Categories
વાચન સમૃદ્ધિ

સુરક્ષા (સલામતી અને સંરક્ષણ-વ્યવસ્થા)

પ્રજા અને દેશની માલમિલકતને સહીસલામતીપૂર્વકનું રક્ષણ પૂરું પાડવું તે. બીજા શબ્દોમાં આપણે તેને સલામતી તરીકે પણ ઓળખી શકીએ. સામાન્ય રીતે દરેક દેશ તેની સુરક્ષા અને સલામતીને ખૂબ મહત્ત્વ આપે છે. જ્યારે નાગરિકો સુરક્ષા અનુભવતા હોય ત્યારે જ તેઓ અન્ય પ્રવૃત્તિ નિશ્ચિંતતાપૂર્વક કરી શકે. આમ સુરક્ષા કોઈ પણ દેશને માટે અત્યંત આવશ્યક હોય છે. તેથી દેશની અંદરની વિવિધ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત અને નિયમિત રીતે ચાલી શકે છે. સુરક્ષા નાગરિકોને નિર્ભય બનાવે છે અને કામ કરવા માટે સ્વસ્થ વાતાવરણ ઊભું કરે છે.

દેશની સીમાઓની સુરક્ષા કરતું લશ્કરી દળ

સામાન્ય રીતે સુરક્ષા બે પ્રકારની હોય છે : (૧) આંતરિક અને (૨) બાહ્ય. આંતરિક સુરક્ષા એટલે દેશની અંદરના વિસ્તારમાં પ્રવર્તતી સુરક્ષા. બાહ્ય સુરક્ષા એટલે સરહદો પરની સલામતી. વ્યક્તિઓ વ્યક્તિઓ વચ્ચે, વિવિધ સંગઠનો વચ્ચે કે પરસ્પરના વ્યવહારમાં સૌ પોતપોતાનું કામ સારી રીતે કરે અને બીજાના કામમાં અવરોધ, રુકાવટ કે વિઘ્ન ઊભું ન કરે તે જોવાનું કામ આંતરિક સુરક્ષા માટેના સંગઠનનું હોય છે. ગૃહરક્ષક-દળ સમેત પોલીસ-દળ આવું આંતરિક સુરક્ષાનું કામ કરે છે. સૌ નિયમો અને કાયદાઓનું પાલન કરે અને પ્રત્યેક કામમાં આગળ વધે તે માટેની દેખરેખ પોલીસતંત્ર રાખે છે. જરૂર પડે તો અને ત્યારે અવરોધ કે વિઘ્ન ઊભું કરવા પ્રયત્ન કરનારને તે રોકે છે – અટકાવે છે અને જરૂર ઊભી થાય તો તે માટે બળનો ઉપયોગ પણ કરે છે. આમ આંતરિક સુરક્ષા એટલે કાયદો અને વ્યવસ્થાની જાળવણી. સામાન્ય રીતે પોલીસતંત્ર આ કામ કરે છે. બીજા પ્રકારની સુરક્ષા તે બાહ્ય સુરક્ષા. દેશની સીમાઓ વિવિધ સ્વરૂપની હોય છે; જેમ કે, જમીન પરની સીમા, હવાઈ સીમા અને જળસીમા. બીજો કોઈ પણ દેશ આવી સીમાઓ તોડી અન્ય કોઈ દેશની સરહદોમાં ન પ્રવેશી શકે. જો બીજા કોઈ દેશની સીમામાં પ્રવેશવું હોય તો વિધિપૂર્વકની પરવાનગી લેવી પડે. દેશની સીમાઓ અંગે આંતરરાષ્ટ્રીય કાયદા હોય છે અને તે અનુસાર દેશની સીમાઓ નક્કી થઈ હોય છે. દેશની સીમા યા સરહદોના રક્ષણ માટે આથી લશ્કરની વ્યવસ્થા કરવી પડે છે. લશ્કરની ત્રણ પાંખો – ભૂમિદળ, હવાઈ દળ અને નૌકાદળ આ માટે નિભાવવામાં આવે છે. અહીં બીજી એક વાત નોંધવી જોઈએ. જો કોઈ પણ નાગરિકને એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો ત્યાં જવા માટે ‘પ્રવેશ-પરવાનગી’ એટલે ‘વિઝા’ મેળવવા અનિવાર્ય હોય છે. જો દેશનો કોઈ નાગરિક કોઈ પણ કારણસર દેશ છોડવા ચાહતો હોય તો તે માટે તેણે પરવાનગી મેળવવાની રહે છે. દેશ છોડવાની કાયદેસરની પરવાનગીને ‘પાસપૉર્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. આમ સલામતીના હેતુસર પ્રત્યેક દેશ ‘પાસપૉર્ટ’ અને ‘વિઝા’ની વ્યવસ્થા ઊભી કરે છે. તે માટે ખાસ ધારાધોરણો રાખવામાં આવે છે. જે તે પ્રકારની પરવાનગી મેળવ્યા પછી જ નાગરિક વિવિધ દેશોમાં આવ-જા કરી શકે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સુરક્ષા, પૃ. ૨૦)

