Categories
વાચન સમૃદ્ધિ

સ્તૂપ

ભગવાન બુદ્ધ કે તેમના ધર્મોપદેશકોના શરીરના અવશેષ (જેમ કે, વાળ, દાંત, અસ્થિ અને ભસ્માવશેષ) પર રચવામાં આવતું વિશિષ્ટ આકારવાળું સ્થાપત્ય. પાલિ ભાષામાં ‘સ્તૂપ’ને ‘થૂપ’, મ્યાનમારમાં ‘પૅગોડા’ અને  શ્રીલંકામાં ‘દાભગા’ કહેવાય છે. અવશેષને ધાતુપાત્રમાં રાખી તેને પથ્થરના દાબડામાં મૂકી, લેખ સાથે દાટવામાં આવતો. તેની ઉપર અંડાકાર ઘાટનું ઈંટોનું કે પથ્થરનું ચણતર કરવામાં આવતું. સ્તૂપના મુખ્ય ભાગને અંડ કહેવાય છે. અંડના પેટાળમાં ધાતુપાત્રમાં પવિત્ર અવશેષની સાથે વિવિધ રત્નો; સોનું, ચાંદી કે હાથીદાંતનાં નાનાં ‘રત્નપદ્મ’ રાખવામાં આવતાં. ક્યારેક આ પવિત્ર અવશેષો સોનાના પાત્રમાં એ પાત્રને ચાંદીના પાત્રમાં, એ પાત્રને તાંબાના પાત્રમાં અને અંતે તેને પથ્થરના પાત્રમાં મૂકવામાં આવતા. ક્યારેક પથ્થરના દાબડા પર અવશેષોને લગતો કે સ્તૂપના નિર્માણને લગતો લેખ કોતરવામાં આવતો.

શાંતિ સ્તૂપ, લેહ

સ્થાપત્યનો આ અંડ ભાગ ચોરસ પીઠિકા પર રચવામાં આવતો. અંડનું મથાળું કાપીને તેને ઉપરથી સપાટ કરવામાં આવતું. ત્યાં પથ્થરનો કઠેડો બનાવવામાં આવતો. જેને ‘હર્મિકા’ કહેવામાં આવે છે. હર્મિકાની મધ્યમાં છત્રદંડ રોપવામાં આવતો. દંડને મથાળે ત્રણ છત્રો મૂકવામાં આવતાં. તે નીચેથી ઉપર જતાં મોટાં થતાં હોય છે. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા થાય તેવી વ્યવસ્થા કરાય છે. સ્તૂપનું નિર્માણ મોટા ભાગે રાજાઓ કરાવતા. આ માટે બુદ્ધનાં જીવન અને કાર્ય સાથે સંબંધ ધરાવતાં સ્થળોની પસંદગી કરાઈ છે. મધ્યપ્રદેશમાં સાંચી, ઉત્તરપ્રદેશમાં સારનાથ તથા તક્ષશિલાના સ્તૂપ જાણીતા છે. સ્તૂપ ગમે તેટલા જીર્ણ થાય તોપણ તેને કાઢી નખાતા નથી. તેનો જીર્ણોદ્ધાર કરાવાય છે. સ્તૂપની આસપાસ પથ્થરની વેદિકા (રેલિંગ) ચણી અને તેમાં પ્રવેશદ્વારો બનાવાય છે. આ પ્રવેશદ્વારને તોરણ કહે છે. સાંચીનો સ્તૂપ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. શ્રીલંકા, મ્યાનમાર, થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયામાં પણ સ્તૂપો જોવા મળે છે. જોકે વિવિધ સ્તૂપોના આકારમાં થોડા થોડા ફેરફારો પણ નજરે ચડે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦

