Categories
વાચન સમૃદ્ધિ

જહાંગીર બાદશાહ

જ. ૩૦ ઑગસ્ટ, ૧૫૬૯ અ. ૨૮ ઑક્ટોબર, ૧૬૨૭

મૂળ નામ સલીમ પણ ઈ. સ. ૧૬૦૫ના ઑક્ટોબરની ૨૪મી તારીખે નૂરુદ્દીન મુહમ્મદ જહાંગીરનું બિરુદ ધારણ કરી આગ્રાના રાજતખ્તા ઉપર તેઓ બેઠા. બાબરના વંશમાં ચોથા બાદશાહ અને મુઘલ બાદશાહ અકબરના તેઓ પુત્ર હતા. તેઓ અરબી, ફારસી, સંસ્કૃત અને તુર્કી ભાષાઓ શીખ્યા હતા. તેમણે લશ્કરી અને વહીવટી તાલીમ લીધી હતી.  તેમણે તખ્તા પર બેઠા પછી પોતાની રાજનીતિને સ્પષ્ટ કરતાં બાર ફરમાનો બહાર પાડ્યાં હતાં. જહાંગીર કોઈ કુશળ સેનાનાયક નહોતા છતાં તેમણે પિતાના વિશાળ સામ્રાજ્યમાં પોતે પણ વૃદ્ધિ કરી હતી. ૧૬૧૨માં અફઘાનોને પૂર્ણપણે વશ કરી લીધા. બંગાળમાં બર્દવાનના જાગીરદાર શેર અફઘાનને હરાવવા કુત્બુદ્દીન ખાનને મોકલવામાં આવ્યા અને બર્દવાનની લડાઈમાં બંનેના પ્રાણ ગયા. શેર અફઘાનની વિધવા મહેરુન્નિસાને શાહી દરબારમાં મોકલી અપાઈ, જ્યાં જહાંગીર મહેરુના પ્રેમમાં પડ્યા અને ચાર વર્ષ બાદ તેની સાથે લગ્ન કર્યાં, તેનું નામ નૂરજહાં (જગતની રોશની) રખાયું. નૂરજહાંએ જહાંગીર વતી કુશળ વહીવટ ચલાવ્યો, એના નામના સિક્કા પણ પડ્યા. ૧૬૧૪માં મેવાડના રાણા પ્રતાપના પુત્ર અમરિંસહને પરાજિત કરી સુલેહ કરવાની ફરજ પડાઈ. જહાંગીરના સમયમાં અંગ્રેજો સાથેના ગાઢ સંબંધોની શરૂઆત થઈ. જૉન હૉકિન્સ આગ્રામાં બે વર્ષ (૧૬૦૯-૧૬૧૧) રહ્યા. બાદશાહે તેને ખૂબ મદદ કરી. સર ટૉમસ રૉ ઈ. સ. ૧૬૧૫માં હિંદ આવ્યા. તે બાદશાહને અજમેરમાં મળ્યા અને બાદશાહ સાથે માંડૂ અને અમદાવાદની મુલાકાત વખતે સાથે રહ્યા. ત્યારબાદ અંગ્રેજોને હિંદમાં વેપાર કરવાની યોગ્ય સગવડ મળી. જહાંગીર કલાના કદરદાતા હતા. બગીચા કરાવવાના ખૂબ શોખીન, કાશ્મીરના બગીચા એના દાખલા રૂપે છે. કપડાંલત્તાં તથા મિજબાનીના શોખીન હતા. લાહોરમાં બાદશાહે દેહ છોડ્યો, નૂરજહાંએ ત્યાં ભવ્ય મકબરો બંધાવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

