Categories
વાચન સમૃદ્ધિ

શ્રી મધુસૂદનન પારેખ ‘પ્રિયદર્શી

જ. ૧૪ જુલાઈ, ૧૯૨૩ અ. ૨૮ જાન્યુઆરી, ૨૦૨૩

ગુજરાતી સાહિત્યના અગ્રણી હાસ્યલેખક, બાળસાહિત્યકાર, વિવેચક, અનુવાદક અને સંપાદક મધુસૂદન પારેખનો જન્મ સાહિત્યોપાસક હીરાલાલ ત્રિ. પારેખને ત્યાં અમદાવાદમાં થયો હતો. માતાનું નામ જડાવબહેન. વતન સૂરત પણ કાર્યક્ષેત્ર અમદાવાદ. ઈ. સ. ૧૯૩૯માં મૅટ્રિક, ૧૯૪૫માં બી.એ., ૧૯૫૨માં એમ.એ., ૧૯૫૮માં ‘ગુજરાતી નવલકથા-સાહિત્યમાં પારસીઓનો ફાળો’ વિષય પર પીએચ.ડી. થયા. ૧૯૪૫થી ૧૯૫૫ સુધી શિક્ષકની કામગીરી, ૧૯૫૫થી ૧૯૮૩ સુધી અમદાવાદની એચ. કે. આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક પછી આચાર્યપદે રહેલા. ૧૯૬૧થી ‘બુદ્ધિપ્રકાશ’ના સંપાદનકાર્યમાં સંલગ્ન. ૧૯૭૪થી ગુજરાત સાહિત્યસભા, અમદાવાદના મંત્રી, ૨૦૦૬ બાદ થોડો સમય તેના પ્રમુખ પણ થયેલા. તેમનું મૂલ્યવાન પ્રદાન હાસ્યનિબંધના ક્ષેત્રે છે. ‘પ્રિયદર્શી’ના ઉપનામે ૧૯૬૦થી ‘ગુજરાત સમાચાર’માં ‘હું, શાણી અને શકરાભાઈ’ કૉલમની શરૂઆત  થયેલી, તે તેમના અવસાન પર્યંત ૨૦૨૩ સુધી સુંદર રીતે ચાલેલી. તેમના માર્મિક વિનોદમાં શિષ્ટતા અને  મિષ્ટતા રહેલી છે. તેમના સમગ્ર લેખનનું મુખ્ય લક્ષ્ય વાચકોનું નરવી રીતે મનોરંજન કરવાનું હતું. તેમની પાસેથી ૩૫ જેટલા હાસ્ય-નિબંધસંગ્રહો મળ્યા છે. ‘હું, શાણી અને શકરાભાઈ’, ‘સૂડી-સોપારી, ‘રવિવારની સવાર’, ‘હું, રાધા ને રાયજી’, ‘પેથાભાઈ પુરાણ’, ‘પ્રિયદર્શીની હાસ્યલીલા’ વગેરે તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમની પાસેથી ‘બુધિયાનાં પરાક્રમો’, ‘માખણલાલ, ‘સાહસિક સુંદરલાલ, ‘વરુણનું સોનેરી સ્વપ્ન’, ‘સસ્સાજી સટાકિયા’ અને અન્ય અનેક બાળવાર્તાસંગ્રહો અને ‘નાટ્યકુસુમો’, ‘પ્રિયદર્શીનાં પ્રહસનો’ વગેરે નાટકો પણ મળ્યાં છે. શેક્સપિયરનાં નાટકો પરથી ‘શેક્સપિયરની નાટ્યકથાઓ’ તેમણે આપી છે, જે ખૂબ પ્રચલિત છે. તેમની પાસેથી ત્રણેક વિવેચનસંગ્રહો, ૧૧ જેટલા વાર્ષિક સમીક્ષાગ્રંથો મળ્યા છે. તેમણે કેટલાક અનુવાદો આપ્યા છે અને ઘણાં સંપાદનો પણ કર્યાં છે. તેમને ‘અંગ્રેજી સાહિત્યનું આચમન’ માટે ૧૯૭૨નો ‘કુમારચંદ્રક’, ૧૯૯૧માં ‘ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક’, ૨૦૦૩માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ગુ. સા. અકાદમીનો ‘ગૌરવ પુરસ્કાર’ તથા ૨૦૦૧માં ‘અનંતરાય રાવળ વિવેચન ઍવૉર્ડ’ મળેલો.

