Categories
વાચન સમૃદ્ધિ

રામપ્રસાદ બક્ષી

જ. ૨૦ જૂન, ૧૮૯૪ અ. ૨૨ માર્ચ, ૧૯૮૭

ગુજરાતી સાહિત્યના પ્રશિષ્ટ પરંપરાના વિવેચક, સંપાદક અને અનુવાદક રામપ્રસાદ બક્ષીનો જન્મ જૂનાગઢમાં પ્રેમશંકર બક્ષીને ત્યાં થયો હતો. વતન મોરબી. તેમણે પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં અને માધ્યમિક શિક્ષણ રાજકોટ-વઢવાણમાં લીધું હતું. ૧૯૧૦માં વઢવાણથી મૅટ્રિક થયા. ૧૯૧૪માં સંસ્કૃત વિષય સાથે બી.એ. થયા. ૧૯૧૫થી તેઓ મુંબઈમાં સ્થિર થયા. ૧૯૨૭થી ૧૯૫૯ સુધી આનંદીલાલ પોદ્દાર હાઈસ્કૂલ, શાન્તાક્રૂઝના આચાર્યપદે રહ્યા. નિવૃત્તિ બાદ મીઠીબાઈ કૉલેજ, વિલેપાર્લેમાં ગુજરાતીના અધ્યાપક થયા. એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાં ત્રણ વર્ષ મુલાકાતી અધ્યાપક પણ રહેલા. તેઓ સંસ્કૃત અને અંગ્રેજીના સારા વાચક અને અભ્યાસી હશે તેવું તેમના લેખો પરથી કહી શકાય. બહુશ્રુતતાનો સ્પર્શ, શાસ્ત્રીયતાનો અભિગમ અને વિવરણપ્રધાન શૈલીવાળું તેમનું વિવેચન તેમને સંસ્કૃત પરિપાટીના વિવેચક તરીકે ઉપસાવે છે. ‘વાઙમયવિમર્શ’(૧૯૬૩)માં સાહિત્યના તત્ત્વની મીમાંસા કરતા લેખો છે. ‘નાટ્ય રસ’ અને ‘કરુણ રસ’માં ભારતીય સંગીતનૃત્યનાટ્ય મહાવિદ્યાલય, વડોદરાના ઉપક્રમે અપાયેલાં વ્યાખ્યાનો સંગૃહિત થયાં છે. તેમાં સંસ્કૃત નાટ્યસિદ્ધાંત અને પાશ્ચાત્ય નાટ્યમીમાંસાનો તુલનાત્મક અભ્યાસ છે. ‘ગોવર્ધનરામનું મનોરાજ્ય’(૧૯૭૬)માં ગોવર્ધનરામની તત્ત્વમીમાંસા અને સાહિત્યિક વિશેષતાની ચર્ચા કરતા લેખો છે. તેમની પાસેથી ‘ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીઝ સ્ક્રેપબુક’, ‘નરિંસહરાવની રોજનીશી’, કરસનદાસ માણેક ષષ્ઠિપૂર્તિગ્રંથ ‘અક્ષર આરાધના’ (અન્ય સાથે), ‘ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ’ વગેરે અનેક સંપાદનો મળ્યાં છે. અનુવાદક્ષેત્રે પણ તેમનું પ્રદાન નોંધપાત્ર છે. ‘કથાસરિતા’, ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય’ (નરિંસહરાવનાં વ્યાખ્યાનો, ભાગ ૧-૨), શીખધર્મસ્તોત્ર ‘સુખમની’ વગેરે તેમની અનૂદિત કૃતિઓ છે. ૧૯૭૬-૭૭માં પોરબંદર ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ હતા. તેમને ૧૯૬૦-૬૪નો નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

શહીદનો પિતા

સ્પેનમાં આંતરવિગ્રહનો ચરુ ઊકળતો હતો. સ્પેનની સરકાર અને સામ્યવાદી પક્ષ વચ્ચે ભીષણ આંતરવિગ્રહ ચાલતો હતો. સ્પેનની સેનાનું નેતૃત્વ કર્નલ માર્સ્કરાડો કરતા હતા. કર્નલ પાસે લશ્કરી વ્યૂહરચનાની આગવી કુનેહ હતી. એમની કાબેલિયતને પરિણામે સામ્યવાદીઓને ઠેરઠેરથી ઘોર પરાજય સહન કરવા પડ્યા. દુશ્મનોએ સ્પેનના લશ્કરના કર્નલ માર્સ્કરાડોના પુત્ર ઇમેન્યુઅલનું અપહરણ કર્યું. સ્પેનની રાજધાની મૅડ્રિડમાં અભ્યાસ કરતા ઇમેન્યુઅલનું અપહરણ કર્યા બાદ સામ્યવાદી દળોએ કર્નલને ચીમકી આપતાં કહ્યું, ‘તારો પુત્ર ઇમેન્યુઅલ અમારા કબજામાં છે. જો એને જીવતો રાખવા ચાહતો હોય, તો રાજધાની મૅડ્રિડમાંથી તમારી સેના હટાવી લો. અમારે શરણે આવો, મૅડ્રિડ અમારે હવાલે કરી દો.’ રાષ્ટ્રભક્ત કર્નલ માર્સ્કરાડોએ વિરોધીઓને આનો ઉત્તર આપતાં લખ્યું, ‘મને દેશની પહેલી ચિંતા છે, દીકરાની નહીં. રાષ્ટ્ર પ્રત્યેના મારા કર્તવ્યમાંથી હું સહેજે ચલિત નહીં થાઉં. અપહૃત ઇમેન્યુઅલને તમે ઇચ્છો તે સજા કરી શકો છો.’ સામ્યવાદી દળો તો આ ઉત્તર સાંભળીને અકળાઈ ઊઠ્યાં. એમને થયું કે કર્નલની સાથે એમનો લાચાર પુત્ર વાત કરશે, એટલે એની સાન ઠેકાણે આવશે. ઇમેન્યુઅલને વાત કરવા માટે ફોન આપવામાં આવ્યો, ત્યારે એણે એના પિતાને કહ્યું, ‘પિતાજી, દુશ્મનોએ છળકપટથી મારું અપહરણ કર્યું છે અને હવે મને સતત મારી નાખવાની ધમકી આપે છે.’ માર્સ્કરાડોએ એના પુત્રને રાષ્ટ્રપ્રેમીને છાજે તેવા શબ્દોમાં કહ્યું, ‘દીકરા, રાષ્ટ્ર પ્રત્યેના મારા કર્તવ્યને તું જાણે છે. તારી ફરજનો પણ તને પૂરો ખ્યાલ છે અને તેથી જ એક શહીદના પિતા તરીકે ઓળખાવું મારે મન મહાન ગૌરવભરી બાબત બની રહેશે.’ આ સંવાદ સાંભળતાં સામ્યવાદી પક્ષના નેતાઓએ ઇમેન્યુઅલના કપાળમાં ગોળી મારીને એની હત્યા કરી. રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યમાં પિતા-પુત્ર એકેયે પાછી પાની કરી નહીં.

