Categories
વાચન સમૃદ્ધિ

તમારી આંખનાં આંસુ એની

આંખમાં લે છે ? —————

વેદનાની વાત એવી વ્યક્તિઓને કરવી કે જેમની ભીતરમાં સંવેદના હોય. દુ:ખની વાત એને કરવી કે જેણે દુ:ખના ઘા ખમ્યા હોય. જીવનની વ્યથા, પીડા કે વેદનાની વાત કરતી વખતે તમારે એના કાનનો પહેલાં વિચાર કરવો. જે કાન શ્રવણ કરવાના છે, એ કઈ રીતે ગ્રહણ કરશે ? વ્યક્તિઓ ત્રણ પ્રકારની હોય છે. કેટલીક વ્યક્તિઓ અન્યનાં દુ:ખ અને દર્દ સાંભળીને પોતાનાં દુ:ખ-દર્દ વેદના જગાવે છે. બીજાનો પ્રણયભંગ એમના દિલમાં પોતાના પ્રણયભંગની સ્મૃતિની વેદના જગાવે છે. અન્યની ગરીબ અવસ્થા જોઈ એ એમની પૂર્વેની દરિદ્રતાના વિચારમાં ડૂબી જાય છે. આવી વ્યક્તિઓને બીજાનાં દુ:ખ સાથે અનુસંધાન હોતું નથી, પણ પોતાની જાત સાથે ગાઢ આસક્તિ હોય છે. બીજા પ્રકારની વ્યક્તિ અન્યનાં દુ:ખ અને દર્દ સાંભળીને એમને શાબ્દિક સહાનુભૂતિ આપશે. ગળગળા અવાજે એની વાતનો સ્વીકાર કરશે અને અવસર મળે આંખમાં આંસુ પણ લાવશે, પરંતુ  એમની સહાનુભૂતિ એ આ ક્ષણ પૂરતી હોય છે, પછીની ક્ષણે એણે કહેલા સાંત્વનાના સઘળા શબ્દો એના અંતરમાંથી લુપ્ત થઈ જાય છે. આ બંને પ્રકારના માણસો સમક્ષ પોતાનાં દુ:ખ-દર્દ પ્રગટ કરવાં નહીં, જે તમારા સ્વજન હોય એમ ઊંડા ભાવથી તમારાં દુ:ખ પૂછશે અને પછી તમારાં દુ:ખોનું દુનિયા સમક્ષ હસતાં હસતાં વર્ણન કરશે. ટ્રૅજેડીમાંથી કૉમેડીના અંશો તારવશે. એમને મન બીજાનું દુ:ખ એ એમની ખુશીનું કારણ હોય છે. એમને બીજાનાં હૃદયના ઘા રૂઝવવામાં રસ નથી. તક મળે તો એના પર મીઠું ભભરાવવાનું ચૂકતા નથી. પોતાના જીવનની વ્યથા, વેદના, દુ:ખ કે પીડા એવી વ્યક્તિઓ સમક્ષ પ્રગટ કરવી કે જેની પાસે તમારી આંખનાં આંસુ એની આંખમાં લઈ શકે તેવું સંવેદનાપૂર્ણ હૃદય હોય અને સક્રિય સહાયની તત્પરતા હોય.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

