Categories
વાચન સમૃદ્ધિ

પ્રેમચંદજી

જ. ૩૧ જુલાઈ, ૧૮૮૦ અ. ૮ ઑક્ટોબર, ૧૯૩૬

હિન્દી અને ઉર્દૂ સાહિત્યના પ્રતિષ્ઠિત અને લોકપ્રિય સાહિત્યકાર પ્રેમચંદજીનું મૂળ નામ ધનપતરાય શ્રીવાસ્તવ હતું. તેમનો જન્મ બનારસના લમહી ગામમાં પોસ્ટ-ઑફિસમાં કારકુન તરીકે કાર્ય કરતા અજાયબલાલ મુનશીને ત્યાં થયો હતો. માતા આનંદીદેવી સ્વરૂપવાન અને સંસ્કારી હતાં. પ્રેમચંદનું બાળપણ ગામડામાં વીતેલું. પહેલાં આઠ વરસ ફારસી ભણ્યા ને પછી અંગ્રેજી. લમહીમાં જ એક મૌલવીસાહેબ પાસેથી થોડું ઉર્દૂ અને ફારસી શીખ્યા. ૧૩ વર્ષની વય સુધીમાં તો તેમણે ઉર્દૂના રતનનાથ સરશાર, મિર્ઝા રુસવા અને મૌલાના શરરને ખૂબ જ વાંચ્યા. સરકારી નોકરી કરતાં કરતાં વાર્તા લખવાની શરૂ કરી ત્યારે ‘નવાબરાય’ એ ઉપનામ રાખેલું. આથી ઘણા તેમને જીવનભર ‘નવાબ’ કહેતા. એમનો પહેલો વાર્તાસંગ્રહ ‘સોજે વતન’ સરકારે જપ્ત કર્યો ત્યારે ‘નવાબરાય’-એ ઉપનામનો ત્યાગ કર્યો અને ‘પ્રેમચંદ’ ઉપનામથી લખવાનું શરૂ કર્યું ને પછી તો એ નામે જ તેઓ ઓળખાયા. સાતેક વર્ષના હતા ત્યારે માતાનું મૃત્યુ અને પંદરેક વર્ષના હતા ત્યારે પિતાનું મૃત્યુ થયું. અભ્યાસ માટે તેમને ખૂબ જ સંઘર્ષ કરવો પડેલો. ઈ. સ. ૧૮૯૯માં તેઓ ચુનારની મિશનરી સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. પછી અનેક સ્થળોએ નોકરી કરી. પાછળથી આચાર્ય પણ થયેલા. પ્રારંભમાં તેઓ ગોખલેના શિષ્ય હતા. છેલ્લે ગાંધીજીના પ્રભાવ તળે આવ્યા. પ્રેમચંદજી ભારતની બે મોટી કોમો હિંદુ અને મુસલમાન નજીક આવે તેમ ઇચ્છતા હતા. તેમની પાસેથી અનેક નવલકથાઓ અને સંખ્યાબંધ વાર્તાઓ મળી છે. ‘રૂઠી રાની’, ‘કૃષ્ણ’, ‘સેવાસદન’, ‘નિર્મલા’, ‘ગબન’, ‘કર્મભૂમિ’ વગેરે તેમની નવલકથાઓ છે. ‘ગોદાન ભારતીય નવલકથાના ઇતિહાસમાં સીમાચિહન રૂપ ગણાય છે. તેમણે હિંદી સાહિત્યને વિપુલ પ્રમાણમાં વાર્તાઓ આપી છે. તેમની બધી જ વાર્તાઓ ‘માનસરોવર’(ભાગ ૧-૮)માં સંગૃહીત થઈ છે. તેમની ‘શતરંજ કે ખિલાડી’ વાર્તા પરથી હિન્દી ફિલ્મ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે નાટકો, નિબંધો, જીવનકથાઓ અને અનુવાદો પણ આપ્યાં છે. ૧૯૩૬ના મે માસમાં તેમની અતિ પ્રસિદ્ધ નવલકથા ‘ગોદાન’ બહાર પડી. એ પછી તેમની તબિયત ખૂબ બગડી. એમાંથી ઊઠી ન શક્યા. તેઓ ‘હિંદી સાહિત્યના ગૉર્કી’ કહેવાય છે. તેમના આગમનથી હિંદી કથાસાહિત્યના જગતમાં નવો યુગ શરૂ થયો.

