Categories
વાચન સમૃદ્ધિ

ટ્રૅમ્પ (પરિવહન)

બંદરનો માલ મળે તેનું પરિવહન કરનારું કરારબદ્ધ (chartered) માલવાહક જહાજ. આવું માલવાહક જહાજ સમુદ્ર-યાત્રા કરાર(voyage charter)પદ્ધતિ અથવા સમય કરાર(time charter)પદ્ધતિથી ભાડે આપવામાં આવે છે. સમુદ્ર-યાત્રા કરારપદ્ધતિમાં નિશ્ચિત સ્થળની નિશ્ચિત સફર માટે આખું જહાજ અથવા જહાજની આંશિક જગ્યા ભાડે આપવામાં આવે છે. નક્કી કરેલા બંદર ઉપર ઠરાવેલા દિવસે દરિયાઈ મુસાફરીને લાયક સુસજ્જ જહાજ આવી પહોંચશે તેવી ખાતરી જહાજમાલિક આપે છે અને સામે પક્ષે ઠરાવેલી સંખ્યાના દિવસમાં માલજહાજમાં એક બંદરેથી ચડાવવામાં તથા બીજા બંદરે ઉતારવામાં અને તેમાં કસૂર થાય તો વિલંબ-શુલ્ક (demurrage) ભરવામાં આવશે તેવી કબૂલાત જહાજ ભાડે રાખનાર આપે છે. સમય કરારપદ્ધતિમાં નિર્દિષ્ટ સમય માટે જહાજ ભાડે આપવામાં આવે છે. સમુદ્ર-યાત્રા કરાર કરતાં સમય કરારપદ્ધતિ વધારે પ્રચલિત છે અને તેલવાહક જહાજ (tanker) અને અતિકાય તેલવાહક જહાજ (very large crude carriers – VLCC)ની બાબતમાં તો તે સર્વસામાન્ય છે. ટ્રૅમ્પને ભાડે મેળવી આપવાનું કામ જહાજી આડતિયા કે દલાલ કરતા હોય છે.

અતિકાય તેલવાહક જહાજ

ટ્રૅમ્પથી વિરુદ્ધ પ્રકારના જહાજને નિયમિત સેવા-જહાજ (liner) કહે છે. તે વર્ગીકૃત (scheduled) સમુદ્રમાર્ગ ઉપર આવતુંજતું હોય છે. સ્થાપિત થયેલા દરેક માર્ગ ઉપર ઘણી કંપનીઓનાં નિયમિત સેવા-જહાજ ફરતાં હોય છે અને તેમની વચ્ચે નૂર-યુદ્ધ (freight war) ન થાય તે હેતુથી જહાજમાલિકોની પરિષદ આવા દરેક સ્થાપિત માર્ગ ઉપરના પરિવહનનું નૂર નક્કી કરતી હોય છે. કપાસ, ઘઉં અને ખાંડ જેવા ઋતુ અનુસાર તૈયાર થતા કૃષિપાકોના વિપુલ જથ્થાને આખા વર્ષમાંથી ફક્ત ચોક્કસ સમયે પરિવહન કરવાના તથા ઇંગ્લૅન્ડ જેવા કેટલાક દેશોમાંથી ખનિજકોલસાને મોટા પાયા ઉપર દક્ષિણ અમેરિકા જેવા ખંડમાં  પરિવહન કરવાના પ્રસંગ ઊભા થાય છે ત્યારે આવા અતિ વિશાળ કાર્યને નિયમિત સેવા-જહાજ પહોંચી વળી શકતાં નથી. તે સમયે ટ્રૅમ્પ પૂરક સેવા પૂરી પાડે છે. વિશ્વ વ્યાપારમાં ટ્રૅમ્પની જરૂરિયાત બહુ-આયામી (multi-dimensional) પ્રકારની હોવાથી નિયમિત સેવા-જહાજની આવકની સરખામણીમાં ટ્રૅમ્પની આવક તીવ્ર ચઢાવ-ઉતારવાળી હોય છે. તાજેતરમાં ટ્રૅમ્પની સંખ્યામાં ઘટાડો થયો છે, કારણ કે વધુ અને વધુ બહુરાષ્ટ્રીય ઔદ્યોગિક ગૃહોએ પોતાની જરૂરિયાતને અનુરૂપ વિશિષ્ટ રચનામાં પોતાની માલિકીનાં જહાજનો ઉપયોગ કરવાનું વલણ લેવા માંડ્યું છે.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮

Categories
વાચન સમૃદ્ધિ

અન્ના મણિ

જ. ૨૩ ઑગસ્ટ, ૧૯૧૮ અ. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૧

જાણીતાં ભારતીય ભૌતિકશાસ્ત્રી અને હવામાનશાસ્ત્રી અન્ના મણિનો જન્મ ત્રાવણકોર, કેરળમાં થયો હતો. તેમના પિતા બાંધકામના ઇજનેર હતા. બાળપણથી જ અન્નાને વાંચનનો ઘણો શોખ હતો. આઠ વર્ષનાં હતાં ત્યાં સુધીમાં જાહેર પુસ્તકાલયમાં મલયાળમ ભાષાનાં લગભગ બધાં પુસ્તકો વાંચી લીધાં હતાં. આઠમી વર્ષગાંઠ નિમિત્તે હીરાની બુટ્ટીને બદલે તેઓએ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાનો સેટ માંગ્યો હતો. તેઓ ગાંધીજીથી ખૂબ પ્રભાવિત હતાં અને કાયમ ખાદી પહેરતાં હતાં. ઈ. સ. ૧૯૩૯માં તેમણે પ્રેસિડેન્સી કૉલેજમાંથી ભૌતિકશાસ્ત્ર તથા રસાયણશાસ્ત્રના વિષયમાં બી.એસસી.ની ડિગ્રી મેળવી હતી. અભ્યાસ પૂર્ણ થતાં તેઓ પ્રો. સી. વી. રામનના હાથ હેઠળ કામ કરવા લાગ્યાં. તેમણે માણેક તથા હીરાના પ્રકાશીય ગુણધર્મો અંગે સંશોધન કર્યું. પાંચ સંશોધન પેપર લખવા છતાં માસ્ટર ડિગ્રી મેળવી ન હોવાથી પીએચ.ડી.ની ડિગ્રીથી વંચિત રહ્યાં. ૧૯૪૫માં ઇંગ્લૅન્ડ જઈ પ્રકાશીય સાધનો જે હવામાન જાણવા માટે વપરાય છે તેનો અભ્યાસ લંડનની ઇમ્પીરિયલ કૉલેજમાં કર્યો. ત્યારબાદ ૧૯૪૯માં ભારત પાછા ફરી પૂનાના ઇન્ડિયન મિટિયૉરૉલૉજિકલ ડિપાર્ટમેન્ટમાં અને બૅંગાલુરુમાં રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કર્યું. હવામાનશાસ્ત્રને લગતાં સાધનો માટે તેમણે ઘણાં સંશોધનો કર્યાં. હવામાનનાં સાધનોનાં ક્ષેત્રે ભારત સ્વાવલંબી બને તે માટે તેમણે ઘણા પ્રયત્નો કર્યા હતા. તેઓએ સૌર વિકિરણ, પવન-ઊર્જાનાં સાધનો તથા ઓઝોન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બજાવી હતી. ૧૯૭૬માં નિવૃત્ત થતાં પહેલાં તેમણે ભારતીય હવામાન ખાતામાં ડેપ્યુટી ડિરેક્ટર જનરલ તરીકે સેવાઓ આપી હતી. ૧૯૮૭માં તેમને ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી તરફથી કે. આર. રામનાથન્ મેડલથી પુરસ્કૃત કરવામાં આવ્યાં હતાં. તેમને બૅંગાલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સમાં સંશોધન કરવા માટે સ્કૉલરશિપ મળી હતી. તેઓ ઇન્ડિયન નૅશનલ સાયન્સ અકાદમી, અમેરિકન મિટિયૉરૉલૉજિકલ સોસાયટી, ઇન્ટરનેશનલ સોલર એનર્જી સોસાયટી અને વર્લ્ડ મિટિયૉરૉલૉજિકલ ઑર્ગેનાઇઝેશન જેવી અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

મનની કેદ

ઍડૉલ્ફ હિટલર(૧૮૮૭-૧૯૪૫)ને એવો અહંકાર હતો કે ફક્ત જર્મનો જ જગતમાં શુદ્ધ લોહીવાળા, શક્તિશાળી અને શ્રેષ્ઠ આર્યો હોવાથી એ દુનિયા પર રાજ્ય કરવાની યોગ્યતા ધરાવે છે. એને ન કોઈ ગુલામ બનાવી શકે કે ન કોઈ હરાવી શકે. પોતાની જાતિની શ્રેષ્ઠતાના આવા ખ્યાલથી એણે યહૂદીઓની મોટે પાયે સામૂહિક હત્યા કરી. આ હત્યાને માટે એણે ‘કોન્સન્ટ્રેશન કૅમ્પ’ ઊભા કર્યા અને જર્મનીના આ કોન્સન્ટ્રેશન કૅમ્પમાં અને યુરોપના અન્ય દેશોમાં સાઠ લાખ જેટલા યહૂદીઓને હિટલરના હુકમથી મારી નાખવામાં આવ્યા. એની ‘ગૅસ ચેમ્બર્સ’માં એણે માણસોને ગૂંગળાવીને મારી નાખ્યા. યુરોપના લગભગ સાઠ ટકા યહૂદીઓની આવી એણે ક્રૂર કતલ કરાવી અને એ કહેતો કે ‘કોઈ પણ જાતની દયા વગર પાશવી બળથી દુશ્મનોનો નાશ કરો.’ આવા હિટલરના કોન્સન્ટ્રેશન કૅમ્પમાંથી થોડાક ભાગ્યશાળી લોકો એક યા બીજા પેંતરા અજમાવીને ઊગરી ગયા. આવી રીતે કોન્સન્ટ્રેશન કૅમ્પમાંથી બચેલા અને નાઝી અફસરોને મહાત કરનારા બે મિત્રો વર્ષો પછી મળ્યા ત્યારે પહેલા મિત્રએ પૂછ્યું, ‘આ નાઝીઓએ ભારે કત્લેઆમ ચલાવી. કોઈ શાસકે આટલી મોટી સંખ્યામાં માનવ-હત્યાઓ કરી નથી. આપણે વર્ષો સુધી મોતના ભય હેઠળ જેલમાં પુરાઈ રહ્યા, પણ હવે વર્ષો બાદ તેં એ નાઝીઓને માફી આપી છે ખરી ?’ બીજી વ્યક્તિએ કહ્યું, ‘હા, મેં એમને માફી આપી દીધી છે.’ ત્યારે પહેલા મિત્રએ આક્રોશથી કહ્યું, ‘ના, હજી હું એ ભયાવહ દિવસો સહેજે ભૂલ્યો નથી. એ યાતના અને પારાવાર વેદનાઓ એટલી જ તાજી છે. નાઝીઓ પ્રત્યેનો મારો ધિક્કાર સહેજે ઓછો થયો નથી. એ દિવસો મારાથી કેમેય ભુલાતા નથી.’ બીજા મિત્રએ કહ્યું, ‘તો તું હજીય નાઝીઓની કેદમાં જ છે !’