Categories
વાચન સમૃદ્ધિ

સુરેન્દ્ર દેસાઈ

જ. ૨ ઑગસ્ટ, ૧૯૦૧ અ. ૧૦ નવેમ્બર, ૧૯૭૬

એસ. વી. દેસાઈના હુલામણા નામે જાણીતા શિક્ષણશાસ્ત્રી સુરેન્દ્ર દેસાઈનો જન્મ અમદાવાદમાં. વતન અલીણા. માતાનું નામ વિજયાગૌરી અને પિતાનું નામ વૈકુંઠરાય. પિતા મુંબઈની હોમરૂલ લીગના આગેવાન અને દાદા અંબાલાલ સાકરલાલ દેસાઈ ન્યાયમૂર્તિ હતા. તેઓ ૧૯૧૮માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષામાં સમગ્ર બોર્ડમાં સાતમા સ્થાને હતા. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ઇન્ટર આર્ટ્સ કરીને ઉચ્ચઅભ્યાસ માટે ૧૯૨૧માં અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં ગયા. ત્યાં બી.એસસી. અને એમ.એસ.ની પદવી ‘એ’ ગ્રેડ સાથે મેળવી. તેમને ‘બીટા-ગૅમા-સિગ્મા’નું બહુમાન મળ્યું હતું. કોલંબિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર સાથે સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવનાર તેઓ પ્રથમ ગુજરાતી વિદ્યાર્થી હતા. તેઓ ગુજરાતમાં ડબલ ગ્રૅજ્યુએટ થનાર પ્રથમ હતા. ભારતમાં આવીને તેઓ ‘ઇન્ડિયન ઇકૉનૉમિક્સ’ સાપ્તાહિકમાં જોડાયા. પછી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને અર્થશાસ્ત્ર વિભાગના વડા બન્યા. તેમણે સિંધિયા સ્ટીમ નૅવિગેશન કંપનીમાં પણ કામ કર્યું. એ પછી તેઓ સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં જોડાયા. ૧૯૩૬માં તેઓ અમદાવાદની એચ.એલ.કૉલેજ ઑવ્ કૉમર્સમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા અને ૧૯૪૪માં આચાર્ય બન્યા. તેમણે ગુજરાત યુનિવર્સિટીની સેનેટ સિંડિકેટ અને એકૅડેમિક કાઉન્સિલમાં સેવા આપી હતી. તેઓ ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પણ બન્યા હતા. ૧૯૪૨ની ‘ભારત છોડો’ લડત દરમિયાન દેશભક્તિના રંગે રંગાયા. તેમણે આજીવન ખાદીનાં વસ્ત્રો પહેરવાનો નિર્ણય કર્યો અને પાળ્યો પણ ખરો. તેઓ સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિક ટ્રસ્ટના ટ્રસ્ટી પણ હતા. શિક્ષણક્ષેત્રે તેમણે કરેલાં કાર્યો આજે પણ સ્મરણીય બની રહ્યાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

સુગરી (સુઘરી)

ચકલીના જેટલું કદ ધરાવનારું, સુંદર ગૂંથણીવાળો માળો બનાવનારું પક્ષી. સુગરીની મોટા ભાગની (આશરે ૨૯૦) જાતિઓ આફ્રિકામાં વસે છે. તે પૈકી ૩ ભારતમાં જોવા મળે છે. નર અને માદા દેખાવે સરખાં લાગે છે. પ્રજનનકાળે નર પક્ષી ચળકતો પીળો રંગ તેની છાતી પર ધારણ કરે છે. આ પક્ષીની ચાંચ ટૂંકી અને મજબૂત હોય છે. તેઓ ચકલી જેવો અવાજ કરે છે. આ પક્ષીઓમાં નર માળો બાંધે છે. ખોરાક અને માળો બાંધવાની વિપુલ  સામગ્રી મળી રહે તેવા ખેતર પાસે, તાડ, ખજૂરી કે બાવળના વૃક્ષ ઉપર તે માળો બાંધવાની શરૂઆત કરે છે. તેમાં પણ નીચે કૂવો કે જળાશય હોય તેવું સ્થળ વધારે પસંદ કરે છે. મોટા ભાગે એક વૃક્ષ પર સુગરીઓના ઘણાબધા નર પોતપોતાના માળાઓ બનાવે છે. તે માળો બનાવવા માટે લીલું ઘાસ અને તંતુઓનો ઉપયોગ કરે છે. પોતાની ચાંચ અને પગની મદદથી તાંતણાઓની સુંદર ગૂંથણી કરી ઝૂલતો, ઊંધા ચંબુ જેવો માળો બનાવે છે. તેમાં પ્રવેશ માટે નીચેની બાજુ કાણું હોય છે. માળાની રચના એવી હોય છે કે શત્રુ તેમાં પ્રવેશી શકતો નથી.

