Categories
વાચન સમૃદ્ધિ

અપુચ્છ વાનરો (Apes)

પ્રાણીજગતમાં માણસ સાથે સૌથી વધારે સામ્ય ધરાવતાં પ્રાણીઓ. મનુષ્યની જેમ અપુચ્છ વાનર બુદ્ધિશાળી હોય છે. તેઓ સમૂહમાં રહે છે અને લાંબું જીવે છે. અપુચ્છ વાનરના બે પ્રકારો છે : એક પ્રકારમાં ગોરીલા, ચિમ્પાન્ઝી તથા ઉરાંગઉટાન અને બીજા પ્રકારમાં ગિબન્સ અને સિયામાંગ છે. ગોરીલાનું નિવાસસ્થાન આફ્રિકા છે. તે કૉંગો નદીના ખીણપ્રદેશનું વતની છે. તે ડુંગરાળ અને આસપાસના જળપ્રદેશવાળા વિસ્તારોમાં વસે છે. ચિમ્પાન્ઝી આફ્રિકાના બહુવર્ષાળુ વનોમાં વાસ કરનાર ચપળ અને બુદ્ધિશાળી પ્રાણી છે; જ્યારે ઉરાંગઉટાન, ગિબન્સ તથા સિયામાંગ બોર્નિયો તથા સુમાત્રાનાં વર્ષાવનોમાં રહે છે. આ પ્રાણીઓના વસવાટના પ્રદેશો પર માનવીની ખલેલ થયા કરે છે. આથી ઇન્ડોનેશિયા તેમજ મલેશિયા દેશોએ આ પ્રાણીઓને રક્ષિત પ્રાણી તરીકે જાહેર કર્યાં છે.

ઉરાંગઉટાન

માણસની જેમ આ વાનર બાહ્ય પુચ્છ વગરના હોય છે. માણસ જેવું શરીર ધરાવે છે. તેમને ૩૨ દાંત અને તીવ્ર દૃષ્ટિ હોય છે. બીજાં સસ્તન પ્રાણીઓ રંગ પારખી નથી શકતાં, જ્યારે અપુચ્છ વાનરો રંગોમાં ભેદ જોઈ શકે છે. તેમના શરીર પર ઘણા વાળ હોય છે. માદા વાનર સામાન્ય રીતે એક જ બચ્ચાને જન્મ આપે છે. બચ્ચાને મા છાતીએ વળગાડીને ફરે છે. બચ્ચું માનું દૂધ પીએ છે અને તેની પાસેથી શીખવાનું શીખે છે. તેઓ લાકડીનો ઉપયોગ કરી રાફડામાંથી ઊધઈ બહાર કાઢી તેને ખાઈ જાય છે. બચ્ચું ૪ વર્ષ જેવડું થાય પછી જ માદા બીજું બચ્ચું લાવે છે. અપુચ્છ વાનર મોટા ભાગે ફળો અને પાંદડાં ખાય છે. કોઈક વાર જીવડાં પણ ખાય છે. સવારે વહેલા ઊઠી જંગલમાં ફરીને ખોરાક મેળવે છે, બપોરે જમીન પર આરામ કરે છે, જ્યારે રાત્રે તેઓ ઝાડની ઉપર મોટો માળો બનાવી તેમાં સૂઈ જાય છે. વરસાદ તેમને ગમતો નથી. ઘણી વાર ઝાડનાં મોટાં પાંદડાંની આડશ કરી વરસાદથી બચે છે. તેઓ ગીચ જંગલોમાં વસે છે. અપુચ્છ વાનરના હાથ માનવની સરખામણીમાં લાંબા અને મજબૂત હોય છે. તેમના પગ ટૂંકા અને નબળા હોય છે. તેઓ ઝાડ પર ચઢી જાય છે અને ડાળી પર ઝૂલા પણ ખાય છે. ચારેય પગનો ઉપયોગ કરીને ચાલે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અપુચ્છ વાનરો, પૃ. 25)

