Categories
વાચન સમૃદ્ધિ

ઉદયન ચિનુભાઈ બૅરોનેટ

જ. ૨૫ જુલાઈ, ૧૯૨૯ અ. ૧ સપ્ટેમ્બર, ૨૦૦૬

ગુજરાતમાં રમતગમતની આબોહવા સર્જનાર પ્રસિદ્ધ ભારતીય નિશાનબાજ, કામયાબ ક્રિકેટર અને ઉદ્યોગપતિ એવા બૅરોનેટનો ખિતાબ મેળવનારા ઉદયન ચિનુભાઈના પિતાનું નામ ગિરિજાપ્રસાદ અને માતાનું તનુમતી હતું. તેઓ અમદાવાદના સુપ્રસિદ્ધ શ્રી ચિનુભાઈ બૅરોનેટ કુટુંબના નબીરા હતા. યુવાનીમાં ગુજરાતની રણજી ટ્રૉફી ટીમ તરફથી ખેલતાં એમણે ૧૯૫૦ની ૧૮થી ૨૦ ઑક્ટોબર દરમિયાન એચ.એલ. કૉમર્સ કૉલેજના મેદાન પર કૉમનવેલ્થની ટીમ સામે રમ્યા હતા. ૧૯૫૨ના ડિસેમ્બરમાં બૅંગ્લોર(બૅંગાલુરુ)ના સેન્ટ્રલ કૉલેજના મેદાન પર ઇન્ડિયન કમ્બાઇન યુનિવર્સિટી ટીમ અને પ્રવાસી પાકિસ્તાનની ટીમ વચ્ચેની ત્રણ દિવસની મૅચમાં પણ ઉદયન ચિનુભાઈ યુનિવર્સિટી ટીમ તરફથી રમ્યા હતા. ૧૯૫૫માં શૂટિંગ(નિશાનબાજી) તરફ એમની રુચિ જાગી. નિયમિત તાલીમ, આકરી જહેમત અને વાંકાનેરના પ્રખર નિશાનબાજ મહારાજકુમાર ચંદ્રભાનુ સિંહ પાસેથી કોચિંગ મેળવીને એમણે યશસ્વી કારકિર્દીનું સર્જન કર્યું. ૧૯૬૧થી ૧૯૭૪ સુધી નવા વિક્રમો સાથે રાષ્ટ્રીય વિજેતા બન્યા. ૧૯૬૨માં ખ્યાતનામ ખેલાડીની હેસિયતથી કેરો ખાતે વિશ્વ શૂટિંગ સ્પર્ધામાં ભારતીય ટીમનું ઉપસુકાનીપદ મેળવીને તેઓ આંતરરાષ્ટ્રીય ખેલાડી બન્યા. ઘણી વાર પરદેશમાં ખેલાતી મૅચોમાં તેમને સ્થાન મળતું. ૧૯૬૯માં સિંગાપુર ખાતે નિશાનબાજીની મૅચમાં રૌપ્ય ચંદ્રક મેળવીને તેમણે ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું. ૧૯૭૧-૭૨માં ગુજરાતના આ રમતવીરને રાષ્ટ્રપતિએ ‘અર્જુન ઍવૉર્ડ’થી નવાજ્યા હતા. ૧૯૭૬ પછી એમણે પિસ્તોલ/રિવૉલ્વરની મૅચોમાંથી નિવૃત્તિ લીધી હતી. છતાં રાજ્ય રાઇફલ ઍસોસિયેશનના પ્રમુખ તરીકે આ રમતને ગુજરાતમાં ધબકતી રાખી છે. ગૃહરક્ષક દળમાં પ્રથમ કમાન્ડન્ટ જનરલ અને નાગરિક સંરક્ષણના નિયામક તરીકે પ્રશંસનીય સેવા બદલ એમને રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યો હતો. અમદાવાદમાં રાઇફલ ક્લબ અને શૂટિંગ પ્રવૃત્તિના વિકાસમાં એમનો મહત્ત્વનો ફાળો રહ્યો. જુદી જુદી હૉસ્પિટલાના ટ્રસ્ટી તરીકે તેમજ વન્ય પ્રાણીઓની સુરક્ષા અંગે પણ ઘણી સક્રિયતા દાખવી હતી. ૭૭ વર્ષની વયે એમનું નિધન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

સીસમ

દ્વિદળી વર્ગની, મજબૂત કાષ્ઠ ધરાવતી, શિંબી કુળની વૃક્ષ-સ્વરૂપ વનસ્પતિ.

સીસમનાં વૃક્ષો હિમાલયના નીચેના ભાગોમાં સહ્યાદ્રિ પર્વત ઉપર તેમ જ મલબાર વિસ્તારમાં વિશેષ જોવા મળે છે. તે ઉપરાંત પંજાબ, ઉત્તરપ્રદેશ અને આસામ રાજ્યમાં પણ તે પુષ્કળ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. તે રસ્તાની બંને બાજુએ અને ચાના બગીચાઓમાં છાયાવૃક્ષ તરીકે ઉગાડવામાં આવે છે.

