Categories
વાચન સમૃદ્ધિ

શ્રીમદભગવદગીતા

મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પૂર્વે શ્રીકૃષ્ણાર્જુનસંવાદ રૂપે શ્લોકબદ્ધ રીતે બ્રહ્મવિદ્યાનું સારતત્ત્વ રજૂ કરતો હિન્દુઓનો મુખ્ય ધર્મગ્રંથ. આમ ભવસાગરને તરી જવાની કળા –જીવનકળા શીખવતો સર્વ ઉપનિષદોના દોહનરૂપ આ આધ્યાત્મિક – ધાર્મિક ગ્રંથ છે. મહાભારતના તે અંગરૂપ છે. મહાભારતનું યુદ્ધ શરૂ થયું તે પહેલાં કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર જ્યારે પાંડવો અને કૌરવોનાં સૈન્યો સામસામે ગોઠવાઈ ગયાં અને યુદ્ધ શરૂ થવાની તૈયારીમાં હતું ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન પાંડવપક્ષના સેનાની અર્જુનને તે જ્યારે સ્વજનોને હણવા માટેની અનિચ્છા વ્યક્ત કરીને વિષાદમાં ઊતરી ગયો ત્યારે મહાભારતનું ધર્મયુદ્ધ લડવા માટે ઉપદેશ આપે છે. આ ઉપદેશ અઢાર અધ્યાયના સાતસો શ્લોકો દ્વારા પ્રશ્નોત્તર સ્વરૂપે –શ્રીકૃષ્ણાર્જુનસંવાદ રૂપે રજૂઆત પામ્યો છે. એમાં વિશેષ વક્તવ્ય તો શ્રીકૃષ્ણનું જ છે. ગીતામાં જીવ, જગત અને બ્રહ્મના સંદર્ભમાં મનુષ્યના સ્વધર્મની ચર્ચા કરવામાં આવી છે. દેશ, કાળ કે સંપ્રદાયની મર્યાદાથી બંધાયા વિના એમાં વ્યાપક દૃષ્ટિથી અંતરાત્મા અને પરમાત્માના સંબંધ-સંવાદની, જીવ-શિવના આધ્યાત્મિક યોગસંબંધની વિચારણા કરવામાં આવી છે.

