Categories
વાચન સમૃદ્ધિ

પ્રશંસા પર અવિશ્વાસ

પ્રસિદ્ધ યહૂદી સંત શેલ્મકેની યોગ્યતા જોઈને રાજાએ એમને સમગ્ર રાજ્યનો કારભાર સોંપવાનું વિચાર્યું. એમની યોગ્યતાનું આ સન્માન હતું. સંત શેલ્મકેએ રાજાને કહ્યું, ‘આપ રાજ્યની આટલી મોટી જવાબદારી સોંપીને મારું સન્માન કરો છો તે હું સ્વીકારું છું, પરંતુ આ જવાબદારી હું કાલે નહીં, પરંતુ પરમ દિવસે સંભાળીશ. આવતીકાલે મારે એકાંતમાં રહીને આરાધના કરવી છે.’ રાજાએ શેલ્મકેની વાતનો સ્વીકાર કર્યો, પરંતુ શેલ્મકેના શિષ્યને થયું કે એવી તો કઈ આરાધના છે કે જે આ કાર્યભાર સંભાળતાં પૂર્વે ગુરુજી કરવા માગે છે ? વળી એ આરાધના સહુની વચ્ચે કરવાને બદલે શા માટે એકાંતમાં કરવા ઇચ્છે છે ? બીજે દિવસે શિષ્ય ગુરુની પાછળ ને પાછળ ફરવા લાગ્યો. એણે જોયું તો સંત શેલ્મકે એક ખંડમાં બેસીને એકલા પ્રાર્થના કરી રહ્યા હતા અને ઈશ્વરને કહેતા હતા, ‘હે પરમપિતા ઈશ્વર ! તમારા જેટલી જ પવિત્રતા મારામાં છે, સાચે જ હું તમારું પ્રતિબિંબ છું. હે ઈશ્વર, હું તમારા જેવો જ છું. તમારાથી કોઈ પણ રીતે ઊતરતો નથી. હું આ રાજ્યનો મહાન રક્ષણહાર છું, સમર્થ ન્યાયાધીશ છું અને પરમ તારણહાર છું. છુપાઈને સંત શેલ્મકેની પ્રાર્થના સાંભળતા એમના શિષ્યે આ શબ્દો સાંભળ્યા અને એકાએક સંત તરફ ધસી આવ્યો. એણે કહ્યું, ‘બસ, બસ, હવે બહુ થયું. તમે પોતે જ તમારી જાતની પ્રશંસા કરવા માંડશો, તો બીજાઓનું શું થશે ?’ શિષ્યનો અવાજ સાંભળીને સંતે આંખો ખોલી અને સ્નેહપૂર્વક હસીને કહ્યું, ‘હું કંઈ સ્વયં પ્રશંસા કરતો નથી, હું તો માત્ર કાચા કાનનો સાબિત ન થાઉં, માટે મારા કાનને પાકા કરી રહ્યો છું.’ શિષ્ય આ સમજી શક્યો નહીં એટલે સંતે કહ્યું, ‘હવે મને આ રાજ્યની સંભાળ લેવાની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે પ્રતિક્ષણ મારી અતિ પ્રશંસા થતી રહેશે. ચારેબાજુ ખુશામતિયાઓની ભીડ જામશે એટલે હું આ શબ્દો બોલીને મારી જાતને બરાબર મજબૂત કરું છું કે જેથી હું અન્ય કોઈ પાસેથી આવા શબ્દો સાંભળું, તો એના પર વિશ્વાસ મૂકું નહીં અને ઉચિત રીતે મારું કાર્ય કરું.’

