Categories
સાંપ્રત કાર્યક્રમો

શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી

વિષય : શ્રી અરવિંદ માનવથી મહામાનવ સુધી |

વક્તા : રાજેન્દ્ર પટેલ |

14 ઑગસ્ટ 2025, ગુરુવાર, સાંજના 5-30

Categories
વાચન સમૃદ્ધિ

સુથાર

લાકડામાંથી જુદા જુદા ઘાટ ઘડનાર કારીગર. ‘સુથાર’ કે ‘સુતાર’ શબ્દ સંસ્કૃત ‘સૂત્રધાર’ પરથી ઊતરી આવ્યો છે. ‘સૂત્ર’ એટલે દોરી અને ‘ધાર’ એટલે ધારણ કરનાર. તે પરથી તેઓ ‘સુત્તહાર  સુથાર’ કહેવાયા. સુથારી કામમાં લાકડું ધારેલા માપ પ્રમાણે વહેરવા માટે સૂત્ર એટલે સૂતરને ગેરુવાળું કરી એની છાંટ પાડવામાં આવે છે. આ ક્રિયા પરથી સૂતર ધરવાવાળો, સૂત્રધાર સુથાર કહેવાયો છે. આવી જાતનું અંકન આંકવાની વિદ્યા માત્ર લાકડા વહેરવા પૂરતી જ મર્યાદિત નહોતી, પણ પહેલાં સ્થપતિઓ નહોતા ત્યારે, ઘરોના નકશા બનાવવા સુધી તે વિકાસ પામી હતી. તેમાં દેવ વિશ્વકર્માને દેવોના રથ કરનારા સુથારથી માંડીને હજારો શિલ્પના કર્તા કહ્યા છે. આ સુથારો વિશ્વકર્માના વંશજ ગણાય છે. વિશ્વકર્માના પાંચ પુત્રોમાંથી ‘મય’ નામના પુત્રે સુથારી કામ સ્વીકાર્યું. આમ સુથારો વિશ્વકર્માના પુત્ર મયના વારસદારો ગણાય છે.

સુથારી કામ

સુથાર મુખ્યત્વે લાકડાને વહેરવાનું, કાપવાનું અને આકાર આપવાનું કાર્ય કરે છે. નાની-મોટી ઇમારતો, વહાણ, પુલ (લાકડાના) વગેરેનાં બાંધકામોમાં સુથારો લાકડાનું કામ કરે છે. વળી, તે ઇમારતોમાં બારીબારણાં, રાચરચીલું કબાટો, ટેબલ, ખુરશીઓ, પટારાઓ જેવો ઘરનો સરસામાન, રસોડામાં વપરાતાં પાટલા-પાટલી, આડણી-વેલણ તથા બાળકોને રમવાનાં રંગબેરંગી રમકડાં વગેરે બનાવે છે. સુથારી કામ એ અઘરો અને કુશળતા માગી લેતો વ્યવસાય છે. કેટલાક લોકો પોતાના પિતા પાસેથી પેઢી-દર-પેઢીથી ચાલી આવતા આ કામને શીખે છે. તો કેટલાક લોકો આ કામ એ માટેની ખાસ શાળાઓમાં જઈને શીખે છે. કેટલીક શાળાઓ અને કૉલેજોમાં પણ સુથારી કામનું શિક્ષણ આપવામાં આવે છે. સુથારો તેમના કામ માટે મોટે ભાગે વિવિધ જાતની કરવતો, હથોડીઓ, સ્ક્રૂડ્રાઇવર, રંધો, વાંસલો, શારડી કે ડ્રિલ જેવાં અનેક સાધનોનો ઉપયોગ કરે છે. ગુજરાતમાં વૈશ્ય, મેવાડા, ગુર્જર અને પંચોલી એ ચાર જાતિઓ વંશપરંપરાથી કાષ્ઠકળા-કારીગરી કરતી આવી છે. મેવાડા સુથારો મંદિરનાં રથ, પાલખી, ભંડાર વગેરે બનાવે છે. વળી તેઓ કાષ્ઠકામ ઉપર ચાંદીનાં પતરાં જડવાનું કામ પણ કરે છે. ગુર્જર અને પંચોલી સુથારો જૂના કાળે ગામડાંઓમાં રહીને ખેતીવાડીનાં ઓજારો બનાવવાનું કામ કરતા હતા. આજે તો તેઓ શહેરોમાં વસવા લાગ્યા છે અને ફર્નિચર બનાવવાનું અને આંતરિક સુશોભનનું કામ કરે છે. સુથારી કામના અલંકારપૂર્ણ કાષ્ઠસ્થાપત્યનો ઉપયોગ પહેલાંના સમયમાં મંદિરો, દેરાસરો અને શ્રેષ્ઠીઓનાં ઘરોમાં થતો હતો. ગુજરાતમાં સુથારી કામની અપાર સમૃદ્ધિ સિદ્ધપુર, પાટણ, અમદાવાદ, વસો, ખંભાત, ડભોઈ, સૂરત, મહુવા, જામનગર, ભાવનગર, વઢવાણ, ભુજ, છોટાઉદેપુર વગેરે અનેક સ્થળોમાં જોવા મળે છે. અમદાવાદ એક કાળે કાષ્ઠકોતરણી માટેનું જાણીતું કેન્દ્ર હતું. અહીંના સુથારો સીસમના લાકડા પર કોતરણી કરવા માટે અત્યંત કુશળ ગણાતા હતા. એકાદ સૈકા પહેલાં અમદાવાદમાં કાળુપુર પાંચપટ્ટીમાં રહેતા ચકુ ભૂદર અને સોમનાથ ભૂદરનો કાષ્ઠકંડારણ ક્ષેત્રે ડંકો વાગતો હતો. તેમના પિતા ભૂદર મિસ્ત્રી પાસે જાણીતા કવિ શ્રી દલપતરામે ‘રાસમાળા’નાં ચિત્રોની કોતરણી કરાવી હતી.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

