Categories
વાચન સમૃદ્ધિ

એન્થની વાન ડાઇક

જ. ૨૨ માર્ચ, ૧૫૯૯ અ. ૯ ડિસેમ્બર, ૧૬૪૧

સર એન્થની વાન ડાઇક એક લેમિશ બારોક ચિત્રકાર હતા; જે સ્પેન, નેધરલૅન્ડ્સ અને ઇટાલીમાં સફળતા પ્રાપ્ત કર્યા પછી ઇંગ્લૅન્ડમાં ટોચના પૉર્ટ્રેટ ચિત્રકાર બન્યા હતા. તેમના પિતા એન્ટવર્પમાં રેશમના એક શ્રીમંત  વેપારી હતા. તેઓ પિતાનાં ૧૨ સંતાનોમાંનું સાતમું સંતાન હતા અને તેમણે નાનપણથી જ ચિત્રકામ શરૂ કર્યું હતું. કિશોરાવસ્થાના અંતમાં તેઓ સ્વતંત્ર ચિત્રકાર તરીકે સફળ થયા હતા. એન્થની વાન ડાઇક ૧૮ ઑક્ટોબર, ૧૬૧૭ના રોજ એન્ટવર્પ ગિલ્ડમાં માસ્ટર બન્યા હતા. તે સમયના અગ્રણી ચિત્રકાર પીટર પોલ રુબેન્સના સ્ટુડિયોમાં તેઓ કામ કરતા હતા, જેમનો એમની ચિત્રકલા પર મોટો પ્રભાવ પડ્યો હતો. ૧૬૨૦ના દાયકાના અંતમાં પ્રખ્યાત સમકાલીન લોકોનાં પૉર્ટ્રેટ ચીતરવાની તેમની કલા ખૂબ જ પ્રશંસા પામેલી આઇકોનોગ્રાફી શ્રેણી તેમણે પૂર્ણ કરી હતી. ૧૬૩૦થી ફ્લેન્ડર્સના હેબ્સબર્ગ ગવર્નર આર્ચડચેસ ઇસાબેલા માટે તેમણે કોર્ટ ચિત્રકાર તરીકે પણ કામ કર્યું હતું. ૧૬૩૨માં ઇંગ્લૅન્ડના ચાર્લ્સ પ્રથમની વિનંતીને માન આપીને મુખ્ય દરબારી ચિત્રકાર તરીકે લંડન પાછા ફર્યા હતા. હોબ્લીન સિવાય વાન ડાઇક અને તેમના સમકાલીન ડિએગો વેલાઝક્વેઝ એવા પ્રથમ પંક્તિના ચિત્રકારો હતા જેમણે મુખ્યત્વે કોર્ટ પૉર્ટ્રેટિસ્ટ તરીકે કામ કર્યું હતું, જેનાથી એ શૈલીમાં મોટી ક્રાંતિ આવી હતી. વાન ડાઇક કુલીન વર્ગનાં ચિત્રો માટે જાણીતા છે. ૧૫૦ વર્ષથી વધુ સમય સુધી અંગ્રેજી પૉર્ટ્રેટ-પેઇન્ટિંગ પર તેમનો પ્રભાવ રહ્યો હતો. તેમણે પૌરાણિક, રૂપકાત્મક અને બાઇબલના વિષયો પર પણ ચિત્રો દોર્યાં હતાં. એન્થની વાન ડાઇકનો પ્રભાવ આધુનિક સમયગાળા સુધી વિસ્તરે છે. હાલમાં પ્રચલિત વાન ડાઇક દાઢીનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેમના જીવનકાળ દરમિયાન ચાર્લ્સ પ્રથમે તેમને ‘નાઇટહુડ’નો ઇલકાબ આપ્યો હતો.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

આનો શો ઉપયોગ ?

અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી માઇકલ ફૅરડેએ વિદ્યુત ચુંબકત્વની ઘટના સમજાવવા માટે અનેક પ્રયોગો કર્યા અને એ રીતે વિજ્ઞાનના વિકાસમાં  મહત્ત્વનું પ્રદાન કર્યું. એમણે જીવનનો પ્રારંભ તો બુકસેલર અને બુકબાઇન્ડર તરીકે કર્યો હતો, પરંતુ એકવીસ વર્ષની વયે એમને હૅમ્ફ્રી ડેવીના મદદનીશ તરીકે કાર્ય કરવાની તક મળી. ૧૮૨૧માં ફૅરડેએ વિદ્યુત મોટરના સિદ્ધાંતની શોધ કરી અને તેનું એક પ્રારંભિક મૉડલ બનાવ્યું. બે વર્ષ પછી ક્લોરિન વાયુનું પ્રવાહીકરણ કરનાર તેઓ પ્રથમ વિજ્ઞાની હતા. ૧૮૨૫માં એમણે કોલદારમાંથી બેન્ઝિનને અલગ પાડ્યું. એ પછી એમણે વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચેના આંતરસંબંધો વિશે સંશોધન કર્યું. એક વાર ફૅરડે લોહચુંબકને તારના ગૂંચળા વચ્ચેથી પસાર કરીને ક્ષણિક વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે તેનો પ્રયોગ દર્શાવતા હતા. સહુએ ખૂબ જિજ્ઞાસાથી આ પ્રયોગ જોયો, પરંતુ એ જોઈને એક સ્ત્રીએ આ વિજ્ઞાનીને સવાલ કર્યો. ‘એ લોહચુંબક ક્ષણાર્ધ માટે વિદ્યુત-પ્રવાહ ઉત્પન્ન કરે છે તેનો શો ઉપયોગ ?’ માઇકલ ફૅરેડેએ હસતાં હસતાં ઉત્તર વાળ્યો, ‘એમ તો તરત જન્મેલા બાળકનો કશો ઉપયોગ ખરો ? એ શું કરી શકે ? તમને કઈ મદદ કરે ?’ પોતાના આ ઉત્તર દ્વારા ફૅરડેએ એ મહિલાને સૂચવી દીધું કે હજી તો એમની શોધ તદ્દન પ્રારંભિક તબક્કામાં છે, પણ તેઓ એ દર્શાવવા માગે છે કે એના ઉપયોગની ઘણી મોટી શક્યતાઓ ભાવિના ગર્ભમાં છુપાયેલી છે. આપણે જાણીએ છીએ કે સમય જતાં માઇકલ ફૅરડેએ સૌપ્રથમ ડાયનેમો બનાવ્યો અને આજે પણ એમની સંશોધનની કેટલીક ઘટનાઓ અને તારણોને ‘ફૅરડે ઇફેક્ટ’ તરીકે ઓળખવામાં આવે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

