Categories
વાચન સમૃદ્ધિ

દાનની કિંમત સમર્પણ પર અંકાય છે !

ચોતરફ દુષ્કાળ પ્રવર્તતો હતો. અન્નના અભાવે માનવીઓ ટપોટપ મૃત્યુ પામતા હતા. એનાથીય વિશેષ બૂરી દશા પશુઓની હતી. ચોમેર ભૂખ્યાં બાળકોનાં આક્રંદ સંભળાતાં હતાં. સ્ત્રીઓની આંખોમાં ભૂખ અને લાચારીનાં આંસુ હતાં. એ સમયે સમગ્ર દેશમાં અદ્વૈતવિચારનો પ્રસાર કરનાર આદિ શંકરાચાર્યે આવી પરિસ્થિતિનું નિરાકરણ કરવાનો સંકલ્પ કર્યો. મહાન અને ગહન જ્ઞાન ધરાવતા આ આચાર્યે માનવતા કાજે અહાલેક જગાવી. આદિ શંકરાચાર્યે રાજાઓને ટહેલ નાખી અને રાજાઓએ એમના અન્નભંડારોનું અન્ન આપવા માંડ્યું. શ્રેષ્ઠીઓ એમની ધનસંપત્તિ એમનાં ચરણોમાં અર્પણ કરવા લાગ્યા. ખેડૂતો પોતાની પાસેનું અનાજ આપવા લાગ્યા. ચોમેરથી દુષ્કાળગ્રસ્ત લોકોને માટે મદદ આવતી હતી. દાનની ધારા વહેવા લાગી. ક્યાંક માનવતા તો ક્યાંક જીવદયાની મહેક પ્રસરવા લાગી. એક ગરીબ ખેડૂતને પણ દાન આપવાની ઇચ્છા જાગી, પણ એની પાસેથી દુષ્કાળે બધું હરી લીધું હતું. એના ખેતરમાં ધાન ઊગ્યું નહોતું. વખાના માર્યા ઢોરઢાંખર પણ વેચી દીધાં હતાં. બસ, માત્ર એક દાતરડું બચ્યું હતું.

ખેડૂત એ દાતરડું લઈને બજારમાં ગયો અને એમાંથી એને બે દ્રમ્મ મળ્યા. આ બે દ્રમ્મની તે શી કિંમત ? જ્યાં રાજાઓ અને શ્રેષ્ઠીઓ સુવર્ણમુદ્રાઓનો ધોધ વહેવડાવતા હોય, ત્યાં આ એક નાનકડા બિંદુની તે શી વિસાત ? પણ ખેડૂતથી રહી શકાયું નહીં. એ એના ફાટ્યા-તૂટ્યા કેડિયાના ખિસ્સામાં બે દ્રમ્મ નાંખીને આદિ શંકરાચાર્ય પાસે પહોંચ્યો. સભામાં દાનની મોટી મોટી જાહેરાતો થઈ રહી હતી. કોઈ હજાર સુવર્ણમુદ્રાનું દાન કરતા હતા તો કોઈ દશ હજાર સુવર્ણમુદ્રા દાનમાં આપતા હતા. આવે સમયે આ ખેડૂતને એટલો સંકોચ થયો કે એના આ બે દ્રમ્મની તે શી કિંમત ?

