Categories
વાચન સમૃદ્ધિ

તરલા દલાલ

જ. ૩ જૂન, ૧૯૩૬ અ. ૬ નવેમ્બર, ૨૦૧૩

પાકશાસ્ત્રનાં નિષ્ણાત, રાંધણકળાનાં પુસ્તકોનાં લેખિકા તરલાબહેનનો જન્મ મરાઠી બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો અને તેઓનો ઉછેર પુણેમાં થયો હતો. ૧૯૬૦માં તેઓ નલિન દલાલને પરણી મુંબઈમાં સ્થાયી થયાં. તેમના પતિના પ્રોત્સાહનને લીધે તરલાબહેને રાંધણકળામાં ઊંડો રસ લેવાનું શરૂ કર્યું. સૌપ્રથમ તેઓએ વિદેશી વાનગીઓને શાકાહારી ઢબે રજૂ કરી. ૧૯૬૬માં તેઓએ આ માટેના વર્ગો પોતાના ઘરમાં શરૂ કર્યા. તેમની વાનગીની રીતમાં ચોક્કસ માપમાં કઈ સામગ્રી લેવી, તેમાંથી તબક્કાવાર વાનગી બનાવવાની રીત, ચોક્કસ માપ તથા કેટલી વ્યક્તિઓને વાનગી પૂરી પડશે તે બધી વાત ખૂબ ચોકસાઈથી મૂકતાં હતાં. પરિણામે નવા નિશાળિયા પણ તેમની વાનગીની રીત પ્રમાણે સહેલાઈથી બનાવી શકતા. આ પછી તેમની લોકપ્રિયતા કૂદકે ને ભૂસકે વધતી ગઈ. તેમનું નામ રાંધણકળાના સંદર્ભે ઘેર ઘેર જાણીતું થઈ ગયું. તેમના વર્ગમાં જોડાવા માટે છોકરીઓની લાંબી કતાર થવા લાગી. ૧૯૭૪માં વાનગીઓ બનાવવાનું પ્રથમ પુસ્તક ‘ધ પ્લેઝર ઑફ વેજિટેરિયન કૂકિંગ’ લખ્યું. ત્યારબાદ તેઓએ આશરે એકસો વિષયો પર રાંધણકળાનાં પુસ્તકો લખ્યાં. જેની ૩૦ લાખથી વધારે નકલ વેચાઈ. તેમનાં પુસ્તકોનો અનુવાદ હિન્દી, મરાઠી, ગુજરાતી, બંગાળી, ડચ અને રશિયન ભાષાઓમાં થયો છે. તેઓ કાયમ સમયની સાથે રહ્યાં અને સમયની માંગ મુજબ જે અનિવાર્ય હતું તે કરતાં ગયાં. તેઓએ ટીવી પર રાંધણકળાનો કાર્યક્રમ ચાલુ કર્યો – ‘કૂક ઇટ અપ વિથ તરલા દલાલ’ અને ‘તરલા દલાલ શો’ વગેરે. આ કાર્યક્રમો ભારત ઉપરાંત દક્ષિણ-પૂર્વ એશિયા, ગલ્ફના દેશો, ઇંગ્લૅન્ડ તેમજ અમેરિકામાં પણ દર્શાવવામાં આવતા હતા. ૨૦૦૫માં તેઓને ‘વુમન ઑફ ધ યર’નું ટાઇટલ ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર તરફથી મળ્યું. ૨૦૦૭માં રાષ્ટ્રપતિ ડૉ. કલામના હાથે ‘પદ્મશ્રી’ એનાયત થયો. પાકશાસ્ત્રમાં ‘પદ્મશ્રી’ મેળવનાર તેઓ સૌપ્રથમ ભારતીય છે.

