Categories
વાચન સમૃદ્ધિ

મહેતા, યશોધર નર્મદાશંકર

જ. ૨૪ ઑગસ્ટ, ૧૯૦૯ અ. ૨૯ જૂન, ૧૯૮૯

ગુજરાતી નાટ્યકાર, નવલકથાકાર અને નિબંધકાર. વતન અમદાવાદ. ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયો સાથે ૧૯૩૨માં ગુજરાત કૉલેજમાંથી બી.એ.. ૧૯૪૦માં લંડનમાંથી બાર-ઍટ-લૉ થયા. વકીલાતનો વ્યવસાય. ભારત સરકાર અને ગુજરાત સરકારનાં જુદાં જુદાં કાયદા-કમિશનોના સભ્યપદે અને અધ્યક્ષપદે રહેલા. તેમણે લખેલાં નાટકોનાં પુસ્તકોમાં ‘રણછોડલાલ અને બીજાં નાટકો’ (૧૯૪૭), ‘મંબો જંબો’ (૧૯૫૧), ‘ઘેલો બબલ’ (૧૯૫૨) અને ‘સમર્પણ’ (૧૯૫૭) ઉલ્લેખનીય છે. ‘રણછોડલાલ’ અમદાવાદને ઔદ્યોગિક નગર બનાવનાર ઉદ્યોગપતિ રણછોડલાલના જીવનને આલેખતું ચરિત્રલક્ષી નાટક છે. ‘મંબો જંબો’ અને ‘ઘેલો બબલ’ પ્રહસનો છે, તો ‘સમર્પણ’ રેડિયોનાટક છે. ‘સરી જતી રેતી’ ભાગ ૧-૨ (૧૯૫૦, ૧૯૫૨), ‘મહારાત્રિ’ (૧૯૫૪), ‘વહી જતી જેલમ‘ (૧૯૫૫), ‘તુંગનાથ (૧૯૫૭), ‘સંધ્યારાગ (૧૯૬૩), ‘મહમદ ગઝની’ (૧૯૬૬) તેમણે લખેલી નવલકથા છે. ૧૮૫૭થી ૧૯૪૭ સુધીનાં નેવું વર્ષના ગુજરાતના જાહેર સાંસ્કૃતિક જીવનને આલેખતી ચાર ભાગમાં લખાયેલી નવલકથા ‘નેવું વર્ષ’ (૧૯૭૪-૧૯૮૩) ઉલ્લેખનીય કૃતિ છે. ચરિત્રોનાં પુસ્તકો પણ તેમણે આપ્યાં છે; જેમ કે, ‘કીમિયાગરો’ (૧૯૫૧), ‘પ્રેમગંગા’ (૧૯૫૪) અને ‘રસનંદા’ (૧૯૫૪) વગેરે. ‘શ્રી નંદા’ (૧૯૫૮) અને ‘૪૪ રાત્રિઓ’ (૧૯૬૦) પ્રવાસવર્ણનનાં; ‘સરી જતી કલમ’ (૧૯૫૪), ‘યશોધારા’ (૧૯૫૬), ‘શિવસદનનું સ્નેહકારણ’ (૧૯૫૯) હળવા નિબંધનાં પુસ્તકો; ‘નદીઓ-નગરો’ (૧૯૫૦) રેડિયો-વાર્તાલાપોનું પુસ્તક છે. અધ્યાત્મના અનુભવો ‘અગમનિગમ‘ (૧૯૫૯), ‘શૂન્યતા અને શાંતિ’ (૧૯૬૨), ‘ઋષિઓનું સ્વરાજ્ય’ (૧૯૬૭), ‘શ્રદ્ધાની રાત્રિ’ (૧૯૬૯), ‘આનંદધારા’ (૧૯૬૯), ‘સાક્ષાત્કારને રસ્તે’ (૧૯૭૨), ‘શ્રદ્ધા અને અનુભૂતિ’ (૧૯૭૫) અને ‘સમાપ્તિ’ (૧૯૭૭)માં સમાયેલા છે. ‘ભાવિના ભેદ’ (૧૯૫૪), ‘ભાવિના ગગનમાં’ (૧૯૬૬), ‘ભાવિના મર્મ’ (૧૯૭૮) વગેરે ગ્રંથો તેમની જ્યોતિષ વિષયની પારંગતતાના દ્યોતક છે. તેમના વિદ્વાન પિતા શ્રી નર્મદાશંકર મહેતા વિશેના ‘નર્મદાશંકર મહેતા સ્મારક ગ્રંથ’(૧૯૬૮)ના સંપાદનમાં અન્ય સાથે તેમનો પણ ફાળો રહ્યો છે. અંગ્રેજીમાં પણ તેમના કેટલાક ગ્રંથો પ્રકાશિત થયા હતા. ૧૯૪૬માં તેમને ‘કુમાર ચંદ્રક’ પ્રાપ્ત થયેલો. તેમનું હૃદયરોગથી અવસાન થયેલું.

