Categories
વાચન સમૃદ્ધિ

સરોવર (Lake)

બધી બાજુએથી ભૂમિ દ્વારા ઘેરાયેલું કુદરતી જળાશય.

સરોવર મોટા ભાગે તો બધી બાજુએથી જમીનથી બદ્ધ થયેલું હોય છે, પરંતુ કેટલાંક સરોવરોમાં ઝરણાં કે નદી દ્વારા જળ-ઉમેરણ અને તેમાંથી જળ-નિર્ગમન થતું હોય છે. નાનાથી માંડીને દરિયા જેવડાં મોટા કદનાં સરોવર પણ હોય છે. કેટલાંક સરોવરો પર્વતોની ઊંચાઈ પર (દા.ત., ટિટિકાકા સરોવર) તો કેટલાંક ભૂમિસપાટી પર (દા.ત., નળસરોવર) આવેલાં હોય છે. પૃથ્વીના તળ પર આવેલ ગર્ત, ખાડા કે થાળામાં પાણીનો પૂરતો પુરવઠો જમા થાય ત્યારે ત્યાં સરોવર રચાય છે. સરોવર બે પ્રકારનાં હોય છે : મીઠા (સ્વચ્છ) જળનાં અને ખારા જળનાં. જે સરોવરથાળામાં મળી રહેતા જળપુરવઠાના પ્રમાણમાં બાષ્પીભવનનું પ્રમાણ વધારે રહેતું હોય ત્યાં કાળક્રમે ક્ષારોનું પ્રમાણ વધી જાય છે, પરિણામે એવા સરોવરનું પાણી ખારું બની જાય છે. ક્યારેક પવનને લીધે મીઠાના કે ક્ષારના રજકણો ઊડીને સરોવરમાં પડ્યા કરતા હોવાથી સરોવરનું પાણી ખારું બની જાય છે. સૂકા પ્રદેશોના સરોવરમાં જળઆવક ઓછી હોય અને બાષ્પીભવન વધારે થતું રહેતું હોય તો તેનું પાણી ખારું થઈ જાય છે. કેટલાંક છીછરાં સરોવરો તો બાષ્પીભવનથી સૂકાં થાળાં બની રહે છે; પરંતુ ચોમાસા દરમિયાન તેઓ પાણીથી ભરાય છે. આથી ઊલટું, ભેજવાળા પ્રદેશમાંનાં સરોવર મીઠા પાણીનાં હોય છે, કારણ કે ત્યાં બાષ્પીભવનનું પ્રમાણ ઓછું હોય છે.

દાલ સરોવર

સરોવરની તેની આજુબાજુના પ્રદેશની આબોહવા તથા તેના લોકજીવન પર અસર થાય છે. સરોવરને લીધે તેની આજુબાજુના વિસ્તારમાં ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડી ઓછી લાગે છે. સરોવરના જળનો ઉપયોગ માણસોની અવરજવર, માલસામાનની હેરફેર માટે થાય છે. એ રીતે વેપાર-વાણિજ્યના જળમાર્ગ તરીકે તેની ઉપયોગિતા જોવા મળે છે. સરોવરની આસપાસ વસતા લોકો મનોરંજન અર્થે સરોવરનો લાભ લે છે. સરોવરમાં નૌકાવિહાર, માછીમારી, વૉટર-સ્કેટિંગ વગેરે થઈ શકે છે. સરોવરમાં વિવિધ જાતની વનસ્પતિ તથા કાચબા, મગર, માછલી, દેડકાં જેવાં પ્રાણીઓ રહેતાં હોય છે. ત્યાં યાયાવર પક્ષીઓ મુલાકાતે આવે છે. ભારતના વિશાળ ભૂભાગમાં અનેક સરોવરો આવેલાં છે; જેમ કે, દાલ સરોવર, વુલર સરોવર, પૅંગોગ, નૈનિતાલ, ચિલ્કા, કોલેરુ સરોવર, પુલિકટ સરોવર, પેરિયાર સરોવર, નળ સરોવર, સાંભર સરોવર અને લોણાર સરોવર.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સરોવર, પૃ. ૪૨)

