Categories
વાચન સમૃદ્ધિ

સુરિન્દરિંસહ નરૂલા

જ. ૮ નવેમ્બર, ૧૯૧૭ અ. ૧૬ જૂન, ૨૦૦૭

પંજાબના પ્રગતિવાદી સાહિત્યકાર સુરિન્દરસિંહ નરૂલાનો જન્મ અમૃતસરમાં થયો હતો. અમૃતસરની ખાલસા કૉલેજમાંથી ત્રણ સુવર્ણચંદ્રકો મેળવીને બી.એ. થયા અને ૧૯૩૮માં રાજ્ય સચિવાલયમાં કાર્યરત બન્યા. ૧૯૪૨માં અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે લુધિયાણાની સરકારી કૉલેજમાં અંગ્રેજી અને અમેરિકન સાહિત્યના અનુસ્નાતક વિભાગના વડા તરીકે અધ્યાપનકાર્ય કર્યું. રાવલપિંડીની ખાલસા કૉલેજમાં પણ થોડા સમય માટે કામ કર્યું. સુરિન્દરસિંહે પંજાબી કથાસાહિત્યમાં યથાર્થવાદનો આરંભ કર્યો અને નવલકથાના વિષયવસ્તુ અને શૈલીની દૃષ્ટિએ અસંખ્ય પ્રયોગો કર્યા. એમની કથાઓની વિશેષતા એમાંની દૃશ્યક્ષમતાને કારણે છે. તેમની પ્રથમ નવલકથા ‘પિયો પુત્તર’(પિતા-પુત્ર)માં અમૃતસરના શહેરીજીવનનું સર્વવ્યાપી ચિત્રનું ઐતિહાસિક દૃષ્ટિએ નિરૂપણ કર્યું છે. તેમની બીજી નવલકથા ‘સિલાલૂની’માં ભારતના વિભાજન પછી પંજાબમાં થયેલાં હત્યાકાંડનાં હૃદયદ્રાવક દૃશ્યોનો ચિતાર આલેખ્યો છે. તેમની કેટલીક પ્રસિદ્ધ નવલકથાઓમાં ‘રંગમહલ’, ‘જગબીતી’, ‘રાહે કુરાહે’, ‘નીલીબાર’, ‘દીનદુખિયા’ વગેરેનો સમાવેશ થાય છે. તેમનાં લખાણોનો હિન્દી, ગુજરાતી, બંગાળી તથા મલયાળમ ભાષાઓમાં અનુવાદ થયો છે. તેમનાં કેટલાંક પુસ્તકોનો રશિયન તેમજ કેટલીક વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો છે. તેમણે ૧૨ નવલકથાઓ, ૭ ટૂંકી વાર્તાનાં પુસ્તકો, કવિતાસંગ્રહો તથા વિવેચનકાર્ય પંજાબી અને અંગ્રેજી ભાષામાં લખ્યાં છે. તેમનાં લખાણોમાં ડાબેરી વિચારસરણીની છાંટ જણાય છે.

તેમની પ્રસિદ્ધ નવલકથા ‘સિલાલૂની’ માટે પંજાબ સરકાર તરફથી ૧૯૫૫માં તેમને પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું હતું. ૧૯૮૧માં પંજાબ સરકારના સાહિત્ય વિભાગ તરફથી વર્ષના શ્રેષ્ઠ સાહિત્યકારનો ઍવૉર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

કરુણા જન્મતી નથી, મૃત્યુ

પામતી નથી

માનવી પ્રકૃતિએ ગુણવાન હોવા છતાં અવગુણોની ખાણ કેમ બની ગયો ? એના હૃદયમાં કરુણા સતત પ્રવાહિત હોવા છતાં એ શા માટે ક્રૂર અને ઘાતકી બની ગયો ? હકીકતમાં કરુણા એ એનો સ્વભાવ હોવાથી એને એનું સર્જન કરવું પડતું નથી કે એનું વિસર્જન કરવું પડતું નથી. એ કરુણા કોઈ કારણથી જાગતી નથી કે એ કરુણા કોઈ નિમિત્તથી વિસરાઈ જતી નથી. આમ છતાં માનવ કરુણામય જીવનને બદલી સ્વાર્થી જીવન કેમ જીવે છે ? અંગત લાભને ખાતર અન્યને હાનિ કરતાં કેમ અચકાતો નથી ? પોતાનું સાધ્ય સિદ્ધ કરવા માટે એ કોઈ પણ દાનવી કે અમાનવીય સાધન અજમાવતાં કેમ અચકાતો-ખચકાતો નથી ? આ બધી ક્ષણોએ એના હૃદયમાં કરુણા તો વહેતી જ હોય છે. માત્ર એના પર અવરોધ કે આવરણ આવી ગયું હોય છે. આકાશમાં સૂર્ય તો સદા ચમકતો હોય છે. એની આગળ વાદળોનું આચ્છાદન થાય તો સૂર્ય થોડા સમય માટે ઢંકાઈ જાય છે, પણ એનો અર્થ એ નથી કે સૂર્ય સંપૂર્ણપણે અસ્ત કે નષ્ટ થયેલો છે. કરુણા અને ક્રૂરતા વચ્ચે ભેદ એ છે કે કરુણા જન્મતી નથી અને મૃત્યુ પામતી નથી. ક્રૂરતા જન્મે છે અને મૃત્યુ પામે છે. ક્રૂરતા ક્યારેક પ્રગટ થાય છે અને કરુણા પર આવરણ નાખી દે છે, પરંતુ એ ક્રૂરતા દૂર થશે એટલે તરત જ કરુણા આપોઆપ અનુભવાશે. ક્રૂરતાને પ્રગટવા માટે કારણ જોઈએ. કોઈ આધાર કે સાધન જોઈએ, કરુણાને પ્રગટાવવાની હોતી નથી, એ તો માનવહૃદયમાં અવિરતપણે વહેતી હોય છે.

