Categories
વાચન સમૃદ્ધિ

એસ. ડી. બર્મન

જ. ૧ ઑક્ટોબર, ૧૯૦૬ અ. ૩૧ ઑક્ટોબર, ૧૯૭૫

ભારતીય ફિલ્મોના સંગીતનિર્દેશક, ગાયક. સચિવ દેવ બર્મનનો જન્મ ત્રિપુરાના રાજઘરાનામાં નવદ્વીપ દેવ બર્મન તથા નિર્મલાદેવી બર્મનને ત્યાં થયો હતો. અભ્યાસમાં ખૂબ તેજસ્વી એવા બર્મનદાએ અંગ્રેજી વિષયમાં સ્નાતકની પદવી મેળવી હતી. સંગીતના શોખ અને તકોને કારણે અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ ન કરતાં, અભ્યાસને તિલાંજલિ આપીને સંગીતક્ષેત્રે પ્રયાણ કર્યું. સંગીતકાર કે. સી. ડે પાસે એમણે કંઠ્ય સંગીતની તાલીમ પ્રાપ્ત કરી. ઉસ્તાદ અલાઉદ્દીન ખાં પાસે સરોદ તથા ખલીફા બાદલ ખાં પાસે સારંગીની તાલીમ મેળવી હતી. તબલાવાદનમાં પણ તેઓ નિપુણ હતા. ૧૯૩૫માં બંગાળી ફિલ્મ ‘સુરુ દેરે પ્રિયે’માં સંગીતનિર્દેશન કર્યું. ત્યાં સુધી તેઓ કલકત્તા આકાશવાણીના નિયમિત ગાયક હતા. બંગાળી ભક્તિસંગીત ‘બાઉલ’ ગાયન એમની એક આગવી વિશેષતા હતી. તેનો અદભુત ઉપયોગ એમણે અનેક ફિલ્મગીતોના નિર્દેશનમાં કર્યો. ૧૯૪૬માં હિન્દી ફિલ્મ ‘શિકારી’માં એમના નિર્દેશનમાં બનેલાં ગીતો અતિ લોકપ્રિય બન્યાં અને એક અનોખા સંગીતકાર તરીકે એમની ઓળખ ઊભી થઈ. ‘જાલ’, ‘પ્યાસા’, ‘આરાધના’, ‘મેરી સૂરત તેરી આંખે’, ‘સુજાતા’, ‘ગાઇડ’, ‘અભિમાન’ જેવી અનેક ફિલ્મોમાં સંગીત આપીને તેઓ એક ગુણવત્તાસભર સંગીતકારની હરોળમાં સ્થાન પામ્યા. એમના ગાયેલા ‘સૂનો મેરે બંધૂ રે’, ‘સફલ હોગી તેરી આરાધના’, ‘ઝીંદગી ઐ ઝીંદગી’ જેવાં અનેક હૃયસ્પર્શી ગીતો સંગીતપ્રેમીઓ માટે ઈશ્વરના પ્રસાદરૂપ ગણાય છે. શ્રેષ્ઠ સંગીતનિર્દેશક માટે ફિલ્મફેર ઍવૉર્ડ, રાષ્ટ્રીય પુરસ્કારો, સંગીત નાટક અકાદમી જેવા અનેક પુરસ્કારોથી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સ્ટૉકહોમ

સ્વીડનનું મોટામાં મોટું શહેર અને પાટનગર. તે ૫૯° ૨૦´ ઉ. અ. અને ૧૮° ૦૩´ પૂ. રે. પર આવેલું છે. આ શહેર ૧૨૫૦ના દાયકામાં તત્કાલીન સ્વીડિશ નેતા બર્ગર જાર્લે વસાવેલું હોવાનું કહેવાય છે. સ્ટૉકહોમ માલેરન સરોવર અને બાલ્ટિક સમુદ્ર વચ્ચેના સ્વીડનના પૂર્વ કાંઠે વસેલું છે. તે સ્વીડનનું મુખ્ય વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. તેનો વિસ્તાર ૬,૫૧૯ ચોકિમી. જેટલો છે. તેની વસ્તી ૨૪,૧૫,૦૦૦ (૨૦૨૩, આશરે) જેટલી છે. ૧૬૩૪માં તે સ્વીડનનું પાટનગર બન્યું. સ્ટૉકહોમનું શહેરી આયોજન ખૂબ વ્યવસ્થિત રીતે કરવામાં આવેલું છે. તેની ગણના દુનિયાનાં અતિ સુંદર શહેરોમાં થાય છે. તે આશરે ૫૦ પુલોથી સંકળાયેલા ૧૪ જેટલા ટાપુઓ પર વસેલું છે. ગીચ વનરાજીથી આચ્છાદિત ટેકરીઓ વચ્ચેના રમણીય કુદરતી સ્થળદૃશ્યો તેની ભવ્યતામાં ઉમેરો કરે છે. સ્ટૉકહોમની પૂર્વ તરફ આવેલા સમુદ્રમાં નાના-મોટા કદના હજારો ટાપુઓ દ્વીપસમૂહ રચે છે. આ ટાપુઓમાં નાની નાની વસાહતો તેમ જ નાના કદની કુટિરો જોવા મળે છે. આ ટાપુઓ પ્રવાસીઓનું આકર્ષણકેન્દ્ર બની રહેલા છે. સ્ટૉકહોમનું મધ્યસ્થ સ્થળ તેનું પુરાણું નગર છે. તે ‘ગમલાસ્તાન’ તરીકે ઓળખાય છે. અહીં અઢારમી સદીનો વિશાળ શાહી મહેલ આવેલો છે. આ મહેલ જે ટાપુ પર છે, તે જ ટાપુ પર સ્વીડનનું સંસદભવન પણ આવેલું છે. ગમલાસ્તાનની ઉત્તરે આધુનિક ધંધાદારી મથકો તથા મુખ્ય બજાર આવેલાં છે. સ્ટૉકહોમ સ્વીડનનું મહત્ત્વનું બંદર પણ છે.