હરિકૃષ્ણ પાઠક

જ. ૫ ઑગસ્ટ, ૧૯૩૮ અ. ૨૮ માર્ચ, ૨૦૨૫

કવિ, વાર્તાકાર, નિબંધકાર અને બાળસાહિત્યકાર હરિકૃષ્ણ પાઠકનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદ ગામે રામચંદ્ર પાઠક અને મોંઘીબહેનને ત્યાં થયો હતો. વતન ભોળાદ. ૧૯૫૬માં મૅટ્રિક થયા. ૧૯૬૧માં બી.એસસી. થયા બાદ ૧૯૬૧-૬૨ દરમિયાન સોનગઢ(સૌરાષ્ટ્ર)ના ગુરુકુળના વિજ્ઞાનશિક્ષક થયા. ૧૯૬૩થી ગાંધીનગર ખાતેના ગુજરાત રાજ્યના સચિવાલયમાં મહેસૂલવિભાગમાં મદદનીશ તરીકે જોડાયા ને ત્યાંથી જ નાયબ સચિવ તરીકે ૧૯૯૬માં સેવાનિવૃત્ત થયા. તેમને નાનપણથી જ ચિત્રકળાનો શોખ હતો. ૧૯૬૬થી કાવ્યલેખન શરૂ થયેલું. ‘સૂરજ કદાચ ઊગે’ (૧૯૭૪) એ એમનો પ્રથમ કાવ્યસંગ્રહ. આ ઉપરાંત ‘અડવા પચીસી’, ‘જળના પડઘા’, ‘રાઈનાં ફૂલ’, ‘ઘટના ઘાટે’ જેવા કાવ્યસંગ્રહો તેમની પાસેથી મળ્યા છે. ‘સાક્ષર બોતેરી’ (૨૦૧૧) જે તે લેખકોની લાક્ષણિકતાઓને હળવી રીતે રજૂ કરતી ૭૨ કડીઓની પુસ્તિકા છે. એમની સમગ્ર કવિતા ‘જળમાં લખવાં નામ’ નામે પ્રસિદ્ધ થઈ છે. ‘મોર બંગલો’(૧૯૮૮)માં ૨૧ વાર્તાઓ છે તો ‘નટુભાઈને તો જલસા છે’(૨૦૦૮)માં ૧૨ વાર્તાઓ છે. તેમની ‘સમળો’ જેવી વાર્તાઓ વિશિષ્ટ છે. ‘અંગત અને સંગત’ (૨૦૦૯) એ લલિતનિબંધનો સંગ્રહ છે. ‘ગુલાબી આરસની લગ્ગી’ (૧૯૭૮) એ કિશોરભોગ્ય કથા છે. તેમણે ‘કોઈનું કંઈ ખોવાય છે’ અને ‘હલ્લો-ફલ્લો’ એ બાળકાવ્યસંગ્રહો આપ્યા છે. આ ઉપરાંતનાં બાળકાવ્યો તથા આ સંગ્રહનાં કાવ્યો ‘ચણ ચણ ચકલી ચણાની દાળ’(૨૦૨૧)માં સંગૃહીત થયાં છે. આમ તેમની પાસેથી શુદ્ધ અને સત્ત્વશીલ બાળસાહિત્ય મળ્યું છે. તેમનું સંપાદનક્ષેત્રે પ્રદાન પણ નોંધપાત્ર છે. બાલમુકુન્દ દવેના સમગ્ર સાહિત્યને ચાર ભાગમાં સંપાદિત કર્યું છે. આ ઉપરાંત અનેક સંપાદનોમાં સહસંપાદક તરીકે ભૂમિકા ભજવી છે. ‘ગલીને નાકેથી’ (૧૯૯૩) તેમનો સાહિત્યવિવેચનનો સંગ્રહ છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમીના પાંચ પુરસ્કારો મળ્યા હતા. આ ઉપરાંત ૧૯૬૭માં ‘કુમારચંદ્રક’, ‘જળના પડઘા’ માટે નર્મદચંદ્રક તથા ‘જયંત પાઠક કવિતા પુરસ્કાર’, ૨૦૧૦માં ધનજી કાનજી ગાંધી ચંદ્રક, ૨૦૧૧માં દલપતરામ ઍવૉર્ડ અને ૨૦૧૩માં નરિંસહ મહેતા ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા. ગાંધીનગરમાં તેમનું અવસાન થયું હતું.