Categories
વાચન સમૃદ્ધિ

હેમુ ગઢવી

જ. ૮ સપ્ટેમ્બર, ૧૯૨૯ અ. ૨૦ ઑગસ્ટ, ૧૯૬૫

ગુજરાતી લોકસંગીતના ગાયક, અભિનેતા અને નાટ્યકાર હેમુ ગઢવીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકણિયા ગામે થયો હતો. તેમના પિતાનું નામ નાનભા, માતાનું નામ બાલુબા અને પત્નીનું નામ હરિબા હતું. લોકગીત અને ભજનનો તેમને બાળપણથી જ શોખ હતો, તેથી તેઓ ૧૪ વર્ષની ઉંમરે શક્તિપ્રભાવ કલામંદિરમાં મહિને ૧૨ રૂપિયાના પગારે જોડાયા હતા. જેમાં તેમણે પ્રથમ નાટક મુરલીધરમાં કૃષ્ણની ભૂમિકા ભજવીને લોકોનાં દિલ જીતી લીધાં હતાં. તે દરમિયાન તેમણે ‘ગામડું મુજને પ્યારું ગોકુળ’ પ્રથમ ગીત ગાયું હતું. જામનગર શહેરમાં ભજવાયેલ ‘રાણકદેવી’ નાટકમાં તેમની રાણકદેવીની ભૂમિકાથી પ્રભાવિત થઈને ‘રાણકદેવી’ ચલચિત્રના નિર્માતાએ છેક મુંબઈથી આવીને બાળ-કલાકાર હેમુ ગઢવીને નવાજ્યા હતા. આમ ધીરે ધીરે તેઓ ચારણી સાહિત્યનો અભ્યાસ કરતા ગયા અને તેનો લોકગીત ગાવામાં અને નાટક ભજવવામાં ઉપયોગ કરતા હતા. તેમણે છેક ૧૯૫૫ સુધીમાં વાંકાનેરની નાટક કંપની અને રાજકોટની ચૈતન્ય નાટક કંપનીમાં પણ કામ કર્યું હતું. હેમુ ગઢવી ૧૯૫૫માં તાનપુરા કલાકાર તરીકે રાજકોટ આકાશવાણીમાં જોડાયા હતા. ૧૯૬૫ સુધીના તેમના દસ વર્ષના આકાશવાણીના કાર્યકાળમાં તેમણે ઝવેરચંદ મેઘાણી અને દુલા ભાયા ‘કાગ’નાં સાહિત્યનો અભ્યાસ કરીને લોકસંગીતને ગુજરાતના ઘર ઘર સુધી ગુંજતું કર્યું હતું. એચ.એમ.વી. કંપનીએ હેમુ ગઢવીની ‘અમે મહિયારા રે, ‘શિવાજીનું હાલરડું’ અને ‘મોરબીની વાણિયણ’ જેવી રેકર્ડ બહાર પાડી હતી. જે આજપર્યંત લોકોનાં માનસપટ ઉપર છવાયેલી રહી છે. આ ઉપરાંત તેમણે ‘સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર’ અને ‘પૃથ્વીરાજ ચૌહાણ’ જેવાં યાદગાર નાટકો કર્યાં હતાં. હેમુ ગઢવીને રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનના હસ્તે શ્રેષ્ઠ લોકસંગીતનો પુરસ્કાર, ગુજરાત સરકારનો શ્રેષ્ઠ લોકગાયકનો ગૌરવ પુરસ્કાર, ‘કસુંબીનો રંગ’ ગુજરાતી ચલચિત્રના શ્રેષ્ઠ પાર્શ્વગાયનના પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. રાજકોટ શહેરમાં એક જાહેર માર્ગને હેમુ ગઢવી માર્ગ અને એક ઑડિટોરિયમને હેમુ ગઢવી હૉલ નામ આપવામાં આવ્યું છે. માત્ર ૩૬ વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમના પુત્ર બિહારીભાઈએ તેમનો વારસો સુપેરે જાળવ્યો છે.

Categories
વાચન સમૃદ્ધિ

ચાલ, વિજેતા બન !

