Categories
વાચન સમૃદ્ધિ

રામચન્દ્ર શુક્લ

જ. ૪ ઑક્ટોબર, ૧૮૮૪ અ. ૨ ફેબ્રુઆરી, ૧૯૪૧

હિન્દીના સુપ્રસિદ્ધ સાહિત્ય-ઇતિહાસલેખક, વિવેચક, કવિ, અનુવાદક અને અધ્યાપક રામચન્દ્ર શુક્લનો જન્મ ઉત્તરપ્રદેશના અગોના ગામમાં થયો હતો. તેઓ નવ વર્ષના હતા ત્યારે માતાનું અવસાન થયું. એમણે પ્રાથમિક શિક્ષણ રાઠમાં મેળવ્યું. ૧૯૦૧માં મિર્ઝાપુરની લંડન મિશન સ્કૂલમાંથી હાઈસ્કૂલની ફાઇનલ પરીક્ષા FA પાસ કરી. પિતાની ઇચ્છા હતી કે તેઓ કચેરીમાં જઈ દફતરી કામ શીખે. એટલે તેમને કાયદાના અભ્યાસ માટે અલાહાબાદ મોકલ્યા. તેમને વકીલાતમાં રુચિ ન હતી, આથી નાપાસ થયા. તેમણે સ્વઅભ્યાસથી સંસ્કૃત, અંગ્રેજી, બંગાળી, હિન્દી, ફારસી અને ઉર્દૂનું જ્ઞાન મેળવ્યું. તેઓ ૧૯૦૩થી ૧૯૦૮ સુધી ‘આનંદ કાદમ્બિની’ના સંપાદક રહ્યા. ૧૯૦૪થી ૧૯૦૮ સુધી લંડન મિશન સ્કૂલમાં કલાશિક્ષક બન્યા. ૧૯૦૮માં ‘કાશી નાગરી પ્રચારિણી સભા’માં ‘હિન્દી શબ્દસાગર’ના સહાયક સંપાદક બન્યા. ૧૯૧૯માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં હિન્દીના પ્રાધ્યાપક થયા અને ૧૯૩૭થી ૧૯૪૧ સુધી હિન્દી વિભાગના અધ્યક્ષ રહ્યા. એમનો સર્વપ્રથમ નિબંધ ‘કવિતા ક્યા હૈ ?’ ૧૯૦૯માં ‘સરસ્વતી’ સામયિકમાં પ્રગટ થયો. તેઓ નિબંધક્ષેત્રે એમના યુગના શ્રેષ્ઠ લેખક હતા આથી એમના સમકાલીન યુગને ‘શુક્લયુગ’ કહેવામાં આવે છે. તેમણે વિવેચનમાં વ્યવસ્થિત માનદંડ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. તેમની ભાષા સંસ્કૃત નિષ્ઠ, શુદ્ધ અને ખડી બોલી છે. તેમણે ‘કાવ્ય મેં રહસ્યવાદ’, ‘કાવ્ય મેં અભિવ્યંજનાવાદ’, ‘ચિંતામણિ’ (ભાગ ૧-૨), ‘અધ્યયન, ‘હિન્દી સાહિત્ય કા ઇતિહાસ’, ‘વિચારવીથી’, ‘બુદ્ધચરિત’, ‘અભિમન્યુ-વધ’, ‘ગ્યારહ વર્ષ કા સમય’ જેવા ગ્રંથો આપ્યા છે. આ ઉપરાંત તેમણે બંગાળી અને અંગ્રેજીમાંથી અનુવાદો આપ્યા છે. મૂર્ધન્ય વિવેચક, ઇતિહાસકાર અને યુગપ્રવર્તક નિબંધકાર તરીકે હિન્દી સાહિત્યમાં તેમનું વિશિષ્ટ સ્થાન છે.