બિસ્મિલ્લાખાં

જ. ૨૧ માર્ચ, ૧૯૧૬ અ. ૨૧ ઑગસ્ટ, ૨૦૦૬

વિશ્વવિખ્યાત શરણાઈવાદક બિસ્મિલ્લાખાંનો જન્મ ડુમરાંવ, બિહારમાં પયગંબરબક્ષખાં અને મિઠ્ઠનબાઈને ત્યાં થયો હતો. જન્મ વખતનું તેમનું નામ કમરૂદ્દીન હતું. તેમના દાદા રસૂલબક્ષખાંએ નવજાત બાળકને જોઈ ‘બિસ્મિલ્લાહ’ એવો ઉદગાર કાઢ્યો અને ત્યારથી તેઓ બિસ્મિલ્લાખાં તરીકે ઓળખાવા માંડ્યા. તેમના દાદા રસૂલબક્ષ તથા પરદાદા ભોજપુર દરબારમાં શરણાઈવાદક હતા. પિતા ઉસ્તાદ પયગંબરબક્ષ પણ સારા સંગીતકાર હતા. બિસ્મિલ્લાખાંએ શરણાઈવાદનની તાલીમ છ વર્ષની ઉંમરથી તેમના મામા ઉસ્તાદ અલીબક્ષ પાસેથી લેવાની શરૂઆત કરી હતી. અલીબક્ષ વારાણસીના કાશીવિશ્વનાથ મંદિરમાં શરણાઈ વગાડતા હતા. બિસ્મિલ્લાખાંએ શરણાઈવાદનની સાથે સાથે એહમદહુસેનખાં પાસેથી શાસ્ત્રીય કંઠ્ય સંગીતની અને હાર્મોનિયમની તાલીમ લક્ષ્મણપ્રસાદ તથા ગ્વાલિયરના ગણપતરાવ ભૈયા પાસેથી મેળવી. મામાની સાથે નાની ઉંમરથી જ અનેક સંગીતસંમેલનમાં હાજર રહેવાની તેમને તક મળી. સખત રિયાઝને પરિણામે આશરે ૧૬ વર્ષની નાની વયે તો તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં કુશળ કલાકાર તરીકે ઓળખાવા લાગ્યા. પ્રયાગ સંગીત વિદ્યાલયના સંગીતસમારોહમાં શરણાઈ વગાડવા માટે તેમને સુવર્ણચંદ્રક મળ્યો અને ત્યારથી તેમને ખૂબ પ્રસિદ્ધિ મળતી ગઈ અને તેઓ ઉસ્તાદ બિસ્મિલ્લાખાં તરીકે જાણીતા થયા. ૧૯૪૭, ૧૫મી ઑગસ્ટે જ્યારે ભારતનો રાષ્ટ્રધ્વજ લાલ કિલ્લા ઉપરથી ફરકાવવામાં આવ્યો ત્યારે શરણાઈના સૂર રેલાવા બિસ્મિલ્લાખાંને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ૧૯૫૬માં શરણાઈવાદન માટે તેમને રાષ્ટ્રપતિ દ્વારા સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવેલા. તેમણે અમેરિકા, સોવિયેત સંઘ, સાઉદી અરેબિયા તથા ઇરાક જેવા દેશોની યાત્રા કરી હતી અને અપૂર્વ ચાહના મેળવી હતી. આકાશવાણી ઉપરથી પણ તેમના અનેક કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવ્યા છે. તેમને મળેલા પુરસ્કારોમાં ‘સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ’ (૧૯૫૬), ‘પદ્મશ્રી’ (૧૯૬૧), ‘પદ્મભૂષણ’ (૧૯૬૮), ‘પદ્મવિભૂષણ’ (૧૯૮૦) અને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ભારત રત્ન’(૨૦૦૧)નો સમાવેશ થાય છે. તેમના મૃત્યુના દિવસે ભારત સરકારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો.

અમલા પરીખ