Categories
વાચન સમૃદ્ધિ

ટ્રૅમ્પ (પરિવહન)

બંદરનો માલ મળે તેનું પરિવહન કરનારું કરારબદ્ધ (chartered) માલવાહક જહાજ. આવું માલવાહક જહાજ સમુદ્ર-યાત્રા કરાર(voyage charter)પદ્ધતિ અથવા સમય કરાર(time charter)પદ્ધતિથી ભાડે આપવામાં આવે છે. સમુદ્ર-યાત્રા કરારપદ્ધતિમાં નિશ્ચિત સ્થળની નિશ્ચિત સફર માટે આખું જહાજ અથવા જહાજની આંશિક જગ્યા ભાડે આપવામાં આવે છે. નક્કી કરેલા બંદર ઉપર ઠરાવેલા દિવસે દરિયાઈ મુસાફરીને લાયક સુસજ્જ જહાજ આવી પહોંચશે તેવી ખાતરી જહાજમાલિક આપે છે અને સામે પક્ષે ઠરાવેલી સંખ્યાના દિવસમાં માલજહાજમાં એક બંદરેથી ચડાવવામાં તથા બીજા બંદરે ઉતારવામાં અને તેમાં કસૂર થાય તો વિલંબ-શુલ્ક (demurrage) ભરવામાં આવશે તેવી કબૂલાત જહાજ ભાડે રાખનાર આપે છે. સમય કરારપદ્ધતિમાં નિર્દિષ્ટ સમય માટે જહાજ ભાડે આપવામાં આવે છે. સમુદ્ર-યાત્રા કરાર કરતાં સમય કરારપદ્ધતિ વધારે પ્રચલિત છે અને તેલવાહક જહાજ (tanker) અને અતિકાય તેલવાહક જહાજ (very large crude carriers – VLCC)ની બાબતમાં તો તે સર્વસામાન્ય છે. ટ્રૅમ્પને ભાડે મેળવી આપવાનું કામ જહાજી આડતિયા કે દલાલ કરતા હોય છે.

અતિકાય તેલવાહક જહાજ

ટ્રૅમ્પથી વિરુદ્ધ પ્રકારના જહાજને નિયમિત સેવા-જહાજ (liner) કહે છે. તે વર્ગીકૃત (scheduled) સમુદ્રમાર્ગ ઉપર આવતુંજતું હોય છે. સ્થાપિત થયેલા દરેક માર્ગ ઉપર ઘણી કંપનીઓનાં નિયમિત સેવા-જહાજ ફરતાં હોય છે અને તેમની વચ્ચે નૂર-યુદ્ધ (freight war) ન થાય તે હેતુથી જહાજમાલિકોની પરિષદ આવા દરેક સ્થાપિત માર્ગ ઉપરના પરિવહનનું નૂર નક્કી કરતી હોય છે. કપાસ, ઘઉં અને ખાંડ જેવા ઋતુ અનુસાર તૈયાર થતા કૃષિપાકોના વિપુલ જથ્થાને આખા વર્ષમાંથી ફક્ત ચોક્કસ સમયે પરિવહન કરવાના તથા ઇંગ્લૅન્ડ જેવા કેટલાક દેશોમાંથી ખનિજકોલસાને મોટા પાયા ઉપર દક્ષિણ અમેરિકા જેવા ખંડમાં  પરિવહન કરવાના પ્રસંગ ઊભા થાય છે ત્યારે આવા અતિ વિશાળ કાર્યને નિયમિત સેવા-જહાજ પહોંચી વળી શકતાં નથી. તે સમયે ટ્રૅમ્પ પૂરક સેવા પૂરી પાડે છે. વિશ્વ વ્યાપારમાં ટ્રૅમ્પની જરૂરિયાત બહુ-આયામી (multi-dimensional) પ્રકારની હોવાથી નિયમિત સેવા-જહાજની આવકની સરખામણીમાં ટ્રૅમ્પની આવક તીવ્ર ચઢાવ-ઉતારવાળી હોય છે. તાજેતરમાં ટ્રૅમ્પની સંખ્યામાં ઘટાડો થયો છે, કારણ કે વધુ અને વધુ બહુરાષ્ટ્રીય ઔદ્યોગિક ગૃહોએ પોતાની જરૂરિયાતને અનુરૂપ વિશિષ્ટ રચનામાં પોતાની માલિકીનાં જહાજનો ઉપયોગ કરવાનું વલણ લેવા માંડ્યું છે.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮

Categories
વાચન સમૃદ્ધિ

અન્ના મણિ

જ. ૨૩ ઑગસ્ટ, ૧૯૧૮ અ. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૧

જાણીતાં ભારતીય ભૌતિકશાસ્ત્રી અને હવામાનશાસ્ત્રી અન્ના મણિનો જન્મ ત્રાવણકોર, કેરળમાં થયો હતો. તેમના પિતા બાંધકામના ઇજનેર હતા. બાળપણથી જ અન્નાને વાંચનનો ઘણો શોખ હતો. આઠ વર્ષનાં હતાં ત્યાં સુધીમાં જાહેર પુસ્તકાલયમાં મલયાળમ ભાષાનાં લગભગ બધાં પુસ્તકો વાંચી લીધાં હતાં. આઠમી વર્ષગાંઠ નિમિત્તે હીરાની બુટ્ટીને બદલે તેઓએ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાનો સેટ માંગ્યો હતો. તેઓ ગાંધીજીથી ખૂબ પ્રભાવિત હતાં અને કાયમ ખાદી પહેરતાં હતાં. ઈ. સ. ૧૯૩૯માં તેમણે પ્રેસિડેન્સી કૉલેજમાંથી ભૌતિકશાસ્ત્ર તથા રસાયણશાસ્ત્રના વિષયમાં બી.એસસી.ની ડિગ્રી મેળવી હતી. અભ્યાસ પૂર્ણ થતાં તેઓ પ્રો. સી. વી. રામનના હાથ હેઠળ કામ કરવા લાગ્યાં. તેમણે માણેક તથા હીરાના પ્રકાશીય ગુણધર્મો અંગે સંશોધન કર્યું. પાંચ સંશોધન પેપર લખવા છતાં માસ્ટર ડિગ્રી મેળવી ન હોવાથી પીએચ.ડી.ની ડિગ્રીથી વંચિત રહ્યાં. ૧૯૪૫માં ઇંગ્લૅન્ડ જઈ પ્રકાશીય સાધનો જે હવામાન જાણવા માટે વપરાય છે તેનો અભ્યાસ લંડનની ઇમ્પીરિયલ કૉલેજમાં કર્યો. ત્યારબાદ ૧૯૪૯માં ભારત પાછા ફરી પૂનાના ઇન્ડિયન મિટિયૉરૉલૉજિકલ ડિપાર્ટમેન્ટમાં અને બૅંગાલુરુમાં રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કર્યું. હવામાનશાસ્ત્રને લગતાં સાધનો માટે તેમણે ઘણાં સંશોધનો કર્યાં. હવામાનનાં સાધનોનાં ક્ષેત્રે ભારત સ્વાવલંબી બને તે માટે તેમણે ઘણા પ્રયત્નો કર્યા હતા. તેઓએ સૌર વિકિરણ, પવન-ઊર્જાનાં સાધનો તથા ઓઝોન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બજાવી હતી. ૧૯૭૬માં નિવૃત્ત થતાં પહેલાં તેમણે ભારતીય હવામાન ખાતામાં ડેપ્યુટી ડિરેક્ટર જનરલ તરીકે સેવાઓ આપી હતી. ૧૯૮૭માં તેમને ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી તરફથી કે. આર. રામનાથન્ મેડલથી પુરસ્કૃત કરવામાં આવ્યાં હતાં. તેમને બૅંગાલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સમાં સંશોધન કરવા માટે સ્કૉલરશિપ મળી હતી. તેઓ ઇન્ડિયન નૅશનલ સાયન્સ અકાદમી, અમેરિકન મિટિયૉરૉલૉજિકલ સોસાયટી, ઇન્ટરનેશનલ સોલર એનર્જી સોસાયટી અને વર્લ્ડ મિટિયૉરૉલૉજિકલ ઑર્ગેનાઇઝેશન જેવી અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલાં હતાં.