એ આદિ શંકરાચાર્ય પાસે ગયો અને ખિસ્સામાંથી બે દ્રમ્મ બહાર તો કાઢ્યા, પરંતુ આપતાં શરમ આવતી હતી. આદિ શંકરાચાર્યે આ જોયું. એમણે ભાવથી ખેડૂતને નજીક બોલાવ્યો અને કહ્યું, ‘આવ ભાઈ, તું શું લાવ્યો છે ? કહે તો ખરો !’ ગરીબ ખેડૂતે પોતાની કથની કહી અને પછી બે દ્રમ્મ આદિ શંકરાચાર્યને ચરણે ધર્યા. આ સમયે સભામાં રાજવીઓ, શ્રેષ્ઠીઓ અને અનુયાયીઓ ઉપસ્થિત હતા. એમની સમક્ષ આદિ શંકરાચાર્યે કહ્યું, ‘આ ખેડૂતના બે દ્રમ્મ એ સૌથી મહાન દાન છે, કારણ કે અન્ય સહુએ પોતાના ધન કે ધાન્યનો અમુક ભાગ જ દાનમાં આપ્યો છે, જ્યારે આ ખેડૂતે સર્વસ્વ અર્પણ કર્યું છે.’ આમ દાન ભાવના સાથે જોડાયેલું છે, વસ્તુ સાથે નહીં. એ કિંમત સાથે નહીં, પણ મૂલ્યો સાથે સંબંધ ધરાવે છે. દાન આપનાર કેટલું સમર્પણ કરે છે, તેના પર તેની કિંમત અંકાય છે. ખેડૂતે માત્ર બે દ્રમ્મનું દાન આપ્યું, પરંતુ એનું મહત્ત્વ હજારો સુવર્ણમુદ્રાઓથી પણ વિશેષ હતું.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

નીનુ મજુમદાર

જ. ૯ નવેમ્બર, ૧૯૧૫ અ. ૩ માર્ચ, ૨૦૦૦

માત્ર ગાયક નહિ પણ સંગીતજ્ઞ અને બહુશ્રુત સ્વરકાર નીનુ મજુમદારનો જન્મ વડોદરામાં થયો હતો. પિતા નગેન્દ્રભાઈ ચલચિત્રોના અભિનેતા અને સંગીતકાર હતા. બાળપણથી જ સંગીત સાથે લગાવ હતો અને તેથી જ  નીનુભાઈએ ઉસ્તાદ ફૈયાઝખાં અને ઉસ્તાદ ઇમામઅલીખાન પાસે સંગીતની તાલીમ લીધી હતી. ૧૯૩૧માં મુંબઈ આવીને નીનુભાઈ પિતા સાથે જોડાયા. રવીન્દ્રસંગીતની પણ તાલીમ લીધી. ૧૯૩૭માં વારાણસી જઈ ઉત્તર ભારતનું લોકસંગીત શીખ્યા. મુંબઈ પાછા આવીને પિતાની સાથે જ તેમણે ચલચિત્રોમાં સંગીત આપવાનું શરૂ કર્યું. શરૂઆત તેમણે બંસરીવાદનથી કરી. સમય જતાં હિંદી અને ગુજરાતી ચિત્રોમાં પાર્શ્વગાયક અને સંગીતકાર બન્યા. સી. એચ. આત્મા અને મીના કપૂર પાસે તેમણે ગીતો ગવડાવ્યાં હતાં. હિંદી ચિત્ર ‘ગોપીનાથ’માં તેમનું સંગીત ખૂબ વખણાયું હતું. ૧૯૫૬માં વી. શાંતારામે બનાવેલા દસ્તાવેજી ચિત્ર ‘ગુજરાતનું લોકસંગીત’નું નિર્દેશન નીનુભાઈએ કર્યું હતું. નીનુભાઈ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. સંગીતમાં શાસ્ત્રીય, લોક અને સુગમસંગીત, ગરબા, નાટક વગેરે ક્ષેત્રોમાં તેમની આગવી સૂઝ હતી. ગુજરાતના ગામડે ગામડે ફરીને તેમણે લોકસંગીતનું સંશોધન કર્યું હતું. ૧૯૫૩થી ૧૯૭૫ સુધી આકાશવાણી મુંબઈમાં સંગીતનિર્માતા તરીકે તેઓ કાર્યરત હતા. ત્યાંથી નિવૃત્ત થયા બાદ ‘સીતાયન’ અને બીજાં સંગીતનાટકો તેમણે લખ્યાં હતાં. તેમણે સ્વરબદ્ધ કરેલાં જાણીતાં ગીતોમાં ‘મેં તો રંગ્યો હતો એને દિલડાની સંગ’, ‘રક્ષા કરો જગદંબા ભવાની’, ‘પંખીઓએ કલશોર કર્યો’ વગેરેનો સમાવેશ થાય છે.

