Categories
વાચન સમૃદ્ધિ

સાહિર લુધિયાનવી

જ. ૮ માર્ચ, ૧૯૨૧ અ. ૨૫ ઑક્ટોબર, ૧૯૮૦

હિન્દી તથા ઉર્દૂ ભાષાના પ્રગતિશીલ કવિ તથા ચલચિત્રોના ગીતકારનું મૂળ નામ અબ્દુલ હાયી હતું. શિક્ષણ લુધિયાણામાં લીધું. નાની વયથી કવિતા લખતા થઈ ગયા, યુવાન વયે ‘તલ્ખિયા’ અને ‘ગાતા જાયે બનજારા’ કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા. યુવાન વયે તેઓ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા. પ્રગતિશીલ લેખક મંડળના સભ્ય બન્યા, પત્રકાર રૂપે લાંબો સમય કામ કર્યું. તેમણે દિલ્હીને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું અને વિવિધ સામયિકોનું સંપાદન કર્યું. ત્યારબાદ ઈ. સ. ૧૯૪૯માં તેમને સાચી દિશા લાધી અને ચલચિત્રના ગીતકાર થવાનો વિચાર આવ્યો. ધીમે ધીમે આ ક્ષેત્રમાં તેમને સફળતા મળી. ગુરુદત્તના ‘બાઝી’ ચિત્ર માટેનાં ગીતો તેઓએ લખ્યાં અને તે ગીતો લોકપ્રિય બન્યાં. ટૂંક સમયમાં તેઓનું નામ સફળ કવિઓની હરોળમાં આવી ગયું. સાહિરે કવિ ફૈઝ મહમ્મદ ફૈઝની જેમ પ્રગતિશીલ કવિતાનો માર્ગ લીધો. ઈ. સ. ૧૯૫૪માં ‘ટૅક્સી ડ્રાઇવર’ ફિલ્મમાં તેમનાં ગીતો દેશના ખૂણે ખૂણે ગુંજતાં થયાં. ત્યારબાદ તેમનાં ગીતોની માંગ વધવા લાગી. તેમનાં ગીતોમાં સાદું સંગીત છતાં ભાવવાહિતા અને ચોટદાર શબ્દોના પ્રયોગથી ખૂબ લોકપ્રિય થયાં. તેમનાં ગીતો શાસ્ત્રીય સંગીત પર આધારિત હતાં. તેમને ‘તાજમહલ’ અને ‘કભી કભી’ ફિલ્મનાં ગીતો માટે સર્વશ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. ૧૯૭૧માં ‘પદ્મશ્રી’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાહિરનાં ગીતો સામાન્ય દર્શકોને મનોરંજન અને વિશિષ્ટ વર્ગને પણ ઉત્સાહિત કરતાં હતાં. તેઓએ ટૂંકા જીવનકાળ દરમિયાન ઘણા ચાહકોનાં દિલમાં ઘેરી છાપ છોડી હતી.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

પ્રકૃતિનો ખોળો ખોઈ બેઠા

સવારથી રાત સુધી માનવી સતત દેહની દરકાર રાખતો હોય છે. શરીરની નાની નાની જરૂરિયાતો પર પૂરું ધ્યાન આપે છે અને એના સૌંદર્ય કે શક્તિની વૃદ્ધિ માટે અનેક ઉપાયો કરે છે. જિંદગીનો કેટલો બધો સમય એ આ શરીર માટે ગાળે છે ! એને એના શરીરનું બંધાણ થઈ ગયું હોય છે અને તેથી વાળ વેરવિખેર થાય કે કપડાં ટૂંકાં કે ચમકદાર ન હોય તો એ બેચેની અનુભવે છે. શરીરનાં સુખ અને પીડા સાથે એનું આખું  સંવેદનતંત્ર જોડાઈ ગયું હોય છે અને તેથી માનવી દેહથી એક ક્ષણ પણ અળગો રહી શકતો નથી. એ જેમ શરીરને સ્વસ્થ રાખવાનું વિચારે છે, એ રીતે એણે મનની માવજત કરવી જોઈએ. તન અને મનનો જીવનભરનો સંબંધ છે. શરીરને આરામ આપે છે એમ એણે મનને આરામ આપવો જોઈએ. અતિશય કામ, અતિ વ્યસ્તતા અને માનસિક તનાવ વચ્ચે પણ એણે મનના સ્વાસ્થ્ય માટે  થોડીક મિનિટો કાઢવી જોઈએ. કામના ઢગલા વચ્ચે દટાયેલો હોય તોપણ એની વચ્ચે થોડો સમય શાંતિથી બેસીને, આંખો બંધ કરી, પોતે જોયેલાં કોઈ પ્રકૃતિદર્શનને માણે તો એના મનમાં નવી તાજગી આવશે. જીવનમાં જોયેલાં ગમતાં પ્રકૃતિદૃશ્યો વચ્ચેથી તે મનને પસાર કરશે તો એનું મન સદા સ્વસ્થ અને સ્વાસ્થ્યપૂર્ણ રહેશે. એવાં દૃશ્યો એને આનંદ આપશે અને સતત એક પ્રકારના વિચાર-ઢાંચામાંથી મુક્ત કરશે. પહેલાં માનવીએ પ્રકૃતિનો ખોળો ગુમાવ્યો, પછી પ્રકૃતિનું દર્શન ગુમાવ્યું અને આજે આખી પ્રકૃતિ જ ખોઈ બેઠો છે. પ્રકૃતિમાં રહેલી પરમની ભવ્યતા, જીવનનો ઉલ્લાસ અને અંતર્મુખતાનો આનંદ પામવો હોય તો એણે પ્રકૃતિ પાસે જવું જ પડશે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

