Categories
વાચન સમૃદ્ધિ

પંડિત પન્નાલાલ ઘોષ

જ. ૨૪ જુલાઈ, ૧૯૧૧ અ. ૨૦ એપ્રિલ, ૧૯૬૦

બાંસુરીવાદક, સંગીતનિર્દેશક પન્નાલાલ ઘોષનું મૂળ નામ અમલજ્યોતિ ઘોષ. સંગીતયાત્રા દરમિયાન પન્નાલાલના હુલામણા નામથી પ્રખ્યાત થયા. પિતા અક્ષયકુમાર ઘોષ સિતારવાદક હોવાને કારણે સંગીતશિક્ષણની શરૂઆત સિતારવાદનથી થઈ, પરંતુ બાંસુરી પ્રત્યેના અનોખા આકર્ષણને કારણે તેઓ બાંસુરીવાદન તરફ ઢળ્યા. માતા સુકુમારી પણ શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા હતાં. પન્નાલાલ ઘોષને બાંસુરીના પિતા ગણવામાં આવે છે. બાંસુરીને લોકવાદ્યમાંથી શાસ્ત્રીય વાદ્યોમાં તેમણે સ્થાન અપાવ્યું. તેઓ અલ્લાઉદ્દીન ખાનસાહેબના શિષ્ય હતા. પ્રાથમિક સંગીતનું શિક્ષણ ખુશી મહોમદ ખાન તેમજ ગિરિજાશંકર ચક્રવર્તી પાસે પ્રાપ્ત કર્યું હતું. કૉલકાતાના ન્યૂ થિયેટર્સમાં થોડાં વર્ષો સંગીતનિર્દેશક તેમજ સહાયક તરીકે કામ કર્યું. ૧૯૪૦માં તેઓ મુંબઈ સ્થાયી થયા. ‘સ્નેહબંધન’ ફિલ્મમાં સંગીતનિર્દેશન કરીને ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું. પછી અનેક ફિલ્મોમાં બાંસુરીવાદન પણ કર્યું. ‘આંધિયાં’ ફિલ્મમાં પં. રવિશંકર તેમજ અલી અકબર ખાન સાથે સંયુક્ત રીતે સંગીત તૈયાર કર્યું. બાંસુરીની બનાવટમાં ક્રિયાત્મકતા અને કલાત્મકતા સાથે અનેક પ્રયોગો કર્યા, જેમાં વિવિધ ધાતુ તથા વિવિધ લાકડાના ઉપયોગ કર્યા. ૩૨ ઇંચ લાંબી વાંસની બાંસુરી તૈયાર કરી. જેનો કર્ણમધુર નાદ સંગીતપ્રેમીઓ માટે અમૂલ્ય ભેટ બની રહ્યો. એક સંગીતકાર હોવાની સાથે તેઓ નિષ્ઠાવાન દેશપ્રેમી હતા. કિશોર અને યુવાન વયે આઝાદીની અનેક ચળવળોમાં તેઓ સક્રિય રહ્યા હતા. તેમનાં પત્ની પારુલ (બિસ્વાસ) ઘોષ સંગીતકાર અનિલ બિસ્વાસનાં નાનાં બહેન હતાં. પન્નાલાલના દોહિત્ર આનંદ મુરદેશ્વરનું પણ બાંસુરીવાદનક્ષેત્રે ઘણું મોટું યોગદાન છે. નવી દિલ્હીમાં ૪૯ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં પંડિત પન્નાલાલ ઘોષનું નામ સદા અમર ગણાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