તેમનું આખું કુટુંબ વિવિધ કળા સાથે સંકળાયેલું છે. પત્ની કૌમુદી મુનશી ગુજરાતની કોકિલાના ઉપનામથી પ્રખ્યાત ગાયિકા હતાં અને પુત્રી રાજલ મહેતા પણ ગાયિકા છે. મીનળ પટેલ અભિનેત્રી છે અને સોનલ શુક્લ લેખિકા છે. પુત્ર ઉદય મજુમદાર ગાયક અને સંગીતકાર છે. નીનુ મજુમદારની ગીત બંદિશોમાં કાવ્ય અને સંગીતના ઊંડા રસની અભિવ્યક્તિ પ્રાપ્ત થાય છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

શિકાગો

યુનાઇટેડ સ્ટેટ્સના ઇલિનૉય રાજ્યમાં આવેલું મોટામાં મોટું શહેર.

તે ૪૧ ૫૧’ ઉ. અ. અને ૮૭ ૩૯’ પ. રે. આજુબાજુ વિસ્તરેલું છે. આ શહેર મિશિગન સરોવરની નૈર્ૠત્યમાં ૪૦ કિમી.ને અંતરે આવેલું છે. આ શહેરમાં થઈને શિકાગો નદી વહે છે. તેને નહેરો સાથે સાંકળી લેવામાં આવેલી છે. મિશિગન સરોવર અને મિસિસિપી નદી દ્વારા આ નહેરોને જળપુરવઠો મળી રહે છે. શહેરની વસ્તી આશરે ૨૬,૯૫,૫૯૮ (૨૦૧૦) જેટલી છે. શિકાગો શહેરનું ભૂપૃષ્ઠ સમતળ છે. અહીં ઉનાળો ગરમ અને ભેજયુક્ત રહે છે જ્યારે શિયાળામાં હિમવર્ષા થાય છે. સરેરાશ વાર્ષિક વર્ષા લગભગ ૮૧૦ મિમી. જેટલી તો હિમવર્ષા ૧,૦૦૦ મિમી. જેટલી થાય છે.

