Categories
વાચન સમૃદ્ધિ

જળકૂકડી (old world coot)

ગ્રુઇફૉર્મિસ શ્રેણીના રૅલિડે કુળનું એક જળચારી પક્ષી. જળકૂકડીનું વૈજ્ઞાનિક નામ Fulica atra Linn. છે. તેની શરીરરચના મરઘીના જેવી હોય છે તેમજ જળાશયોની આસપાસ નિવાસ કરવાને કારણે તે જળકૂકડી તરીકે ઓળખાય છે. બીજાં જળચારી પક્ષીની જેમ તેને પણ પુચ્છ હોતું નથી. તરતી વખતે અમુક અંતરે તેનો દેખાવ બતક જેવો હોય છે. મસ્તક સફેદ હોય છે. બતક કરતાં વજનમાં ભારે હોય છે. શરીર ભૂખરું કે કાળા રંગનું હોય છે. પુખ્ત જળકૂકડીની પીઠ કાળી અને વક્ષ બાજુએથી સફેદ હોય છે. બચ્ચાંઓનું મસ્તક ઊપસેલું અને ગળું પહોળું હોય છે. ચાંચ અણીદાર, હાથીદાંતના રંગની હોય છે તથા મસ્તક પર આવેલ ટોપને કારણે તે જુદી તરી આવે છે. ઉપાંગોમાં આવેલી આંગળી માંસલ, ખંડયુક્ત હોય છે. આ પક્ષી ભારતમાં બધે જોવા મળે છે. હિમાલયમાં ૨૦૦૦ મીટરની ઊંચાઈ પર પણ તે વાસ કરે છે. ઉપરાંત પાકિસ્તાન, બાંગલાદેશ, મ્યાનમાર અને ઉત્તરી શ્રીલંકાનાં મીઠા પાણીનાં જળાશયો અને તેની આસપાસ આવેલ ઝાડીઓમાં અને શહેરમાં આવેલ બાગબગીચાનાં જળાશયોમાં પણ જોવા મળે છે.

તેની કેટલીક જાતિઓ શિયાળામાં સ્થાનાંતર (migration) પણ કરતી હોય છે. રહેવાસી પક્ષીઓ વસંત ઋતુ દરમિયાન ઝાડીઓથી આચ્છાદિત નહેર પર દેખાય છે. શીત ઋતુમાં સ્થાનાંતર કરતી જળકૂકડીઓ મધ્ય અને પશ્ચિમ એશિયાનાં જળાશયોમાં ઘણી મોટી સંખ્યામાં જોવા મળે છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં તેની સંખ્યા નોંધપાત્ર હોય છે.

પક્ષીઓ પોતાના વિચિત્ર અવાજ પરથી ઓળખી શકાય છે. એકલ પ્રાણીનો અવાજ તીણો, કર્કશ ટેવક (tewk), કી-કાઉક (ki-kowk) હોય છે; પરંતુ સમૂહમાં, ખાસ કરીને ભક્ષક પ્રાણીની હાજરીથી વિક્ષેપ અનુભવતા હોય ત્યારે તેમનો અવાજ લાક્ષણિક હોય છે. અવાજ ઘણો મોટો ઊંચો દહાડ જેવો હોય છે. આ ઉપરાંત સ્પષ્ટ, મોટા વાજિંત્ર જેવા અવાજ ઉત્પન્ન કરી સંદેશાની આપ-લે કરે છે, જે મુખ્યત: રાત્રી દરમિયાનની પ્રક્રિયા છે.

સામાન્યત: જળકૂકડી પાણીની સપાટી પર તરતી હોય છે; પરંતુ વખતોવખત તે ઉડાન પણ કરે છે. વજનમાં ભારે હોવા છતાં શક્તિશાળી હોવાને કારણે તે સહેલાઈથી ઊડીને લાંબું અંતર કાપી શકે છે. તેની ઊડવાની પદ્ધતિ બતકથી જુદી હોય છે. પાંખોનો અવાજ કરીને તે પાણીને ધકેલે છે. તેની નળાકાર શરીરરચના અને ઊડતા સમયે ઉપાંગો પશ્ચ બાજુ આવવાને કારણે વિશિષ્ટ ઝડપી ગતિથી ઊડી શકે છે. તેનો ખોરાક મુખ્યત: વિવિધ વનસ્પતિનો બનેલો હોય છે. જોકે તે કીટકોનું પણ ગ્રહણ કરે છે. એટલે કીટભક્ષી તરીકે ઓળખાય છે. તેનો ખોરાક સામાન્યત: જલજ ઘાસ, જમીન પરનું ઘાસ, કીટકો અને નાનાં મૃદુકાય પ્રાણીઓનો હોય છે.