Categories
સાંપ્રત કાર્યક્રમો

વિદુષી શ્રી દક્ષાબહેન પટ્ટણી સ્મૃતિવ્યાખ્યાન

વિષય : ચાલો, થોડા થોડા ગાંધી બનીએ

વક્તા : શ્રી ડંકેશ ઓઝા

25 માર્ચ, 2026, બુધવાર, સાંજના 5-30

Categories
વાચન સમૃદ્ધિ

બુરગુલા રામકૃષ્ણ રાવ

જ. 13 માર્ચ, 1899 અ. 14 સપ્ટેમ્બર, 1967

ભૂતપૂર્વ હૈદરાબાદ રાજ્યના બીજા અને છેલ્લા મુખ્યમંત્રી રજવાડાંઓના રાજકીય એકીકરણ પહેલાં તેઓ હૈદરાબાદ રજવાડાના નિઝામનો પ્રતિકાર કરનારા તેલુગુભાષી નેતાઓમાંના એક હતા. તેઓ સંસ્કૃત અને તેલુગુ ભાષાના વિદ્વાન હતા. તેમનો જન્મ પદકલ્લુ ગામ, કાલવાકુર્થ, હૈદરાબાદ રાજ્યમાં થયો હતો. તેમના પિતાનું નામ નરસિંહ રાવ અને માતાનું નામ રંગનાયકમ્મા હતું. ભણવામાં હોશિયાર હોવાથી ‘એલીઝ’ શિષ્યવૃત્તિ મેળવી, મુંબઈમાં ભણ્યા અને કાયદામાં સ્નાતકની ઉપાધિ મેળવી. હૈદરાબાદ પાછા આવી વકીલનો વ્યવસાય અપનાવ્યો, પરંતુ તે ઝાઝો સમય સુધી ન કરતાં જાહેર ચળવળોમાં ભાગ લેવા લાગ્યા અને બે વાર જેલવાસ પણ ભોગવ્યો. હૈદરાબાદ રાજ્યના દીવાન મિર્ઝા ઇસ્માઇલ દ્વારા આપવામાં આવેલ કાયદાનો પૉર્ટફોલિયો પણ છોડી દીધો. તેઓ હૈદરાબાદ રાજ્ય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક હતા. તેમણે 1932માં દેવરકોંડા ખાતે આંધ્ર મહાસભાના બીજા સંમેલનની અધ્યક્ષતા કરી હતી. તેમણે હૈદરાબાદ સ્વદેશી લીગ અને નિઝામ વિષય લીગના સચિવ તરીકે કાર્ય કર્યું હતું. 1950માં વેલ્લોડી સરકારના મંત્રીમંડળમાં મહેસૂલમંત્રી રહ્યા હતા. નિઝામ શાસનના અંત પછી પોતાની વહીવટી કુશળતાથી એક સ્થિર લોકશાહીની વ્યવસ્થા કરી હતી. તેમણે તેલંગણામાં જાગીરદાર અને મુક્તેદારની વ્યવસ્થા નાબૂદ કરી ભાડૂઆતનો કાયદો રજૂ કરી પ્રથમ ભારતીય સુધારકની છબી ઉપસાવી હતી. નવેમ્બર, 1956થી જુલાઈ, 1960 સુધી તેઓ  કેરળના રાજ્યપાલ રહ્યા હતા અને જુલાઈ 1959માં તેમણે ભારતમાં પ્રથમ ચૂંટાયેલી સામ્યવાદી સરકારને બરતરફ કરી હતી. ભારતમાં પહેલી વાર કલમ 356નો ઉપયોગ કરવામાં આવ્યો. એપ્રિલ, 1962 સુધી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રહ્યા હતા. 1962થી 1966 દરમિયાન રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમની સેવાઓ ફક્ત તેલંગણામાં જ નહીં, પરંતુ પડોશી વિસ્તારોમાં પણ ફેલાઈ હતી. તેમની રાજનીતિ માટે ઘણા ટોચના રાજકારણીઓ તરફથી પ્રશંસા પણ મેળવી હતી.