શ્રીકૃષ્ણ અર્જુનને ગીતાનો ઉપદેશ કરે છે

ૠષિમુનિઓએ જેટલું પણ તત્ત્વજ્ઞાન આપ્યું છે એ બધું જ વનોમાં, ડુંગરાઓની ગુફાઓ કે કંદરાઓમાં રહીને આપ્યું છે; પરંતુ ગીતાનું જ્ઞાન તો યુદ્ધના મેદાનમાં બંને સેનાઓ વચ્ચે ઊભા રહીને સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા જ આપવામાં આવ્યું છે ! ગીતામાં મહાભારતના અઢાર પર્વની જેમ અઢાર અધ્યાયો છે. છ છ અધ્યાયના ત્રણ ખંડમાં તેને વહેંચી શકાય. આ ગ્રંથમાં યુગધર્મનું મહત્ત્વ સમજાવતા છ છ અધ્યાયોની એક એવી કર્મ, ભક્તિ અને જ્ઞાનની ત્રિ-વેણી ગૂંથાયેલી જોઈ શકાય છે. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિનો સુંદર સમન્વય સધાયેલો છે. ગીતા ગાઈ શકાય તેવું સુંદર કાવ્ય છે. તેનું પઠન અને મનન જ્યારે જ્યારે કરવામાં આવે ત્યારે એક નવું સાર્થક જીવન જીવવાની ચાવી તેના પઠનકર્તાને મળી રહે છે. આ ગ્રંથમાંથી યોગેશ્વર શ્રીકૃષ્ણનો મહિમા પણ પામી શકાય છે. વિનોબાજી ગીતાને ‘ગીતા આઇ(મા)’ કહેતા હતા. ‘દરેક દુ:ખ, દરેક પીડા માટે ગીતા આઇના શરણમાં જાઓ’ તેવું તેઓ કહેતા હતા. ગાંધીજી પણ કહેતા હતા કે, ‘ગીતા મારી માતા સમાન છે. મને જ્યારે મુશ્કેલીઓ સતાવે ત્યારે હું મારી માતાના ખોળામાં ચાલ્યો જાઉં છું, મને મારા તમામ પ્રશ્નોના હલ મળી જાય છે.’ ગીતાને હિન્દુ ધર્મનો પ્રતિનિધિ ગ્રંથ માનવામાં આવે છે. જૂના વખતમાં તો ઉપનિષદ, બ્રહ્મસૂત્ર સાથે ગીતાનો આધાર લઈ જીવ, જગત અને બ્રહ્મના સ્વરૂપ-સંબંધ વિશે પોતાની આગવી તત્ત્વવિચારણા રજૂ કરવી એ આચાર્યપદની માન્યતા માટે જરૂરી લેખાતું હતું. તે ભારતીય અધ્યાત્મના આધારભૂત ગ્રંથોમાંનો એક છે. આ કારણે જ કોર્ટમાં ગીતાના સોગંદ લેવડાવવામાં આવે છે. લોકમાન્ય ટિળકની દૃષ્ટિએ ગીતામાં કર્મયોગની, ગાંધીજીની દૃષ્ટિએ અનાસક્તિયોગની અને વિનોબાની દૃષ્ટિએ સામ્યયોગની ભૂમિકા મહત્ત્વની છે. ભગવદગીતાનો વ્યાપક પ્રભાવ ભારતની સર્વ ભાષાઓના આધ્યાત્મિક સાહિત્ય પર પડેલો જોઈ શકાય છે. વળી તેના અનેક અનુવાદો તેમ જ ટીકાભાષ્યો વગેરે મળતાં રહ્યાં છે. ભગવદગીતાના આધારે ગુજરાતી તેમ જ અન્ય પ્રાદેશિક ભાષાઓમાં ગીતાસ્વરૂપનો એક કાવ્યપ્રકાર પ્રચલિત થયેલો છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ચંદ્રકાંત ગોખલે

જ. ૭ જાન્યુઆરી, ૧૯૨૧ અ. ૨૦ જૂન, ૨૦૦૮

ચંદ્રકાંત ગોખલે મરાઠી રંગભૂમિ અને ચલચિત્રના પીઢ અને ચરિત્ર અભિનેતા તરીકે જાણીતા છે. તેમણે તેમની અભિનેતા તરીકેની કારકિર્દી દરમિયાન ૧૯૩૮થી ૨૦૦૮ સુધીમાં ૮૦ મરાઠી ફિલ્મ, ૧૬ હિંદી  ફિલ્મ અને ૬૪ મરાઠી નાટકોમાં અભિનય કર્યો હતો. તેમણે અભિનય કરેલ પ્રથમ ફિલ્મ ‘લક્ષ્મીચે ખેળ’ (૧૯૩૮) અને છેલ્લી ફિલ્મ ‘વળૂ’ (૨૦૦૮) હતી. ચંદ્રકાંત ગોખલેએ મરાઠી સંગીત-રંગભૂમિના સમયમાં સંગીતનાટકોમાં પણ સરસ ભૂમિકા ભજવી હતી. તેમની ખૂબ જ લોકપ્રિય બનેલી ભૂમિકાઓમાં રાજેમાસ્ટરની ભૂમિકા, જ્ઞાનપીઠ ઍવૉર્ડવિજેતા ‘કુસુમાગ્રજ’ દ્વારા લિખિત ‘નટસમ્રાટ’ નાટકમાંની બેલવલકરના પાત્રની ભૂમિકા, વિજયા મહેતા દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત ‘બૅરિસ્ટર નાટકમાંની તાત્યાની ખલનાયકની ભૂમિકા તથા મનોહર સ્ત્રી નાટક કંપની દ્વારા પ્રસ્તુત ‘પુન્હા હિંદુ’ નાટકમાંની મહાદજીની ભૂમિકા વિશેષ ઉલ્લેખનીય છે. જે મરાઠી ફિલ્મમાં ચંદ્રકાંત ગોખલેની યાદગાર ભૂમિકા રહી હતી તેમાં ‘સુવાસિની’, ‘માનિની’ અને ‘ધર્મકન્યા’ ખાસ નોંધપાત્ર છે. ‘વિશ્વાસઘાત’ અને ‘ઈર્ષા’ આ બે હિન્દી ફિલ્મની ભૂમિકાઓ પણ ઉલ્લેખનીય છે. ‘માનિની’ ફિલ્મના અભિનય માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર ઉપરાંત મહારાષ્ટ્ર સરકાર દ્વારા દર વર્ષે અપાતા આઠ પુરસ્કારોમાંનો એક તેમને એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૨૦૦૧માં તેમને જીવનગૌરવ પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા. તેમનો અભિનયવારસો તેમના પુત્ર અને જાણીતા અભિનેતા વિક્રમ ગોખલેમાં સુપેરે ઊતર્યો છે.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

