Categories
વાચન સમૃદ્ધિ

ઈશ્વરભાઈ પટેલ

જ. ૨ નવેમ્બર, ૧૯૨૪ અ. ૧૦ નવેમ્બર, ૧૯૮૯

ગુજરાતી કેળવણીકાર અને બે યુનિવર્સિટીના કુલપતિપદે રહેલા ઈશ્વરભાઈનો જન્મ પીજ(જિ. નડિયાદ)માં લેઉઆ પાટીદાર જ્ઞાતિના જેઠાભાઈ પટેલ અને રૂપાબાને ત્યાં થયો હતો. એમ.એ. અને બી.ટી.ની પદવી પ્રાપ્ત કરી અમેરિકા ગયા. ત્યાં ન્યૂયૉર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં શૈક્ષણિક  સંચાલનનું વિશેષ શિક્ષણ લીધું. ૧૯૩૭માં આણંદની ડી. એન. હાઈસ્કૂલમાં શિક્ષક થયા. ૧૯૪૨માં ‘ભારત છોડો’ આંદોલનમાં જોડાયા અને કારાવાસ ભોગવ્યો. મુક્તિ બાદ શિક્ષણકાર્યમાં જોડાયા. ૧૯૬૩થી ૧૯૭૦ સુધી સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિપદે રહ્યા. ૧૯૭૩માં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિપદે પણ રહ્યા. ૧૯૬૭માં સરદાર પટેલ  યુનિવર્સિટીના નેજા હેઠળ ‘જ્ઞાનગંગોત્રી’ નામની ૩૦ ગ્રંથની જ્ઞાનકોશ શ્રેણીનું આયોજન કર્યું. ૧૯૭૦માં તેમણે યુનિવર્સિટી છોડી પણ જ્ઞાનગંગોત્રીનું કામ ચાલુ હતું. ૧૯૯૬માં ૩૦ ગ્રંથ સાથે આ જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી પૂર્ણ થઈ. તેઓ ગ્રંથનિર્માણ બોર્ડમાં હતા ત્યારે તેમણે સર્વસામાન્ય ગુજરાતી જ્ઞાનકોશનું આયોજન કરેલું જે થઈ શક્યું નહોતું. જોકે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના જ્ઞાનકોશનું કાર્ય ૧૯૮૪માં સંપન્ન થઈ શકેલું. તેમણે શિશુભારતી, બાલભારતી તથા કિશોરભારતી નામે જ્ઞાનસાહિત્યની શ્રેણીનું આયોજન પણ કર્યું હતું. થોડો સમય તેમણે બાલમાસિક ‘બાલમિત્ર’ અને વિજ્ઞાનમાસિક ‘વિજ્ઞાનદર્શન’નું સંપાદનકાર્ય સંભાળેલું. તેમણે અનેક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓમાં સેવા આપી હતી.

તેમની પાસેથી ‘બહુરત્નાવસુંધરા’, ‘ત્યાગવીર દરબારસાહેબ’, ‘લાલા લજપતરાય’ વગેરે મળી લગભગ નવેક જીવનચરિત્રો મળ્યાં છે. આ ઉપરાંત તેમણે પ્રસંગકથાઓ, કિશોરકથાઓ, નિબંધસંગ્રહો તથા અનુવાદક્ષેત્રે પણ કાર્ય કર્યું હતું. તેમનાં કેટલાંક પુસ્તકોને રાજ્યકક્ષાનાં પારિતોષિકો મળ્યાં હતાં. આંતરડાંના કૅન્સરથી અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું.

શ્રદ્ધા ત્રિવેદી

Categories
વાચન સમૃદ્ધિ

રાવણના મૃત્યુથી રામની આંખોમાં આંસુ !