પોપટને પાંજરું જ વહાલું લાગશે

વ્યક્તિને સૌથી મોટો ભય છે કારાગૃહ રચી આપનારા ગુરુઓથી. આ ગુરુ તમને એક સુવિધાયુક્ત કેદખાનું રચી આપશે, જેની આસપાસ એમની વાણી, એમના ગ્રંથો અને એમની વિચારધારાની દીવાલો ચણશે. એમનો હેતુ તો તમને એ જ સૂર્યપ્રકાશ બનાવવાનો છે, જેને તેઓ સૂર્યપ્રકાશ માને છે. એ જ રાતનો અનુભવ કરાવવો છે, જેમાં એમને અંધકાર ભાસે છે. આ કારાગૃહમાં સળિયા નથી કે જેથી તમે બહારનું જગત જોઈ શકો. આ કારાગૃહમાં ચોતરફ એમણે રચેલી રૂઢિચુસ્તતાની દીવાલો છે, જેમાં રક્ષક બનીને તેઓ એની આસપાસ ઘૂમી રહ્યા છે. આમાંથી મુક્ત થવાનો વિચાર કરવો તે મહાપાપ કહેવાય તેમ ઠસાવી દેવામાં આવશે. થોડું મૌલિક વિચારશો, તો તમને પ્રગતિશીલ કહીને હળવી ઉપેક્ષા આપશે કે નાસ્તિક કહીને તમારા પર પ્રહાર કરશે. એમ છતાં મુક્તિ માગશો તો રૂઢિ, પરંપરા અને નરકનો મહા ભય બતાવશે. પાંજરામાં વસતો પોપટ એનાથી એટલો ટેવાઈ જાય છે કે એ પાછો પાંજરામાં જ આવી જાય, તેમ કેદખાનાના વાસીઓને આ કારાગૃહ કોઠે પડી જશે. મુક્ત ગગનમાં ઊડીને ભોજનની શોધ કરવાને બદલે આ કારાગૃહના ગુલામ પોપટને કારાગૃહનું તૈયાર ભોજન ભાવી જશે. અન્ય શસ્ત્રો તરફ તમને સૂગ પેદા કરશે અને અન્ય જ્ઞાન પ્રત્યે તમારી આંખે પાટા બાંધશે. સમય જતાં આ કારાગૃહમાં જ સુરક્ષા લાગશે, તેથી બહારની મુક્તિ વિચારની દુનિયાને બદલે આ ગુલામી જ સુખરૂપ લાગવા માંડશે. આવા કોઈ જાતના, રૂઢિના, સંપ્રદાયના, ગુરુના કે અમુક ખ્યાલના કારાગૃહમાં આપ કેદ નથી ને ? તે સ્વયંને જ પૂછવું પડે !

Categories
વાચન સમૃદ્ધિ

ચંદ્રશેખર આઝાદ

જ. ૨૩ જુલાઈ, ૧૯૦૬ અ. ૨૭ ફેબ્રુઆરી, ૧૯૩૧

ભારતીય ક્રાંતિકારી તરીકે જાણીતા ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ ચંદ્રશેખર સીતારામ તિવારી છે. તેમનો જન્મ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના એક નાના ગામમાં થયો હતો. પિતા સીતારામ અત્યંત ગરીબીમાં જીવતા હતા, ચોકીદારની નોકરી કરતા હતા અને વાંસ તથા માટીથી બનાવેલા ઝૂંપડામાં વસતા હતા. માતા જાગરાણી દેવીની ઇચ્છાથી ૧૪ વર્ષની વયે તેઓ વારાણસીની એક સંસ્કૃત પાઠશાળામાં વિદ્યાર્થી તરીકે જોડાયા હતા. આજીવન અપરિણીત રહેનાર ચંદ્રશેખર આઝાદને ગાંધીજી પ્રેરિત રાષ્ટ્રીય આંદોલનનો નાદ લાગતાં તેમણે તેમાં ઝંપલાવ્યું હતું. પોલીસના હાથે તેઓ પકડાયા ત્યારે તેમની ઉંમર એટલી નાની હતી કે હાથકડી મોટી પડી હતી ! આથી નિષ્ઠુર પોલીસે તેમને ચાબખાની સજા કરી હતી, જે તેમણે હસતા મોંએ સહન કરી હતી. પોલીસના હાથે પકડાયા ત્યારે પોતાની ઓળખ ‘આઝાદ’, પિતાની ઓળખ ‘સ્વતંત્ર’ અને સરનામું ‘કેદખાનું’ એવી ઓળખ આપી હતી. પછીના દિવસોમાં ચંદ્રશેખર હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન લશ્કરમાં જોડાયા હતા અને ઉપરાઉપરી રચાતાં ક્રાંતિકારીઓનાં ષડયંત્રોમાં સામેલ થયા હતા. કાકોરીનું ષડયંત્ર (૧૯૨૬), વાઇસરૉયની ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર, ધારાસભામાં બૉમ્બ ફેંકવાનો બનાવ, દિલ્હીનું કાવતરું, લાહોર ખાતે સૉન્ડર્સ ઉપરનો હુમલો વગેરે ષડયંત્રોમાં તેમની સામેલગીરી હતી. ‘હું જીવતો અંગ્રેજોના હાથમાં નહીં પકડાઉં’ તેવી પ્રતિજ્ઞા લેનાર ચંદ્રશેખરને ૧૯૩૧માં અલાહાબાદના આલ્ફ્રેડ પાર્કમાં જ્યારે પોલીસે ઘેરી લીધા ત્યારે તેમણે આત્મહત્યાનો આશરો લીધો હતો. તેમની શહીદીના ૨૪ દિવસ બાદ ભગતસિંહને ફાંસી આપવામાં આવી હતી. તેમના નેતૃત્વથી રાજગુરુ અને સુખદેવ જેવા કેટલાય યુવાનો પ્રભાવિત થયા હતા. ચંદ્રશેખર આઝાદના નામ સાથે ગામેગામ અને શહેર શહેરમાં જાહેર માર્ગ અને ચોકનાં નામ જોવા મળે છે.