Categories
વાચન સમૃદ્ધિ

ધૂળનું વાવેતર

‘ફિલાડેલ્ફિયા બુલેટિન’ સામયિક એની કેટલીક વિશેષતાઓ માટે પ્રસિદ્ધ હતું. એની એક વિશેષતા હતી સત્યોને આકર્ષક રીતે પ્રસ્તુત કરવાની. એના સંપાદક ફ્રેડ ફૂલર શેડ છટાદાર શૈલીમાં એવી રીતે વિચારોનું આલેખન કરતા કે વાચકને તે અત્યંત હૃદયસ્પર્શી બની જતું. સાંપ્રત સંવેદનાઓ અને સમસ્યાઓનું તેઓ પ્રભાવક રીતે આલેખન કરતા. સંપાદક ફ્રેડ ફૂલર શેડ આ કલામાં માહિર હતા. એક વાર આ સંપાદકને કૉલેજના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન માટે નિમંત્રણ આપવામાં આવ્યું. ફ્રેડ ફૂલર શેડે કૉલેજના યુવાન વિદ્યાર્થીઓને પૂછ્યું, ‘તમારામાંથી કોઈએ એમના જીવનમાં કોઈ લાકડું કાપ્યું છે ખરું ?’ આ વિસ્તારમાં એ સમયે ઘણા યુવાનો ખેતીકામ કરતા હતા. સંપાદકનો આ સવાલ સાંભળતાં ઘણાએ આંગળી ઊંચી કરી. એ પછી એમણે બીજો પ્રશ્ન પૂછ્યો, ‘તમારામાંથી કોઈએ ખેતરમાં બીજની જગ્યાએ ધૂળની વાવણી કરી છે ખરી ?’ યુવાન વિદ્યાર્થીઓ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, ‘આવું તે થતું હશે ? ધૂળ કંઈ વાવી શકાય ખરી ?’ ફ્રેડ ફૂલર શેડે કહ્યું, ‘દોસ્તો, તમારી વાત સાવ સાચી છે. ખેતરમાં ધૂળ વાવી શકાય નહીં, કારણ કે એ પહેલેથી જ ત્યાં મોજૂદ હોય છે, ખરું ને !’ વિદ્યાર્થીઓએ આ વાતનો સ્વીકાર કર્યો. ફ્રેડ ફૂલર શેડે કહ્યું, ‘ભૂતકાળની બાબતોને વારંવાર ઉખેળીને વર્તમાનને જીવવાનો પ્રયાસ કરવો નહીં. અતીતમાં દફનાવેલી બાબતોને તમે સતત બહાર લાવવાનો પ્રયાસ કરશો, તો તે તમારા ખેતરમાં ધૂળ વાવવા જેવું ગણાશે. એનો કશો જ અર્થ નથી.’

Categories
વાચન સમૃદ્ધિ

બટુભાઈ લાલભાઈ ઉમરવાડિયા

જ. ૧૩ જુલાઈ, ૧૮૯૯ અ. ૧૮ જાન્યુઆરી, ૧૯૫૦

ગુજરાતી નાટ્યકાર બટુભાઈ ઉમરવાડિયાનો જન્મ સૂરત જિલ્લાના વેડછી ગામે થયો થયો હતો. તેમણે ૧૯૨૦માં મુંબઈથી બી.એ. અને ૧૯૨૭માં એલએલ.બી.ની પદવી મેળવી હતી. એલએલ.બી. થયા પછી તેમણે વકીલાત કરી તેમજ સરકારી અને બીજી નોકરીઓ પણ કરી. એમણે કનૈયાલાલ મુનશીના અધ્યક્ષપદે રચાયેલી બિનસરકારી બારડોલી તપાસ સમિતિના મંત્રી તરીકે કામ કર્યું હતું. એમણે વિવિધ સામયિકો પણ ચલાવ્યાં હતાં જેમાં ‘ચેતન’ (૧૯૨૦-૧૯૨૩), ‘વિનોદ’ (૧૯૨૧-૧૯૨૩) માસિકો અને ‘સુદર્શન’ (૧૯૨૮-૧૯૨૯) સાપ્તાહિકનો સમાવેશ થાય છે. ૧૯૩૬થી ૧૯૪૯ દરમિયાન તેમણે અમદાવાદ મિલમાલિક મંડળના મંત્રી તરીકે નોંધપાત્ર કામગીરી બજાવી હતી. કનૈયાલાલ મુનશીની સાહિત્યસંસદની પ્રવૃત્તિઓમાં પણ તેમણે સક્રિય ભાગ લીધો હતો. તેમણે સુન્દરરામ ત્રિપાઠી, કિશોરીલાલ શર્મા, હરરાય દ્વિવેદી, કમળ વગેરે નામોથી સાહિત્યલેખન કર્યું હતું. એમણે નિબંધ, વિવેચન, વાર્તા, નાટક, નવલકથા, ગરબા, ગદ્યકાવ્યો જેવા વિભિન્ન પ્રકારોમાં પોતાની કલમ ચલાવી હતી. ‘રસગીતો’ (૧૯૨૦), ‘સંસાર એક જીવનનાટ્ય’ (૧૯૨૧), ‘વાતોનું વન’ (૧૯૨૪), ‘મત્સ્યગંધા અને ગાંગેય તથા બીજાં ચાર નાટકો’ (૧૯૨૭), ‘માલાદેવી અને બીજાં નાટકો’ (૧૯૨૭), ‘રાસઅંજલિ’ (૧૯૩૫) વગેરે તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમના અવસાન પછી તેમનાં પુત્રી મધુરીબહેને તેમનું અપ્રગટ સાહિત્ય પ્રકાશિત કર્યું, જેમાં ‘આપણા મહાજનો’ રેખાચિત્રો, ‘મધુસૂદન’ અધૂરી રહેલી નવલકથા અને ‘શેષ સાહિત્ય’ પ્રકીર્ણ લેખોના સંગ્રહનો સમાવેશ થાય છે. તેમની સ્મૃતિમાં ‘બટુભાઈ ઉમરવાડિયા ડ્રામેટિક રિસર્ચ એજ્યુકેશન ઍન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બુડ્રેટી’ નામની સંસ્થા પણ શરૂ કરવામાં આવી છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ તેમનાં નાટકો અને અન્ય સાહિત્ય પ્રકાશિત કર્યું છે.