ત્યાગનો રાગ ત્યજવો મુશ્કેલ છે !

માનવીમાં અહંકાર એટલી બધી સૂક્ષ્મતાથી પ્રવર્તતો હોય છે કે એને સ્વયં એનો ખ્યાલ હોતો નથી. કોઈ માણસને તમે કૉફી આપો એટલે કહેશે કે મને માફ કરજો, હું કૉફી ક્યારેય પીતો નથી, ચાનું પૂછો તો જવાબ પરખાવશે કે ચા તો જિંદગીમાં કદી ચાખી નથી. લીંબુના શરબતની વાત કરશો તો કહેશે કે એ મને ભાવતું નથી. કોઈ પીણાનું પૂછશો તો કહેશે કે એવાં પીણાંને હું હાથ પણ અડાડતો નથી, ત્યાં હોઠે અડાડવાનું તો ક્યાં ? તમે એને પૂછતા રહેશો અને એ સતત ઇન્કાર કરતો રહેશે, પરંતુ એ માણસ પોતે શું લેશે એ પહેલાં કહેશે નહીં, કારણ કે એણે પોતાની જાતનો મહિમા કરવા માટે ‘નથી લેતો’નું શરણું લીધું છે. એનો પ્રયાસ પોતાને સંયમી દર્શાવવાનો હોય છે, પરંતુ એનો એ સંયમ અહંકારમાં પરિવર્તિત થઈ ગયો છે. આવા ઇન્કાર દ્વારા એ પોતાના અહંકાર પર સંયમનું આવરણ ઓઢાડે છે. પોતાની જાતને અત્યંત ગુણવાન પુરવાર કરવા માટે એ સતત હવાતિયાં મારતો હોય છે. એનું જીવન અપારદર્શક રાખીને પોતાના અહંકારને આગળ ધરતો હોય છે. એ પોતાની આવશ્યકતા સીધેસીધી જણાવવાને બદલે સામી વ્યક્તિના પ્રશ્નની રાહ જુએ છે. ક્યારેક તો ભોજન પીરસાઈ રહ્યું હોય, ત્યારે ‘આ ખાતો નથી’ અને ‘આ લેતો નથી’નું રટણ શરૂ કરે છે. સીધેસીધી વાત કરે, તો અન્ય વ્યક્તિનો શ્રમ ઓછો થાય, પરંતુ  પોતાના અવળીમતિયુક્ત અહંકારને કારણે એ સીધી લીટીમાં ચાલી શકતો નથી. પોતાને અમુક વાનગીની બાધા છે એ કહેતો નથી પણ જ્યારે એ વાનગી એને પીરસવામાં આવે ત્યારે એના ઇન્કારની અહંકારભરી ગર્જના કરે છે. ઘણી વાર સાધક કે ત્યાગી આવા અહંકારમાં કેદ થઈ જાય છે અને પછી પોતાના ત્યાગને દર્શાવવાનો રાગ એને વળગી પડે છે.

કુમારપાળ દેસાઈ