રામાયણ અનેક રૂપે મળે છે. ભારતની પ્રચલિત રામાયણ અને બર્મા, શ્રીલંકા, જાવા કે સુમાત્રામાં મળતી રામાયણ ભિન્ન છે. આવી જ રીતે બૌદ્ધ રામાયણ અને જૈન રામાયણ પણ મળે છે. જૈન રામાયણમાં મળતો આ એક માર્મિક પ્રસંગ છે. યુદ્ધના મેદાન પર રાવણ અંતિમ શ્વાસ લેતો હતો. થોડી પળોનો એ મહેમાન હતો. આયુષ્યનો દીપક બુઝાવાની તૈયારીમાં હતો. લક્ષ્મણે શ્રીરામને આ સમાચાર આપ્યા. એ સમાચાર સાંભળતાં જ રામ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. આ જોઈને સહુ કોઈને આશ્ચર્ય થયું. રાવણનો સંહાર કરવા માટે તો રામે યુદ્ધ ખેલ્યું અને એ રાવણ મૃત્યુ સમીપ હોવાના સમાચારથી તો રામ આનંદિત થવા જોઈએ, એને બદલે વ્યથિત થઈ ગયા ! લક્ષ્મણે વડીલબંધુ રામને કહ્યું, ‘મોટા ભાઈ ! તમે શા માટે આટલું બધું રડો છો ? તમારે માટે તો આ ધ્યેયસિદ્ધિનો અવસર છે.’ શ્રીરામે કહ્યું, ‘લક્ષ્મણ ! રાવણે સીતાનું અપહરણ કરવાનું દુષ્કૃત્ય કર્યું તે સાચું, એટલે અંશે એણે અન્યાયનો આશરો લીધો તે પણ ખરું, પરંતુ આ દુષ્કૃત્ય વિસ્મૃત કરીને રાવણનો વિચાર કરી જુઓ !

લક્ષ્મણે પૂછ્યું, ‘કેવો લાગે છે રાવણ ?’

રામે કહ્યું, ‘રાવણ પાસે અગણિત ગુણોનો ભંડાર હતો. માત્ર એના અહંકારને કારણે એણે આવું કર્યું, પરંતુ જો એમાંથી એ બચી શક્યો હોત તો એના ગુણોએ એને મહાન બનાવ્યો હોત. આજે એના મૃત્યુ સમયે મને લાગે છે કે વિશ્વમાંથી એક તત્ત્વવેત્તા વિદાય પામી રહ્યો છે, એથી જ એના મૃત્યુની વાત મારી આંખમાં આંસુ લાવે છે.’ લક્ષ્મણ રામની ભાવના જોઈને પ્રસન્ન થયો. એ તરત રાવણ પાસે દોડી ગયો અને એને કહ્યું કે, ‘દશાનન, તમારા જીવનના અંતકાળના સમાચાર જાણીને મારા મોટા ભાઈ ખૂબ રડી પડ્યા અને તમારા સારા ગુણોનું ચિંતવન કરવા લાગ્યા.’ આ સાંભળી અંતિમ શ્વાસ લેતા રાવણે કહ્યું, ‘સુમિત્રાનંદન ! એટલે તો સહુ કોઈ એમને રામ કહે છે.’ રાવણનો આ ઉત્તર સાંભળીને લક્ષ્મણ સ્તબ્ધ બની ગયો. પોતાના દુશ્મનના સારા ગુણો ભાગ્યે જ કોઈને દેખાય છે. દુશ્મનને દાનવ ચીતરવો સહુને ગમે છે. શત્રુના દોષને ઘણા મોટા કરીને જુએ છે પછી એને વિશે અવગુણોનું કાળું ચિત્ર પોતાના મનમાં દોરે છે. આનાથીય એની વૈરભાવનાને સંતોષ થતો નથી, ત્યારે એ કાળા ચિત્ર પર લાગે કે ન લાગે, તોય વધુ કાળો રંગ લગાડે જાય છે. રામ અને રાવણ એકબીજાના વિરોધી હતા, પરંતુ સાથોસાથ પરસ્પરના ગુણોને ઓળખનારા હતા. આને પરિણામે જ રામ રાવણના ગુણો જોઈ શકે છે અને રાવણ રામની મહત્તા પારખી જાણે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

