Categories
વાચન સમૃદ્ધિ

પ્રકૃતિનો ખોળો ખોઈ બેઠા

સવારથી રાત સુધી માનવી સતત દેહની દરકાર રાખતો હોય છે. શરીરની નાની નાની જરૂરિયાતો પર પૂરું ધ્યાન આપે છે અને એના સૌંદર્ય કે શક્તિની વૃદ્ધિ માટે અનેક ઉપાયો કરે છે. જિંદગીનો કેટલો બધો સમય એ આ શરીર માટે ગાળે છે ! એને એના શરીરનું બંધાણ થઈ ગયું હોય છે અને તેથી વાળ વેરવિખેર થાય કે કપડાં ટૂંકાં કે ચમકદાર ન હોય તો એ બેચેની અનુભવે છે. શરીરનાં સુખ અને પીડા સાથે એનું આખું  સંવેદનતંત્ર જોડાઈ ગયું હોય છે અને તેથી માનવી દેહથી એક ક્ષણ પણ અળગો રહી શકતો નથી. એ જેમ શરીરને સ્વસ્થ રાખવાનું વિચારે છે, એ રીતે એણે મનની માવજત કરવી જોઈએ. તન અને મનનો જીવનભરનો સંબંધ છે. શરીરને આરામ આપે છે એમ એણે મનને આરામ આપવો જોઈએ. અતિશય કામ, અતિ વ્યસ્તતા અને માનસિક તનાવ વચ્ચે પણ એણે મનના સ્વાસ્થ્ય માટે  થોડીક મિનિટો કાઢવી જોઈએ. કામના ઢગલા વચ્ચે દટાયેલો હોય તોપણ એની વચ્ચે થોડો સમય શાંતિથી બેસીને, આંખો બંધ કરી, પોતે જોયેલાં કોઈ પ્રકૃતિદર્શનને માણે તો એના મનમાં નવી તાજગી આવશે. જીવનમાં જોયેલાં ગમતાં પ્રકૃતિદૃશ્યો વચ્ચેથી તે મનને પસાર કરશે તો એનું મન સદા સ્વસ્થ અને સ્વાસ્થ્યપૂર્ણ રહેશે. એવાં દૃશ્યો એને આનંદ આપશે અને સતત એક પ્રકારના વિચાર-ઢાંચામાંથી મુક્ત કરશે. પહેલાં માનવીએ પ્રકૃતિનો ખોળો ગુમાવ્યો, પછી પ્રકૃતિનું દર્શન ગુમાવ્યું અને આજે આખી પ્રકૃતિ જ ખોઈ બેઠો છે. પ્રકૃતિમાં રહેલી પરમની ભવ્યતા, જીવનનો ઉલ્લાસ અને અંતર્મુખતાનો આનંદ પામવો હોય તો એણે પ્રકૃતિ પાસે જવું જ પડશે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