શોક અંગત હોય છે, કરુણા સાર્વત્રિક છે. શોકમાં દુ:ખ છે, કરુણામાં સ્નેહ છે. સ્વજનના મૃત્યુથી શોક થાય છે, કોઈ પરાયાની પીડા જોઈને કરુણા જાગે છે. શોકને ‘સ્વ’ની સીમા વળગેલી છે, કરુણા પાસે ‘સર્વ’ પ્રત્યે અસીમ સંવેદના હોય છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

સી. વી. રામન

જ. ૭ નવેમ્બર, ૧૮૮૮ અ. ૨૧ નવેમ્બર, ૧૯૭૦

‘રામન પ્રભાવ’ના શોધક અને ભારતીય ભૌતિકવિજ્ઞાની ચંદ્રશેખર વેંકટ રામનનો જન્મ થીરુવનૈક્કવલમાં થયો હતો. પિતા ચંદ્રશેખર અને માતા પાર્વતીદેવી. બાળપણથી જ અભ્યાસમાં હોશિયાર હતા. માત્ર ૧૧ વર્ષની ઉંમરે હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ૧૮મા વર્ષે રાજ્યમાં પ્રથમ નંબર સાથે અનુસ્નાતક  થયા અને ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજીમાં સુવર્ણચંદ્રક મેળવ્યો. ૧૯૦૬માં ‘લાઇટ સ્પેક્ટ્રમ’ પરનો લેખ લંડનથી પ્રકાશિત પત્રિકા ‘ફિલૉસૉફિકલ’માં અને બીજો લેખ ‘સરફેસ ટેન્શન’ પરનો લેખ લંડનની ‘નેચર’ પત્રિકામાં પ્રસિદ્ધ થયો હતો. ૧૯૦૭માં સિવિલ સર્વિસની પરીક્ષા પ્રથમ ક્રમાંકે  ઉત્તીર્ણ કરતાં અંગ્રેજ સરકારે નાણાખાતામાં કૉલકાતામાં આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલના હોદ્દા પર નિમણૂક કરી. ૧૯૧૧માં એકાઉન્ટન્ટ જનરલ બન્યા. તેમણે નોકરીની સાથે સાથે ૨૭ સંશોધન લેખો લખ્યા. એ બદલ ‘કર્ઝન રિસર્ચ ઍવૉર્ડ’ અને ‘તુડબર્ન રિસર્ચ મેડલ’થી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ૧૯૧૭માં કૉલકાતા યુનિવર્સિટીની વિજ્ઞાન કૉલેજમાં ભૌતિકવિજ્ઞાનના અધ્યાપક તરીકે જોડાયા. તેમણે શોધેલ ‘રામન પ્રભાવ’ પર હજારો સંશોધનપત્રો પ્રસિદ્ધ થયાં છે.

તેમણે ૧૯૪૮માં બૅંગાલુરુમાં રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. તેમને મળેલા નોબેલ પ્રાઇઝ અને લેનિન પીસ પ્રાઇઝની રકમ તેમણે આ ઇન્સ્ટિટ્યૂટને ચલાવવા આપી હતી. તેમણે ‘સાયન્સ’, ‘કરન્ટ સાયન્સ’, ‘ઇન્ડિયન જર્નલ ઑવ્ ફિઝિક્સ’ જેવાં સામયિકો અને જર્નલો શરૂ કર્યાં. તેમણે ‘ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સીસ’ની સ્થાપના કરી. તેઓ સંગીતનાં અનેક વાદ્યોના નિષ્ણાત હતા.  અમેરિકાની સંગીતની સંસ્થા ‘કેટગટ એકોસ્ટિકલ સોસાયટી’એ તેમની માનદ સભ્યપદે નિયુક્તિ કરેલી. તેઓ બૅંગાલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સના પ્રથમ ભારતીય ડાયરેક્ટર હતા.

૧૮થી વધુ યુનિવર્સિટીઓએ તેઓને માનદ ડૉક્ટરેટની પદવી આપી હતી. ૧૯૨૯માં નાઇટહુડ ‘સર’, ૧૯૩૦માં હ્યુજ ચંદ્રક અને નોબેલ પારિતોષિક, ૧૯૪૧માં ફ્રેંકલીન ચંદ્રક, ૧૯૫૪માં ભારતરત્ન, ૧૯૫૭માં લેનિન પીસ પ્રાઇઝ જેવાં અનેક સન્માનો મળ્યાં હતાં. પોતાને મળેલું નોબેલ પારિતોષિક તેમણે સ્વાતંત્ર્યસંગ્રામના ક્રાંતિકારીઓને અર્પણ કર્યું હતું.

અનિલ રાવલ