Categories
વાચન સમૃદ્ધિ

મૈથિલીશરણ ગુપ્ત

જ. ૩ ઑગસ્ટ, ૧૮૮૬ અ. ૧૨ ડિસેમ્બર, ૧૯૬૪

હિન્દી ભાષાસાહિત્યના રાષ્ટ્રીય કવિ મૈથિલીશરણ ગુપ્તનો જન્મ ઝાંસી પાસેના ચિરગાંવમાં થયો હતો. માતાનું નામ કાશીબાઈ અને પિતાનું નામ રામચરણ કનકને. પિતા રામભક્ત હતા. પ્રાથમિક શિક્ષણ ચિરગાંવમાં અને માધ્યમિક શિક્ષણ મૈકડોનલ હાઈસ્કૂલમાં પ્રાપ્ત કર્યું. શાળામાં રમતગમતમાં ધ્યાન હોવાથી અભ્યાસ અધૂરો રહ્યો. તેમણે ઘરમાં જ હિન્દી, બંગાળી અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો. તેમણે ૧૨ વર્ષની ઉંમરે વ્રજભાષામાં ‘કનકલતા’ નામે કાવ્યરચના લખવાનો આરંભ કર્યો. તેમણે ખડી બોલીમાં કવિતાઓ લખી. તેમણે ‘રસિકેન્દ્ર’ નામથી કવિતાઓ, દોહા, છપ્પા, ચોપાઈ વગેરે લખ્યાં. તેમણે હિન્દીમાં પ્રબન્ધ કાવ્યપ્રકારનો આરંભ કર્યો. તેમણે એક મહાકાવ્ય, ૧૯ ખંડકાવ્યો, પાંચ પદ્યનાટકો, ૩ નાટકો, ઊર્મિગીતો દ્વારા હિન્દી સાહિત્યને સમૃદ્ધ કર્યું. પ્રથમ કાવ્યસંગ્રહ ‘રંગ મેં ભંગ’ અને પછી ‘જયદ્રથ વધ’ પ્રગટ થયો. ‘ભારત ભારતી’ (૧૯૧૨) કાવ્યસંગ્રહે તેમને રાષ્ટ્રકવિ બનાવ્યા. એમણે બંગાળીમાંથી ‘મેઘનાદ વધ’, ‘વિહરિણી વજ્રાંગના’ અને ‘પલાસીકા યુદ્ધ’, સંસ્કૃતમાંથી ‘સ્વપ્નવાસવદત્તા’, ‘પ્રતિમા’, ‘અભિષેક’, ‘અવિમારક’ અને ‘રત્નાવલી’ તેમજ ફારસીમાંથી ‘રુબાઇયાત ઉમર ખય્યામ’નો હિંદી ભાષામાં અનુવાદ કર્યો છે. તેમણે ૧૯૧૧માં ‘સાહિત્ય સદન’ નામે પોતાનું પ્રેસ શરૂ કર્યું. ઝાંસીમાં ‘માનસ-મુદ્રણ’ની સ્થાપના કરી. ૧૯૪૧માં તેમણે વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લીધો આથી એમની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ આરોપો પુરવાર ન થતાં સાત મહિના પછી છોડવામાં આવ્યા.  તેમને અનેક માન-સન્માનો પ્રાપ્ત થયાં હતાં. ‘સાકેત’ મહાકાવ્ય માટે ૧૯૩૫માં હિંદુસ્તાન અકાદમી પુરસ્કાર અને ૧૯૩૭માં મંગલાપ્રસાદ પુરસ્કાર મળ્યો હતો. ૧૯૪૬માં ‘સાહિત્યવાચસ્પતિ’ અને ૧૯૪૮માં આગરા વિશ્વવિદ્યાલય દ્વારા ડી.લિટ.ની ઉપાધિ આપવામાં આવી હતી. તેઓ ૧૯૫૨થી ૧૯૬૪ સુધી રાજ્યસભાના સભ્ય હતા. ભારત સરકારે હિન્દી સાહિત્યમાં તેમણે આપેલા પ્રદાન માટે ૧૯૫૪માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. ટપાલખાતાએ તેમની સ્મૃતિમાં પચ્ચીસ પૈસાની ટપાલટિકિટ બહાર પાડી છે.