Categories
વાચન સમૃદ્ધિ

ટૉરન્ટો

કૅનેડાનું મોટામાં મોટું શહેર અને ઑન્ટેરિયો રાજ્યની રાજધાની. ભૌગોલિક સ્થાન : ૪૩° ૩૯´ ઉ. અ. અને ૭૫° ૨૩´ પ. રે.. તે ઑન્ટેરિયો સરોવરના વાયવ્ય કિનારે આવેલું છે. તે કૅનેડાનું મુખ્ય ઔદ્યોગિક અને વ્યાપારિક કેન્દ્ર તેમજ મહત્ત્વનું બંદર છે. શહેરની વસ્તી ૨૭.૯૫ લાખ (૨૦૨૧) તથા મહાનગરની વસ્તી ૬૨.૦૨ લાખ (૨૦૨૧) છે. તેના બંદર દ્વારા મુખ્યત્વે અનાજ, માંસ અને પશુઓનો વ્યાપાર કરવામાં  આવે છે. ટૉરન્ટો બંદર ઉપર વર્ષે સરેરાશ ૧.૮૦ લાખ મેટ્રિક ટન માલની હેરફેર થાય છે. તે ઑન્ટેરિયો સરોવરને કિનારે આવેલું હોવાથી તેની આબોહવા પર આગવી અસર થાય છે. શિયાળાનું તાપમાન વારંવાર ૦° સે.થી પણ નીચું જાય છે; પરંતુ જાન્યુઆરી અને ફેબ્રુઆરી ઠંડામાં ઠંડા મહિના હોય છે. ત્યાં ભારે હિમવર્ષા ભાગ્યે જ થાય છે. જુલાઈ–ઑગસ્ટ ભેજવાળા મહિના હોય છે. તેમાં તાપમાન ૩૦° સે.ની આસપાસ રહે છે.

ટૉરન્ટો શહેર

કૅનેડાના સમૃદ્ધ અને ગીચ વસ્તીવાળા રાજ્યની આ રાજધાની હોવાને લીધે તેનું અર્થતંત્ર વૈવિધ્યપૂર્ણ છે. અહીં ખનિજો, ઇમારતી લાકડું, પાણી, જળવિદ્યુત અને ખેતપેદાશો જેવી સંપત્તિ વિપુલ પ્રમાણમાં મળે છે. વીજળીનાં સાધનો, લોખંડ-પોલાદ, હવાઈ જહાજ, ખેતીનાં સાધનો, ખાદ્ય પદાર્થો પર પ્રક્રમણ, મુદ્રણ અને પ્રકાશન, કાગળ, રબરની બનાવટો વગેરે વિવિધ ઉદ્યોગો આ નગરમાં વિકસ્યા છે. અહીં ૫,૭૦૦ જેટલાં કારખાનાં છે, જે વાર્ષિક સરેરાશ ૭ અબજ યુ.એસ. ડૉલરનો માલ ઉત્પન્ન કરે છે. તેનું શૅરબજાર ઉત્તર અમેરિકાનું ચોથા નંબરનું મોટું શૅરબજાર ગણાય છે. અહીંનો મધ્યસ્થ બજારવિસ્તાર સરોવરની નજીક છે. વિશ્વની ઊંચામાં ઊંચી ઇમારતોમાંથી ત્રણ અહીં આવેલી છે. વિશ્વમાં ઊંચા ગણાતા ટાવર પૈકીનો એક સી.એન. ટાવર (ઊંચાઈ ૫૩૩ મી.) આ વિસ્તારમાં છે. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાંથી સ્થળાંતર કરી આવેલા લોકોએ તેને ઉત્તર અમેરિકાનું ગીચ વસ્તીવાળું નગર બનાવ્યું છે. અહીંની કુલ વસ્તી પૈકીની 2/3 વસ્તી ભૂતકાળમાં ઇંગ્લૅન્ડથી સ્થળાંતર કરી આવેલી પ્રજાની વારસદાર છે. ઉપરાંત ઇટાલિયન, ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ચીની અને ગ્રીક લોકો પણ અહીં ઠીક ઠીક પ્રમાણમાં વસ્યા છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધસામગ્રીની વધેલી માગને લીધે ટૉરન્ટોનું ઔદ્યોગિક વિસ્તરણ થયું હતું. અહીં અનેક જોવાલાયક સ્થળો અને પ્રવાસન-કેન્દ્રો વિકસ્યાં છે, જેમાં રૉયલ ઑન્ટારિયો સંગ્રહાલયમાં ચીની કળાના ઉત્તમ નમૂના છે. નગરમાં ૮૨૭ જેટલી ખાનગી કલા-દીર્ઘાઓ (art galleries) આવેલી છે. કૅનેડિયન રાષ્ટ્રીય પ્રદર્શન અહીં કાયમી સંગ્રહાલય છે. હેલી બ્યુરટન હાઈલૅન્ડ, જ્યૉર્જિન ખાડી અને શિકાર-મચ્છીમારી તેમજ કૅમ્પિંગની સુવિધાવાળાં નાનાંમોટાં ઘણાં પ્રવાસન-કેન્દ્રો અહીં આવેલાં છે. વિશ્વ-વિખ્યાત નાયગરા ધોધ અહીંથી ૧૨૮ કિમી. દૂર છે. ૧૭૦૦માં ફ્રેન્ચોએ ટૉરન્ટોને પોતાનું વેપારી મથક બનાવ્યું હતું. ૧૭૮૭માં અંગ્રેજોએ તેનો કબજો મેળવ્યો. ૧૭૯૩માં જ્હૉન સીમકૉકે અહીં બ્રિટિશ સંસ્થાનની વસાહત સ્થાપી અને ડ્યૂક ઑવ્ યૉર્ક પરથી તેને ‘યૉર્ક’ નામ આપ્યું. હાલનું ‘ટૉરન્ટો’ નામ તેને ૧૮૩૪માં આપવામાં આવ્યું.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮

Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. મુત્તુલક્ષ્મી રેડ્ડી

જ. ૩૦ જુલાઈ, ૧૮૮૬ અ. ૨૨ જુલાઈ, ૧૯૬૮

એક સુવિખ્યાત ડૉક્ટર, સમાજસેવિકા તથા ભારતની મદ્રાસ વિધાનસભામાં પ્રથમ મહિલાઉપાધ્યક્ષ હોવાનું ગૌરવ ધરાવતાં ડૉ. મુત્તુલક્ષ્મી રેડ્ડીનો જન્મ તમિળનાડુના પુદુકોટ્ટાઈ રજવાડામાં થયો હતો. પિતા એસ. નારાયણસ્વામી મહારાજ કૉલેજના પ્રિન્સિપાલ હતા. માતાનું નામ ચંદ્રામાલા હતું. તે જમાનામાં છોકરીઓને શાળામાં ભણવા માટે મોકલતા નહિ, પણ પિતા નારાયણસ્વામીએ આ માન્યતાનો ભંગ કરીને મુત્તુલક્ષ્મીને શાળામાં દાખલ કરી. ૧૯૦૩માં મૅટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારી તે એકમાત્ર છોકરી હતી. પુદુકોટ્ટાઈના મહારાજની દરમિયાનગીરીને કારણે તેમને વિરોધની વચ્ચે કૉલેજમાં પ્રવેશ મળ્યો. રાજાએ સ્કૉલરશિપ પણ આપી. આમ મહારાજા કૉલેજમાં પ્રવેશ મેળવનારાં તેઓ સર્વપ્રથમ મહિલા બન્યાં. પ્રથમ વર્ગમાં કૉલેજ પાસ કરીને તેમણે મદ્રાસ મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. સર્જરીમાં ૧૦૦ માર્ક્સ મેળવી ડૉક્ટર બન્યાં. મહિલા અને બાળકોની સરકારી હૉસ્પિટલમાં હાઉસ સર્જન તરીકે નિમણૂક પામ્યાં. તેઓ ગાંધીજી અને ડૉ. એની બેસન્ટથી ખૂબ પ્રભાવિત હતાં. સરોજિની નાયડુના સંપર્કમાં આવ્યાં પછી તેઓ સમાજસેવાના કાર્યમાં જોડાઈ ગયાં. ગરીબ સ્ત્રીઓ અને બાળકો માટે તેમણે સેવા કરી હતી. ૧૯૩૦માં તેમના દ્વારા સ્થાપના કરાયેલ ‘અવ્વાઈહોમ’માં આજે પણ તરછોડાયેલી સ્ત્રીઓ અને બાળકોને શરણ પૂરું પાડવામાં આવે છે. કન્યાકેળવણી તથા બાળકેળવણીક્ષેત્રે તેમણે નોંધપાત્ર કામ કર્યું છે. ૧૯૨૭માં તેમણે બાળકો માટે ભારતની પહેલી હૉસ્પિટલ ખોલી. શાળાનાં બાળકોમાં ફરજિયાત સ્વાસ્થ્ય ચકાસણી, બાળકલ્યાણ કેન્દ્રની સ્થાપના અને આરોગ્યખાતામાં અલગ મહિલાડાયરેક્ટરની નિમણૂક, ગરીબ છોકરીઓ માટે ફીમાં રાહત તથા રહેવા માટે છાત્રાલયની સગવડ જેવાં પ્રજાકલ્યાણનાં કાર્યો તેમણે હાથ ધર્યાં. દેવદાસીની પ્રથા પર પ્રતિબંધ લાવતો કાયદો પસાર કરાવ્યો. સ્ત્રીઓની વિવિધ સંસ્થાઓ સાથે પણ તેઓ સંકળાયેલાં હતાં. ૧૯૩૧થી ૧૯૪૦ સુધી તેઓ ‘સ્ત્રી ધર્મ’ સામયિકના તંત્રીપદે રહ્યાં હતાં. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી સંસ્થા ‘અડિયાર કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ’ની સ્થાપના તેમણે ૧૯૫૨માં કરી હતી. ૧૯૫૬માં ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ના ખિતાબથી સન્માન્યાં હતાં.