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

જયંતીલાલ પ્રાણલાલ ઠાકોર

જ. ૪ માર્ચ, ૧૯૧૩ અ. ૨૦૦૪

અમદાવાદમાં વ્યાયામશાળાની પ્રવૃત્તિઓના પ્રણેતા, સ્વાતંત્ર્યસેનાની અને રચનાત્મક કાર્યકર જયંતીલાલનો જન્મ જામનગરમાં થયો હતો. સાત વર્ષની વયે પિતાનું અવસાન થયું. માતા વિજયાલક્ષ્મીએ તેમનામાં શિક્ષણનો પાયો મજબૂત કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. તેમનું બાળપણ અમદાવાદમાં વીત્યું. શાળાના અભ્યાસ દરમિયાન છાપાંઓ વહેંચવા જેવી નાનીમોટી કામગીરી કરી કુટુંબને સહાયરૂપ બન્યા. તેઓએ વ્યાયામશાળામાં વ્યાયામની તાલીમ લીધી. તદુપરાંત પુસ્તકાલય સહકારી ભંડાર, હસ્તલિખિત માસિક, કૅમ્પિંગ, સ્કાઉટિંગ જેવી પ્રવૃત્તિઓની પણ તાલીમ મેળવી. જોકે પ્રતિકૂળ સંજોગોને કારણે કૉલેજનો અભ્યાસ અધૂરો છોડવો પડ્યો. તેમણે અમદાવાદમાં વસંતરાવ હેગિષ્ટે, વાસુદેવ ભટ્ટ સાથે મળીને વ્યાયામશાળાની પ્રવૃત્તિઓને પ્રચલિત કરી અને કિશોરોને સશક્ત અને નીડર બનવા માટે પ્રેર્યા. ૧૨ માર્ચ, ૧૯૩૦ના રોજ ગાંધીજીએ આરંભેલી દાંડીકૂચમાં જોડાવા અરજી કરી, પરંતુ વય નાની હોવાથી જોડાઈ શક્યા નહીં. તેમણે ધોલેરા સત્યાગ્રહમાં અને ધરાસણા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. તે દરમિયાન પોલીસનો માર ખાધો અને જેલવાસ પણ ભોગવ્યો. ૧૯૪૨માં ‘ભારત છોડો’ લડતમાં ભૂગર્ભ પ્રવૃત્તિઓ કરવા બદલ જેલવાસ ભોગવ્યો. આ લડતમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી. અમદાવાદમાં આઝાદ સરકારના શહેરસૂબા તરીકે તેઓ સક્રિય બન્યા. આ ચળવળ દરમિયાન  જયંતી ઠાકોરે અભૂતપૂર્વ સાહસ કરીને કાર્યકરોને એકત્રિત કર્યા. તેમણે ‘કૉંગ્રેસ પત્રિકા’ પ્રસિદ્ધ કરવાનું વ્યવસ્થાતંત્ર ગોઠવ્યું. તેઓ વ્યાયામપ્રવૃત્તિ, દલિતોદ્ધાર, હિન્દુ-મુસ્લિમ એકતા, મજૂરપ્રવૃત્તિ કરતા. કોમી હુલ્લડોમાં શાંતિસૈનિક તરીકે સેવા આપતા. ૧૯૪૩માં જયપ્રકાશ નારાયણે ગોઠવેલી લડતના આગેવાનોની ગુપ્ત સભામાં જયંતી ઠાકોર જોડાયા હતા. વળી તેઓ હરિવદન અને વાસુદેવ ભટ્ટ સાથે ‘આઝાદ હિંદ ફોજ’માં જોડાવા માટે કૉલકાતા પણ ગયા હતા. તેઓ નિસર્ગોપચારના નિષ્ણાત હતા. તેઓનું સમગ્ર જીવન સાદગીભર્યું હતું.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

આંખમાં સ્વપ્ન આંજવાથી કશું ન વળે

સફળ વ્યક્તિઓના જીવનમાં એવી કઈ જડીબુટ્ટી હોય છે કે જેના દ્વારા એ જે કોઈ ક્ષેત્રમાં કાર્યરત હોય, તેમાં એક પછી એક પ્રગતિનાં સોપાન સાધતી હોય છે. એ વ્યક્તિ પાસે પોતાની કલ્પનાને વાસ્તવિક અનુભવ રૂપે વિચારી શકવાની ક્ષમતા હોય છે. એ પોતાના જીવનસ્વપ્નને ચિત્તમાં સાચેસાચું સર્જાયેલું હોય, તેમ જુએ છે અને એ પછી એ સ્વપ્નની હકીકતને સાકાર કરવા માટે પ્રયાસ કરે છે. આવી વ્યક્તિ પાસે પોતાના ધ્યેયનો મનોસાક્ષાત્કાર કરવાની અદભુત શક્તિ હોય છે. એ ધ્યેયને મનમાં પ્રત્યક્ષ કરીને પોતાની કાર્યપ્રણાલી નિશ્ચિત કરતી હોય છે. મનોમન શિખરને જુએ છે. એને બારીકાઈથી નિહાળે છે અને પછી એ શિખરે પહોંચવા માટેનો માર્ગ તૈયાર કરે છે. ધ્યેયસિદ્ધિના માર્ગમાં આવનારા અવરોધોનો સાક્ષાત્કાર કરે છે અને શિખરને નજરમાં રાખીને એ અવરોધોને કેવી રીતે પાર કરવા તેનું આયોજન કરે છે. માત્ર સ્વપ્ન સેવવાથી કશું થતું નથી. એ સ્વપ્નનો મનોમન સાક્ષાત્કાર કરવો જોઈએ અને પછી એ ચિત્તના અનુભવને વ્યવહારમાં ઉતારવા માટે પુરુષાર્થ ખેડવો જોઈએ. તમારા સ્વપ્નને મનમાં સાચેસાચું જીવંત કરવા તમારી પાસે એ માટેનો પ્રબળ આવેગ હોવો જોઈએ. એનું વારંવાર પુનરાવર્તન કરવું જોઈએ, તો જ પૂરેપૂરી બુદ્ધિ-શક્તિ એની પ્રાપ્તિ માટે પ્રેરણા અને જોશનું કામ કરવા લાગશે. સ્વપ્નને સેવવા અને સ્વપ્નને સર્જવા વચ્ચેની મોટી ખાઈ પસાર કરવા માટે બૌદ્ધિકતા અને કાર્યનિષ્ઠાનો સેતુ રચવો પડે. સ્થપતિએ તૈયાર કરેલી ડિઝાઇનો ઇમારતમાં પલટાવવા માટે એના એકેએક પાસાનો પરામર્શ કરવો ઘટે. માર્ગમાં આવનારા અવરોધોનો વિચાર કરીને એને માટે આગોતરું આયોજન કરવું પડે. આંખમાં સ્વપ્ન આંજવાથી કશું ન થાય, હાથથી એ સ્વપ્નોનું સર્જન કરવું પડે.

કુમારપાળ દેસાઈ