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

કૈલાસ ચન્દ્રદેવ બૃહસ્પતિ

જ. ૨૦ જાન્યુઆરી, ૧૯૧૭ અ. ૩૦ જુલાઈ, ૧૯૭૯

સંગીતવિદ્યાનો સંસ્કારવારસો કૈલાસને કુળપરંપરાથી મળ્યો હતો. દસ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થયું, તેથી તેમનાં વિદુષી માતા નર્મદાદેવીએ તેમનું પાલનપોષણ કર્યું અને સંસ્કાર તથા વિદ્યાનું સિંચન કર્યું. માત્ર સાડા ત્રણ વર્ષની ઉંમરથી જ કૈલાસચન્દ્ર શુદ્ધ ઉચ્ચાર કરતા હતા. પાંચ વર્ષની વયે તેઓને સંસ્કૃતના અનેક શ્લોકો કંઠસ્થ હતા. અગિયાર વર્ષની વયે તેઓ મૌલિક કાવ્યરચના કરતા હતા, ચૌદ વર્ષની વયે એમના મુખેથી સ્વરચિત શ્લોકોનું ગાન સાંભળીને પંડિતોએ તેઓને કાવ્યમનીષી, સાહિત્યસૂરિ જેવી ઉપાધિઓથી અલંકૃત કર્યા હતા. શાસ્ત્રો, ભાષા, સાહિત્ય, વિવિધ વિદ્યાઓ સંગીતની ગાયન-વાદન કલાઓ વગેરેનું જ્ઞાન પંડિતો પાસેથી મળવાથી કૈલાસચન્દ્રનું જીવન ખીલી ઊઠ્યું. તેઓએ સંગીત વિશે પોતાનો શોધનિબંધ રજૂ કર્યો હતો.  ભારતીય પ્રાચીન સંગીતશાસ્ત્ર અને ગાયનપદ્ધતિ સંપૂર્ણ વૈજ્ઞાનિક અને વ્યવહારુ છે. તેઓએ ‘બૃહસ્પતિ વીણા’ નામે એક નવી વીણાનો આવિષ્કાર કર્યો હતો. તેમણે સંગીતવિષયક મૌલિક ચિંતન વ્યક્ત કરતા બે ગ્રંથો લખ્યા છે : ‘ભારત કા સંગીતસિદ્ધાંત’ તથા ‘સંગીત ચિંતામણિ’. આ ઉપરાંત તેમણે ભારતનાટ્યશાસ્ત્રના ૨૮મા અધ્યાય પર વિદ્વત્તાપૂર્વક ટીકા લખી છે. ટીકાનું નામ ‘સાધના’ આપ્યું. તેમણે પોતાની ગૃહિણી સાધના અને પોતાની સંગીતસાધના બંનેને અમર બનાવી દીધાં. તેમને અનેક પદવીઓ, પદકો, પ્રતિષ્ઠાઓ અને પદાધિકારો પ્રાપ્ત થયાં હતાં.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

સજીવ ખેતી

સજીવો અને સેન્દ્રિય દ્રવ્યોની મદદથી થતી ખેતી.

આ ખેતીને ‘પ્રાકૃતિક’, ‘પર્યાવરણમિત્ર’, ‘પ્રકૃતિમિત્ર’ કે ‘બિનરાસાયણિક’ ખેતી પણ કહે છે. તે અપ્રાકૃતિક અને પરાવલંબી રાસાયણિક ખેતીથી જુદી છે. સજીવ ખેતીનાં નોંધપાત્ર પાસાં નીચે પ્રમાણે છે : (૧) ખેતી સંબંધિત જમીન, પાણી, હવા અને પ્રકાશની પ્રાપ્તિ, રક્ષણ અને શુદ્ધતાનું સમતોલ આયોજન; (૨) સ્થળ, સમય અને આબોહવાને અનુરૂપ પાકની પસંદગી; (૩)પ્રાકૃતિક (કુદરતી) બિયારણની પ્રાપ્તિ અને જાળવણી; (૪) એક વારાની વાવણીમાં યોગ્ય પાકોનું સંયોજન; (૫) ખેતીને પોષતા સજીવોનું પાલન; (૬) પાકનું પોષણ અને આરોગ્યરક્ષણ; (૭) યંત્રોના ઉપયોગમાં વિવેક; (૮) વિવેકી નીંદણ-નિયમન; (૯) ઉતારેલા પાકોની યોગ્ય સંચય-વ્યવસ્થા; (૧૦) ખેડૂત અને ખેતીની સામાજિક-આર્થિક સુરક્ષાને અનુરૂપ સામુદાયિક આયોજન અને (૧૧) સિદ્ધ થયેલ કૃષિજ્ઞાનની વ્યાપક આપ-લે અને તેનો ઉપયોગ.