તે પ્રજનનઋતુ સમયે માળો બાંધે છે. એનો ઉપયોગ ઈંડાં અને બચ્ચાંના ઉછેર માટે કરે છે. જુલાઈ/ઑગસ્ટ મહિના દરમિયાન વનસ્પતિની ડાળી અને કાથી જેવાનો ઉપયોગ કરીને પાણીની સપાટીથી સહેજ ઉપર માળા બાંધે છે. તે ૬થી ૧૦ની સંખ્યામાં ઈંડાં મૂકે છે. તેમનો રંગ ભૂખરા ખડક જેવો હોય છે. એની ઉપર લાલ, કથ્થઈ કે જાંબલી ટપકાં કે લીટીઓ હોય છે. ઈંડાંમાંથી યોગ્ય સમયે બચ્ચાં ઉત્પન્ન થાય છે. ઉછેર માદા કરતી હોય છે.

જળકૂકડીની બીજી નિકટની જાત Fulica cristata છે જેની પાંખ સફેદ અને પટ્ટી વગરની હોય છે. આનો અવાજ કર્કશ અને તીણો હોય છે. શરીરમાં મસ્તક અને ઉપલા જડબાની વચ્ચે કોણીય કાળી રચના આવેલી હોય છે. મસ્તક પર લાલાશ પડતાં બે પૂઠાં હોય છે. ચાંચ ભૂરી હોય છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

નયન કાંતિલાલ જૈન

Categories
વાચન સમૃદ્ધિ

વી. શાંતારામ

જ. ૧૮ નવેમ્બર, ૧૯૦૧ અ. ૩૦ ઑક્ટોબર, ૧૯૯૦

ભારતીય ફિલ્મનિર્માતા, નિર્દેશક, અભિનેતા અને પટકથાલેખક તરીકે જાણીતા વી. શાંતારામને લોકો ‘શાંતારામ બાપુ’ અને ‘અન્નાસાહેબ’ તરીકે પણ ઓળખે છે. તેઓ હિન્દીની સાથોસાથ મરાઠી ફિલ્મોમાં પણ તેમના ઉત્તમ કામ માટે જાણીતા હતા. તેમનો જન્મ મરાઠી જૈન પરિવારમાં થયો હતો. શાંતારામ જાણીતા મરાઠી ફિલ્મદિગ્દર્શક માસ્ટર વિનાયકના મામાના પિતરાઈ ભાઈ હતા. આ માસ્ટર વિનાયક બોલિવુડની અભિનેત્રી નંદાના પિતા છે. કર્ણાટકમાં હુબલી ખાતે રેલવે વર્કશૉપમાં ફિટર તરીકે તેઓ જોડાયા હતા. જ્યાં તેમનો પગાર રોજના આઠ આના એટલે કે ૫૦ પૈસા હતો. તેમની અથાગ મહેનતથી પ્રભાવિત થઈને તેમનો પગાર રોજના બાર આના એટલે કે ૭૫ પૈસા કરવામાં આવ્યો હતો. સાંજે તેમણે હુબલી ખાતે ન્યૂ ડેક્કન સિનેમા થિયેટરમાં ડૉરકીપર તરીકે પણ કામ કર્યું હતું. જોકે આ કામ માટે તેને કોઈ ચુકવણી કરવામાં આવતી ન હતી, પરંતુ તેમને બધી ફિલ્મો મફતમાં જોવાની છૂટ હતી. ત્યાં તેમણે ભારતીય સિનેમાના પિતા દાદાસાહેબ ફાળકેની ફિલ્મો જોઈ અને ફિલ્મક્ષેત્રે આગળ વધવાનો જુસ્સો કેળવ્યો. તેઓ ફોટોગ્રાફી અને સાઇન બોર્ડ પેઇન્ટિંગ પણ શીખ્યા હતા.

વી. શાંતારામે અભિનેતા તરીકે ‘સુરેખાહરણ’ (૧૯૨૧), ‘સ્ત્રી’ (૧૯૬૧) અને ‘દો આંખે બારહ હાથ’ (૧૯૫૭) જેવી છ ફિલ્મોમાં અને નિર્માતા તરીકે ‘ભક્તિમાલા’ (૧૯૪૪), ‘સેહરા’ (૧૯૬૩) અને ‘જલ બિન મછલી નૃત્ય બિન બિજલી’ (૧૯૭૧) જેવી ૧૦ ફિલ્મોમાં સરસ કામ કર્યું હતું. તેમણે દિગ્દર્શક તરીકે મહારાષ્ટ્ર ફિલ્મ કંપનીની ‘નેતાજી પાલકર’ (૧૯૨૭)માં, પ્રભાત ફિલ્મ કંપનીની ‘ગોપાલકૃષ્ણ’, ‘ધર્માત્મા’, ‘માનુસ’, ‘આદમી’ અને ‘પડોસી’ જેવી ૧૯ ફિલ્મોમાં અને રાજકમલ કલામંદિરની ‘ભગવાનદાસ પટેલ’થી માંડી ‘અપના દેશ’ અને ‘તીન બત્તી ચાર રસ્તા’ જેવી ૨૧ ફિલ્મોમાં અદભુત સેવા આપી છે. ૧૯૫૨થી ૧૯૫૯ સુધીમાં જુદા જુદા ૯ ઍવૉર્ડ અને ચંદ્રક પ્રાપ્ત કરેલ વી. શાંતારામને ૧૯૮૫માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ અને ૧૯૯૨માં પદ્મવિભૂષણ(મરણોત્તર)થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૭ નવેમ્બર, ૨૦૦૧ના રોજ તેમને સમર્પિત એક ટપાલટિકિટ ભારતીય ડાક વિભાગે બહાર પાડી હતી.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

