Categories
વાચન સમૃદ્ધિ

શ્રીનગર

જમ્મુ-કાશ્મીર રાજ્યનું ઉનાળુ પાટનગર તથા શ્રીનગર જિલ્લાનું વહીવટી મથક.

તે ૩૪° ૦૫´ ઉ. અ. અને ૭૪° ૪૯´ પૂ. રે. પર કાશ્મીર ખીણમાં, ૧૬૦૦ મીટરની ઊંચાઈએ  નિર્મળ સરોવરો અને ઊંચા પર્વતોની વચ્ચે જેલમ નદીને બંને કાંઠે વસેલું છે. સ્ટાઇને લખેલા પુસ્તકમાં મળતી નોંધ અનુસાર, સાતમી સદીથી શ્રીનગર કાશ્મીરના પાટનગર તરીકે રહ્યું છે. આશરે ૬૩૧માં હ્યુ-એન-શ્વાંગે શ્રીનગરની મુલાકાત લીધેલી. તે વખતે જેલમનું નામ ‘વિતસ્તા’ હતું. ત્યારે પણ આ શહેર આજના સ્થળે જ હતું. તે એમ પણ જણાવે છે કે સમ્રાટ અશોકે ઈ. સ. પૂ. ૨૦૦ના ગાળામાં કાશ્મીરની ખીણ સુધી તેનું સામ્રાજ્ય વિસ્તારેલું. તેણે પર્વતની તળેટીમાં દક્ષિણ ધાર પર શ્રીનગર વસાવેલું. હ્યુ-એન-શ્વાંગના મત પ્રમાણે પ્રાંદ્રેથન જૂનું પાટનગર હતું, જ્યારે શ્રીનગર નવા શહેર તરીકે આકાર પામેલું. શહેરનું નામ ‘શ્રી’ એટલે લક્ષ્મી પરથી રાખવામાં આવેલું. બીજા મત પ્રમાણે છઠ્ઠી સદીના મધ્યકાળમાં રાજા પ્રવરસેન બીજાએ આ નગર વસાવેલું અને ત્યારે તે ‘પ્રવરસેનપુર’ તરીકે ઓળખાતું. કલ્હણે તેનો ‘પ્રવરપુર’ નામથી ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ તે ‘શ્રીનગરી’ અથવા ‘શ્રીનગર’ તરીકે જાણીતું થયું.

દાલ સરોવર

આજના શ્રીનગર શહેરની મધ્યમાં થઈને જેલમ નદી પસાર થાય છે. તે નદી પર લાકડાના સાત પુલો આવેલા છે. સ્થાનિક લોકોની અવરજવર માટે તથા પ્રવાસીઓના મનોરંજન માટે જેલમ નદીમાં શિકારાઓની હેરફેર રહે છે. પ્રવાસન અહીંનો મુખ્ય ઉદ્યોગ છે. શહેરનું અર્થતંત્ર મુખ્યત્વે પ્રવાસીઓ પર આધારિત છે. શહેર નજીક આવેલા દાલ સરોવરમાં તેમ જ જેલમ નદીમાં પ્રવાસીઓ માટે નૌકાગૃહો(house boats)ની સગવડ છે, તેનો લાભ અનેક પ્રવાસીઓ લે છે. પ્રવાસની મોસમ દરમિયાન પ્રવાસીઓ માટે શણગારેલા શિકારા દ્વારા નૌકાવિહારની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. શહેરના મધ્યભાગમાં સરકારી કાર્યાલયો આવેલાં છે. નદીકાંઠાના વિવિધ ભાગોમાં હોટલો, દુકાનો, ધાર્મિક સ્થળો, લઘુ ઔદ્યોગિક કેન્દ્રો આવેલાં છે. શ્રીનગર શહેર તેની આજુબાજુની ખેતપેદાશોનું જથ્થાબંધ અને છૂટક બજાર ધરાવે છે. અહીંના ગાલીચા, રેશમ અને રેશમી વસ્ત્રો, ધાતુકામની તેમ જ કાષ્ઠકલા-કોતરણીવાળી ચીજવસ્તુઓ વખણાય છે. આ વસ્તુઓની નિકાસ પણ કરવામાં આવે છે. શ્રીનગર દિલ્હી અને અમૃતસર સાથે નિયમિત હવાઈ સેવાથી સંકળાયેલું છે. પહાડી ભૂપૃષ્ઠને કારણે અહીં રેલમાર્ગો વિકસી શક્યા નથી. સડકમાર્ગોનો સારો વિકાસ થયેલો છે. શહેરના આંતરિક ભાગોમાં નાની નહેરો પસાર કરેલી છે. શ્રીનગર શહેર ખેલકૂદનું મુખ્ય કેન્દ્ર પણ છે. શહેરમાં કાશ્મીર યુનિવર્સિટી (૧૯૪૮) આવેલી છે. શહેરમાં આવેલાં જોવાલાયક સ્થળો પૈકી દાલ સરોવર, ચિનાર બાગ, શાલીમાર-નિશાત-ચશ્મેશાહી જેવા ભવ્ય અને રમણીય મુઘલ બગીચા, જામિયા મસ્જિદ, હઝરતબાલ મસ્જિદ અને કેન્ચિન્ગ્ટન સંગ્રહસ્થાન જાણીતાં છે. તખ્ત ટેકરી પરથી આખાય શહેરને નિહાળી શકાય છે. શંકરાચાર્ય ટેકરી પર આવેલા મંદિરની પણ પ્રવાસીઓ મુલાકાત લે છે. અહીંથી જઈ શકાય એવાં અન્ય જોવાલાયક સ્થળોમાં અનંતનાગ, ગુલમર્ગ, સોનમર્ગ, ખિલનમર્ગ, વુલર સરોવર, નંગા પર્વતશિખર, પહેલગામ, અમરનાથ વગેરેનો સમાવેશ થાય છે. ચલચિત્ર-ઉદ્યોગ માટે પણ શ્રીનગર પ્રિય સ્થળ રહ્યું છે. કાશ્મીરને પૃથ્વી પરના સ્વર્ગની ઉપમા અપાયેલી છે. ભારત તેમ જ દુનિયાભરના જુદા જુદા દેશોમાંથી સંખ્યાબંધ પ્રવાસીઓની શ્રીનગર ખાતે અવરજવર રહે છે. પરંતુ આતંકીઓની ત્રાસવાદી પ્રવૃત્તિથી પ્રવાસન ઉપર માઠી અસર પડી છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