સીસમનું વૃક્ષ

સીસમનાં વૃક્ષો  ૨૪ મીટરથી ૩૦ મીટર સુધીની ઊંચાઈનાં અને ૨થી ૪ મીટરના ઘેરાવાવાળાં હોય છે. સીસમનું વૃક્ષ ચાલીસથી પચાસ વર્ષનું થતાં ખૂબ જ મજબૂત બની જાય છે. તેનું લાકડું લોખંડી મજબૂતાઈ ધરાવે છે. તે કાળા રંગનું અને ખૂબ જ મોંઘું હોય છે. આ લાકડાને વર્ષો સુધી સડો લાગતો નથી. તેનાં પાન સંયુક્ત પીંછાકાર હોય છે. દરેક પાન ૩ અથવા ૫ કે ૭ પર્ણિકાઓ ધરાવે છે. આ પર્ણિકાઓ અંડાકાર હોય છે. તેનાં પતંગિયાકાર પીળાં ફૂલો ૫થી ૭.૫ સેમી. લાંબાં હોય છે તેની શિંગો ચપટી, ૧૦ સેમી. લાંબી અને ૧.૨૫ સેમી. પહોળી હોય છે. ફૂલો અને શિંગો માર્ચ-એપ્રિલ મહિનામાં આવે છે. તેનો ઔષધિ તરીકે પણ ઉપયોગ થાય છે. આયુર્વેદ અનુસાર સીસમ કડવું, ચામડીનો રંગ સુધારનાર, બળદાયક તથા રુચિકર છે. તે પિત્ત, દાહ, સોજા, ઊલટી, હેડકી, કોઢ, અજીર્ણ, અતિસાર, મેદ અને કૃમિનો નાશ કરે છે. આ ઉપરાંત તાવમાં તેનો પાણી તથા દૂધમાં ક્વાથ બનાવી પીવામાં આવે છે. આંખના રોગોમાં પણ સપ્રમાણ માત્રામાં તેના પાનનો રસ મધ સાથે મેળવીને આંજવાથી ફાયદો થાય છે. સીસમનું કાષ્ઠ સાગ કરતાં વધારે મજબૂત, ભારે અને બરછટ હોય છે. તેનું અંદરનું કાષ્ઠ ટકાઉ હોય છે. તેનો ઉપયોગ ફર્નિચર અને કૅબિનેટ બનાવવામાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. તેની સ્થિતિસ્થાપક્તા અને ટકાઉપણાને લીધે તે બાંધકામમાં, પલંગના પાયાઓ, હીંચકો, ખુરસીઓ, હથોડીઓ, હૂકાની નળીઓ અને ચલમો બનાવવામાં વપરાય છે. તે કોતરકામ માટે શ્રેષ્ઠ ગણાય છે. તેના કાષ્ઠનો ઉપયોગ બળતણમાં કરવામાં આવે છે. સીસમનાં પાનનો ચારા તરીકે ઉપયોગ થાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

પંડિત પન્નાલાલ ઘોષ

જ. ૨૪ જુલાઈ, ૧૯૧૧ અ. ૨૦ એપ્રિલ, ૧૯૬૦

બાંસુરીવાદક, સંગીતનિર્દેશક પન્નાલાલ ઘોષનું મૂળ નામ અમલજ્યોતિ ઘોષ. સંગીતયાત્રા દરમિયાન પન્નાલાલના હુલામણા નામથી પ્રખ્યાત થયા. પિતા અક્ષયકુમાર ઘોષ સિતારવાદક હોવાને કારણે સંગીતશિક્ષણની શરૂઆત સિતારવાદનથી થઈ, પરંતુ બાંસુરી પ્રત્યેના અનોખા આકર્ષણને કારણે તેઓ બાંસુરીવાદન તરફ ઢળ્યા. માતા સુકુમારી પણ શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા હતાં. પન્નાલાલ ઘોષને બાંસુરીના પિતા ગણવામાં આવે છે. બાંસુરીને લોકવાદ્યમાંથી શાસ્ત્રીય વાદ્યોમાં તેમણે સ્થાન અપાવ્યું. તેઓ અલ્લાઉદ્દીન ખાનસાહેબના શિષ્ય હતા. પ્રાથમિક સંગીતનું શિક્ષણ ખુશી મહોમદ ખાન તેમજ ગિરિજાશંકર ચક્રવર્તી પાસે પ્રાપ્ત કર્યું હતું. કૉલકાતાના ન્યૂ થિયેટર્સમાં થોડાં વર્ષો સંગીતનિર્દેશક તેમજ સહાયક તરીકે કામ કર્યું. ૧૯૪૦માં તેઓ મુંબઈ સ્થાયી થયા. ‘સ્નેહબંધન’ ફિલ્મમાં સંગીતનિર્દેશન કરીને ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું. પછી અનેક ફિલ્મોમાં બાંસુરીવાદન પણ કર્યું. ‘આંધિયાં’ ફિલ્મમાં પં. રવિશંકર તેમજ અલી અકબર ખાન સાથે સંયુક્ત રીતે સંગીત તૈયાર કર્યું. બાંસુરીની બનાવટમાં ક્રિયાત્મકતા અને કલાત્મકતા સાથે અનેક પ્રયોગો કર્યા, જેમાં વિવિધ ધાતુ તથા વિવિધ લાકડાના ઉપયોગ કર્યા. ૩૨ ઇંચ લાંબી વાંસની બાંસુરી તૈયાર કરી. જેનો કર્ણમધુર નાદ સંગીતપ્રેમીઓ માટે અમૂલ્ય ભેટ બની રહ્યો. એક સંગીતકાર હોવાની સાથે તેઓ નિષ્ઠાવાન દેશપ્રેમી હતા. કિશોર અને યુવાન વયે આઝાદીની અનેક ચળવળોમાં તેઓ સક્રિય રહ્યા હતા. તેમનાં પત્ની પારુલ (બિસ્વાસ) ઘોષ સંગીતકાર અનિલ બિસ્વાસનાં નાનાં બહેન હતાં. પન્નાલાલના દોહિત્ર આનંદ મુરદેશ્વરનું પણ બાંસુરીવાદનક્ષેત્રે ઘણું મોટું યોગદાન છે. નવી દિલ્હીમાં ૪૯ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં પંડિત પન્નાલાલ ઘોષનું નામ સદા અમર ગણાય છે.