Categories
વાચન સમૃદ્ધિ

કૃષ્ણવીર દીક્ષિત

જ. ૧૨ જુલાઈ, ૧૯૧૫ અ. ૧૩ એપ્રિલ, ૧૯૯૯

સંપાદક, વિવેચક અને પત્રકાર તરીકે જાણીતા કૃષ્ણવીર દીક્ષિતનો જન્મ સૂરતમાં થયો હતો. તેમના પિતાનું નામ ત્રૈલોક્યનારાયણ અને માતાનું નામ સૂર્યવદનગૌરી હતું. તેઓ ‘કૃ. દી.’ અને ‘પરંતપ’થી જાણીતા હતા. તેમણે સૂરતની એમ. ટી. બી. આર્ટ્સ કૉલેજમાંથી ૧૯૪૫માં બી.એ.ની ડિગ્રી મેળવી. તે પહેલાં તેઓએ સૂરત સુધરાઈનાં વિવિધ ખાતાંઓમાં કામગીરી કરેલી. ૧૯૩૬થી ૧૯૪૦ દરમિયાન સૂરતમાં શ્રી વિઠ્ઠલદાસ ઠાકોરદાસ હિંદુ ગુરુકુળમાં શિક્ષક રહ્યા. ત્યારબાદ ૧૯૪૫થી ૧૯૭૬ સુધી ‘જન્મભૂમિ’ દૈનિકમાં વૃત્તસંપાદક તરીકે કાર્ય કર્યું. માટુંગાની વિમેન્સ કૉલેજ અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક તરીકે સાતેક વર્ષ પત્રકારત્વ વિભાગમાં કામ કર્યું. તેમણે ૧૯૪૮થી ‘જન્મભૂમિ’માં સમાચારસંપાદક અને સાહિત્યવિભાગ ‘કલમ અને કિતાબ’ના સંપાદક તરીકે પણ કામ કર્યું હતું અને સાથે સાથે ૧૯૫૪થી સૂરતથી નીકળતા ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં ‘અક્ષરની આરાધના’ કૉલમનું મૃત્યુપર્યંત સંપાદન કર્યું. પુસ્તકોનાં અવલોકનો અને વૃત્તાંતનિવેદનની અપૂર્વ કામગીરી કરી. તેમની પાસેથી ગ્રંથકાર શ્રેણી અંતર્ગત ‘સ્વામી આનંદ’ની પુસ્તિકા મળે છે. ‘જ્યાં જ્યાં નજર પડે મારી’ તથા ‘હીરાને પત્રો’નું સુંદર સંપાદન કર્યું છે. આ ઉપરાંત કૃષ્ણવીર દીક્ષિતે ‘આહલાદ’, ‘કથાદીપ, ‘પરિચય પુસ્તિકાનાં પચીસ વર્ષ’, ‘ભાવન’, ‘રંગવિહાર’, ‘લહર’, ‘સંપ્રાપ્તિ’, ‘સંસ્પર્શ’ જેવાં પુસ્તકોનું લેખન અને સંપાદન કર્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

આગળ છલાંગ લગાવીને સિદ્ધિ મળતી નથી

ધ્યેયસિદ્ધિ માટે આગળ નજર રાખીને ચાલવાનું સહુ કોઈ કહે છે, પરંતુ હકીકતમાં ધ્યેયસિદ્ધિ માટે પાછલા પગે ચાલવાની આવડત હોવી જોઈએ. ધ્યેય નક્કી કરીને માત્ર આગળ ચાલનારને સિદ્ધિ મળતી નથી, પરંતુ એક વાર ધ્યેય નક્કી કરીને જે પાછલા પગે ચાલીને વિચાર કરે છે કે કઈ કઈ ક્ષમતા અને યોગ્યતા પ્રાપ્ત કરું તો આ સિદ્ધિ મળે, તેવી વ્યક્તિ સફળ થાય છે. આવી વ્યક્તિ પોતાની ધ્યેયપ્રાપ્તિનો નકશો તૈયાર કરે છે એટલે કે એને એકસોના આંકડે પહોંચવું હોય તો પહેલાં પાછળ જઈને એકના આંકડાથી શરૂઆત કરવાની હોય છે. આનો અર્થ એ કે ધ્યેયપ્રાપ્તિ માટે યોગ્ય આયોજન કરવું પડે છે. એની પાસે કેટલી શક્તિ અને સાધનસામગ્રી છે અને કેટલી શક્તિ અને સાધનસામગ્રીની એને જરૂર પડશે. કયા કયા સમયે કેટલું કાર્ય સિદ્ધ થવું જરૂરી છે કે જેથી એ એના અંતિમ મુકામે સમયસર પહોંચી શકે. રસ્તામાં આવનારી પ્રત્યેક મુશ્કેલીઓ વિશે એ આગોતરો વિચાર કરી રાખશે અને પછી એણે એકેએક પગલે કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવાનો છે અને એને માટે એને કેવી સજ્જતા કેળવવાની છે એનો વિચાર કરીને સમગ્ર કાર્યનું આયોજન કરશે, કારણ કે એ જાણે છે કે રાતોરાત સિદ્ધિ સાંપડતી નથી. એનો પંથ ઘણો લાંબો હોય છે. એમાં એક પછી એક પગલાં ભરીને આગળ વધવાનું હોય છે. કોઈ છલાંગ લગાવીને સિદ્ધિ મેળવી શકાતી નથી. અને એ રીતે પોતાની આજની, આવતી કાલની અને ધ્યેયપ્રાપ્તિ થાય ત્યાં સુધીની જરૂરિયાતોનો વિચાર કરી લેતા હોય છે. માત્ર વિચાર કરવાથી, શુભેચ્છા વ્યક્ત કરવાથી કે સદભાવનાથી સિદ્ધિ સર્જાતી નથી. એને માટે લાંબા ગાળાનું આયોજન, વ્યવસ્થિત પ્રયત્ન અને શક્તિનો વાસ્તવિક અંદાજ જરૂરી છે.