અજ્ઞેયજી

જ. ૭ માર્ચ, ૧૯૧૧ અ. ૪ એપ્રિલ, ૧૯૮૭

આધુનિક હિન્દી સાહિત્યકાર, જ્ઞાનપીઠ પુરસ્કારવિજેતા અને પત્રકાર. અજ્ઞેયજીનું પૂરું નામ સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન હતું. તેમનો જન્મ ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાના કસિયા ગામે થયો હતો. પિતા પુરાતત્ત્વ વિભાગના ઉચ્ચ અમલદાર હતા, તેમને અનેક સ્થળે જવું પડેલું તેથી અજ્ઞેયજીએ જુદા જુદા સ્થળે શિક્ષણ લીધેલું. આથી તેઓ અનેક ભાષા-ભાષીઓના સંપર્કમાં આવ્યા. તેમને જુદા જુદા પ્રદેશના સાહિત્યમાં રસ પડતો. લાહોરમાંથી બી.એસસી. થયા પછી એમ.એ.માં અંગ્રેજીનું અધ્યયન શરૂ કર્યું. પણ એ ગાળામાં સ્વાતંત્ર્યઆંદોલન શરૂ થતાં તેમાં જોડાયા. ૧૯૩૦માં પકડાયા અને ચાર વર્ષની સજા થઈ. છૂટ્યા પણ ત્યાં જ પાછી બે વર્ષ માટે નજરકેદ થઈ. એ પછી તેમણે આકાશવાણીમાં નોકરી કરી અને અનેક સામયિકો-પત્રોમાં સંપાદક તરીકે કાર્ય કર્યું. જોધપુર વિશ્વવિદ્યાલયમાં ભાષા વિભાગના અધ્યક્ષ તરીકે પણ સેવાઓ આપેલી. તેઓ હિન્દી કવિતા અને નવલકથાક્ષેત્રે યુગપ્રવર્તક મનાય છે. જોકે તેમણે સાહિત્યનાં અનેક સ્વરૂપોમાં કાર્ય કર્યું છે. લગભગ સાડા ચાર દાયકા સુધી તેમની લેખનપ્રવૃત્તિ ચાલતી રહી હતી. એમની કલમમાં આધુનિક ચેતનાનો સ્પર્શ અનુભવાય છે. અલબત્ત પરંપરા અને આધુનિકતા વચ્ચે તેમણે સેતુનું કાર્ય કર્યું છે. પશ્ચિમના અદ્યતન સાહિત્યપ્રવાહોથી તેઓ પરિચિત હતા, પણ તેમણે તેનું અનુકરણ કર્યું નથી. તેમની કવિતામાં ઉલ્લાસસભર તાજગી અને આધુનિક જીવનદર્શન બંનેનો અનુભવ થાય છે. ‘ભગ્નદૂત’ (૧૯૩૩)  એમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે. ત્યારે તેઓ માત્ર બાવીસ વર્ષના હતા. એ પછી એમની પાસેથી પાંચેક સંગ્રહો મળ્યા છે. તેમણે પોતાની સાથે સાત કવિઓની રચનાઓનું સંકલન ૧૯૪૩માં ‘તારસપ્તક’ નામે કરેલું. ‘તારસપ્તક’થી હિન્દીમાં પ્રયોગવાદી કાવ્યધારા શરૂ થઈ. તેમની પાસેથી ચાર વાર્તાસંગ્રહો મળ્યા છે. ‘અજ્ઞેય કી સંપૂર્ણ કહાનિયાઁ’ (ભાગ ૧-૨) ૧૯૭૫માં પ્રગટ થઈ. એમની પ્રથમ નવલકથા ‘શેખર : એક જીવની’ (ભાગ ૧-૨, ૧૯૪૧-૪૪) આત્મકથાત્મક શૈલીમાં લખાયેલી પ્રથમ હિન્દી નવલકથા છે. તેમણે નિબંધ, વિવેચન, પ્રવાસગ્રંથો  ક્ષેત્રે પણ પ્રદાન કર્યું છે. તેમણે શરદબાબુની કૃતિ ‘શ્રીકાન્ત’નું તથા જૈનેન્દ્રકુમારની કૃતિ ‘ત્યાગપત્ર’નું અંગ્રેજીમાં અને રવીન્દ્રનાથની કૃતિ ‘ગોરા’નું હિન્દીમાં ભાષાંતર કર્યું છે.

શ્રદ્ધા ત્રિવેદી

Categories
વાચન સમૃદ્ધિ

જેરૂસલેમ

ઇઝરાયલનું પાટનગર તથા યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને મુસલમાનોનું ધાર્મિક સ્થાન. ભૌગોલિક સ્થાન : ૩૧° ૪૬´ ઉ. અ. અને ૩૫° ૧૪´ પૂ. રે.. ઈ. પૂ. ૧૦૦૦ વર્ષે રાજા ડૅવિડે આ નગરને ઇઝરાયલની ભૂમિના પાટનગર તરીકે જાહેર કર્યું, ત્યારથી તે વિશ્વના યહૂદીઓ માટે ઐતિહાસિક, આધ્યાત્મિક તથા રાષ્ટ્રગૌરવના સ્થાન તરીકે ખ્યાતિ પામ્યું છે. વસ્તી ૯,૮૧,૭૧૧ (૨૦૨૨), ભૌગોલિક વિસ્તાર ૬૫૩ ચોકિમી. (પૂર્વ જેરૂસલેમ સહિત), સમુદ્રતલથી ઊંચાઈ ૭૩૨ મી.. જુડાકન ટેકરીઓ વચ્ચે, ભૂમધ્ય સાગરથી ૫૫ કિમી. અંતરે તે વસેલું છે. પરંપરા અનુસાર નગરનું નામ હિબ્રૂ ભાષાના બે શબ્દોના સંયોજનથી પાડવામાં આવ્યું છે : ‘irs’ એટલે નગર તથા ‘shalom’ એટલે શાંતિ. આમ જેરૂસલેમ એટલે શાંતિનું નગર. ૧૯૪૮ના ઇઝરાયલ અને જૉર્ડન વચ્ચેના યુદ્ધના પરિણામે નગરના બે ભાગ પડ્યા. પશ્ચિમ જેરૂસલેમ ઇઝરાયલના કબજામાં અને પૂર્વ જેરૂસલેમ જૉર્ડનના કબજા હેઠળ ગયું. ૧૯૬૭ના ઇઝરાયલ-અરબ યુદ્ધમાં ઇઝરાયલના લશ્કરે પૂર્વ જેરૂસલેમ પર વિજય મેળવ્યો, જેને પરિણામે નગરના બંને ભાગ ઇઝરાયલના શાસન હેઠળ આવ્યા. પશ્ચિમ જેરૂસલેમનો વિકાસ આધુનિક ઢબે થયો છે. પૂર્વ જેરૂસલેમ જૂના શહેરનો ભાગ છે, જેમાં મોટા ભાગનાં ધાર્મિક સ્થળો આવેલાં છે.