Categories
વાચન સમૃદ્ધિ

રામચન્દ્ર શુક્લ

જ. ૪ ઑક્ટોબર, ૧૮૮૪ અ. ૨ ફેબ્રુઆરી, ૧૯૪૧

હિન્દીના સુપ્રસિદ્ધ સાહિત્ય-ઇતિહાસલેખક, વિવેચક, કવિ, અનુવાદક અને અધ્યાપક રામચન્દ્ર શુક્લનો જન્મ ઉત્તરપ્રદેશના અગોના ગામમાં થયો હતો. તેઓ નવ વર્ષના હતા ત્યારે માતાનું અવસાન થયું. એમણે પ્રાથમિક શિક્ષણ રાઠમાં મેળવ્યું. ૧૯૦૧માં મિર્ઝાપુરની લંડન મિશન સ્કૂલમાંથી હાઈસ્કૂલની ફાઇનલ પરીક્ષા FA પાસ કરી. પિતાની ઇચ્છા હતી કે તેઓ કચેરીમાં જઈ દફતરી કામ શીખે. એટલે તેમને કાયદાના અભ્યાસ માટે અલાહાબાદ મોકલ્યા. તેમને વકીલાતમાં રુચિ ન હતી, આથી નાપાસ થયા. તેમણે સ્વઅભ્યાસથી સંસ્કૃત, અંગ્રેજી, બંગાળી, હિન્દી, ફારસી અને ઉર્દૂનું જ્ઞાન મેળવ્યું. તેઓ ૧૯૦૩થી ૧૯૦૮ સુધી ‘આનંદ કાદમ્બિની’ના સંપાદક રહ્યા. ૧૯૦૪થી ૧૯૦૮ સુધી લંડન મિશન સ્કૂલમાં કલાશિક્ષક બન્યા. ૧૯૦૮માં ‘કાશી નાગરી પ્રચારિણી સભા’માં ‘હિન્દી શબ્દસાગર’ના સહાયક સંપાદક બન્યા. ૧૯૧૯માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં હિન્દીના પ્રાધ્યાપક થયા અને ૧૯૩૭થી ૧૯૪૧ સુધી હિન્દી વિભાગના અધ્યક્ષ રહ્યા. એમનો સર્વપ્રથમ નિબંધ ‘કવિતા ક્યા હૈ ?’ ૧૯૦૯માં ‘સરસ્વતી’ સામયિકમાં પ્રગટ થયો. તેઓ નિબંધક્ષેત્રે એમના યુગના શ્રેષ્ઠ લેખક હતા આથી એમના સમકાલીન યુગને ‘શુક્લયુગ’ કહેવામાં આવે છે. તેમણે વિવેચનમાં વ્યવસ્થિત માનદંડ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. તેમની ભાષા સંસ્કૃત નિષ્ઠ, શુદ્ધ અને ખડી બોલી છે. તેમણે ‘કાવ્ય મેં રહસ્યવાદ’, ‘કાવ્ય મેં અભિવ્યંજનાવાદ’, ‘ચિંતામણિ’ (ભાગ ૧-૨), ‘અધ્યયન, ‘હિન્દી સાહિત્ય કા ઇતિહાસ’, ‘વિચારવીથી’, ‘બુદ્ધચરિત’, ‘અભિમન્યુ-વધ’, ‘ગ્યારહ વર્ષ કા સમય’ જેવા ગ્રંથો આપ્યા છે. આ ઉપરાંત તેમણે બંગાળી અને અંગ્રેજીમાંથી અનુવાદો આપ્યા છે. મૂર્ધન્ય વિવેચક, ઇતિહાસકાર અને યુગપ્રવર્તક નિબંધકાર તરીકે હિન્દી સાહિત્યમાં તેમનું વિશિષ્ટ સ્થાન છે.

Categories
વાચન સમૃદ્ધિ

અશુભના બળને ઉવેખવા જેવું નથી

માનવી છે નાયક કે ખલનાયક ? માનવી સ્વભાવે શુભ વૃત્તિઓવાળો છે કે અશુભ વૃત્તિઓવાળો ? માનવીમાં તેજ-અંધાર સાથોસાથ વસતાં હોવાનું કહીએ છીએ. રામ અને રાવણ બંને હૈયામાં હોવાનું વર્ણવીએ છીએ. એના હૃદયમાં કુરુક્ષેત્ર પર સત્યરૂપી પાંડવો અને અસત્યરૂપી કૌરવોનું યુદ્ધ સદા ખેલાય છે તેમ મનાય છે, પરંતુ માનવીમાં મૂળભૂત રૂપે શુભ છે કે અશુભ ? માનવી તત્ત્વત: શુભનો બનેલો છે. શુભ એ એની મૂળ પ્રકૃતિ છે, પરંતુ એ મૂળ પ્રકૃતિ પર ચિત્તની લોલુપતા, કામુકતા કે સ્વાર્થાંધતાના આવરણનું આચ્છાદન થાય છે અને પરિણામે લોલુપ, કામુક અને સ્વાર્થી માનવી સર્જાય છે. ક્રમશ: એની શુભ પ્રકૃતિ પર અશુભ વિકૃતિ પોતાનો કાબૂ જમાવે છે અને તેથી આવો માનવી અન્યાયી નકારાત્મક કે સંહારક કાર્યો કરે છે. એની મૂળ પ્રકૃતિના સૂર્યની આગળ વિકૃતિનાં વાદળ જામી જાય છે. આવા માનવીને પછી એ શુભ પ્રકૃતિનો સૂર્ય દેખાતો નથી, માત્ર અશુભનાં આમતેમ વાદળોમાં જીવે છે. શુભમાં ઠંડી તાકાત છે, અશુભમાં તીવ્ર ઉછાળ છે. શુભ સમર્થ છે અને અશુભ અસમર્થ છે એવું નથી. જેમ શુભનું બળ હોય છે એ જ રીતે અશુભ પણ પ્રબળ બને છે. શુભની ભાવના મનની પવિત્રતા સાથે સંકળાયેલી છે, જ્યારે અશુભની ભાવના મોહકષાયનું આકર્ષણ ધરાવનારી છે. અશુભનું બળ તોડવા માટે શુભ સંકલ્પનો ઉપયોગ કરવો પડે છે. સત્યની કૃતિ સર્જીને વિકૃતિને હટાવવા માટે કોશિશ કરવી પડે છે. વિકૃતિનાં વાદળ હટે અને શુભ પ્રવૃત્તિનો સૂર્ય ઊગે ત્યારે માનવી તમસમાંથી જ્યોતિ તરફ, અસતમાંથી સત્ તરફ અને મૃત્યુમાંથી અમૃતત્વ તરફ પ્રયાણ કરે છે.