સ્ટૉકહોમ શહેર

શહેરમાં પ્રકાશન, રસાયણો, કપડાં, યંત્રસામગ્રી, ધાતુપેદાશો અને રબર-પેદાશોના એકમો આવેલા છે. શહેરના મોટા ભાગના લોકો કેન્દ્રસરકારની, રાજ્યકક્ષાની કે ખાનગી નોકરીઓ કરે છે. અન્ય કેટલાક લોકો વેપાર તથા ઉત્પાદનપ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. સ્ટૉકહોમ ભૂગર્ભીય રેલમાર્ગની સુવિધા ધરાવે છે. તે સડકમાર્ગે, રેલમાર્ગે તથા હવાઈ માર્ગે અન્ય શહેરો સાથે જોડાયેલું છે. આ શહેરમાં સ્ટૉકહોમ યુનિવર્સિટી, પુસ્તકાલય, શાહી નૃત્યશાળા, ઑપેરા અને થિયેટર આવેલાં છે. આ ઉપરાંત અહીં ઘણી કલાદીર્ઘાઓ (art gallaries) અને સંગ્રહાલયો પણ છે. વળી મનોરંજન માટે લોકપ્રિય સ્કાનસેન નામનો ઉદ્યાન, પ્રાણીસંગ્રહાલય અને ઓપન ઍર સંગ્રહાલય પણ આવેલાં છે. વીસમી સદીના મધ્યકાળથી સ્ટૉકહોમના જૂના આવાસોને પાડી નાખી નવા આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ સાથે સાથે તેની રમણીયતાને પણ જાળવી રાખવાનો પ્રયાસ કરાયો છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦

Categories
વાચન સમૃદ્ધિ

રંગા રાવ દિવાકર

જ. ૩૦ સપ્ટેમ્બર, ૧૮૯૪ અ. ૧૬ જાન્યુઆરી, ૧૯૯૦

સંયુક્ત કર્ણાટકના સ્થાપક અને ગાંધીવાદી વિચારક દિવાકર રંગા રાવનો જન્મ મડીહાલ કર્ણાટકમાં એક રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ખડતલ યુવાન દિવાકરે પોતાના વ્યાયામશિક્ષક પાસેથી મલ્લકુસ્તી અને કટારયુદ્ધની તાલીમ હાંસલ કરી હતી. તેમણે બેલગામ, પુણે અને મુંબઈમાં અભ્યાસ કર્યો. અંગ્રેજી સાહિત્ય અને ભાષામાં તેઓએ એમ.એ.ની ઉપાધિ મેળવી. ૧૯૧૯માં કાયદાની પરીક્ષા આપી, પરંતુ કાયદાની ઉપાધિ ન સ્વીકારતાં, અંગ્રેજીના પ્રાધ્યાપક બન્યા, પણ કૉંગ્રેસના નાગપુર અધિવેશન વખતે તેમણે પ્રાધ્યાપક તરીકે રાજીનામું આપ્યું હતું. તેમણે કાર્લાઇલ, ઇમર્સન, વર્ડ્ઝવર્થ, રસ્કિન વગેરે લેખકોનાં લખાણ વાંચ્યાં હતાં. તેમણે પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય તથા કર્ણાટકના ઇતિહાસનું પણ અધ્યયન કર્યું. રાષ્ટ્રવાદી આંદોલનના એક સાધન તરીકે તેમણે ‘કર્મવીર’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું. તેઓ પોતાના અખબારમાં ‘સ્વતંત્ર ભારત’ અને એકતંત્ર કર્ણાટક પર લખતા હતા. તેમણે સિરસી, સિદ્ધાપુર, અંકોલા અને હિરેકુરુર તાલુકાઓમાં ના-કરની લડતની આગેવાની લીધી તથા મીઠાના સત્યાગ્રહમાં પણ ભાગ લીધો. તેમના રાજકીય વિચારો પર ઉપનિષદો અને ભગવદગીતાની પ્રગાઢ અસર હતી. આઝાદી પ્રાપ્ત થતાં તેમણે પોતાની જાહેર કારકિર્દીને બે પાસાંઓમાં વહેંચી નાંખી. પ્રથમ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની સેવાઓના સારતત્ત્વ રૂપે ગાંધીચિંતનને પ્રચારવાનું – પ્રસારવાનું કાર્ય હાથ ધર્યું તો બીજી બાજુએ બધા કન્નડભાષી લોકોને એક કરીને કર્ણાટકને એકીકૃત કરવાનું કાર્ય કર્યું. તેમનાં લખાણો ઇતિહાસ, ધર્મ અને ચિંતન તથા સાહિત્ય – એમ ત્રણ વિભાગોમાં જોવા મળે છે. તેમના  પુસ્તક ‘સત્યાગ્રહ : તેનો ઇતિહાસ અને ટૅકનિક’નો યુરોપના દેશોની ભાષામાં અનુવાદ થયો છે. તેમણે અનેક સંસ્થાઓનાં સભ્યપદ શોભાવ્યાં છે. તે ઉપરાંત તેઓ કેન્દ્રીય મંત્રી (૧૯૪૮-૫૨), બિહારના ગવર્નર (૧૯૫૨-૫૭) તથા રાજ્યસભાના સભ્ય (૧૯૬૨-૬૮) પણ રહી ચૂક્યા છે.