Categories
વાચન સમૃદ્ધિ

માયાળુ બનીને જીતવું

અમેરિકાના તારણહાર અબ્રાહમ લિંકન (૧૮૦૯થી ૧૮૬૫) ગુલામી પ્રથાની નાબૂદી માટે પ્રયાસ કરતા હતા. અમેરિકાની સમવાય સરકાર અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે વિશ્વાસની કટોકટી ઊભી થઈ. અમેરિકામાં ઉત્તર અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે આંતરવિગ્રહ શરૂ થયો. ૧૮૬૨ની ૨૨મી સપ્ટેમ્બરે અમેરિકાના પ્રમુખ અને પ્રથમ નાગરિકની હેસિયતથી એમણે ગુલામીપ્રથાની નાબૂદીની ઘોષણા કરી, ગુલામીની મુક્તિનું જાહેરનામું બહાર પાડ્યું અને પરિણામે ૪૦ લાખ ગુલામો મુક્ત થયા. વિરોધી રાજ્યોએ આ ઘોષણાનો અસ્વીકાર કર્યો અને દેશમાં આંતરવિગ્રહ જાગી ઊઠ્યો. ૧૮૬૧ની પંદરમી એપ્રિલે અબ્રાહમ લિંકને એક જાહેરનામું બહાર પાડીને બંડખોર રાજ્યો સામે યુદ્ધની જાહેરાત કરી. અમેરિકાનાં ઉત્તરનાં રાજ્યોએ સહકાર આપવામાં ઉત્સાહ દાખવ્યો પણ દક્ષિણનાં રાજ્યોએ સહકાર આપવાનો ઇન્કાર કર્યો. દેશની અખંડિતતા જાળવવા પોતાના જ દેશબાંધવો સામે યુદ્ધ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ. આ આંતરવિગ્રહ સમયે દક્ષિણનાં રાજ્યોનો એક અમલદાર પકડાયો અને એને મોતની સજા ફરમાવવામાં આવી. અબ્રાહમ લિંકનને એની જાણ થતાં એમણે તરત જ જનરલ રોજક્રેન્સને પત્ર લખીને કહ્યું કે, ‘આ કેસ તમારો કહેવાય. તેમાં મુલ્કી સત્તાવાળાઓ કશી દખલ કરી શકે નહીં. પણ હું આશા રાખું છું કે આ કેસમાં તમે ન્યાયની દૃષ્ટિએ વિચારશો. ભૂતકાળનો બદલો લેવાની દૃષ્ટિએ નહીં અને ભવિષ્યની સલામતી માટે આવશ્યક હોય, તે નજરે જોશો.’ આટલું લખ્યા પછી અબ્રાહમ લિંકને લખ્યું, ‘આપણે કોઈ વિદેશી દુશ્મન સામે લડી રહ્યા નથી, પરંતુ આપણા ભાઈઓ સામે આંતરવિગ્રહ ચાલી રહ્યો છે. આપણો હેતુ એમનો જુસ્સો તોડવાનો નથી, પણ એમને મૂળ વફાદારીના સ્થાને પાછો લાવવાનો છે અને તેથી જનરલસાહેબ, માયાળુ બનીને જીતવું એ જ આપણી નીતિ છે.’ લિંકનનો આ પત્ર વાંચીને જનરલ રોજક્રેન્સે વિરોધી દળના અધિકારીની સજા હળવી કરી.

Categories
વાચન સમૃદ્ધિ

સુરેન્દ્ર દેસાઈ

જ. ૨ ઑગસ્ટ, ૧૯૦૧ અ. ૧૦ નવેમ્બર, ૧૯૭૬

એસ. વી. દેસાઈના હુલામણા નામે જાણીતા શિક્ષણશાસ્ત્રી સુરેન્દ્ર દેસાઈનો જન્મ અમદાવાદમાં. વતન અલીણા. માતાનું નામ વિજયાગૌરી અને પિતાનું નામ વૈકુંઠરાય. પિતા મુંબઈની હોમરૂલ લીગના આગેવાન અને દાદા અંબાલાલ સાકરલાલ દેસાઈ ન્યાયમૂર્તિ હતા. તેઓ ૧૯૧૮માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષામાં સમગ્ર બોર્ડમાં સાતમા સ્થાને હતા. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ઇન્ટર આર્ટ્સ કરીને ઉચ્ચઅભ્યાસ માટે ૧૯૨૧માં અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં ગયા. ત્યાં બી.એસસી. અને એમ.એસ.ની પદવી ‘એ’ ગ્રેડ સાથે મેળવી. તેમને ‘બીટા-ગૅમા-સિગ્મા’નું બહુમાન મળ્યું હતું. કોલંબિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર સાથે સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવનાર તેઓ પ્રથમ ગુજરાતી વિદ્યાર્થી હતા. તેઓ ગુજરાતમાં ડબલ ગ્રૅજ્યુએટ થનાર પ્રથમ હતા. ભારતમાં આવીને તેઓ ‘ઇન્ડિયન ઇકૉનૉમિક્સ’ સાપ્તાહિકમાં જોડાયા. પછી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને અર્થશાસ્ત્ર વિભાગના વડા બન્યા. તેમણે સિંધિયા સ્ટીમ નૅવિગેશન કંપનીમાં પણ કામ કર્યું. એ પછી તેઓ સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં જોડાયા. ૧૯૩૬માં તેઓ અમદાવાદની એચ.એલ.કૉલેજ ઑવ્ કૉમર્સમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા અને ૧૯૪૪માં આચાર્ય બન્યા. તેમણે ગુજરાત યુનિવર્સિટીની સેનેટ સિંડિકેટ અને એકૅડેમિક કાઉન્સિલમાં સેવા આપી હતી. તેઓ ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પણ બન્યા હતા. ૧૯૪૨ની ‘ભારત છોડો’ લડત દરમિયાન દેશભક્તિના રંગે રંગાયા. તેમણે આજીવન ખાદીનાં વસ્ત્રો પહેરવાનો નિર્ણય કર્યો અને પાળ્યો પણ ખરો. તેઓ સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિક ટ્રસ્ટના ટ્રસ્ટી પણ હતા. શિક્ષણક્ષેત્રે તેમણે કરેલાં કાર્યો આજે પણ સ્મરણીય બની રહ્યાં છે.