બાસુ ચેટરજી

જ. ૧૦ જાન્યુઆરી, ૧૯૨૭ અ. ૪ જૂન, ૨૦૨૦

સમાંતર સિનેમાને સફળ બનાવીને વ્યાવસાયિક પ્રતિષ્ઠા અપાવનાર ગણનાપાત્ર સર્જકોમાં બાસુ ચેટરજીનો સમાવેશ કરવામાં આવે છે. તેમનો જન્મ અજમેર, રાજસ્થાનમાં એક બંગાળી પરિવારમાં થયો હતો. મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મનાર બાસુ ચેટરજીની ફિલ્મો પણ મધ્યમવર્ગીય પરિવારની કથા, તેમની મુસીબતો, નાની નાની મહેચ્છાઓને વર્ણવે છે. ફિલ્મસર્જક બન્યા તે પહેલાં ૧૮ વર્ષ સુધી તેમણે લોકપ્રિય અંગ્રેજી સાપ્તાહિક ‘બ્લિટ્ઝ’માં કાર્ટૂનિસ્ટ તરીકે કામગીરી બજાવી હતી. ઇટાલિયન ચિત્ર ‘બાઇસિકલ થીફ’ તથા સત્યજિત રેના ‘પથેર પાંચાલી’ના પ્રભાવ હેઠળ તેમણે ફિલ્મ-સર્જનમાં ઝંપલાવ્યું. તેમણે રાજ કપૂર અને વહિદા રહેમાન અભિનીત ફિલ્મ ‘તીસરી કસમ’માં બાસુ ભટ્ટાચાર્યના સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું. નિર્દેશક તરીકે ફિલ્મ ‘સારા આકાશ’ સાથે તેમણે કારકિર્દી શરૂ કરી. ‘સારા આકાશ’ ફિલ્મનિર્માતાઓ તથા અનેક ચિત્રસંસ્થાઓને બાસુદા તરફ આકર્ષી ગયું. આ ચિત્રને ફિલ્મફેર ‘બેસ્ટ સ્ક્રીન પ્લે’ પુરસ્કાર પણ મળ્યો હતો. આ પછી બાસુદાએ સંખ્યાબંધ ચલચિત્રો બનાવ્યાં. તેમનાં ચલચિત્રોમાંની હળવાશ, રમૂજ કે મનોરંજક શૈલીએ કહેવાયેલી વાત પ્રેક્ષકોને ખૂબ ગમી ગઈ, જેમાંથી દેશભરમાં તેમના કરોડો પ્રશંસકો થયા. બાસુદાનાં સવિશેષ  ઉલ્લેખનીય ચલચિત્રોમાં ‘સારા આકાશ’ ઉપરાંત ‘પિયા કા ઘર’, ‘રજનીગંધા’, ‘છોટી સી બાત’, ‘ચિત્તચોર’, ‘સ્વામી’, ‘સફેદ જૂઠ’, ‘ખટ્ટામીઠા’, ‘ચક્રવ્યૂહ, ‘બાતો બાતો મેં, ‘પસંદ અપની અપની’, ‘અપને પરાયે’, ‘મનપસંદ’, ‘શૌકીન’ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે સર્જેલી ટેલિફિલ્મ ‘ઇક રુકા હુઆ ફૈંસલાથી સારી  એવી ચર્ચા જાગી હતી. તેમણે દૂરદર્શન માટે સર્જેલી કથાશ્રેણીમાં ‘રજની’, ‘દર્પણ’ તથા ‘વ્યોમકેશ બક્ષી’ ખૂબ જ સફળ અને લોકપ્રિય નીવડી હતી. તેમણે ઘણી બધી બંગાળી ફિલ્મો પણ દિગ્દર્શિત કરી હતી. તેમને મળેલા પુરસ્કારોમાં બેસ્ટ સ્ક્રીન પ્લે ઍવૉર્ડ ‘સારા આકાશ’ (૧૯૭૨), ‘છોટી સી બાત’ (૧૯૭૬), ‘કમલા કી મોત’ (૧૯૯૧), ફિલ્મ ફેર ક્રિટીક ઍવૉર્ડ ‘રજનીગંધા’ (૧૯૭૫), ફિલ્મફેર બેસ્ટ દિગ્દર્શક ઍવૉર્ડ ‘સ્વામી’, ૨૦૦૭ IIFA લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડનો સમાવેશ થાય છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

જાલોર

રાજસ્થાનના ૩૩ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન ૨૫ ૨૧´ ઉ. અ. ૭૨ ૩૭´ પૂ. રે.. આઝાદી પૂર્વે તે જોધપુર રાજ્યનો ભાગ હતો. આ જિલ્લામાં જાળનાં વૃક્ષો, અન્ય વૃક્ષો કરતાં વધારે હોવાથી શહેરનું નામ જાલોર પડ્યું છે. જિલ્લો ગુજરાતની ઉત્તર સરહદે આવેલો છે. તેની પશ્ચિમે બાડમેર જિલ્લો, પૂર્વ તરફ પાલી અને શિરોહી જિલ્લાઓ અને ઉત્તર તરફ જોધપુર જિલ્લો છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૧૦,૬૪૦ ચોકિમી. અને વસ્તી ૧૮,૩૦,૧૫૧ (૨૦૧૧) છે. જાલોર જિલ્લાનો મોટો ભાગ શુષ્ક રણપ્રદેશ છે. વચ્ચે રેતીના ઢૂવા અને છૂટીછવાઈ ટેકરીઓ આવેલાં છે. આ ટેકરીઓ આશોર, દોરા, ભીનમાલ અને બકવાસ આસપાસ આવેલી છે. ઊંચાઈ આશરે ૭૩૬ મી. છે. આ પ્રદેશમાં થઈને જાવાઈ, ખારી, સાગી અને સુકલ નદીઓ વહે છે જે લૂણીને મળે છે. અહીં ઉનાળામાં મે માસમાં તાપમાન ૪૪ સે. અને શિયાળામાં જાન્યુઆરીમાં ૮ સે. રહે છે. સમુદ્રથી આ પ્રદેશ દૂર હોવાથી આબોહવા વિષમ છે. રાત્રિ અને દિવસના તાપમાનમાં ઘણો તફાવત રહે છે. પ્રદેશમાં ૨૫૦ મિમી.થી ૫૦૦ મિમી. વરસાદ પડે છે પણ તે અનિયમિત પડે છે. ઉનાળાની શરૂઆતમાં વાવાઝોડાને કારણે રેતી ખૂબ ઊડે છે. વરસમાં આવાં ૯થી ૧૫ જેટલાં વાવાઝોડાના પ્રસંગો બને છે.