Categories
વાચન સમૃદ્ધિ

વાડીલાલ મોતીલાલ શાહ

જ. ૧૧ જુલાઈ, ૧૮૭૮ અ. ૨૧ નવેમ્બર, ૧૯૩૧

ગુજરાતી સાહિત્યના ઉત્તમ નિબંધલેખક. એમનું વતન અમદાવાદ જિલ્લાનું વિશલપુર ગામ. પ્રાથમિક શિક્ષણ વિરમગામમાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. પોતાની જરૂરિયાતોને પહોંચી વળવા ટ્યૂશન પણ તેઓ કરતા હતા. કૉલેજના અભ્યાસ દરમિયાન મુનિશ્રી છગનલાલજી સ્વામીના સંપર્કમાં આવ્યા. બાળપણથી જ પિતાએ ધાર્મિક સંસ્કાર આપેલા. જૈન સમાજમાં જાગૃતિ લાવવા માટે એમણે એક માસિકપત્ર શરૂ કરવાનું વિચાર્યું. તેઓ જે લખતા તેમાં વિષયવૈવિધ્ય એટલું હતું કે એમણે ત્રીસથી પણ વધારે ઉપનામો રાખેલાં. થોડાંક ઉપનામો જોઈએ – ‘કૈવલ્ય’, ‘અનેકાન્તવાદી’, ‘ભમતો ભૂત’, ‘વનિતાનો વકીલ’, ‘શાહ’ વગેરે. તેમના રસના વિષયો વેદાંત અને જૈનદર્શનના રહ્યા હતા. તત્ત્વજ્ઞાની શોપનહોઅર અને નિત્શેથી તેઓ ખૂબ પ્રભાવિત થયેલા. એમણે સાહિત્યમાં વિપુલ સર્જન કર્યું છે. તેમના સાહિત્યમાંથી પસાર થતાં કોઈ સાધકનું સર્જન હોય તેમ લાગે. તેમનાં લખાણો અભ્યાસીઓને ઉપયોગી થાય તેવાં છે. તેમણે જૈન ધર્મના વાડા ભૂલીને જૈન વિદ્યાર્થીગૃહની સ્થાપના કરેલી. તેમણે નવલકથાઓ આપી છે તેમાં મુખ્યત્વે ધર્મતત્ત્વને કેન્દ્રમાં રાખીને લખાયેલી છે. જેમાં ‘નમીરાજ’ (૧૯૦૬), ‘સુદર્શન’ ભાગ-૧ (૧૯૦૮) અને ‘મૃત્યુના મોંમાં અથવા અમૃતલાલનું અઠવાડિયું’ (૧૯૨૧) ઉલ્લેખનીય છે. તેમણે લખેલી ધર્મકથાઓમાં ‘સતી દમયંતી’ (૧૯૦૨), ‘ઋષિદત્તા આખ્યાયિકા’ (૧૯૦૪) અને ‘મસ્તવિલાસ’ (૧૯૨૫). ‘શ્રી મહાવીર’ (૧૯૦૮) શીર્ષક સૂચવે છે તેમ ચરિત્રનો ગ્રંથ છે. એમણે થોડાં સંપાદનો પણ કર્યાં છે. ‘મહાત્મા કબીરનાં આધુનિક પદો’ ભાગ-૧, ‘ધર્મસિંહ બાવની’, ‘જૈન સમાચાર ગદ્યાવલિ’ ખંડ ૧-૮ અને ખંડ ૯-૧૦. વાડીલાલનાં અન્ય નોંધપાત્ર પુસ્તકોમાં ‘પોલિટિકલ ગીત અથવા ધી ફિલૉસૉફી ઑફ લાઇફ’, ‘આર્યધર્મ’, ‘પ્રાયશ્ચિત્ત’ અને જૈન ધર્મના સ્તોત્ર વિશે, ભગવાન મહાવીર વિશે, પર્યુષણ પર્વ વિશે અનેક પુસ્તકો એમની પાસેથી મળે છે.  ‘જૈન હિતેચ્છુ’ માસિક અને ‘જૈન સમાચાર’ સાપ્તાહિકના તંત્રીપદે પણ રહ્યા હતા. ઝવેરચંદ મેઘાણીએ એમને ‘ચિંતનગદ્યના જનક’ તરીકે બિરદાવ્યા છે. બળવંતરાય ઠાકોરે વિલક્ષણ ગદ્યકાર અને મૂર્ધન્ય વિવેચક ગણાવ્યા છે.