Categories
વાચન સમૃદ્ધિ

સુવર્ણમંદિર (અમૃતસર)

પંજાબમાં અમૃતસરમાં આવેલું શીખોનું પવિત્ર મંદિર. તેનું મૂળ નામ હરિમંદિર સાહિબ છે. તેના પર સોનાના ઢોળવાળાં તાંબાનાં પતરાં જડેલાં હોવાથી તે સુવર્ણમંદિર તરીકે જાણીતું છે. ચોથા શીખ ગુરુ રામદાસે અમૃતસર નામનું તળાવ બંધાવી એ જ નામનું ત્યાં નગર પણ વસાવ્યું. શીખોના પાંચમા ગુરુ અર્જુનદેવ(૧૫૮૧–૧૬૦૬)ના સમયમાં ૧૫૮૮માં મંદિરનું બાંધકામ શરૂ થયું અને ૧૬૦૧માં તે પૂરું થયું. મંદિર સરોવરની મધ્યમાં છે. મંદિરનું આરસનું સુશોભન અને સોનાનું કામ ૧૮૦૦ પહેલાંનું છે. આ કામ માટે પંજાબના શીખ રાજ્યના મહારાજા રણજિતસિંહે પુષ્કળ પ્રમાણમાં સોનું અને આરસ પૂરાં પાડ્યાં હતાં. તેમણે મંદિરના ઘુમ્મટ વગેરે ભાગોને સોનાના ઢોળવાળાં તાંબાનાં પતરાં જડાવ્યાં હતાં.

સુવર્ણમંદિર (અમૃતસર), પંજાબ

સુવર્ણમંદિર આરસનું બાંધેલું ચોરસ મંદિર છે. તેનો વિસ્તાર ૨૦ મી.  ૨૦ મી. છે. મંદિરને ફરતું સરોવર છે. સરોવર ૬૧ મી. લાંબા આરસના માર્ગ વડે ઘેરાયેલું છે. તેની ઉપર તોરણવાળો માર્ગ છે. મંદિરને ચાર પ્રવેશ છે. તેના ઘુમ્મટ નીચે રેશમમંડિત બેઠકમાં શીખોના પવિત્ર ગ્રંથ ‘ગુરુ ગ્રંથસાહેબ’ની પ્રતિષ્ઠા કરેલી છે. કોઈ પણ વ્યક્તિ ધર્મ, વર્ણ, પંથ કે જાતિના ભેદભાવ વિના મંદિરમાં પ્રવેશી શકે છે. મંદિરમાં દારૂ, સિગારેટ, માંસ કે અન્ય કોઈ પદાર્થ લઈ જવા પર પ્રતિબંધ છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે મંદિરમાં પ્રવેશે ત્યારે તેણે તેનું માથું ઢાંકેલું રાખવું જોઈએ. મંદિરપ્રવેશ પહેલાં હાથ-પગ ધોયેલા હોવા જરૂરી છે. ગુરુવાણીનું પઠન સાંભળવા મંદિરમાં બેસી શકાય છે. મંદિર સંકુલમાં રોજ લગભગ ૧,૦૦,૦૦૦ લોકો વિનામૂલ્યે ભોજન કરી શકે છે. આ વ્યવસ્થા ‘લંગર’ તરીકે જાણીતી છે. મંદિર સંકુલમાં શીખ ધર્મના ગુરુઓ, શહીદો વગેરેનાં સ્મારકો આવેલાં છે. અહીં બૈસાખી તેમ જ ધર્મગુરુઓના જન્મદિવસો ધામધૂમથી ઊજવાય છે. ૧૯૮૪ના અરસામાં મંદિરને ઘણું નુકસાન થયું હતું. ભારત સરકાર જેને આતંકવાદી માનતી હતી અને શીખો જેને ધાર્મિક નેતા માનતા હતા તે જરનૈલસિંઘ ભિંડરાંવાલે અને તેના સાથીદારોએ સુવર્ણમંદિરમાં આશરો લીધો હતો. આતંક ઉગ્ર બનતાં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ સાહસપૂર્ણ નિર્ણય લઈ ‘ઑપરેશન બ્લૂ સ્ટાર’ નામક લશ્કરી પગલું ભરવું પડ્યું હતું. તેમાં સુવર્ણમંદિરમાં સૈનિકો મોકલી ભિંડરાંવાલે સહિત ઘણા આતંકીઓનો નાશ કર્યો હતો. ગોળીબાર, તોપમારો અને હેલિકૉપ્ટરને કારણે મંદિરના સંકુલને ઘણું નુકસાન પહોંચ્યું હતું. પાછળથી કારસેવકો દ્વારા આ નુકસાનનું સમારકામ કરાવવામાં આવ્યું હતું.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