અજ્ઞેયજી

જ. ૭ માર્ચ, ૧૯૧૧ અ. ૪ એપ્રિલ, ૧૯૮૭

આધુનિક હિન્દી સાહિત્યકાર, જ્ઞાનપીઠ પુરસ્કારવિજેતા અને પત્રકાર. અજ્ઞેયજીનું પૂરું નામ સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન હતું. તેમનો જન્મ ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાના કસિયા ગામે થયો હતો. પિતા પુરાતત્ત્વ વિભાગના ઉચ્ચ અમલદાર હતા, તેમને અનેક સ્થળે જવું પડેલું તેથી અજ્ઞેયજીએ જુદા જુદા સ્થળે શિક્ષણ લીધેલું. આથી તેઓ અનેક ભાષા-ભાષીઓના સંપર્કમાં આવ્યા. તેમને જુદા જુદા પ્રદેશના સાહિત્યમાં રસ પડતો. લાહોરમાંથી બી.એસસી. થયા પછી એમ.એ.માં અંગ્રેજીનું અધ્યયન શરૂ કર્યું. પણ એ ગાળામાં સ્વાતંત્ર્યઆંદોલન શરૂ થતાં તેમાં જોડાયા. ૧૯૩૦માં પકડાયા અને ચાર વર્ષની સજા થઈ. છૂટ્યા પણ ત્યાં જ પાછી બે વર્ષ માટે નજરકેદ થઈ. એ પછી તેમણે આકાશવાણીમાં નોકરી કરી અને અનેક સામયિકો-પત્રોમાં સંપાદક તરીકે કાર્ય કર્યું. જોધપુર વિશ્વવિદ્યાલયમાં ભાષા વિભાગના અધ્યક્ષ તરીકે પણ સેવાઓ આપેલી. તેઓ હિન્દી કવિતા અને નવલકથાક્ષેત્રે યુગપ્રવર્તક મનાય છે. જોકે તેમણે સાહિત્યનાં અનેક સ્વરૂપોમાં કાર્ય કર્યું છે. લગભગ સાડા ચાર દાયકા સુધી તેમની લેખનપ્રવૃત્તિ ચાલતી રહી હતી. એમની કલમમાં આધુનિક ચેતનાનો સ્પર્શ અનુભવાય છે. અલબત્ત પરંપરા અને આધુનિકતા વચ્ચે તેમણે સેતુનું કાર્ય કર્યું છે. પશ્ચિમના અદ્યતન સાહિત્યપ્રવાહોથી તેઓ પરિચિત હતા, પણ તેમણે તેનું અનુકરણ કર્યું નથી. તેમની કવિતામાં ઉલ્લાસસભર તાજગી અને આધુનિક જીવનદર્શન બંનેનો અનુભવ થાય છે. ‘ભગ્નદૂત’ (૧૯૩૩)  એમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે. ત્યારે તેઓ માત્ર બાવીસ વર્ષના હતા. એ પછી એમની પાસેથી પાંચેક સંગ્રહો મળ્યા છે. તેમણે પોતાની સાથે સાત કવિઓની રચનાઓનું સંકલન ૧૯૪૩માં ‘તારસપ્તક’ નામે કરેલું. ‘તારસપ્તક’થી હિન્દીમાં પ્રયોગવાદી કાવ્યધારા શરૂ થઈ. તેમની પાસેથી ચાર વાર્તાસંગ્રહો મળ્યા છે. ‘અજ્ઞેય કી સંપૂર્ણ કહાનિયાઁ’ (ભાગ ૧-૨) ૧૯૭૫માં પ્રગટ થઈ. એમની પ્રથમ નવલકથા ‘શેખર : એક જીવની’ (ભાગ ૧-૨, ૧૯૪૧-૪૪) આત્મકથાત્મક શૈલીમાં લખાયેલી પ્રથમ હિન્દી નવલકથા છે. તેમણે નિબંધ, વિવેચન, પ્રવાસગ્રંથો  ક્ષેત્રે પણ પ્રદાન કર્યું છે. તેમણે શરદબાબુની કૃતિ ‘શ્રીકાન્ત’નું તથા જૈનેન્દ્રકુમારની કૃતિ ‘ત્યાગપત્ર’નું અંગ્રેજીમાં અને રવીન્દ્રનાથની કૃતિ ‘ગોરા’નું હિન્દીમાં ભાષાંતર કર્યું છે.

શ્રદ્ધા ત્રિવેદી