શ્રી રમણ મહર્ષિ

જ. ૩૦ ડિસેમ્બર, ૧૮૭૯ અ. ૧૪ એપ્રિલ, ૧૯૫૦

અર્વાચીન ભારતના એક મહાન સંત રમણ મહર્ષિનું મૂળ નામ વેંકટરમણ અય્યર હતું. તેમનો જન્મ તિરુચુલી, તમિળનાડુમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ તેમણે પોતાના ગામમાં જ લીધું. ૧૮૯૨માં પિતાનું અવસાન થવાથી મોટા ભાઈ સાથે મદુરાઈમાં તેમના કાકાને ત્યાં રહી ભણવા લાગ્યા. અહીં સ્કૉટ મિડલ સ્કૂલમાં છઠ્ઠી અને સાતમી  કક્ષાનો અને પછી ત્યાંની અમેરિકન મિશન હાઈસ્કૂલમાં દસમા ધોરણનો અભ્યાસ કર્યો. કુશાગ્ર બુદ્ધિવાળા હોવાથી ગણિત અને તમિળમાં હોશિયારી અસાધારણ હતી. ૧૮૯૫માં નવેમ્બર માસમાં તિરુચ્ચુળિના એક વૃદ્ધ પુરુષ પાસેથી ‘અરુણાચળ’નું નામ સાંભળતાં તેમની નસોમાં વીજળી પ્રસરી ગઈ. વળી એક દિવસ ‘પેરિયપુરાણમ્’ નામનો ગ્રંથ વાંચ્યો અને ભક્તો માટે અસીમ શ્રદ્ધા અને પ્રેમ પેદા થયાં. ૧૮૯૬ના ઑગસ્ટ મહિનાથી દિલમાં ભક્તિનું જોર વધવા લાગ્યું. આમ સત્તર વર્ષની ઉંમરે જ આત્મતત્ત્વની અનુભૂતિ થઈ. છેવટે ૧૮૯૬માં વૈરાગ્ય પ્રબળ થતાં ૧લી સપ્ટેમ્બરે ગૃહત્યાગ કરી અરુણાચળ ઉપરના દેવમંદિરમાં પહોંચ્યા. દેહભાવ ચાલી ગયો અને પરમ શાંતિનો અનુભવ થતાં જાતે જ સંન્યાસ લઈ માથા પરથી વાળ ઉતરાવી, જનોઈ ઉતારી અને માત્ર લંગોટી જેટલું કપડું ફાડી બીજું વસ્ત્ર ફેંકી દીધું. ૧૮૯૭માં ‘ગુરુમૂર્તમ્’ રહેવા ગયા અને ‘બ્રાહ્મણસ્વામી’ તરીકે ઓળખાયા. એક વાર પલનિસ્વામી નામે એક ભાઈ આવ્યા અને પ્રભાવિત થતાં સેવક બની રહ્યા. ૧૮૯૯માં અરુણાચળના પહાડને જ રહેઠાણ બનાવ્યું. અહીં ગંભીરમ્ શેષય્યરે રાજયોગ અને જ્ઞાનયોગમાંથી પ્રશ્નોનું સમધાન માંગ્યું જે સ્વામીજીએ કાગળની કાપલીઓ પર આપ્યું અને તેનું સંકલન ‘આત્માનુસંધાન’ રૂપે પ્રકટ થયું. તેથી આ સ્વામીજીનું પ્રથમ પુસ્તક. ૧૯૦૩માં ગણપતિશાસ્ત્રીએ જાણ્યું કે સ્વામીજીને બાળપણમાં ‘રમણ’ કહી બોલાવતા તેથી તેમણે ‘શ્રીરમણપંચક’ની રચના કરી. તેમણે તમિળમાં ‘ઉળ્ળદુનાર્પદુ’ નામના ૭૦૦ શ્લોકો લખ્યા છે. તેમનાં ઉપદેશવચનો, વિચારસંગ્રહમ્, ‘હુ એમ આઇ’ જેવી કેટલીક રચના મળે છે. એમના ઉપદેશને અનુસરીને એમના અનુયાયીઓ દ્વારા
શ્રી રમણાશ્રમ કાર્યરત છે.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

