Categories
વાચન સમૃદ્ધિ

બકુલેશ

જ. ૧૧ ઑગસ્ટ ૧૯૧૦ અ. ૫ નવેમ્બર ૧૯૫૭

કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના કોઠારા ગામમાં જન્મ. ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ.  અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને તે જ વ્યવસાય સ્વીકારેલો. ‘વીસમી સદી’ના સહતંત્રી તરીકે કારકિર્દીની શરૂઆત. આ સમય દરમિયાન એમણે ‘નવચેતન’માં વાર્તાઓ લખવા માંડી. ‘પ્રજામિત્ર કેસરી’ના તંત્રીમંડળમાં જોડાયા અને ત્યાં ‘હિંદુસ્તાન પ્રજામિત્ર’ના દીપોત્સવી અંકોનું સંપાદન કર્યું. પ્રગતિશીલ લેખક તરીકે જાણીતા. વાર્તાકળા પ્રત્યે સભાન. 1952માં એમણે સરરિયાલિઝમની ચર્ચા કરેલી. ચિત્રમય, કાવ્યમય ગદ્યના કસબી. એમની વાર્તાઓમાં સિનેમેટોગ્રાફીની તકનીક દ્વારા થતાં ચિત્રાંકનો ધ્યાનપાત્ર છે. કથાવસ્તુ, સંવેદન તથા પાત્રસૃષ્ટિના વૈવિધ્ય પર તેઓ ભાર મૂકતા. નિમ્નવર્ગીય સમાજને આલેખતી સામ્યવાદી વલણની વાર્તાસૃષ્ટિ. ફૂટપાથ, ગલીઓ, પીઠાં અને અંધારામાં ફરતાં પાત્રો તથા તેમના પરિવેશવાળી, સમાજના વિશાળ પટને આવરી લેતી વાર્તાસૃષ્ટિ. બિનજરૂરી પ્રસ્તાર એ એમની મર્યાદા. એમનાં મહત્વનાં પુસ્તકો – ‘સુવર્ણના નિ:શ્વાસ’ (1936), ‘ઇશ્કની ખુશ્બૂ’ (1942), ‘કાદવનાં કંકુ’ (1944), ‘અગનફૂલ’, ‘ખારાં પાણી’, ‘કંકુડી’ (1953) વગેરે. મહેશ દવે દ્વારા એમની વાર્તાઓનું ‘બકુલેશની વાર્તાઓ’ (1977) એ નામે સંપાદન થયું છે. ‘નિશિગંધા’, ‘ગોપીનું ઘર’, ‘કિમી-ચાન’ અને ‘ખંડેયિર’ એમની યશસ્વી વાર્તાઓ છે. ગ્રંથસ્થ ન થઈ હોય એવીયે કેટલીક વાર્તાઓ છે. ૪૭ વર્ષની વયે મુંબઈમાં તેમનું અવસાન થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

સ્ટ્રેસનો ઇલાજ

પ્રસિદ્ધ મનોવિજ્ઞાનિક ડૉ. વિલિયમ એલ. સેડલરના ક્લિનિકમાં એક દર્દી આવ્યો. એ સમયે ડૉક્ટર બીજા એક ડૉક્ટર સાથે ચર્ચા કરતા હતા. આ દર્દી એક મોટી કંપનીનો ઑફિસર હતો. એ ખૂબ સ્ટ્રેસમાં રહેતો હતો. કામના બોજથી ખૂબ થાકી ગયેલો અને એના ભારથી મનથી સાવ નંખાઈ ગયેલો હતો. એ ઑફિસર વિચારતો હતો કે હવે આવી રીતે વધુ લાંબો સમય જીવી શકાય તેમ નથી, મૃત્યુ એ જ જીવનના બોજથી મુક્તિનો ઉપાય છે. આથી એ ડૉક્ટર સેડલરની પાસે સલાહ લેવા આવ્યો હતો. કંપનીના ઑફિસરે જોયું કે ડૉ. સેડલર એકેએક કામ ખૂબ ઝડપથી પતાવતા હતા. કોઈનો ફોન આવે તો ફોન પર જ એને ઉત્તર આપી દેતા હતા. કોઈનો પત્ર આવે, તો પોતાની સેક્રેટરી પાસે એનો તત્કાળ પ્રત્યુત્તર લખાવતા હતા. સેડલર પાસે દર્દી આવ્યો, ત્યારે એને કહ્યું, ‘સાહેબ, તમારી કામ કરવાની પદ્ધતિએ જ મને મારી ભૂલનો અહેસાસ કરાવી દીધો. હું કામને વિલંબમાં નાખવામાં માહેર હોવાથી એના બોજથી વધુ ને વધુ ટેન્શનમાં રહેતો હતો. જરા, મને આપના ટેબલનું ખાનું ખોલીને બતાવશો.’ દર્દી તરીકે આવેલા કંપનીના ઑફિસરને ડૉ. સેડલરે જ્યારે પોતાના ટેબલનું ખાનું બતાવ્યું, ત્યારે એમાં કોઈ કાગળો નહોતા. કંપનીના ઑફિસરે પૂછ્યું, ‘ડૉક્ટર ! જે કામ પેન્ડિંગ હોય તેના કાગળો ક્યાં રાખો છો ?’ સેડલરે કહ્યું, ‘હું બધાં જ કામ પતાવી દઉં છું. ટપાલ આવે તો તરત પ્રત્યુત્તર લખાવી દઉં છું, આથી કોઈ કામ બાકી રાખતો નથી.’ કંપનીના ઑફિસરને સમજાયું કે કાગળો સંઘરી રાખવા, તત્કાળ જવાબ આપવાને બદલે પ્રમાદ સેવવો, અધૂરાં કામોનો નિર્ણય આવતીકાલ પર મુલતવી રાખવો – આ બધી બાબતોને કારણે એને માનસિક તણાવ થતો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

