Categories
વાચન સમૃદ્ધિ

સેઉલ

દક્ષિણ કોરિયા પ્રજાસત્તાકનું પાટનગર. તે ૩૭° ૩૩´ ઉ. અ. અને ૧૨૬° ૫૮´ પૂ. રે. પર હૅન (Han) નદીને કાંઠે વસેલું છે. આ શહેર દક્ષિણ કોરિયાનું સાંસ્કૃતિક, શૈક્ષણિક, આર્થિક, નાણાકીય, વહીવટી અને સામાજિક પ્રવૃત્તિઓનું મથક છે. તેનો વિસ્તાર આશરે ૬૦૬ ચોકિમી. જેટલો છે. તેની વસ્તી ૯૬,૦૦,૦૦૦ (૨૦૨૪, આશરે) જેટલી છે. ચૌદમી સદીના અંત વખતે જનરલ યી સોંગ્યીએ સેઉલની સ્થાપના કરેલી. ‘સેઉલ’નો અર્થ ‘પાટનગર’ થાય છે. યી સોંગ્યીએ સેઉલને કોરિયાનું પાટનગર કરેલું. ૨૦મી સદીના મધ્યકાળ પછી સેઉલ શહેરનો ખૂબ ઝડપી વિકાસ થયો છે. ૧૯૬૧થી પાર્ક ચુંગ હીએ દક્ષિણ કોરિયાનો વહીવટ પોતાને હસ્તક લીધો. ૧૯૭૯માં તે મૃત્યુ પામ્યો ત્યાં સુધી તેણે દેશના ઘણા ભાગોમાં ઉદ્યોગો સ્થાપ્યા અને તેમનો વિકાસ કર્યો. હજારો લોકો કામ મેળવવા અહીં સ્થાયી થયા અને સેઉલ વિસ્તરતું ગયું.

સેઉલ શહેર

દક્ષિણ કોરિયાનાં ઘણાં વહીવટી તથા ધંધાકીય કાર્યાલયો સેઉલમાં આવેલાં છે. શહેરના મધ્ય ભાગમાં બૅંકો, હોટેલો, દુકાનો, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ અને થિયેટરો આવેલાં છે. કોરિયાની બધી જ યુનિવર્સિટીઓ સેઉલમાં છે. તેમાં સેઉલ નૅશનલ યુનિવર્સિટી, કોરિયા યુનિવર્સિટી અને યોન્સેઈ યુનિવર્સિટી મુખ્ય છે. અહીં આવેલાં રાષ્ટ્રીય સંગ્રહાલય અને અર્વાચીન કલા-સંગ્રહાલય જોવાલાયક છે. સેઉલમાં અદ્યતન આવાસો, સરકારી કાર્યાલયોની ઇમારતો ઉપરાંત અનેક ઐતિહાસિક ઇમારતો પણ આવેલી છે. પૂર્વજોના સ્મારક તરીકે રાજા યી સાંગ્યીએ ૧૩૯૫માં બંધાવેલું ચોંગમ્યો શાહી મંદિર, ૧૪૦૫ના અરસામાં બંધાવેલો ચાંગદોક મહેલ તથા સિક્રેટ ગાર્ડન પ્રવાસીઓ માટે આકર્ષણનાં કેન્દ્રો છે. સેઉલનું રક્ષણ કરતા કોટના બે દરવાજા પણ જાણીતા છે. શહેરના મધ્ય વિભાગના નૈર્ૠત્યમાં હૅન નદીમાંના યોઈડો ટાપુ પર આવેલી આધુનિક ઇમારત ખાતે રાષ્ટ્રીય સંસદની કચેરી બેસે છે. શહેરના મોટા ભાગના લોકો સંયુક્ત આવાસી ફ્લૅટોમાં રહે છે. આવાસો હૅન નદીને કિનારે કે યોઈડો ટાપુ પર આવેલા છે. શહેરના ઘણાખરા લોકો સરકારનાં વહીવટી, ધંધાકીય તેમ જ ઔદ્યોગિક કાર્યાલયોમાં નોકરી કરે છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં ઇજનેરી તથા કાપડ, ખાદ્યપ્રક્રમણ, વીજળી-વીજાણુ, રસાયણો, યંત્રસામગ્રી, મોટરગાડીઓ, રેડિયો, ટેલિવિઝન-સેટ વગેરેના એકમોનો સમાવેશ થાય છે. દેશનાં મુખ્ય દૈનિકપત્રો તથા અન્ય સામયિકો પણ સેઉલથી પ્રકાશિત થાય છે. હૅન નદીના મુખ પર ઇન્કોન નામનું દરિયાઈ બંદર આવેલું છે. સેઉલમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. તે દેશનાં અન્ય શહેરો સાથે રેલમાર્ગે, સડકમાર્ગે તથા હવાઈ માર્ગે જોડાયેલું છે. ૧૯૮૬માં સેઉલમાં એશિયન રમતોત્સવ યોજાયો હતો. ત્યારબાદ ૧૯૮૮માં ઑલિમ્પિક રમતોત્સવ તથા ૨૦૦૨માં જાપાન સાથે સંયુક્ત રીતે ફૂટબૉલની ‘ફીફા’ વર્લ્ડ કપની સ્પર્ધા યોજાઈ હતી.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10