અમૃતલાલ નાગર

જ. ૧૭ ઑગસ્ટ, ૧૯૧૬ અ. ૨૩ ફેબ્રુઆરી, ૧૯૯૦

હિંદી સાહિત્યકાર અમૃતલાલ નાગરનો જન્મ રાજારામ નાગર અને વિદ્યાવતી નાગરને ત્યાં આગ્રામાં થયો હતો. તેઓ પોતે લખનઉ રહેતા. તેઓ ૧૯ વર્ષના હતા ત્યારે પિતા ગુમાવેલા. આથી અર્થોપાર્જનની જવાબદારી તેમના પર આવી પડેલી. જવાબદારી સાથે તેમણે સતત અભ્યાસ કર્યો અને સાહિત્ય, ઇતિહાસ, પુરાણ, સમાજશાસ્ત્ર વગેરે અનેક ક્ષેત્રોનું જ્ઞાન મેળવ્યું. તેઓ હિંદી, ગુજરાતી, મરાઠી, બંગાળી અને અંગ્રેજી ભાષા પર સારું પ્રભુત્વ ધરાવતા હતા. થોડો સમય સામાન્ય નોકરી કરી. પછી હાસ્યરસની પત્રિકા ‘ચકલ્લસ’ના સંપાદક તરીકે કાર્ય કર્યું. ઘણાં વર્ષ સુધી મુંબઈ અને ચેન્નાઈનાં ચલચિત્રો માટે લેખનકાર્ય કર્યું. ૧૯૫૩થી ૧૯૫૬ દરમિયાન આકાશવાણી, લખનઉમાં સેવા આપી. ત્યારબાદ સ્વતંત્ર રીતે લેખનકાર્ય શરૂ કર્યું. તેમણે ‘મેઘરાજ ઇન્દ્ર તખલ્લુસથી કાવ્યો અને ‘તસ્લીમ લખનવી’ ઉપનામથી વ્યંગાત્મક રેખાચિત્રો અને નિબંધો લખ્યાં હતાં. પણ તેમને વધુ પ્રસિદ્ધિ મળી વાર્તાકાર-નવલકથાકાર તરીકે. તેમની પ્રથમ નવલકથા હતી ‘બૂંદ ઔર સમુદ્ર’. તેમની પાસેથી અનેક નવલકથાઓ મળી છે. નાટક, રેડિયો નાટક, નિબંધ, સંસ્મરણ તથા બાલસાહિત્યક્ષેત્રે પણ તેમનું પ્રદાન નોંધપાત્ર છે. ‘અમૃત નાગર રચનાવલી’માં તેમની બધી મૌલિક કૃતિઓ સંગૃહીત થઈ છે. તેમણે ફ્રેન્ચ લેખક મોપાસાં તથા રશિયન લેખક ચેખૉવની વાર્તાઓના સુંદર અનુવાદો કર્યા છે. એ જ રીતે તેમણે ગુજરાતી, મરાઠી નાટકોના પણ અનુવાદો કર્યા છે. તેમને ‘બૂંદ અને સમુદ્ર’ માટે બટુકપ્રસાદ પુરસ્કાર તથા સુધાકર રજતપદક; ‘સુહાગ નૂપુર’ માટે પ્રેમચંદ પુરસ્કાર; ‘અમૃત ઔર વિષ’ માટે સાહિત્ય અકાદેમીનો તથા સોવિયેટ લૅન્ડ નહેરુ પુરસ્કાર તથા સમગ્ર પ્રદાન માટે ‘યુગાન્તર’ પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. ૧૯૮૧માં ‘પદ્મભૂષણ’થી, ૧૯૮૮માં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ શિખર સન્માનથી તથા ૧૯૮૫માં ભારત ભારતી પુરસ્કારથી તેઓ સન્માનિત થયા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સમય જતાં વૃત્તિ રોજની આદત બની જાય છે

કૈકેયીના કારણે રામને વનવાસ ભોગવવો પડ્યો, તેમ છતાં એ સદૈવ કૈકેયીનો ઉપકાર માનતા રહ્યા. ચંડકૌશિક નામના દૃષ્ટિવિષ સર્પે વિના કારણે ભગવાન મહાવીરને દંશ દીધો, છતાં મહાવીર એના પર વાત્સલ્ય વેરતા રહ્યા. ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચઢાવનાર પ્રત્યે એમની કરુણા વહેતી જ રહી. આવું કેમ બન્યું હશે ? કૈકેયી પ્રત્યે ગુસ્સો, ચંડકૌશિક પ્રત્યે ક્રોધ અને વધસ્તંભે ચઢાવનારા પ્રત્યે ધિક્કાર કેમ જાગ્યો નહીં ? કારણ એટલું જ કે એમના હૃદયમાં ગુસ્સો, ક્રોધ કે ઘૃણાની વૃત્તિ જ નહોતી. જે હૃદયમાં ન હોય, તે પ્રગટ કેવી રીતે થાય ? હકીકતમાં વૃત્તિ મનમાં વસતી હોય છે અને પછી એને યોગ્ય આધાર કે આલંબન મળતાં એ પ્રગટ થતી હોય છે. તમારા મનમાં ક્રોધવૃત્તિ પડેલી જ હોય અને પછી કોઈ અપશબ્દ બોલે કે અપમાન કરે, એટલે કે વૃત્તિના જ્વાળામુખીનો વિસ્ફોટ થાય છે. મનમાં મોહ સળવળતો જ હોય અને જેવી કોઈ આકર્ષક વસ્તુ કે વાસનાનું સ્થાન જુએ એટલે મોહ તત્ક્ષણ પ્રગટ થશે. આનો અર્થ એ છે કે તમે ક્રોધિત થતા નથી, પરંતુ તમારા મનમાં  રહેલી ક્રોધની વૃત્તિ જ ક્રોધનું કારણ શોધતી હોય છે અને સહેજ કારણ મળી જાય, એટલે એ ક્રોધ પ્રગટ થતો હોય છે. ધીરે ધીરે એ વૃત્તિ એટલી બધી પ્રબળ બને છે કે પછી તમારો ભીતરનો એ ક્રોધ પ્રગટવા માટે બહાર સતત કારણો શોધતો હોય છે અને સહેજ નાનું કારણ મળે એટલે એ તરત પ્રગટ થતો હોય છે. પહેલાં જે વૃત્તિ હતી, એ સમય જતાં આદત બની જાય છે અને પછી એને ક્રોધ કર્યા વિના ફાવતું નથી. એનો મોહ પહેલાં નાની નાની બાબતો ઉપર આધારિત હતો, તે હવે મોટી મોટી વસ્તુઓનો મોહ રાખે છે. નાની ચોરીથી થયેલી શરૂઆત મોટી ધાડમાં પરિણમે છે.