સેઉલ

દક્ષિણ કોરિયા પ્રજાસત્તાકનું પાટનગર. તે ૩૭° ૩૩´ ઉ. અ. અને ૧૨૬° ૫૮´ પૂ. રે. પર હૅન (Han) નદીને કાંઠે વસેલું છે. આ શહેર દક્ષિણ કોરિયાનું સાંસ્કૃતિક, શૈક્ષણિક, આર્થિક, નાણાકીય, વહીવટી અને સામાજિક પ્રવૃત્તિઓનું મથક છે. તેનો વિસ્તાર આશરે ૬૦૬ ચોકિમી. જેટલો છે. તેની વસ્તી ૯૬,૦૦,૦૦૦ (૨૦૨૪, આશરે) જેટલી છે. ચૌદમી સદીના અંત વખતે જનરલ યી સોંગ્યીએ સેઉલની સ્થાપના કરેલી. ‘સેઉલ’નો અર્થ ‘પાટનગર’ થાય છે. યી સોંગ્યીએ સેઉલને કોરિયાનું પાટનગર કરેલું. ૨૦મી સદીના મધ્યકાળ પછી સેઉલ શહેરનો ખૂબ ઝડપી વિકાસ થયો છે. ૧૯૬૧થી પાર્ક ચુંગ હીએ દક્ષિણ કોરિયાનો વહીવટ પોતાને હસ્તક લીધો. ૧૯૭૯માં તે મૃત્યુ પામ્યો ત્યાં સુધી તેણે દેશના ઘણા ભાગોમાં ઉદ્યોગો સ્થાપ્યા અને તેમનો વિકાસ કર્યો. હજારો લોકો કામ મેળવવા અહીં સ્થાયી થયા અને સેઉલ વિસ્તરતું ગયું.

સેઉલ શહેર

દક્ષિણ કોરિયાનાં ઘણાં વહીવટી તથા ધંધાકીય કાર્યાલયો સેઉલમાં આવેલાં છે. શહેરના મધ્ય ભાગમાં બૅંકો, હોટેલો, દુકાનો, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ અને થિયેટરો આવેલાં છે. કોરિયાની બધી જ યુનિવર્સિટીઓ સેઉલમાં છે. તેમાં સેઉલ નૅશનલ યુનિવર્સિટી, કોરિયા યુનિવર્સિટી અને યોન્સેઈ યુનિવર્સિટી મુખ્ય છે. અહીં આવેલાં રાષ્ટ્રીય સંગ્રહાલય અને અર્વાચીન કલા-સંગ્રહાલય જોવાલાયક છે. સેઉલમાં અદ્યતન આવાસો, સરકારી કાર્યાલયોની ઇમારતો ઉપરાંત અનેક ઐતિહાસિક ઇમારતો પણ આવેલી છે. પૂર્વજોના સ્મારક તરીકે રાજા યી સાંગ્યીએ ૧૩૯૫માં બંધાવેલું ચોંગમ્યો શાહી મંદિર, ૧૪૦૫ના અરસામાં બંધાવેલો ચાંગદોક મહેલ તથા સિક્રેટ ગાર્ડન પ્રવાસીઓ માટે આકર્ષણનાં કેન્દ્રો છે. સેઉલનું રક્ષણ કરતા કોટના બે દરવાજા પણ જાણીતા છે. શહેરના મધ્ય વિભાગના નૈર્ૠત્યમાં હૅન નદીમાંના યોઈડો ટાપુ પર આવેલી આધુનિક ઇમારત ખાતે રાષ્ટ્રીય સંસદની કચેરી બેસે છે. શહેરના મોટા ભાગના લોકો સંયુક્ત આવાસી ફ્લૅટોમાં રહે છે. આવાસો હૅન નદીને કિનારે કે યોઈડો ટાપુ પર આવેલા છે. શહેરના ઘણાખરા લોકો સરકારનાં વહીવટી, ધંધાકીય તેમ જ ઔદ્યોગિક કાર્યાલયોમાં નોકરી કરે છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં ઇજનેરી તથા કાપડ, ખાદ્યપ્રક્રમણ, વીજળી-વીજાણુ, રસાયણો, યંત્રસામગ્રી, મોટરગાડીઓ, રેડિયો, ટેલિવિઝન-સેટ વગેરેના એકમોનો સમાવેશ થાય છે. દેશનાં મુખ્ય દૈનિકપત્રો તથા અન્ય સામયિકો પણ સેઉલથી પ્રકાશિત થાય છે. હૅન નદીના મુખ પર ઇન્કોન નામનું દરિયાઈ બંદર આવેલું છે. સેઉલમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. તે દેશનાં અન્ય શહેરો સાથે રેલમાર્ગે, સડકમાર્ગે તથા હવાઈ માર્ગે જોડાયેલું છે. ૧૯૮૬માં સેઉલમાં એશિયન રમતોત્સવ યોજાયો હતો. ત્યારબાદ ૧૯૮૮માં ઑલિમ્પિક રમતોત્સવ તથા ૨૦૦૨માં જાપાન સાથે સંયુક્ત રીતે ફૂટબૉલની ‘ફીફા’ વર્લ્ડ કપની સ્પર્ધા યોજાઈ હતી.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10