જાલોરનો કિલ્લો

અહીં ઘાસનાં બીડ તથા કાંટાવાળાં, ઊંડાં મૂળવાળાં કુમતા, હિંગોર, આલર, રોહીડા, ગોલ, લીંબડો, જાળ, બાવળ વગેરે વૃક્ષો જોવા મળે છે. રીંછ, શિયાળ, જંગલી બિલાડી, લોંકડી, છીંકારાં, સસલાં, રોઝ વગેરે વન્ય પ્રાણીઓ જોવા મળે છે. ચકલી, બુલબુલ, બયા, પોપટ, કોયલ, ગીધ, કાબર, કાગડો વગેરે પક્ષીઓ જોવા મળે છે. ઉપરાંત, કાળોતરો નાગ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. મારવાડી ઘેટાં-બકરાં સારી ગુણવત્તાનું ઊન આપે છે. જાલોરી ગાય અને જાલોરી ઘોડા સારી ઓલાદનાં છે. અહીં ફીલાઇટ, શિસ્ટ, આરસ, ક્વાર્ટ્ઝાઇટ, ગ્રૅનાઇટ અને રહાયો- લાઇટ મુખ્ય ખડકો છે. ગુલાબી અને ભૂખરા ગ્રૅનાઇટ અને જાલાની રહાયોલાઇટ પથ્થરો જાણીતા છે. થોડા પ્રમાણમાં ફ્લોરાઇટ પણ મળે છે. જિલ્લામાં ૬,૦૭,૫૫૦ હેક્ટરમાં ખેતી થાય છે, જ્યારે ૧૭,૦૪૪ હેક્ટરમાં જંગલો છે. ૨,૫૧,૨૬૧ હેક્ટર જમીન ગૌચરની અને પડતર છે. જુવાર, બાજરી, ચણા, કઠોળ અને ઘઉં મુખ્ય પાક છે. પાણીની સગવડ હોય ત્યાં ડાંગર ને તમાકુ થાય છે. જિલ્લામાં જાવાઈ નદી ઉપર બંધ બાંધીને નહેરો વાટે ખેતી માટે પાણી અપાય છે. કૂવા દ્વારા મુખ્યત્વે સિંચાઈ થાય છે. આ જિલ્લામાં મુખ્યત્વે લઘુઉદ્યોગો આવેલા છે. આહોરમાં પાવરલૂમ ઉપર સુતરાઉ કાપડ વણાય છે. ભીનમાલમાં તેલની મિલ છે. જાલોરમાં પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવાનું કારખાનું છે, જ્યારે સાંચોરમાં લાકડાની વસ્તુઓ બને છે. ગુજરાતમાંથી અમદાવાદ-પાલનપુર અને આબુરોડથી જતી મીટર ગેજ રેલવે જાલોર થઈને પાકિસ્તાનની સરહદે બાડમેર સુધી જાય છે. બાડમેરથી બિશનગઢ, સંગેરાવ અને બરનેસરથી કેનિયા થઈને સાંચોર સુધી રાષ્ટ્રીય ધોરી માર્ગ જાય છે. જાલોર, ભીનમાલ, આહોર અને સાંચોર જિલ્લાનાં મુખ્ય શહેરો છે. વરાહ શ્યામ, ચંડીનાથ મહાદેવ, હનુમાનજી તથા ચામુંડાનાં મંદિરો ચૌહાણ રજપૂતોએ બંધાવ્યાં છે. ભીનમાલ કે ભિન્નમાલ ઉર્ફે શ્રીમાલ ગુર્જર પ્રતિહાર રાજાઓની રાજધાનીનું શહેર હતું અને અહીંથી શ્રીમાળી બ્રાહ્મણ, વણિકો, સોની તથા પોરવાડ વણિકો વગેરે સ્થળાંતર કરી ગુજરાતમાં વસ્યા હતા. સાંચોર અને જાલોરના બ્રાહ્મણો ગુજરાતમાં વસ્યા હતા. તે રેલવે દ્વારા તથા રસ્તા દ્વારા જોધપુર સાથે જોડાયેલું છે. ખેતીના પાકો માટેનું મુખ્ય બજાર કે વેપારી કેન્દ્ર છે. બારમી સદીમાં ચૌહાણ રાજપૂતોની રાજધાનીનું શહેર હતું. ૧૩૧૦માં અલ્લાઉદ્દીન ખલજીએ જીતી લીધું. શહેરના બહારના ભાગમાં અગિયારમી સદીનો કિલ્લો છે. તેનું પ્રાચીન નામ જાબાલિપુર છે અને તે જૈન ધર્મનું કેન્દ્ર હતું. જિલ્લાનું વેપારી અને શૈક્ષણિક કેન્દ્ર છે. રામદેવજી અને સુધામાતાના મેળા ભાદરવા સુદ તેરસથી પૂનમ દરમિયાન ભરાય છે. આ ઉપરાંત જાલોર, ચનોદર, મુન્થાલી અને સિળિમાં શીતળા માતાના મેળા ભરાય છે. સતી માતાનો મેળો પણ પ્રખ્યાત છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

શંકરલાલ ત્રિવેદી