Categories
વાચન સમૃદ્ધિ

અમૃતલાલ હરગોવિંદદાસ

જ. ૨૯ ઑગસ્ટ, ૧૮૮૯ અ. ૧૧ માર્ચ, ૧૯૭૪

ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર અમૃતલાલનો જન્મ અમદાવાદ નજીક કુહા ગામમાં થયો હતો. ગુજરાત કૉલેજમાંથી બી.એ. અને મુંબઈથી એલએલ.બી. થઈ ઈ. સ. ૧૯૧૨-૧૩માં અમદાવાદ ખાતે વકીલાતથી કારકિર્દી આરંભીને દોઢ-બે વર્ષ બાદ પિતાજીની શરાફી પેઢીમાં જોડાયા. તેમણે ઝડપથી વ્યવસાય શીખી લીધો અને ટૂંક સમયમાં કાપડમિલના માલિક બન્યા. ત્યારબાદ અમદાવાદ ટેક્સટાઇલ મિલ ઑનર્સ ઍસોસિયેશનના પ્રમુખ પણ બન્યા. ઈ. સ. ૧૯૨૭માં જ્યારે ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે હજારો મકાનો પડી ગયાં હતાં અને જાનમાલની ભારે ખુવારી થઈ હતી તે સમયે તેમણે સરદાર વલ્લભભાઈની સાથે રહીને રાહત તેમ જ પુનર્વસવાટનાં કાર્યોમાં સક્રિય ફાળો આપ્યો હતો. ગરીબ કુટુંબોને પૂરેપૂરી સહાય મળે તેવો આગ્રહ રાખ્યો હતો. ઈ. સ. ૧૯૩૬માં પિતાશ્રીના નામ પરથી અમદાવાદની પ્રસિદ્ધ એચ. એલ. (હરગોવનદાસ લખમીચંદ) કૉલેજ ઑફ કૉમર્સની સ્થાપના કરી. પોતાના સોળ વર્ષના પુત્ર બંસીલાલની સ્મૃતિમાં આણંદ ખાતેની બંસીલાલ ઍગ્રિકલ્ચરલ કૉલેજ અને ધર્મપત્નીના સ્મરણાર્થે અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલ ખાતે મણિબહેન અમૃતલાલ આયુર્વેદિક કૉલેજની સ્થાપના કરી હતી. ઈ. સ. ૧૯૩૬માં બગીચા મિલનું અને ૧૯૫૬માં બગીચા મિલ નં. ૨નું સફળ સંચાલન કર્યું. ૧૯૬૭માં તેમણે બંને મિલો વેચીને જનહિતનાં કાર્યો પર લક્ષ આપ્યું. ઈ. સ. ૧૯૩૫માં શેઠ કસ્તૂરભાઈ સાથે રહી અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના, ૧૯૪૯માં ગુજરાત વેપારી મહામંડળની સ્થાપના અને ૧૯૫૪માં ગુજરાત રેલરાહત સમિતિનો પ્રારંભ – આ એમનું વ્યાપાર-ઉદ્યોગ અને શિક્ષણ-સમાજ તરફ દૃષ્ટિસંપન્ન યોગદાન છે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કરવા સ્થાપેલા ટ્રસ્ટફંડમાં ૪૨ લાખ રૂ.નો ફાળો તેઓએ એકઠો કર્યો હતો. અમદાવાદને વાડીલાલ હૉસ્પિટલ માટે તેમણે ૧૪ લાખ રૂ.નો ફાળો આપ્યો હતો. ગુજરાતના બધા જ પ્રાણપ્રશ્નોમાં તેઓએ સક્રિય રસ દાખવ્યો હતો. તેમના મહાત્મા ગાંધી, સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, કસ્તૂરભાઈ લાલભાઈ, ગણેશ માવલંકર સાથે મૈત્રીપૂર્ણ સંબંધો હતા અને રાષ્ટ્રીય હેતુ માટે મુક્તપણે દાન આપતા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