અધ્યાત્મની પ્યાસમાં ભરતી-

ઓટ હોતાં નથી ===============

માનવીનું જીવન એટલે વણછીપી તરસ. એને એક એવી તરસ હોય છે કે જેને છિપાવવા માટે એ સતત પ્રયાસ  કરતો હોય છે. કોઈને ધનની તરસ હોય છે, તો કોઈને પદની ભૂખ હોય છે. કોઈને સમૃદ્ધિની તરસ પીડતી હોય છે, તો કોઈનું હૃદય પ્રિયજનના વિયોગની તરસથી તરફડતું હોય છે. પ્રેમની પણ એક પ્યાસ હોય છે અને એ પ્યાસ બુઝાવવા માટે માનવી પ્રયત્ન કરતો હોય છે. એની પ્રેમની પ્યાસ એને સતત ઝંખનાઓ,  સ્વપ્નો, આશાઓ અને આકાંક્ષાઓ પર દોડાવે છે. એની આ તૃષા ક્યારેક તૃપ્ત થાય છે, તો ક્યારેક એ મૃગતૃષ્ણા બની રહે છે ! આ બધી તૃષાઓમાં ક્યારેક આનંદ તો ક્યારે વિષાદ આવે છે. થોડું સુખ અને દુ:ખ આવે છે. ઝંખનાની તીવ્રતા અને પ્રાપ્તિ થતાં શૂન્યતાનો અનુભવ થાય છે, પરંતુ જ્યારે એને અધ્યાત્મની તરસ જાગે છે ત્યારે તરસનું રૂપ અને એનું સૌંદર્ય સાવ બદલાઈ જાય છે. ભૌતિક જીવનની તરસમાં એના ચિત્તને કેટલાય સંઘર્ષો વેઠવા પડે છે, ત્યારે અધ્યાત્મની તરસ એને એક આનંદ સ્થિતિમાં રાખે છે. પરિણામે એના જીવનમાંથી સ્થૂળ આનંદો, ક્ષુદ્ર વસ્તુઓ અને ભૌતિક એષણાઓની બાદબાકી થઈ જાય છે, એટલું જ નહીં, પણ એ કોઈ વિરાટ ગગનમાં ઊડવા લાગે છે. એનું આ ઉડ્ડયન એવું હોય છે કે હવે એને જીવનની કોઈ પ્યાસ પજવતી નથી. જીવનની પ્યાસમાં ક્ષણભંગુરતા હતી તો અધ્યાત્મની પ્યાસમાં ચિરંજીવતા છે. એમાં ભરતી કે ઓટ નથી. એમાં આશા કે નિરાશા નથી, પણ એ બધાથી પર એવા જીવનનો ઉલ્લાસ અને પરમ પ્રસન્નતા છે. ચિંતા કે પીડા, અવસ્થા કે અપમાનને પાર વસતી સ્વસ્થ, સ્વચ્છ, શાંત જળ સમી સમતા છે.

કુમારપાળ દેસાઈ