Categories
વાચન સમૃદ્ધિ

શિલોંગ

ભારતના પૂર્વ ભાગમાં આવેલા મેઘાલય રાજ્યનું પાટનગર.

તે ૨૫ ૩૪´ ઉ. અ. અને ૯૧ ૫૩´ પૂ. રે. પર આવેલું છે. અગાઉ તે આસામ રાજ્યનું પાટનગર હતું. શિલોંગ ભારતનાં ઈશાની રાજ્યોમાં આવેલાં બધાં જ શહેરો પૈકી સૌથી મોટું શહેર છે.

તેની રમણીયતાને લીધે શિલોંગ અને તેની આજુબાજુનો પ્રદેશ ‘સ્કૉટલૅન્ડ ઑવ્ ઈસ્ટ’ તરીકે પ્રખ્યાત બન્યો છે. રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા ઈસ્ટ ખાસી હિલ્સ જિલ્લાનું તે વડું વહીવટી મથક છે. તેની વસ્તી લગભગ ૩,૫૪,૦૦૦ (૨૦૧૧ મુજબ) જેટલી છે.

શિલોંગ ખાસીની ટેકરીઓથી બનેલા ઉચ્ચપ્રદેશ પર સમુદ્રસપાટીથી ૧,૪૭૦ મીટરની ઊંચાઈએ વસેલું છે. શિલોંગ પૉઇન્ટ અહીંનું સર્વોચ્ચ શિખર છે. ઉમિખેમ, ઉમિયામ અને ઉમસિયાંગ અહીંની મુખ્ય નદીઓ છે. શિલોંગના ઉચ્ચપ્રદેશમાંથી નીકળતી આ નદીઓ બ્રહ્મપુત્ર કે સુરમા નદીને મળે છે. અહીંની આબોહવા ગરમ-ભેજવાળી છે. બંગાળના ઉપસાગર પરથી વાતા ભેજવાળા પવનો વર્ષાૠતુ દરમિયાન અહીં પુષ્કળ વરસાદ આપે છે. અહીં મળી આવતાં ખનિજોમાં કોલસો, ચૂનાખડકો અને અમુક પ્રમાણમાં લોહઅયસ્કનો સમાવેશ થાય છે. ઇમારતી લાકડાં, ખાદ્યપાકો અને બટાકાનું મુખ્ય બજાર અહીં વિકસ્યું છે. તે ઉપરાંત અહીં ડેરીની પેદોશો, ફળો તથા રેશમનું ઉત્પાદન થાય છે.

આ શહેર ખાતે સિમેન્ટનાં કારખાનાં; કાંડાઘડિયાળ (HMT), દવાઓ, જંતુનાશક દવાઓ, વીજળીનાં સાધનો તથા દારૂ બનાવવાના એકમો આવેલા છે. આ શહેરમાં અનેક હોટલો તેમ જ ગૉલ્ફનું મેદાન આવેલાં છે. અહીં વિવિધ વિદ્યાશાખાઓ ધરાવતી યુનિવર્સિટી પણ છે. ચિકિત્સાલયો સહિતની તબીબી સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે.

ભારતનો ૪૦ નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ આ શહેરમાંથી પસાર થાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

શિવકુમાર ગિરજાશંકર જોશી

જ. ૧૬ નવેમ્બર, ૧૯૧૬ અ. ૪ જુલાઈ, ૧૯૮૮

કૉલકાતામાં રહેવા છતાં ગુજરાતથી કદી અળગા ન થનાર નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર શિવકુમારનો જન્મ પિતા ગિરજાશંકર અને માતા તારાલક્ષ્મીને ત્યાં અમદાવાદમાં થયો હતો. પ્રાથમિક, માધ્યમિક તેમજ કૉલેજશિક્ષણ અમદાવાદમાં થયું હતું. ઈ. સ. ૧૯૩૭માં ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃત સાથે બી.એ.ની ડિગ્રી મળી તે પછી પિતાજીએ તેઓને કાપડના ધંધામાં ગોઠવવા કૉલકાતા મોકલી આપ્યા. આ પરિસ્થિતિ શિવકુમારને ફળી ગઈ. તેમના સમગ્ર જીવન પર તેની ઘેરી અસર પડી અને આ નવા વાતાવરણમાં તેઓનો સારો વિકાસ થયો. નાટ્યલેખન, અદાકારી, દિગ્દર્શન, નિર્માણ અને સંયોજનમાં સંગીત અને પ્રકાશનમાં શિવકુમાર ઘણા માહિર હતા. રંગભૂમિ પર ચાર દાયકા સુધી તેમનાં નાટકો અને નવલકથાઓ હિંદી અને ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થતાં રહ્યાં. શિવકુમાર ચિરપ્રવાસી હતા, આથી પ્રવાસવર્ણનોનાં બે દળદાર પુસ્તકો તથા આત્મકથનાત્મક પુસ્તક ‘મારગ આ પણ છે શૂરાનો’ પ્રગટ કર્યાં છે. શિવકુમારે દિલ્હીની સાહિત્ય અકાદમીના આમંત્રણથી બંગાળીમાં અનુવાદો કર્યા છે. ૩૬ વર્ષના તેઓના લેખનકાળમાં લગભગ ૯૦ પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. તેમણે એકાંકી, નિબંધ, અનુવાદ, વિવેચન, નવલકથા, નવલિકા, નાટક, રેડિયોનાટક એમ સાહિત્યનાં અનેક સ્વરૂપોમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે.