પરમ કર્તવ્યને ક્યારેય યાદ કરે છે ખરો ?

આજે સમાજમાં માણસ બીજાના પર જવાબદારીનો ટોપલો ઓઢાડવા માટે અતિ આતુર છે. ‘આ તમારું કામ છે’ ત્યાંથી માંડીને ‘આ તમારી જવાબદારી છે’ ત્યાં સુધીનાં સૂચનો, શિખામણો અને સલાહો આપતો હોય છે. એને બીજાને એમની જવાબદારી શિખવાડવામાં જેટલો રસ છે, એટલો રસ પોતાની જવાબદારી શી છે એ વિશે વિચારવામાં નથી. એ મોટા  ભાગે પોતાની મર્યાદાઓ માટે કુટુંબ, સમાજ કે રાષ્ટ્રને દોષ આપતો હોય છે. આનું કારણ શું ? આનું કારણ એટલું જ કે માણસને પોતાની જવાબદારી શી છે, એ વિશે વિચાર કરતી વખતે ઘણી મુશ્કેલી ઊભી થાય છે. એને ખ્યાલ જ નથી કે એની જવાબદારી કઈ છે ? એ કોને વફાદાર છે ? એને પરિણામે જેના તરફ એની સૌથી મોટી જવાબદારી છે, એની સૌથી વધુ ઉપેક્ષા કરે છે. વ્યક્તિની સૌથી મોટી જવાબદારી એના આત્મા પ્રત્યે છે, પણ માનવી ભાગ્યે જ પોતાના આત્માનો વિચાર કરતો હોય છે. એ બીજાની દુર્ગતિ વિશે જેટલું બોલતો હોય છે, એમાંનું કશુંય પોતાની સારી ગતિ વિશે વિચારતો નથી, આથી એની ખરી જવાબદારી પોતાના આત્મા પ્રત્યે છે અને એ આત્મા જ એના સુખ અને દુ:ખનું કારણ છે. એ પોતાના સુખ માટે ભૌતિક વસ્તુઓને મહત્ત્વ આપે છે અને પોતાના દુ:ખ માટે બીજાને દોષ આપે છે. જો એ સમજે કે આત્માને યોગ્ય માર્ગે ગતિ આપવાની પોતાની જવાબદારીમાંથી એ ચૂક્યો છે, તો જ એને સચ્ચાઈનો ખ્યાલ આવે. આ આત્મા મળ્યો છે, એને ઉચ્ચ માર્ગે લઈ જવો, પછી તેને તમે મુક્તિ કહો કે મોક્ષ, તે વ્યક્તિનું પરમ કર્તવ્ય છે. વક્રતા તો એ છે કે એ જીવનમાં પરિવારની, કુટુંબની કે રાષ્ટ્રની જવાબદારીનો વિચાર કરે છે પણ ક્યારેય એ પોતાના પરમ કર્તવ્યનો વિચાર કરતો નથી.