Categories
વાચન સમૃદ્ધિ

મનોહર શ્યામ જોશી

જ. ૯ ઑગસ્ટ, ૧૯૩૩ અ. ૩૦ માર્ચ, ૨૦૦૬

હિંદી નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર અને પટકથાલેખક મનોહર શ્યામ જોશીનો જન્મ અજમેર, રાજસ્થાનમાં કુમાઓની બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ત્યારબાદ લખનૌ યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ ‘સાપ્તાહિક હિન્દુસ્તાન’, ‘મૉર્નિંગ ઇકો’, અંગ્રેજી દૈનિક તથા ‘વીક ઍન્ડ રિવ્યૂ’ના સંપાદક રહ્યા. ૨૯ વર્ષની વયે તેમણે લેખનકાર્ય શરૂ કર્યું. તેમની પ્રથમ નવલકથા ‘કરુ-કરુ સ્વાહા’ ૧૯૮૧માં પ્રગટ થઈ. આ ઉપરાંત તેમણે ૧૩ જેટલા ગ્રંથો આપ્યા છે. ભારતીય દૂરદર્શનના ઇતિહાસમાં અત્યંત લોકપ્રિય ધારાવાહિકો ‘હમલોગ’ (૧૯૮૨), ‘બુનિયાદ’(૧૯૮૭-૮૮)ના લેખન દ્વારા તેઓ હિંદી ટેલિવિઝન શ્રેણીઓના અગ્રેસર બન્યા અને ભારતીય ‘સોપ ઓપરાના પિતા’ તરીકે ઓળખાયા. હમલોગમાં મધ્યમવર્ગના ભારતના લોકોના રોજિંદા સંઘર્ષોને બતાવવામાં આવ્યા છે તો બુનિયાદ ૧૯૪૭માં ભારતના ભાગલા દ્વારા વિસ્થાપિત પરિવારના જીવન પર આધારિત હતી. બંનેએ ભારતીયોની આખી પેઢી તેમજ ભારતીય ટેલિવિઝન ઉદ્યોગ પર ઊંડો પ્રભાવ પાડ્યો. પછીનાં વર્ષોમાં ‘મુંગેરી લાલ કે હસીન સપને’, ‘કાકાજી કહીં’, ‘હમરાહી’, ‘જમીન આસમાન’ અને ‘ગાથા’ જેવી ઘણી લાંબી ચાલતી ધારાવાહિકો પણ લખી. તેમની પુરસ્કૃત રચના ‘ક્યાપ’ દુનિયામાં પરિવર્તન લાવવાનાં સ્વપ્ન અને આદર્શોના કરુણાજનક પરિણામ વર્ણવતી નવલકથા છે. તેમને વર્ષ ૨૦૦૫નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવેલો. તેમને મધ્યપ્રદેશ સાહિત્ય પરિષદ સન્માન, શરદ જોષી સન્માન, શિખર સન્માન, દિલ્હી હિંદી અકાદમી ઍવૉર્ડ, ઓનિડા પિનકેલ આજીવન ઉપલબ્ધિ પુરસ્કાર, ઉત્તરપ્રદેશ હિંદી સંસ્થાન પુરસ્કાર જેવા અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વ. વડાપ્રધાન મનમોહન સિંહે તેમને ‘તાજેતરના સમયમાં હિન્દીના સૌથી પ્રભાવશાળી લેખકો અને વિવેચકોમાંથી એક’ ગણાવ્યા છે.

Categories
વાચન સમૃદ્ધિ

જળ મેળવવાની દોડ, રણની રેતની પ્રાપ્તિ

જે અત્યંત ચંચળ અને પરિવર્તનશીલ છે, એને માનવી જીવનમાં સુદૃઢ અને સ્થિર કરવાનો સતત મરણિયો પ્રયાસ કરે છે. એને જે કંઈ ક્ષણિક અને અલ્પકાલીન પ્રાપ્ત થયું છે, તે ક્ષણિકને શાશ્વત અને અલ્પકાલીનને ચિરંજીવ બનાવવા ચાહે છે. એ પહેલાં કશુંક મેળવે છે અને પછી એ મેળવેલું સદાકાળ ટકે એવી અપેક્ષા રાખે છે. કોઈ યશસ્વી કાર્ય કરે અને એનાથી એને કીર્તિ પ્રાપ્ત થાય, તો એ પોતાની કીર્તિને અહર્નિશ અકબંધ રાખવા ચાહે છે. એ જાણતો નથી કે આજે એને કીર્તિ પ્રાપ્ત થઈ છે અને આવતી કાલે અપકીર્તિ પણ પ્રાપ્ત થાય. એને કોઈની ચાહના કે સ્નેહ પ્રાપ્ત થાય છે અને પછી એ વિચારે છે કે જીવનભર એ જ સ્નેહ કે પ્રેમ એને મળતો રહે. એને યૌવન પ્રાપ્ત થાય ત્યારે એવી આકાંક્ષા સેવે છે કે આ યૌવન સદાકાળ ટકી રહે. એના પર ધીરે ધીરે પડતા વૃદ્ધત્વના પડછાયા એને સહેજે પસંદ પડતા નથી. આથી એ પહેલાં પોતાના વૃદ્ધત્વને સ્વીકારવા તૈયાર હોતો નથી અને પછી ઘણી મથામણ બાદ એના એકાદ અંશને સ્વીકારવા તૈયાર થાય છે. જે પરિવર્તનશીલ છે એને સ્થાયી માનવાની વ્યર્થ ધારણાઓ કરતા માનવીને એને કારણે જીવનમાં કેટલીય હતાશા, દોડાદોડ, આતુરતા અને નિરાશા સહન કરવાં પડે છે. જળની શોધમાં દોડતાં મૃગજળ જેવી આ માયા છે. તીવ્ર વેગે પોતાના ભૌતિક સ્વપ્નના મૃગજળ પાસે પહોંચતાં એને ખ્યાલ આવે છે કે અહીં તો ક્યાંય જળ નથી, માત્ર રણની  ધગધગતી રેતી છે અને સહેજ નજર ઊંચી કરે છે ત્યારે વળી દૂર એક મૃગજળ દેખાય છે અને પુન: એની દોડનો પ્રારંભ થાય છે.