નગરનું સરેરાશ તાપમાન જાન્યુઆરી માસમાં ૧૩° સે. અને જુલાઈ માસમાં ૨૪° સે. રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ ૫૧૦ મિમી. પડે છે. નગરના મોટા ભાગના ઔદ્યોગિક એકમો પશ્ચિમ જેરૂસલેમમાં વિકસ્યા છે. તેમાં હીરાનું પૉલિશિંગ, ખાદ્ય પદાર્થોની પ્રક્રિયા, રસાયણ, પ્લાસ્ટિકની બનાવટો, યંત્રો, ચામડાની વસ્તુઓ, વસ્ત્રો, છાપકામ એકમો ઉપરાંત ચાંદીનાં વાસણો, કાષ્ઠની વસ્તુઓ, કુંભારકામ, ભરતકામ જેવા હસ્તઉદ્યોગો નોંધપાત્ર છે. પૂર્વ જેરૂસલેમમાં હળવી તથા વપરાશી વસ્તુઓના ઉત્પાદન એકમો ઠીક ઠીક પ્રમાણમાં વિકાસ પામ્યા છે. નગરમાં બધી જ વિદ્યાશાખાઓનું શિક્ષણ આપતી સંસ્થાઓ છે. ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ હિબ્રૂ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. નગરનો સ્થાનિક વહીવટ ૨૧ સભ્યો ધરાવતી નગરપાલિકા કરે છે. તેનો કાર્યકાળ ૪ વર્ષનો હોય છે. મેયર તેના વડા છે. નગરપાલિકાની મોટા ભાગની આવક પ્રવાસન ઉદ્યોગમાંથી મળે છે, જે નગરનો મુખ્ય ઉદ્યોગ ગણાય છે. પશ્ચિમ જેરૂસલેમ વિભાગમાં રાજા ડૅવિડનો મકબરો તથા ઈસુએ જ્યાં અંતિમ ભોજન (last supper) કર્યું તે કક્ષ (cinacle) આવેલા છે. પૂર્વ વિભાગમાં ઉદ્યાનો, રમતગમતનાં મેદાનો, વિદ્યાલયો, યુવા મંડળોનાં મકાનો તથા રહેવાસ માટેની અદ્યતન ઇમારતો વિકસી છે. ૧૯૬૭માં પૂર્વ વિસ્તાર પર ઇઝરાયલનું આધિપત્ય થયા પછી તે વિસ્તારનો વિકાસ થયો છે. બાઇબલકાળથી જ ધાર્મિક સ્થળ તરીકે નગરનો મહિમા હતો. ઈ. સ. પૂ. ૧૦૦૦માં યહૂદીઓના કબીલાઓના પાટનગર તરીકે રાજા ડૅવિડે તેની પસંદગી કરી અને તેના પુત્ર સૉલોમને નગરમાં પ્રથમ દેવળ બાંધ્યું ત્યારથી યહૂદીઓ માટે તે પવિત્ર સ્થળ બન્યું. આ જ નગરમાં ઈસુના જીવનની કેટલીક મહત્ત્વની ઘટનાઓ બની અને ત્યાં જ તેમને વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યા, તેને લીધે ખ્રિસ્તીઓ માટે પણ તે પવિત્ર સ્થળ બન્યું. આ જ સ્થળેથી મહંમદ પયગમ્બરે સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું હતું એવી મુસલમાનોની માન્યતા હોવાથી મક્કા અને મદીના પછી વિશ્વના ત્રીજા પવિત્ર સ્થળ તરીકે તેઓ આ નગરની ગણના કરે છે. નગરનો ઇતિહાસ ૪૦૦૦ વર્ષ પૂર્વે પ્રાગૈતિહાસિક કાળથી શરૂ થાય છે. ઈ. સ. પૂ. ૧૦૦૦ આસપાસ રાજા ડૅવિડે આ નગરને પોતાના સામ્રાજ્યની રાજધાની બનાવી. ઈ. સ. પૂ. ૯૦૦માં તેના બે ભાગ પડ્યા. જુડાએ તેને પોતાના સામ્રાજ્યનું પાટનગર બનાવ્યું.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જેરૂસલેમ, પૃ. ૯૦૬)

બાળકૃષ્ણ માધવરાવ મૂળે