સજીવ ખેતી

આધુનિક ખેતીમાં રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી જમીન, પાણી અને હવા પ્રદૂષિત થાય છે. જમીન બગડે છે અને જમીનમાં રહેલા ફાયદાકારક જીવાણુઓ નાશ પામે છે. ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવા માટે અને પાકના વધુ ઉત્પાદન માટે સંકલિત પાક-પોષણ-વ્યવસ્થા અપનાવવી જરૂરી છે. તેમાં છાણિયું ખાતર, કંપોસ્ટ, વર્મી કંપોસ્ટ કે ખોળ જેવાં સેન્દ્રિય ખાતરોનો અને જૈવ-ખાતરોનો વપરાશ, યોગ્ય પાક-ફેરબદલી તથા પાક-અવશેષોનો ઉપયોગ કરવામાં આવે છે. સેન્દ્રિય ખાતરોમાં અળસિયાંનું ખાતર ઉત્તમ છે. અળસિયાં જમીનને સમૃદ્ધ બનાવે છે. તે ધરતીમાં વારંવાર ઉપર-નીચે આવનજાવન તથા મળોત્સર્જન દ્વારા ભૂમિખેડ કરે છે. તેની દાણાદાર ભૂખરી હગાર પોટાશ, ફૉસ્ફરસ, નાઇટ્રોજન વગેરેથી સમૃદ્ધ ખાતર આપવાનું કામ કરે છે. અળસિયાંનું ખાતર ખેતીપાકો, શાકભાજી, રોકડિયા પાકો, બાગાયતી પાકો તથા ફૂલ-છોડ માટે ઉપયોગી છે. આ ઉપરાંત કેટલાંક ઉપયોગી યોગ્ય જૈવિક ખાતરોનો ખેતીમાં વપરાશ કરવાથી ઊંચી કિંમતનાં રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટાડીને જમીનની ઉત્પાદક્તા અને ફળદ્રૂપતા જાળવી શકાય છે. ખેતરના દરેક સ્થાને પાકની ફેરબદલીનું આયોજન કરવાથી જે તે પાકના હાનિકારક વિશિષ્ટ કીટકોનો વધારો થતો અટકે છે અને જમીનમાંથી અમુક જ ખનિજોનું વધારે પડતું શોષણ પણ અટકે છે. મગ, ચોળા, વાલ જેવા કઠોળ પાકો નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટાશ જેવાં પોષક ખનિજોનો તેમના મૂળ પર આવેલી ગાંઠોમાં સંચય કરી જમીનની ફળદ્રૂપતાની જાળવણી કરે છે. આજે વિશ્વમાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ વગેરેની ઝેરી અસરોને કારણે આરોગ્યને નુકસાન થતું અટકાવવા સજીવ ખેતીને અપનાવવામાં આવી રહી છે. આરોગ્ય પ્રત્યેની વધતી જતી લોકજાગૃતિને પગલે સજીવ ખેતી પ્રત્યે ખેડૂતોનો લગાવ વધી રહ્યો છે. ગુજરાતમાં પણ આજે અંદાજે પાંચ હજાર હૅક્ટર જમીનમાં સજીવ ખેતી થઈ રહી છે. છસ્સોથી વધુ ખેડૂતો સજીવ ખેતી કરી રહ્યા છે. રાજ્યમાં વર્ષે સજીવ ખેતીનું રૂ. દસ કરોડથી વધુ ઉત્પાદન થાય છે. અમદાવાદ જેવા શહેરમાં પણ સજીવ ખેતીની નીપજોનાં વેચાણકેન્દ્રો શરૂ થયાં છે અને સજીવ ખેતીને લગતા મેળા ભરાતા થયા છે. ભારતમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, મિઝોરમ, મધ્યપ્રદેશ સહિત આઠ રાજ્યોમાં સજીવ ખેતીને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે રાજ્યસરકારોએ સજીવ ખેતીની નીતિ અમલી બનાવી છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

શુભ્રા દેસાઈ