧૯૪૯માં ગુજરાત વેપારી મહામંડળની સ્થાપના અને ૧૯૫૪માં ગુજરાત રેલરાહત સમિતિનો પ્રારંભ – આ એમનું વ્યાપાર-ઉદ્યોગ અને શિક્ષણ-સમાજ તરફ દૃષ્ટિસંપન્ન યોગદાન છે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કરવા સ્થાપેલા ટ્રસ્ટફંડમાં ૪૨ લાખ રૂ.નો ફાળો તેઓએ એકઠો કર્યો હતો. અમદાવાદને વાડીલાલ હૉસ્પિટલ માટે તેમણે ૧૪ લાખ રૂ.નો ફાળો આપ્યો હતો. ગુજરાતના બધા જ પ્રાણપ્રશ્નોમાં તેઓએ સક્રિય રસ દાખવ્યો હતો. તેમના મહાત્મા ગાંધી, સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, કસ્તૂરભાઈ લાલભાઈ, ગણેશ માવલંકર સાથે મૈત્રીપૂર્ણ સંબંધો હતા અને રાષ્ટ્રીય હેતુ માટે મુક્તપણે દાન આપતા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

પરમ કર્તવ્યને ક્યારેય યાદ કરે છે ખરો ?

આજે સમાજમાં માણસ બીજાના પર જવાબદારીનો ટોપલો ઓઢાડવા માટે અતિ આતુર છે. ‘આ તમારું કામ છે’ ત્યાંથી માંડીને ‘આ તમારી જવાબદારી છે’ ત્યાં સુધીનાં સૂચનો, શિખામણો અને સલાહો આપતો હોય છે. એને બીજાને એમની જવાબદારી શિખવાડવામાં જેટલો રસ છે, એટલો રસ પોતાની જવાબદારી શી છે એ વિશે વિચારવામાં નથી. એ મોટા  ભાગે પોતાની મર્યાદાઓ માટે કુટુંબ, સમાજ કે રાષ્ટ્રને દોષ આપતો હોય છે. આનું કારણ શું ? આનું કારણ એટલું જ કે માણસને પોતાની જવાબદારી શી છે, એ વિશે વિચાર કરતી વખતે ઘણી મુશ્કેલી ઊભી થાય છે. એને ખ્યાલ જ નથી કે એની જવાબદારી કઈ છે ? એ કોને વફાદાર છે ? એને પરિણામે જેના તરફ એની સૌથી મોટી જવાબદારી છે, એની સૌથી વધુ ઉપેક્ષા કરે છે. વ્યક્તિની સૌથી મોટી જવાબદારી એના આત્મા પ્રત્યે છે, પણ માનવી ભાગ્યે જ પોતાના આત્માનો વિચાર કરતો હોય છે. એ બીજાની દુર્ગતિ વિશે જેટલું બોલતો હોય છે, એમાંનું કશુંય પોતાની સારી ગતિ વિશે વિચારતો નથી, આથી એની ખરી જવાબદારી પોતાના આત્મા પ્રત્યે છે અને એ આત્મા જ એના સુખ અને દુ:ખનું કારણ છે. એ પોતાના સુખ માટે ભૌતિક વસ્તુઓને મહત્ત્વ આપે છે અને પોતાના દુ:ખ માટે બીજાને દોષ આપે છે. જો એ સમજે કે આત્માને યોગ્ય માર્ગે ગતિ આપવાની પોતાની જવાબદારીમાંથી એ ચૂક્યો છે, તો જ એને સચ્ચાઈનો ખ્યાલ આવે. આ આત્મા મળ્યો છે, એને ઉચ્ચ માર્ગે લઈ જવો, પછી તેને તમે મુક્તિ કહો કે મોક્ષ, તે વ્યક્તિનું પરમ કર્તવ્ય છે. વક્રતા તો એ છે કે એ જીવનમાં પરિવારની, કુટુંબની કે રાષ્ટ્રની જવાબદારીનો વિચાર કરે છે પણ ક્યારેય એ પોતાના પરમ કર્તવ્યનો વિચાર કરતો નથી.

Categories
વાચન સમૃદ્ધિ

ઉસ્તાદ વિલાયતખાંસાહેબ

જ. ૨૮ ઑગસ્ટ, ૧૯૨૮ અ. ૧૩ માર્ચ, ૨૦૦૪

ભારતીય શાસ્ત્રીય પરંપરાના જાણીતા સિતારવાદક. સંગીતનિર્દેશક, સિતારવાદક ઉસ્તાદ ઇનાયતખાં તથા શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા નસીરન બેગમના પુત્ર વિલાયતખાં મોખરાના સિતારવાદકોમાં સ્થાન ધરાવે છે. માતા-પિતા – બંનેનાં કુટુંબો પેઢીઓથી સંગીતની સાધના તેમજ વ્યવસાયમાં હોવાને કારણે વિલાયતખાંના જીવનનું એકમાત્ર ધ્યેય સંગીત હતું. સંગીતોપયોગી કંઠ ધરાવવા છતાં વિલાયતખાં કંઠ્ય સંગીતને બદલે સિતારવાદન તરફ વળે એવી એમનાં માતાની ઇચ્છાને વશ એમણે સિતારવાદનની તાલીમ લેવાની શરૂઆત કરી. દાદાના નામથી બનેલું ઇમદાદખાની ઘરાનું વિલાયતખાંની સિતાર સાથે વધુ લોકપ્રિય બન્યું. તેર વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવતાં એમની ઉપર કૌટુંબિક જવાબદારીઓ આવી પડવાને કારણે કિશોર વયમાં અનેક કષ્ટો વેઠવાં પડ્યાં. જે દુ:ખોની પીડાની અનુભૂતિને કારણે એમના સંગીતમાં લાગણી પણ વાચા પામતી હતી એવું તેઓ કહેતા. પિતાના અવસાન પછી કાકા વાહિદખાં તથા નાના બંદેહસન પાસે સંગીતની તાલીમ લીધી. ગાયકી અંગેનું સિતારવાદન એ એમની આગવી ઓળખ હતી. અત્યંત સ્વાભિમાની તેમજ અલગ મિજાજના સિતારવાદક એવા વિલાયતખાંએ ભારત સરકાર તરફથી મળતા પદ્મભૂષણના સન્માનનો અસ્વીકાર કર્યો હતો. ‘આફતાબ-એ-સિતાર’, ‘ભારત સિતાર સમ્રાટ’, ‘સન ઑફ ધ સિતાર’ જેવાં સન્માનો એમણે સ્વીકાર્યાં હતાં. એમના પુત્ર શુજાતહુસેનખાં, હિદાયતખાં પણ ખ્યાતનામ સિતારવાદક છે. સત્યજિત રેની ફિલ્મ ‘જલસાઘર’માં વિલાયતખાં દ્વારા સ્વરબદ્ધ થયેલું પશ્ચાદભૂ સંગીતે ફિલ્મની કલાત્મકતાને વધુ નિખારી હતી. વિલાયતખાંના શિષ્યોમાં કાશીનાથ મુખરજી, અરિંવદ પરીખ, હસુ પટેલનો સમાવેશ થાય છે. ફેફસાંના કૅન્સરની બીમારીના કારણે એમનું અવસાન થયું હતું.