Categories
વાચન સમૃદ્ધિ

સિક્કા અને સિક્કાશાસ્ત્ર

સિક્કા : નિયત ધાતુ અને તોલનું શાસક દ્વારા અધિકૃત વિનિમય-માધ્યમ, ચલણી નાણું. સિક્કાશાસ્ત્ર : સિક્કાઓનો અભ્યાસ, જેમાં કરવામાં આવે છે તે શાસ્ત્ર. તેને મુદ્રાવિજ્ઞાન (numismatics) પણ કહે છે. ઇતિહાસનો એક મહત્ત્વનો સ્રોત સિક્કાશાસ્ત્ર ગણાય છે. તે પરથી રાજકીય, આર્થિક, ધાર્મિક ઇતિહાસ તથા તે પ્રદેશ અને તે કાળની ભાષા અને લિપિ પર પ્રકાશ પડે છે. પ્રાચીન સમયમાં સોના, ચાંદી, તાંબું, લોખંડ જેવી અનેક ધાતુઓમાંથી સિક્કાઓ બનાવવામાં આવતા હતા. સોનામાંથી બનાવેલા સિક્કા સોનામહોર કહેવાતા હતા. સિક્કાઓમાં રાજા કે રાણીની છાપ, વર્ષ, તેમના ઇષ્ટદેવ કે દેવીની આકૃતિઓ કે ધર્મનું સૂત્ર છપાતાં. ભારતનાં જુદાં જુદાં સંગ્રહસ્થાનો, ખાનગી સંસ્થાઓ અને વ્યક્તિઓ સિક્કાનો સંગ્રહ કરે છે. ખોદકામ દરમિયાન કેટલીક વાર સિક્કાઓનો ચરુ પણ મળી આવે છે. સિક્કાઓ લાંબા સમય સુધી એવા ને એવા રહે છે; આથી તેના દ્વારા ઇતિહાસ જાણી શકાય છે. તેના વડે ભૂતકાળ પર વધારે પ્રકાશ પડી શકે છે.

ભારતના સૌથી પ્રાચીન સિક્કા, આહત સિક્કા (punch marked) છે. તે ઈ. સ. પૂ. ત્રીજીથી ચોથી સદીમાં પ્રચલિત હતા. આ પછીના ઈ. સ. પૂર્વે ૧૨૦ની સાલના ઇન્ડો-ગ્રીક સિક્કાઓ મળે છે. ત્યારબાદ ઇન્ડો-પાર્થિયન, કુશાન અને ક્ષત્રપ સિક્કાઓ પણ જોવા મળ્યા છે. ભારતમાં અનેક નાનામોટા રાજ્યવંશોની સત્તા રહી હતી. તેઓના સિક્કા જોવા મળે છે; દા. ત., મૌર્ય વંશ, પંચાલ, કૌશાંબી, કુશાણ, ગુપ્તવંશ વગેરેના. ભારતના ઇતિહાસમાં ગુપ્તકાલને સુવર્ણકાલ ગણવામાં આવે છે. તે હકીકત સિક્કાના ક્ષેત્રમાં પણ લાગુ પડે છે. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારપછી ૧૯૫૦ના આરંભ સુધી બ્રિટિશ ઢબના સિક્કા ચલણમાં રહ્યા હતા. ત્યારબાદ ભારત પ્રજાસત્તાક થતાં ભારતે નવા સિક્કા પાડવાના શરૂ કર્યા. તેનાં તોલમાપ અને આકાર બ્રિટિશ સિક્કા જેવાં જ રખાયાં. ત્યારે ૧ પૈસો, ૨ પૈસા, ૧ આનો, ૨ આના, ૪ આના (પાવલી), ૮ આના (અડધો) તથા ૧ રૂપિયાના સિક્કા ચલણમાં હતા. ૧૯૫૭માં ભારતે તોલમાપમાં દશાંશપદ્ધતિ અપનાવી. ૧ પૈસો, ૫ પૈસા, ૧૦ પૈસા, ૨૫ પૈસા, ૫૦ પૈસા તથા રૂપિયાના સિક્કા ચલણમાં મુકાયા. એટલે હવે માત્ર ૧ રૂપિયો અને પૈસો – એમ બે જ એકમ રખાયા. આનાનું એકમ સદંતર રદ થયું, ગણતરી સરળ બની. સમય જતાં સિક્કાઓની ધાતુ અને વજનમાં ફેરફાર થતા રહ્યા. હાલમાં ૧ રૂપિયો, ૨ રૂપિયા, ૫ રૂપિયા અને ૧૦ રૂપિયાના સિક્કા ચલણમાં આવ્યા છે. હવે ૧ રૂપિયાથી ઓછા મૂલ્યના સિક્કા વપરાશમાંથી લગભગ બંધ થઈ ગયા છે. સિક્કામાં વપરાયેલી ધાતુની કિંમત પ્રમાણે સિક્કાનું જે મૂલ્ય થાય તેને સિક્કાનું ધાતુઈ મૂલ્ય કહેવાય છે. કાયદાથી નક્કી થયા મુજબ તેના લેવડદેવડના મૂલ્યને ચલણી મૂલ્ય કહેવાય છે. આ મુજબ પહેલાંના સમયમાં ચાંદી-સોનાના સિક્કા તેમના ચલણી મૂલ્ય કરતાં ઘણા મૂલ્યવાન હતા.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિક્કા અને સિક્કાશાસ્ત્ર, પૃ. ૧૯૦)