ચીનના સૌથી પ્રાચીન તાઓ ધર્મના સ્થાપક ‘લાઓત્સે’ વિશેષણનો અર્થ ‘પ્રાચીન ગુરુ’ થાય છે. લાઓત્સેનું ખરું નામ ‘લી’ હતું અને તેઓ કૉન્ફ્યૂશિયસ પહેલાં લગભગ પચાસ વર્ષ પૂર્વે ચીનમાં થઈ ગયા. આ લાઓત્સે માત્ર શબ્દોના સાધક નહોતા, પરંતુ અનુભૂતિના આરાધક પણ હતા. એમને મન શુષ્ક જ્ઞાનની કશી કિંમત નહોતી. આવા પ્રખર ચિંતક અને ધર્મપુરુષ લાઓત્સેએ ગ્રીસના સૉક્રેટિસની માફક જે ઉપદેશ આપ્યો તેનું આચરણ કરી બતાવ્યું અને જેનું આચરણ કર્યું, તેનો જ ઉપદેશ આપ્યો. લાઓત્સે વિશ્વની સંચાલક પરમ શક્તિ કે પરમ ગૂઢ તત્ત્વ વિશે વિચાર કરતા હતા, એવામાં એક પહેલવાન એમની પાસે આવ્યો. એણે જોયું તો લાઓત્સેનું શરીર ઘણું મજબૂત છે એટલે એને મન થયું કે આને કુસ્તી કરીને પછાડી દઉં, તો જ હું ખરો પહેલવાન. એને બિચારાને લાઓત્સેના જ્ઞાનની કશી ખબર નહોતી. એટલે એણે તો આવીને લાઓત્સેને પડકાર ફેંક્યો કે ‘મારે તમારી સાથે કુસ્તી ખેલવી છે અને તમને ચિત કરી દેવા છે.’ લાઓત્સેએ વિચાર્યું કે આ માણસને બીજાને ચિત કરવામાં બહુ આનંદ આવે છે. બાકી આવી રીતે કોઈને પછાડીએ તો મળે શું ? એમણે વિચાર્યું કે આ બિચારો ભલે મને પરાજિત કરીને વિજયનો આનંદ માણે. લાઓત્સે એની સાથે કુસ્તી ખેલવા માટે ઊભા થયા અને પછી અખાડામાં જઈને જમીન પર સૂઈ ગયા અને કહ્યું, ‘ચાલ, હવે મારી છાતી પર બેસી જા. વિજેતા બન. તું જીત્યો અને હું હાર્યો.’ પહેલવાન તો આ સાંભળીને પરેશાન થઈ ગયો. આવી તે કંઈ કુસ્તી હોય ? એણે કહ્યું કે ‘મારે તમને હરાવવા છે.’ ત્યારે લાઓત્સેએ ઉત્તર આપ્યો, ‘અરે ભાઈ ! વિજયની ઇચ્છા થવી એ જ દુ:ખનું મૂળ છે. જે ઇચ્છાને જીતે છે એના જેવો કોઈ સુખી નથી અને જેનામાં બીજાને પરાજય આપીને વિજય મેળવવાની ઇચ્છા પ્રબળ છે, એના જેવો બીજો કોઈ દુ:ખી નથી.’

Categories
વાચન સમૃદ્ધિ

નીરજા ભનોત

જ. ૭ સપ્ટેમ્બર, ૧૯૬૩ અ. ૫ સપ્ટેમ્બર, ૧૯૮૬

નીરજાનો જન્મ મુંબઈમાં થયો. તે હરીશ ભનોત અને રમા ભનોતનું ત્રીજું સંતાન. તે સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી સ્નાતક થઈ. ત્યારબાદ તરત જ મૉડલિંગના કામ માટે તેની પસંદગી થઈ ગઈ. ૧૯૮૫માં તે પાન-અમેરિકન ઍરલાઇન્સમાં પરિચારિકા તરીકે પસંદ થઈ, જેની તાલીમ લેવા માટે તે ફ્લોરિડા ગઈ. તે પછી તેણે પરિચારિકા અને મૉડલિંગ એમ બેવડી જવાબદારી સ્વીકારી હતી. પાંચ સપ્ટેમ્બર, ૧૯૮૬માં પાન એમ લાઇટ ૭૩ની મુંબઈથી યુનાઇટેડ સ્ટેટ જતી વિમાનની સફરમાં જવા માટે નીરજાને તેડું આવ્યું. તે ગોઝારા દિવસે, વહેલી સવારે નીરજા પોતાના કાર્યમાં રોકાયેલી હતી ત્યાં તેની નજર વિમાનમાં બેઠેલા ચાર અપહરણકારો પર પડી. તેઓ રિવૉલ્વર હાથમાં પકડીને બેઠા હતા. આ દૃશ્ય જોઈ ૨૩ વર્ષની, ટૂંકી કારકિર્દી ધરાવતી નીરજા બધી પરિસ્થિતિ પામી ગઈ અને તેણે નીડર નિર્ણયો લેવા માંડ્યા. વિમાન હજી તો કરાંચીના વિમાનમથક પર ઊભેલું હતું. આથી સૌપ્રથમ તો તેણે કૅપ્ટન અને બીજા અધિકારીઓને ચેતવી દીધા. નીરજાએ ધાર્યું હોત તો તે નીકળી શકી હોત. તેને બદલે તેણે ૩૬૦ જેટલા પ્રવાસીઓના જાન બચાવ્યા. તે પ્રવાસીઓને હિંમત આપતી રહી. આતંકવાદીઓની બંદૂક વચ્ચે પણ તે નીડરતાથી પોતાની ફરજ બજાવતી રહી. છેવટે ઘાયલ થઈ પોતાનો જાન ગુમાવ્યો. થોડા જ મુસાફરોની જાનહાનિ થઈ પણ મોટા ભાગના મુસાફરો બચી ગયા. અપહરણકર્તાઓ છેવટે પકડાઈ ગયા. ભારત સરકાર તરફથી સર્વોચ્ચ વીરતા પુરસ્કાર ‘અશોકચક્ર’ ૧૯૮૭ની ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાકદિનની પરેડમાં નીરજાની માતાને તત્કાલીન રાષ્ટ્રપતિ ઝૈલિંસઘના હાથે એનાયત થયો. તેના જીવન પરથી ‘નીરજા’ નામની હિંદી ફિલ્મ બની. તેના સન્માનમાં ટપાલટિકિટ પણ બહાર પડી છે અને ભનોત કુટુંબ તરફથી તેની સ્મૃતિમાં પ્રતિ વર્ષ નીરજા ભનોત ઍવૉર્ડ પણ આપવામાં આવે છે.