વહીવટી સરળતાની દૃષ્ટિએ શિકાગો શહેરને મુખ્ય ચાર વિભાગોમાં વહેંચેલું છે : (૧) મધ્ય શિકાગો : શિકાગો નદીની ઉત્તરે આવેલો આ વિભાગ ‘મૅગ્નિફિશન્ટ માઈલ’ તરીકે ઓળખાય છે. અહીં અત્યાધુનિક દુકાનો, હોટલો, રેસ્ટોરાં, રમણીય બાગબગીચા અને વિવિધ કાર્યાલયો આવેલાં છે. રેલમાર્ગ દ્વારા આ મધ્ય વિભાગને પરાંઓ સાથે સાંકળી લેવામાં આવ્યો છે. ધી ઓલ્ડ વૉટર-ટાવર અહીંનું ખૂબ જ જાણીતું સ્થાપત્ય છે. (૨) ઉત્તર વિભાગ : આ વિભાગમાં મોટા ભાગે વસાહતો આવેલી છે. શિકાગોનું ઓ હેર (O’ Hare) આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અહીં આવેલું છે. વિશ્વનાં સૌથી વ્યસ્ત હવાઈ મથકોમાં તેની ગણના થાય છે. જૉન એફ. કૅનેડી દ્રુતગતિ માર્ગ આ વિભાગમાંથી પસાર થાય છે. અહીં ભેટસોગાદો માટેની દુકાનો, રાત્રિક્લબો અને હોટલોનું પ્રમાણ વિશેષ છે. (૩) પશ્ચિમ વિભાગ : અહીં અનેક ઔદ્યોગિક એકમો, ગોદામો આવેલાં છે. અહીં નિગ્રો, મેક્સિકન તેમ જ મૂળ અમેરિકનો વસે છે. દુનિયાની સૌથી મોટી પોસ્ટ-ઑફિસ અહીં આવેલી છે. ડી. આઇઝનહોવર દ્રુતગતિ માર્ગ આ વિભાગમાંથી પસાર થાય છે. (૪) દક્ષિણ વિભાગ : અહીં વિશાળ ઔદ્યોગિક એકમો આવેલા છે. આ વિભાગ વિસ્તાર તેમ જ વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટો છે. આંતરરાષ્ટ્રીય બંદર પણ આ વિભાગમાં જ આવેલું છે. તે ઉપરાંત શિકાગો શહેરમાં વિશાળ બગીચા આવેલા છે. તેમાં લિંકન પાર્ક, ગ્રાન્ટ પાર્ક, બર્નહામ પાર્ક, જેક્સન પાર્ક, વૉશિંગ્ટન પાર્ક, પ્રાણીસંગ્રહાલયો, રમતનાં મેદાનો, બૉટનિકલ ગાર્ડન અને મત્સ્યગૃહો આવેલાં છે. શિકાગો શહેરનું અર્થતંત્ર ઉદ્યોગો, વેપાર તથા મૂડીરોકાણ પર નભે છે. અનાજ, કોલસો, લોખંડ અને પશુપેદાશોના વેપારનું તે મુખ્ય કેન્દ્ર છે. આ ઉપરાંત ખાદ્યપ્રક્રમણ, વીજળી અને વીજાણુ-સાધનો બનાવવાના, લોખંડપોલાદનાં યંત્રો અને સાધનસામગ્રી, ચિકિત્સા માટેનાં સાધનો, ઔષધિઓ, રસાયણો, પેટ્રોકેમિકલો, પરિવહનનાં સાધનો, છાપકામનાં યંત્રો અને તેમની સામગ્રી બનાવવાના એકમો અહીં આવેલા છે. આ શહેર યુ.એસ.નું સૌથી મોટું પરિવહનકેન્દ્ર ગણાય છે. ‘ધ ડેઇલી ડિફેન્ડર’, ‘ટ્રિબ્યૂન’ અને ‘સન ટાઇમ્સ’ આ શહેરનાં જાણીતાં વર્તમાનપત્રો છે. શિકાગો ગીચ વસ્તી ધરાવતું શહેર છે. ૧૮૬૦ના ગાળામાં યુરોપ, જર્મની, ઇટાલી, પોલૅન્ડ અને આયર્લૅન્ડના ગરીબ ખેડૂતો તેમ જ મજૂરો સ્થળાંતર કરી આવીને અહીં વસ્યા છે. ઉદ્યોગો, વેપારનાં ક્ષેત્રો સિવાય ડૉક્ટરો, વકીલો, શિક્ષકો અહીં પોતપોતાના વ્યવસાયોમાં કામ કરે છે. અનેક લોકો હોટલના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. ઇલિનૉય, નૉર્થ ઈસ્ટર્ન ઇલિનૉય તથા શિકાગો સ્ટેટ યુનિવર્સિટી ઉચ્ચશિક્ષણ માટેની જાણીતી યુનિવર્સિટીઓ છે. અહીંના જાણીતા સ્થાપત્યમાં સિયર્સ ટાવર છે. આ ઇમારત ૧૧૦ માળ ધરાવે છે. તેના ૧૦૩મા મજલેથી આખું શિકાગો શહેર અને મિશિગન સરોવરનો કાંઠો જોઈ શકાય છે. વળી આ શહેરમાં કલા, ઇતિહાસ અને વિજ્ઞાનને લગતાં વિવિધ સંગ્રહાલયો પણ આવેલાં છે.

અમેરિકી કવિ ર્ક્લ સૅન્ડબર્ગે આ શહેરને ‘સિટી ઑવ્ બિગ શોલ્ડર્સ’ કહીને નવાજેલું છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અમલા પરીખ