પીતાંબર પટેલ

જ. ૧૦ ઑગસ્ટ, ૧૯૧૮ અ. ૨૪ મે, ૧૯૭૭

‘પિનાકપાણિ’, ‘રાજહંસ’ અને ‘સૌજન્ય’ જેવાં તખ્ખલુસ ધરાવતા ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર પીતાંબર પટેલનો જન્મ મહેસાણાના શેલાવી ગામે થયો હતો. પિતાનું નામ નરિંસહભાઈ. તેમણે પ્રાથમિક શિક્ષણ શેલાવી અને પાનસરમાં લીધું હતું. કડીની સર્વ વિદ્યાલયમાં માધ્યમિક શિક્ષણ પૂરું કરી ૧૯૩૬માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. ૧૯૪૦માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાંથી બી.એ. થયા અને ૧૯૪૨માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક કેન્દ્રમાંથી એમ.એ. કર્યું. ૧૯૫૬થી કેટલાંક વર્ષ આકાશવાણી અમદાવાદમાં કામ કર્યું. તે ભવાઈમંડળના પ્રણેતા હતા. તેમણે અમદાવાદ લેખક મિલન અને ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે પણ કામ કર્યું હતું. ‘સંદેશ’ અખબારના તંત્રીવિભાગ સાથે પણ જોડાયેલા હતા. તેમણે ફિલ્મનિર્માણ પર પણ હાથ અજમાવ્યો હતો. તેમના લેખન ઉપર પન્નાલાલ પટેલ અને પેટલીકરનો ખૂબ પ્રભાવ હતો. તેમની જાણીતી નવલકથાઓમાં ‘રસિયો જીવ’, ‘પરિવર્તન’, ‘ઊગ્યું પ્રભાત’, ‘ખેતરને ખોળે’, ‘તેજરેખા’, ‘આશાભરી’, ‘અંતરનાં અજવાળાં’, ‘ચિરંતન જ્યોત’, ‘ધરતીનાં અમી’, ‘કેવડિયાનો કાંટો’ મુખ્ય છે. પીતાંબર પટેલ મુખ્યત્વે પ્રાદેશિક નવલકથાકાર હતા. તેમની નવલકથાઓમાં ગુજરાતના સમાજજીવનનું વાસ્તવિક ચિત્ર આપવાનો પ્રયાસ થયો છે. તેમાં સમાજસુધારણા, પરિવર્તન અને નવનિર્માણનો સંદેશ દૃષ્ટિગોચર થાય છે. નવલિકા ક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર પ્રદાન છે. ગુજરાતી ગ્રામજીવન સમાજજીવન, શહેરીજીવન, ફિલ્મી દુનિયા સુધીના વિવિધ વિષયો તેમાં આવરી લેવામાં આવ્યા છે. ‘વગડાનાં ફૂલ’, ‘મિલાપ’, ‘શ્રદ્ધાદીપ’, ‘કલ્પના’, ‘છૂટાછેડા’, ‘શમણાંની રાખ’, ‘સૌભાગ્યનો શણગાર’, ‘નીલ ગગનનાં પંખી’, ‘રૂડા સરોવરિયાની પાળ’, ‘સંતનો દીવો’, ‘ઝૂલતા મિનારા’ તેમની જાણીતી નવલિકાઓ છે. ‘ભારતનાં નવાં યાત્રાધામો’ તેમના દ્વારા લખાયેલ પ્રવાસગ્રંથ છે. એમણે ‘માણસાઈની વાતો’ અને ‘મંગલ વાતો’ જેવાં સંપાદનો પણ આપ્યાં છે. વાર્તામાસિક ‘આરામ’નું સંપાદન તેમણે ઘણાં વર્ષો સુધી સફળતાપૂર્વક કર્યું હતું.