Categories
વાચન સમૃદ્ધિ

મુનિશ્રી સંતબાલજી

જ. ૨૬ ઑગસ્ટ, ૧૯૦૪ અ. ૨૬ માર્ચ, ૧૯૮૨

હિંદુ, બૌદ્ધ, જૈન, ઇસ્લામ, ખ્રિસ્ત અને જરથુષ્ટ્રનાં ષડ્દર્શનનો ગુણાત્મક સમન્વય કરનાર સમાજસેવક. માતા મોતીબાઈ અને પિતા નાગજીભાઈ. મૂળ નામ શિવલાલ. તેઓ પાંચ વર્ષની ઉંમરના હતા ત્યારે પિતાનું અવસાન. સાત ગુજરાતી સુધીનો અભ્યાસ. પૈસા કમાવા મુંબઈ ગયા. સંતબાલજીના ગુરુ પૂ. નાનચંદ્રજી. સંતબાલજી તેમનાં માનવતાવાદી પ્રવચનોથી આકર્ષાયા. પરિણામે સંતબાલજીએ પોતાનું જીવન તેમનાં ચરણોમાં ધરી દેવાની માગણી મૂકી. તેમણે સં. ૧૯૮૫માં ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને નામ રાખ્યું સૌભાગ્યચંદ્ર. પ્રાકૃત, સંસ્કૃત અને જૈન દર્શન ઉપરાંત ન્યાયપ્રમાણનો તથા અંગ્રેજીનો પણ અભ્યાસ કર્યો. ઈ. સ. ૧૯૩૨માં કચ્છ, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શતાવધાનના સફળ પ્રયોગો કરીને શ્રીમદ્ રાજચંદ્રની સ્મૃતિને તાજી કરી. અજમેરમાં ભરાયેલી જૈન કૉન્ફરન્સમાં તેમણે શતાવધાનના સફળ પ્રયોગો કર્યા. પરિણામે આર્યસમાજે તેમને ‘ભારતરત્ન’નો ઇલકાબ આપ્યો. શંકરાચાર્ય, માર્ટિન લ્યૂથર, દયાનંદ સરસ્વતી, ધર્મપ્રાણ લોંકા શાહ અને ગાંધીજીની ધર્મક્રાંતિથી આકર્ષાઈ તેમણે ધર્મપ્રાણ લોંકા શાહની લેખમાળા પ્રગટ કરવા માંડી. તેના કારણે તેમના ગુરુ નાનચંદ્રજીને ઘણું સહન કરવું પડ્યું. પરિણામે તેમણે નર્મદાના કાંઠે સમૌન એકાંતવાસ સેવ્યો. સંતબાલજીને આત્મતત્ત્વની અનુભૂતિ દૃઢ થતી લાગી તેમ તેમ તેમને મત, ગચ્છ, પંથ અને સંપ્રદાયના વાડા સાંકડા લાગવા માંડ્યા. સ્થાનકવાસી જૈન સંપ્રદાયે તેમને છૂટા કર્યા. સંપ્રદાયથી છૂટા થયા પછી તેમણે ભાલ-નળકાંઠાના વિસ્તારમાં પ્રાયોગિક સંઘની રચના કરી, જેના પરિણામે ત્યાં ખાદી, ખેતી, ગોપાલન અને નઈ તાલીમ જેવી જુદી જુદી પ્રવૃત્તિઓ ચાલે છે. ભાલ-નળકાંઠા પ્રાયોગિક સંઘની વિશિષ્ટતા એ છે કે ખેડૂતમંડળ, ગોપાલકમંડળ જેવાં નૈતિક ગ્રામસંગઠનો દ્વારા તે લોકશક્તિ નિર્માણ કરવાનું કાર્ય કરે છે. સંતબાલજીએ સત્-સાહિત્ય અર્થે ‘વિશ્વવાત્સલ્ય’ પાક્ષિક પણ પ્રગટ કર્યું હતું. વળી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર દ્વારા તેમણે શ્રી ઉત્તરાધ્યયન, શ્રી દશવૈકાલિક અને શ્રી આચારાંગસૂત્રના અનુવાદનું તેમજ અન્ય પથ્ય સાહિત્ય પણ પ્રગટ કર્યું હતું. મુનિ સૌભાગ્યચંદ્ર ત્યારપછી ‘સંતબાલ’ના નામે ઓળખાવા લાગ્યા. એમના સમગ્ર જીવન ઉપર ‘મુનિશ્રી સંતબાલજી’ નામે દસ્તાવેજી ફિલ્મ તૈયાર થઈ છે. ચીંચણી (જિ. થાણા, મહારાષ્ટ્ર)માં રહીને મહાવીરનગરને તેમણે એમના અનુબંધના પ્રયોગનું કેન્દ્ર બનાવ્યું. સાધુ, સંત અને સેવકનું સંકલન કરી તેમને સેવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું. વળી વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ દ્વારા સ્ત્રીઓના સર્વાંગીણ વિકાસ માટે માતૃસમાજને માર્ગદૃર્શન પણ આપ્યું.

Categories
સાંપ્રત કાર્યક્રમો

ડૉ. હેમરાજ શાહ પ્રેરિત

કવિ નર્મદ સાહિત્યપ્રતિભા ઍવૉર્ડ |

આદિવાસી કંઠપરંપરાના સાહિત્યની ઉત્તમ રચનાઓના સંશોધક-સંપાદક અને સર્જક શ્રી ભગવાનદાસ પટેલને ઍવૉર્ડ અર્પણ થશે.