સુગરી અને તેને માળો

માદા પક્ષી નરની ઘર બનાવવાની કુશળતા પરથી તેને પસંદ કરે છે. અડધા-પડધા બનાવેલ માળાને જોઈ સુગરી તેની પસંદગી કરી, તેને માળો પૂરો કરવામાં મદદ કરે છે. ત્યારબાદ માદા તેમાં ત્રણથી ચાર સફેદ રંગનાં ઈંડાં મૂકે છે. ત્યાર બાદ બચ્ચાં ઉછેરવાની જવાબદારી માદા સંભાળે છે, જ્યારે નર બીજું ઘર બાંધી બીજી માદા જોડે સંસાર માંડે છે. આ પક્ષીઓ દાણા ખાય છે; જ્યારે બચ્ચાંને જીવાત ખવડાવે છે. સુગરીનું પોતાની પાંખો પરનું નિયંત્રણ તથા અંધારામાં જોવાની શક્તિ નોંધપાત્ર હોય છે. તેને પોપટની જેમ કેળવી શકાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

પુરુષોત્તમદાસ ટંડન

જ. ૧ ઑગસ્ટ, ૧૮૮૨ અ. ૧ જુલાઈ, ૧૯૬૨

દેશના અગ્રગણ્ય સ્વાતંત્ર્યસેનાની અને દેશસેવક તરીકે જાણીતા પુરુષોત્તમદાસ ટંડનનો જન્મ ઉત્તરપ્રદેશના અલાહાબાદ શહેરના એક ખત્રી પરિવારમાં થયો હતો. ૧૯૦૬માં ઇતિહાસ વિષય સાથે અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરીને તેઓ સર તેજબહાદુર સપ્રુના હાથ નીચે વકીલાતમાં જોડાયા હતા. ૧૯૨૧માં વકીલાતનો ત્યાગ કરીને તેમણે પૂર્ણ સમય માટે દેશસેવા શરૂ કરી હતી. થોડા સમય માટે તેમણે ગ્વાલિયરની વિક્ટોરિયા કૉલેજમાં અધ્યાપક તરીકે પણ ફરજ નિભાવી હતી. પુરુષોત્તમદાસ ટંડન વિદ્યાર્થી હતા ત્યારથી જ કૉંગ્રેસમાં જોડાયા હતા. ૧૯૧૯માં જલિયાંવાલા બાગ હત્યાકાંડ વખતે તેઓ કૉંગ્રેસની સત્યશોધ સમિતિના સભ્ય હતા. ૧૯૨૦થી ૧૯૩૦ના દાયકા દરમિયાન તેઓએ અસહકાર આંદોલન અને મીઠાના સત્યાગ્રહમાં ભાગ લઈને જેલવાસ ભોગવ્યો હતો. આ જ દાયકામાં બિહાર કિસાનસભાના પ્રમુખ તરીકે તેમણે કિસાનોના પ્રશ્નોને વાચા આપી હતી. ૧૯૨૧ની સાલમાં તેઓ લાલા લજપતરાય દ્વારા સ્થાપિત ભારત લોકસેવક મંડળના પ્રમુખ તરીકે નિમાયા હતા. ૧૯૩૭ની વચગાળાની સરકારની રચના બાદ તેમણે ઉત્તરપ્રદેશની પ્રાંતીય વિધાનસભાના અધ્યક્ષની જવાબદારી ૧૯૫૦ સુધી નિભાવી હતી. ૧૯૫૦માં આચાર્ય કૃપલાણીને હરાવીને પુરુષોત્તમદાસ ટંડન કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે મતભેદો થતાં તેમણે રાજીનામું આપ્યું હતું. ૧૯૫૨માં લોકસભા અને ૧૯૫૬માં તેઓ રાજ્યસભામાં ચૂંટાયા હતા. દેશની રાષ્ટ્રભાષા હિંદી જ હોવી જોઈએ તેના તેઓ આગ્રહી હતા અને તે માટે તેમણે ખૂબ પ્રયત્નો કર્યા હતા. પુરુષોત્તમદાસ ટંડનની દેશસેવા અને સમાજસેવાથી પ્રભાવિત થઈને ગાંધીજી તેમને ‘રાજર્ષિ’ નામે ઓળખાવતા હતા. ૧૯૬૧માં તેમને દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ભારતરત્ન’થી નવાજવામાં આવ્યા હતા.