મૂળશંકર હરિનંદ મૂલાણી

જ. ૧ નવેમ્બર, ૧૮૬૭ અ. ૧૪ ડિસેમ્બર, ૧૯૫૭

જૂની ગુજરાતી રંગભૂમિના નાટ્યલેખક. અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં જન્મ. જૂનાગઢમાં અંગ્રેજી ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ ઘરે રહી ધાર્મિક કાર્યો અને સંસ્કૃત ભાષાના ગ્રંથોનું નિયમિત વાંચન કરતા. સંસ્કૃતના પ્રખર વિદ્વાન પાસે અભ્યાસ પણ કર્યો. ધારી ગામમાં ગ્રામ વિકાસ અધિકારી તરીકે કાર્ય આરંભ્યું, પરંતુ મુંબઈ જવાનું થતાં નોકરી છોડી દેવી પડી. કેટલોક સમય સંઘર્ષમાં વિતાવી ‘સત્યવક્તા’ સાપ્તાહિકમાં પ્રૂફરીડર તરીકે જોડાયા. તેઓ પોતાની કટાર ‘ઘનઘટા’માં સત્યઘટનાઓ વર્ણવતા. આ સાપ્તાહિકના તંત્રી પણ બનેલા. પ્રારંભથી જ નાટ્યલેખનનો શોખ હોવાથી ‘શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી’માં લેખક તરીકે નોકરી સ્વીકારી. તેમનું પહેલું નાટક ‘શાકુંતલ’ (૧૮૮૯) અને બીજું નાટક ‘રાજબીજ’ (૧૮૯૧) જે ગેઇટી થિયેટરમાં ભજવવામાં આવેલું તે વ્યાવસાયિક રીતે સફળ પણ થયું. ત્યારબાદ ‘કુંદબાળા’ (૧૮૯૨) અને ‘માનિંસહ અભયસિંહ (૧૮૮૩) જેવાં નાટકો લખ્યાં હતાં.

તેમની તબિયત અસ્વસ્થ રહેતાં વતન પાછા આવ્યા, જ્યાં કેટલાંક સફળ નાટકોની રચના કરી, જેમાં ‘મૂળરાજ સોલંકી’ (૧૮૯૫) અને નંદશંકર મહેતાના કરણઘેલો પર આધારિત ‘કરણઘેલો’(૧૮૯૬) વગેરે. તેમણે શેક્સપિયર તથા કાલિદાસનો અભ્યાસ કરી ‘બૅરિસ્ટર’ (૧૮૯૭) નામનું નાટક લખ્યું, જેમાં એક યુવકને પશ્ચિમી વિશ્વ પ્રત્યેના આકર્ષણથી બરબાદ થતો દર્શાવ્યો છે. તેમણે ગુજરાતી રંગભૂમિને કરુણાંતિકાનો પરિચય કરાવ્યો. ત્યારબાદ ‘જયરાજ’ (૧૮૯૮) અને ‘અજબકુમારી’ (૧૮૯૯) નાટકો લખાયાં. તેમની ઉચ્ચ નાટ્યપ્રતિભાનાં દર્શન તો ‘સૌભાગ્યસુંદરી’ નાટક ભજવાવાથી થયું. આ નાટકમાં જયશંકર ભોજકે નાયિકાનો સુંદર અભિનય કરેલો. ત્યારથી તેઓ ‘સુંદરી’ કહેવાયા. ‘જુગલજુગારી’ (૧૯૦૨) તેમનું સામાજિક થીમનું નાટક હતું. તો ‘કૃષ્ણચરિત્ર’ (૧૯૦૬) ભક્તિભાવ અને ધાર્મિક ભાવનાવાળું, ‘એક જ ભૂલ’માં તેમણે રડારથી વિમાનનું નિયંત્રણ બતાવી વૈજ્ઞાનિક વાતને સૌપ્રથમ વાર દર્શાવી. તેમણે સામાજિક, પૌરાણિક અને ઐતિહાસિક વિષયો પર પચાસથી વધુ નાટકો લખ્યાં હતાં, જેમાંથી લગભગ અઠ્ઠાવીસ મંચસ્થ થયાં હતાં. ૧૯૧૫માં તેમણે ‘મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ છોડી. ૧૯૨૦માં તેમણે ‘આર્યસુબોધ’ ગુજરાતી નાટક મંડળી સાથે કાર્ય કર્યું. રંગભૂમિક્ષેત્રે તેમના વિશિષ્ટ પ્રદાન માટે ગુજરાત વિદ્યાસભા તેમજ મુંબઈની સંસ્થાએ એમનું સન્માન કરેલું.

રાજશ્રી મહાદેવિયા