Categories
વાચન સમૃદ્ધિ

અમૃતલાલ હરગોવિંદદાસ

જ. ૨૯ ઑગસ્ટ, ૧૮૮૯ અ. ૧૧ માર્ચ, ૧૯૭૪

ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર અમૃતલાલનો જન્મ અમદાવાદ નજીક કુહા ગામમાં થયો હતો. ગુજરાત કૉલેજમાંથી બી.એ. અને મુંબઈથી એલએલ.બી. થઈ ઈ. સ. ૧૯૧૨-૧૩માં અમદાવાદ ખાતે વકીલાતથી કારકિર્દી આરંભીને દોઢ-બે વર્ષ બાદ પિતાજીની શરાફી પેઢીમાં જોડાયા. તેમણે ઝડપથી વ્યવસાય શીખી લીધો અને ટૂંક સમયમાં કાપડમિલના માલિક બન્યા. ત્યારબાદ અમદાવાદ ટેક્સટાઇલ મિલ ઑનર્સ ઍસોસિયેશનના પ્રમુખ પણ બન્યા. ઈ. સ. ૧૯૨૭માં જ્યારે ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે હજારો મકાનો પડી ગયાં હતાં અને જાનમાલની ભારે ખુવારી થઈ હતી તે સમયે તેમણે સરદાર વલ્લભભાઈની સાથે રહીને રાહત તેમ જ પુનર્વસવાટનાં કાર્યોમાં સક્રિય ફાળો આપ્યો હતો. ગરીબ કુટુંબોને પૂરેપૂરી સહાય મળે તેવો આગ્રહ રાખ્યો હતો. ઈ. સ. ૧૯૩૬માં પિતાશ્રીના નામ પરથી અમદાવાદની પ્રસિદ્ધ એચ. એલ. (હરગોવનદાસ લખમીચંદ) કૉલેજ ઑફ કૉમર્સની સ્થાપના કરી. પોતાના સોળ વર્ષના પુત્ર બંસીલાલની સ્મૃતિમાં આણંદ ખાતેની બંસીલાલ ઍગ્રિકલ્ચરલ કૉલેજ અને ધર્મપત્નીના સ્મરણાર્થે અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલ ખાતે મણિબહેન અમૃતલાલ આયુર્વેદિક કૉલેજની સ્થાપના કરી હતી. ઈ. સ. ૧૯૩૬માં બગીચા મિલનું અને ૧૯૫૬માં બગીચા મિલ નં. ૨નું સફળ સંચાલન કર્યું. ૧૯૬૭માં તેમણે બંને મિલો વેચીને જનહિતનાં કાર્યો પર લક્ષ આપ્યું. ઈ. સ. ૧૯૩૫માં શેઠ કસ્તૂરભાઈ સાથે રહી અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના, ૧૯૪૯માં ગુજરાત વેપારી મહામંડળની સ્થાપના અને ૧૯૫૪માં ગુજરાત રેલરાહત સમિતિનો પ્રારંભ – આ એમનું વ્યાપાર-ઉદ્યોગ અને શિક્ષણ-સમાજ તરફ દૃષ્ટિસંપન્ન યોગદાન છે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કરવા સ્થાપેલા ટ્રસ્ટફંડમાં ૪૨ લાખ રૂ.નો ફાળો તેઓએ એકઠો કર્યો હતો. અમદાવાદને વાડીલાલ હૉસ્પિટલ માટે તેમણે ૧૪ લાખ રૂ.નો ફાળો આપ્યો હતો. ગુજરાતના બધા જ પ્રાણપ્રશ્નોમાં તેઓએ સક્રિય રસ દાખવ્યો હતો. તેમના મહાત્મા ગાંધી, સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, કસ્તૂરભાઈ લાલભાઈ, ગણેશ માવલંકર સાથે મૈત્રીપૂર્ણ સંબંધો હતા અને રાષ્ટ્રીય હેતુ માટે મુક્તપણે દાન આપતા હતા.