Categories
વાચન સમૃદ્ધિ

દિવાળીબહેન ભીલ

જ. ૨ જૂન, ૧૯૪૩ અ. ૧૯ મે, ૨૦૧૬

ગુજરાતનાં લોકગીતોને પોતાનો કંઠ આપી ઘેર ઘેર ગુંજતાં કરનારાં દિવાળીબહેન ભીલનો જન્મ અમરેલી જિલ્લામાં આદિવાસી જાતિમાં થયો હતો. પિતાનું નામ પૂંજાભાઈ અને માતાનું નામ મોંઘીબહેન. તેમનું બાળપણ ગીરના જંગલમાં વીત્યું હતું. માતાની પ્રેરણાથી દિવાળીબહેને નાનપણથી જ ગરબા ગાવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં તેઓ આજુબાજુનાં ગામોમાં પ્રસંગોપાત્ત, બહેનપણીઓ સાથે ગરબા ગાવા જતાં. નવ વર્ષની વયે તેમનાં લગ્ન ફોક થયાં, પરંતુ લોકગીતો ગાવાનો શોખ માતાના પ્રોત્સાહનથી ચાલુ રહ્યો. દસ વર્ષ સુધી તેમણે જૂનાગઢના એક ડૉક્ટરના દવાખાનામાં નોકરી કરી, ત્યારબાદ જૂનાગઢની સાર્વજનિક હૉસ્પિટલમાં તેઓ નર્સોના ક્વાર્ટર્સમાં નોકરી કરવા લાગ્યાં. ૧૯૬૪માં તેમના જીવનપ્રવાહમાં એક નવો વળાંક આવ્યો. તે વર્ષે નવરાત્રિ દરમિયાન જૂનાગઢના એક ચોકમાં તેઓ ગરબો ગવડાવતાં હતાં. જોગાનુજોગ ખ્યાતનામ હેમુ ગઢવી તે ચોકમાં હાજર હતા. તેમને દિવાળીબહેનનો રણકતો અવાજ અને ગાવાનો લય ખૂબ પસંદ પડી ગયા અને તેમણે દિવાળીબહેનના એક ગરબાનું સ્થળ પર જ રેકૉર્ડિંગ કરી લીધું. બીજા જ દિવસે તેમને આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પર બીજાં ગીતોના રેકૉર્ડિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું. ત્યાર પછી રતુભાઈ અદાણી સાથે દિલ્હી ગયાં, જ્યાં આયોજિત લોકસંગીત મહોત્સવમાં તેમણે ગાયેલા ગીતને પ્રથમ પારિતોષિક એનાયત થયું. તેમની ખ્યાતિ ચારેકોર ફેલાવા લાગી હતી. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર આયોજિત થતા ડાયરા અને લોકસંગીતના કાર્યક્રમોમાં ગાવા માટેનાં આમંત્રણ મળવા લાગ્યાં. કલ્યાણજી-આણંદજી બેલડીમાંના કલ્યાણજીભાઈએ તેમને ‘જેસલ તોરલ’ ચલચિત્રમાં પાર્શ્વગાયિકા તરીકે ગાવાની તક આપી. તેમાં તેમણે ગાયેલું ‘પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સાંભળ રે’ ઘેર ઘેર ગુંજતું થયું. તેમણે ન તો કોઈ ઔપચારિક શિક્ષણ લીધું હતું કે ન કોઈ સંગીતની તાલીમ લીધી હતી, છતાં દેશવિદેશમાં તેમના અનેક કાર્યક્રમો યોજાયા હતા. સ્વરકિન્નરી લતા મંગેશકરે પણ તેમનાં ગાયિકા તરીકે વખાણ કર્યાં હતાં. ૧૯૯૦માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ આપ્યો હતો. ગુજરાત સરકારે તેમને ‘ગુજરાત ગૌરવ’નો ઍવૉર્ડ એનાયત કર્યો હતો.