તેમને ઈ. સ. ૧૯૫૨માં કુમાર ચંદ્રક, ૧૯૫૯માં નર્મદ સુવર્ણચંદ્રક અને ૧૯૭૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા હતા. તેમના નાટક ‘સુવર્ણરેખા’ (૧૯૬૧) માટે તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

પુત્રને પોતાની ઇચ્છાનો પડછાયો

બનાવશો નહીં ================

કલ્પના પણ કરી ન હોય તેમ માતાપિતા પોતાના બાળક પર બોજરૂપ બને છે. તેઓ તેમના મનની ઇચ્છા અને મહત્ત્વાકાંક્ષાનો બોજ નાની વયના શિશુ પર લાદે છે અને એને એ દિશામાં દોરવાનો યત્ન કરે છે. પિતાની ઇચ્છા પુત્ર વેપારી બને તેવી હોય, તો તે પુત્રના જન્મથી જ એને વેપારી તરીકે જોશે. એની વેપારી તરીકેની કુનેહ ખીલવવા કોશિશ કરશે. પોતાના અનુભવો અને સિદ્ધિઓ કહીને બાળકને એ દિશામાં વાળવા પ્રયાસ કરશે. એને માટે કોઈ રસ્તો પણ બનાવી રાખશે.

આમ પિતા જે હોય છે તે અથવા તો જે બની શક્યા નથી તે, પોતાનો પુત્ર બને તેને માટે પ્રયાસ કરતા હોય છે અને તેથી જ પિતાની અતૃપ્ત ઇચ્છા કે મહત્ત્વાકાંક્ષાઓનો બોજ બાળક પર પડતો હોય છે. બાળકને પોતાની ઇચ્છાનો પડછાયો બનાવવા વિચારતા હોય છે. પુત્રને એન્જિનિયર બનાવવાની ઇચ્છાવાળા પિતાને એમ જાણ થાય કે પુત્રને નાટ્યવિદ્યા કે સંગીતકલામાં રસ છે, તો પિતા બેચેન બની જશે, કારણ કે એને તો બાળકને પોતાની ઇચ્છાના ઢાંચામાં ઢાળવો છે. એમાં કશુંક પ્રતિકૂળ થાય તો પિતાનો દિમાગ જતો રહે છે અને બાળકના ભાવિ વિશે ઘણી વાર નાહી નાખે છે.

પિતાના આ ‘બોજને કારણે બાળકનો નૈસર્ગિક વિકાસ રૂંધાય છે. એની અંદર પડેલી સર્જનાત્મકતા ગૂંગળાય છે. પિતા એના ખ્યાલોથી બાળકને બાંધવા પ્રયાસ કરે છે ત્યારે પિતાને મન જેનું મૂલ્ય હોય છે, તે બાળકને મન સાવ તુચ્છ હોય છે. બાળક કલાકાર બનવા માગતો હોય, તો એને ક્યારેય અઢળક ધનસંપત્તિના સ્વામી થવાનો વિચાર નહીં આવે, પરંતુ અઢળક સંપત્તિનો સ્વામી એવો એનો પિતા બાળકની કલારુચિ પ્રત્યે તિરસ્કાર દાખવીને એને પોતાને રસ્તે લઈ જવા પ્રયાસ કરશે. બાળકને માત્ર પ્રેમ આપવો એ જ પૂરતું નથી, એને ઓળખવો જોઈએ અને એની ઇચ્છાઓને આદર આપવો ઘટે.

કુમારપાળ દેસાઈ