Categories
વાચન સમૃદ્ધિ

અશુભના બળને ઉવેખવા જેવું નથી

માનવી છે નાયક કે ખલનાયક ? માનવી સ્વભાવે શુભ વૃત્તિઓવાળો છે કે અશુભ વૃત્તિઓવાળો ? માનવીમાં તેજ-અંધાર સાથોસાથ વસતાં હોવાનું કહીએ છીએ. રામ અને રાવણ બંને હૈયામાં હોવાનું વર્ણવીએ છીએ. એના હૃદયમાં કુરુક્ષેત્ર પર સત્યરૂપી પાંડવો અને અસત્યરૂપી કૌરવોનું યુદ્ધ સદા ખેલાય છે તેમ મનાય છે, પરંતુ માનવીમાં મૂળભૂત રૂપે શુભ છે કે અશુભ ? માનવી તત્ત્વત: શુભનો બનેલો છે. શુભ એ એની મૂળ પ્રકૃતિ છે, પરંતુ એ મૂળ પ્રકૃતિ પર ચિત્તની લોલુપતા, કામુકતા કે સ્વાર્થાંધતાના આવરણનું આચ્છાદન થાય છે અને પરિણામે લોલુપ, કામુક અને સ્વાર્થી માનવી સર્જાય છે. ક્રમશ: એની શુભ પ્રકૃતિ પર અશુભ વિકૃતિ પોતાનો કાબૂ જમાવે છે અને તેથી આવો માનવી અન્યાયી નકારાત્મક કે સંહારક કાર્યો કરે છે. એની મૂળ પ્રકૃતિના સૂર્યની આગળ વિકૃતિનાં વાદળ જામી જાય છે. આવા માનવીને પછી એ શુભ પ્રકૃતિનો સૂર્ય દેખાતો નથી, માત્ર અશુભનાં આમતેમ વાદળોમાં જીવે છે. શુભમાં ઠંડી તાકાત છે, અશુભમાં તીવ્ર ઉછાળ છે. શુભ સમર્થ છે અને અશુભ અસમર્થ છે એવું નથી. જેમ શુભનું બળ હોય છે એ જ રીતે અશુભ પણ પ્રબળ બને છે. શુભની ભાવના મનની પવિત્રતા સાથે સંકળાયેલી છે, જ્યારે અશુભની ભાવના મોહકષાયનું આકર્ષણ ધરાવનારી છે. અશુભનું બળ તોડવા માટે શુભ સંકલ્પનો ઉપયોગ કરવો પડે છે. સત્યની કૃતિ સર્જીને વિકૃતિને હટાવવા માટે કોશિશ કરવી પડે છે. વિકૃતિનાં વાદળ હટે અને શુભ પ્રવૃત્તિનો સૂર્ય ઊગે ત્યારે માનવી તમસમાંથી જ્યોતિ તરફ, અસતમાંથી સત્ તરફ અને મૃત્યુમાંથી અમૃતત્વ તરફ પ્રયાણ કરે છે.

Categories
વાચન સમૃદ્ધિ

દશરીબહેન ચૌધરી

જ. ૩ ઑક્ટોબર, ૧૯૧૮ અ. ૨ ઑક્ટોબર, ૨૦૧૩

ભારતીય સ્વાતંત્ર્યસેનાની દશરીબહેનનો જન્મ વેડછી, સૂરતમાં આદિવાસી કુટુંબમાં થયો હતો. માતાનું નામ અંબાબહેન અને પિતાનું નામ રૂમસીભાઈ. રાષ્ટ્રવાદ અને રચનાત્મક પ્રવૃત્તિઓના પાઠ તેઓ તેમના દાદા જીવણભાઈ ચૌધરી પાસેથી શીખ્યાં હતાં. દશરીબહેને પ્રાથમિક શિક્ષણ વેડછી આશ્રમમાં લીધું હતું. ગાંધીજી સાથેના સીધા સંપર્કને લીધે તેમણે ઘરેણાં નહિ પહેરવાનું વ્રત લીધું હતું. દશ વર્ષનાં દશરીબહેન બારડોલી સત્યાગ્રહ વખતે સભા, સરઘસ, પિકેટિંગ વગેરે કાર્યક્રમોમાં ઉત્સાહથી જોડાયાં હતાં. સંગીત પ્રત્યેના ઝુકાવને લીધે પંડિત નારાયણ મોરેશ્વર ખરે પાસે એ સંગીત શીખેલાં. દિલરુબા વગાડવામાં પારંગત થયેલાં. બારડોલી સત્યાગ્રહ વખતે સરદાર પટેલના કહેવાથી આઝાદીનાં ગીતો ગાઈ જનજાગૃતિનું કાર્ય કર્યું હતું. સ્વતંત્રતાસંગ્રામમાં દશરીબહેને ગાયેલું ‘ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે’ ખૂબ લોકપ્રિય થયેલું. સવિનય કાનૂનભંગની લડતના બીજા તબક્કામાં દશરીબહેન સક્રિય કાર્યકર રહ્યાં હતાં. ૧૯૩૩માં માત્ર ૧૫ વર્ષની  ઉંમરે જેલની સજા પણ ભોગવી હતી. તેમને પહેલાં સાબરમતી જેલ અને પછી પુણેની યરવડા જેલમાં રાખવામાં આવ્યાં હતાં. કસ્તૂરબા ગાંધી પણ ત્યારે યરવડા જેલમાં હતાં. કસ્તૂરબાના કહેવાથી દશરીબહેને કસ્તૂરબાને લખતાંવાંચતાં શીખવ્યું. બાએ બાપુને પત્ર લખ્યો ત્યારે બાપુએ લખેલું કે ‘આ છોકરીને કહેજો કે જે હું ન કરી શક્યો તે તું કરી શકી છે.’ જેલમાંથી મુક્ત થયા પછી પણ તેમણે રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ ચાલુ જ રાખી. ૧૯૪૨ની હિંદ છોડો ચળવળમાં બારડોલી મુકામે તેઓ સરઘસમાં જોડાયાં હતાં. એમાં તેમની ધરપકડ કરીને યરવડા જેલમાં મોકલી આપવામાં આવ્યાં હતાં. તેમણે દક્ષિણ ગુજરાતની આદિવાસી પ્રજા માટે કન્યાશિક્ષણ અને પ્રૌઢશિક્ષણની પ્રવૃત્તિમાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. આદિવાસી પ્રજામાં વ્યસન, અંધશ્રદ્ધા તથા કુરિવાજો દૂર કરવા માટે તેમણે વ્યાપક ઝુંબેશ ચલાવેલી.