Categories
વાચન સમૃદ્ધિ

મંજુલાબહેન દવે

જ. ૧૯ જૂન, ૧૯૧૫ અ. ૧૪ નવેમ્બર, ૨૦૦૨

લગભગ ૫૦ વર્ષ સુધી પોતાનું જીવન મહિલાકલ્યાણની પ્રવૃત્તિઓ માટે સમર્પિત કરનાર નિષ્ઠાવાન કાર્યકર મંજુલાબહેનનો જન્મ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. પિતા મણિશંકર રાવલ જામનગરની નવાનગર હાઈસ્કૂલમાં આચાર્ય હતા. ૧૯૩૧માં મૅટ્રિક થયા પછી તેમનાં લગ્ન ધ્રાંગધ્રાના જયંતભાઈ દેવશંકર દવે સાથે થયેલાં શ્વશુરગૃહે આવીને તેમણે સમાજસુધારાની શરૂઆત કરેલી. સૌની સંમતિ મેળવીને તેમણે લાજ કાઢવાની પ્રથા દૂર કરેલી. ૧૯૩૯માં અડ્યાર, ચેન્નાઈ જઈને મૉન્ટેસોરી પદ્ધતિનું શિક્ષણ મેળવેલું. ૧૯૪૭માં જામનગરની આર્યકન્યા વિદ્યાલયનાં પ્રથમ આચાર્ય તરીકે છ માસ રહેલાં. ૧૯૫૪-૫૫માં તેમણે એસએનડીટી યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવેલી. ૧૯૪૮માં સ્વતંત્ર સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન ઢેબરભાઈની રાહબરી હેઠળ તેમણે સ્ત્રી-કલ્યાણનાં અનેક કાર્યોમાં આગળ પડતી ભૂમિકા ભજવી હતી. તે જ વર્ષે જામનગરમાં મહિલામંડળની સ્થાપના થઈ. સરકાર અને દાનવીર શેઠ મેઘજી પેથરાજ શાહના દાનથી બીજી ઑક્ટોબર, ૧૯૫૭ના દિવસે જામનગરમાં ‘કસ્તૂરબા સ્ત્રી વિકાસગૃહ’ની સ્થાપના કરવામાં આવી. કસ્તૂરબા સ્ત્રી વિકાસગૃહને નિષ્ઠાવાન, કાર્યદક્ષ અને સેવાભાવી કાર્યકરો મળ્યા જેમાં મંજુલાબહેન દવે સૌથી મોખરે રહ્યાં. તેના મંત્રી અને પ્રમુખસ્થાને રહીને તેમણે ૩૭ વિભાગો વિકસાવેલા. ૧૯૫૭થી ૧૯૬૭ સુધી વિધાનસભાનાં સભ્ય હતાં. તેમણે કેન્દ્રીય સમાજકલ્યાણ બોર્ડની યોજના હેઠળ જામનગર જિલ્લાનાં ગામડાંઓમાં મહિલા તથા બાલકલ્યાણની અનેક પ્રવૃત્તિઓ કરી હતી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી તેમને અનેક પુરસ્કારો તથા ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ૧૯૮૩માં કસ્તૂરબા સ્ત્રી વિકાસગૃહ સંસ્થાને ગુજરાત સરકાર તરફથી બાલકલ્યાણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ સેવા માટેનો પુરસ્કાર આપવામાં આવેલો. તે ઉપરાંત ૧૯૮૯માં તેમને મહિલા સુરક્ષા પુરસ્કાર, ૧૯૯૨માં નારી સમાજસેવાનો યંગમૅન્સ ગાંધિયન ઍસોસિયેશન ઍવૉર્ડ તથા ૨૦૦૦માં ગ્રામસમાજ સેવા ટ્રસ્ટ(પાટડી)ના પુરસ્કારો મળ્યા હતા.