સંસારનું અકલ્યાણ કરનારા

સંતો

નિસ્પૃહી સંત મથુરાદાસજી સમક્ષ આવીને એક ધનવાને નાણાંની થેલી મૂકી. ચરણમાં પડીને પ્રણામ કર્યા અને કહ્યું,

‘આપના આશીર્વાદનો ઉત્સુક છું. આપના જેવા સંતના આશીર્વાદ તો મારી સમૃદ્ધિને એકસો ગણી બનાવી દે તેવા છે. આપ મને અંતરથી આવા આશીર્વાદ આપો.’

સંત મથુરાદાસજીએ ધનવાન સામે જોયું અને કળી ગયા કે એની બનાવટી નમ્રતાની પાછળ ધનનો અહંકાર વસેલો છે. વેપારી સઘળે વેપાર જુએ અને લાભનો વિચાર કરે. આ વેપારી થોડા ધનના બદલામાં અધિક સંપત્તિ મેળવવા ચાહતો હતો.

નિસ્પૃહી સંતે કહ્યું, ‘તને આશીર્વાદ તો આપું, પણ એ પહેલાં મારી એક વાતનો ઉત્તર આપ. વિચાર કર કે તારા ઘરને આંગણે તારી પુત્રીનું તેં ધામધૂમથી લગ્ન યોજ્યું હોય, તોરણોથી શોભતો મંડપ રહ્યો હોય, મહેમાનો આવી ગયા હોય, સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરી હોય અને જાન પણ છેક બારણે આવીને ઊભી હોય, આવા સમયે તેં પાથરેલા મખમલના ગાલીચા અને સરસ મજાના ગાદીતકિયા પર કોઈ મૂર્ખ માણસ વિષ્ટા ફેંકે તો તું શું કરે ?’

વેપારીએ કહ્યું, ‘બાપજી, સાવ સીધી-સાદી વાત છે. એનાં હાડકાં ખોખરાં કરી નાખું. આમાં તે કંઈ બીજો વિચાર કરવાનો હોય ?’

સંત મથુરાદાસજીએ કહ્યું, ‘ભાઈ, તને જેવું થાય એવું જ મને થાય. વિચાર કર કે પ્રભુપ્રાપ્તિ માટે મેં સંસાર છોડ્યો, નદીકિનારે એકાંતમાં રહીને સાધના કરી, મારા અંતરના ઓરડામાં રહેલો સઘળો કચરો વાળીઝૂડીને સાફ કર્યો, મનના સઘળા મેલ ધોઈ નાખ્યા. હવે ઈશ્વરપ્રાપ્તિના તલસાટથી જીવું છું અને એકાંત-સાધના કરું છું એવા સંજોગોમાં તું તારી ધનરૂપી વિષ્ટા મારા અંતરના આંગણામાં નાખવા માટે આવ્યો છે. હવે કહે કે મારે તારી સાથે કેવું વર્તન અને વ્યવહાર રાખવાં જોઈએ ?’

વેપારીને પોતાની ભૂલ સમજાઈ અને એણે નાણાંની કોથળી પાછી લીધી. સંત મથુરાદાસજીની માફી માગી.

સંતની સાથે સંપત્તિ જોડાય છે ત્યારે ઘણો મોટો અનર્થ સર્જાય છે. સંત જ્યારે સંપત્તિની પાછળ દોડે છે, ત્યારે સત્ય એનાથી દૂર ભાગવા લાગે છે. સાધના એના જીવનમાંથી વિદાય લે છે અને વૈરાગ્ય નામશેષ થઈ જાય છે. એ સંત ભલે સંસારની બહાર હોય, પણ એક બીજો સંસાર સર્જે છે, જે સંસારનો શ્વાસ ખુશામત છે અને નિશ્વાસ પરિગ્રહ છે અને એના હૃદયના સિંહાસન પર ધનપ્રાપ્તિની લાલસા બિરાજમાન હોય છે. એનો ઉપદેશ માત્ર ઠાલા શબ્દો બની જાય છે, કારણ કે એમાં સચ્ચાઈ હોતી નથી. એની વાણીમાં કોઈ ચાલાક વેપારીની સામી વ્યક્તિ પાસેથી પૈસા કઢાવવાની યુક્તિ જોવા મળે છે. આવો સંત સંસારની બહાર રહીને સંસારી કરતાં પણ સંસારનું વધુ અકલ્યાણ કરે છે.

કુમારપાળ દેસાઈ