વક્તવ્ય : પ્રેમજી પટેલ |

અતિથિવિશેષ : હેમરાજ શાહ |

3 સપ્ટેમ્બર 2025, બુધવાર, સાંજના 5-30 |

Categories
વાચન સમૃદ્ધિ

સૂરત

અમદાવાદ પછી ગુજરાતનું સૌથી મોટું શહેર. તે ૨૧° ૧૨´ ઉ. અ. અને ૭૨° ૫૦´ પૂ. રે. પર વસેલું છે. ‘સૂરત’ નામ સૂર્ય પરથી, ‘રાંદેર’નું નામ સૂર્યપત્ની રાંદલ પરથી, ‘તાપી’ નદીનું નામ સૂર્યપુત્રી તપતી પરથી અને ‘અશ્વિનીકુમાર’ વિસ્તારનું નામ સૂર્યપુત્ર અશ્વિનીકુમાર પરથી પડ્યું છે; એટલે કોઈ સૂર્યપૂજક જાતિ અહીં રહેતી હશે એવું માની શકાય. સૂરત ક્યારે વસ્યું એ વિશે નિશ્ચિતપણે કહી શકાતું નથી. દક્ષિણ ગુજરાતમાં તાપી નદીને કાંઠે પ્રાચીન કાળથી તે વસેલું છે. મૂળ સૂરત તો દરિયામહેલ, ફુરજા, શાહપોર, સોદાગરવાડ, નાણાવટ વગેરે વિસ્તારો પૂરતું મર્યાદિત હતું; પરંતુ ઈસુની ૧૫મી સદીના અંતમાં અથવા ૧૬મી સદીની શરૂઆતમાં મલિક ગોપી નામના હિંદુ અમીર અને અધિકારીએ ગોપીપુરા વસાવી તથા ગોપીતળાવ અને રાણીતળાવ બંધાવી તેનો વિકાસ કર્યો. ભૂતકાળમાં સૂરત ‘સોનાની મૂરત’ તરીકે જાણીતું હતું.

સૂરતના ડાયમંડ-બજારમાં તૈયાર થતા હીરા

આઝાદીની ચળવળમાં પણ સૂરતે મહત્ત્વનો ફાળો આપ્યો હતો. ૧૯૦૭માં કૉંગ્રેસનું ઐતિહાસિક અધિવેશન અહીં યોજાયું હતું. પાટીદાર આશ્રમ અને અનાવિલ આશ્રમ સૂરતની સ્વાતંત્ર્ય-ચળવળનાં બે મુખ્ય કેન્દ્રો હતાં : ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ. તેઓ ઘણી વખત સૂરત આવ્યા હતા. સૂરતના નોંધપાત્ર રાજકીય નેતાઓમાં કલ્યાણજી મહેતા, દયાળજી દેસાઈ, કનૈયાલાલ દેસાઈ, હિતેન્દ્રભાઈ દેસાઈ, ગોરધનદાસ ચોખાવાલા વગેરેને ગણાવી શકાય. ગુજરાતમાં સમાજ-સુધારાની ચળવળની શરૂઆત પણ સૂરતથી થઈ હતી. ૧૮૭૩માં ગુજરાતી ભાષાનો પહેલો કોશ નર્મદે આપ્યો. સુધારાયુગના અગ્રણી સાહિત્યકાર નર્મદનું મૂળસ્થાન સૂરત હતું. છેલ્લાં થોડાં વર્ષોમાં સૂરત શહેરની વસ્તી અને વિસ્તારમાં ઘણો વધારો થયો છે. સૂરત શહેરની વસ્તી ૬૩,૪૫,૦૦૦ (૨૦૨૪, આશરે) જેટલી છે. તેનો વિસ્તાર આશરે ૩૨૭ ચોકિમી. જેટલો છે. સૂરતની આબોહવા સમધાત રહે છે. ઉનાળા અને ચોમાસાની ૠતુ ભેજવાળી રહે છે. શિયાળો સમધાત હોય છે. ચોમાસામાં વરસાદ પડે છે. જિલ્લાનો સરેરાશ વરસાદ ૧૫૦૦થી ૨૦૦૦ મિમી. જેટલો પડે છે. તાપી અહીંની મુખ્ય નદી છે. વર્તમાનમાં સૂરત ‘હીરાની નગરી’ (ડાયમન્ડ સિટી) તરીકે પ્રસિદ્ધ છે. અહીં આર્ટ સિલ્ક, કાપડ, જરી અને હીરાના ઉદ્યોગો વિકસ્યા છે. હજીરા નજીક મોટાં કારખાનાંઓ આવેલાં છે. સૂરતમાં ભૌતિક સગવડ-સુધારા પણ દાખલ થયા છે. ટ્રાફિકને સરળ બનાવવા કેટલાક ફ્લાય ઓવરબ્રિજ બન્યા છે. તે ઉપરાંત અહીં નહેરુપુલ, સરદારપુલ, વિવેકાનંદપુલ આવેલા છે. રંગઉપવન, ગાંધી સ્મૃતિ ભવન, સરદાર સ્મૃતિ ભવન તથા ઇનડૉર સ્ટેડિયમમાં નાટકો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય તથા સરદાર વલ્લભભાઈ પટેલ સંગ્રહાલય પણ જાણીતાં છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, સૂરત, પૃ. ૩૧)