Categories
વાચન સમૃદ્ધિ

તિરુપતિ

દક્ષિણ ભારતનું વિશ્વવિખ્યાત યાત્રાધામ. આંધ્રપ્રદેશ રાજ્યના દક્ષિણ ભાગમાં ચિત્તુર જિલ્લામાં તે આવેલું છે. તિરુપતિનગરથી 18 કિમી. અને રેનીગુંટા સ્ટેશનથી 28 કિમી.ના અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 13° 39´ ઉ. અ. અને 79° 25´ પૂ.રે.. તિરુમાલા પર્વતમાળા વચ્ચે સમુદ્રની સપાટીથી આશરે 854 મી. ઊંચાઈએ તિરુપતિ બાલાજીનું મંદિર આવેલું છે. પ્રાકૃતિક સૌંદર્ય અને હરિયાળાં વૃક્ષોથી આચ્છાદિત તિરુમાલા પર્વતમાળાને ‘સપ્તગિરિ’ પણ કહેવામાં આવે છે; કારણ કે સાત ટેકરીઓ વચ્ચે આ પ્રદેશ વહેંચાયેલો છે. તિરુપતિ બાલાજી ‘વેંક્ટેશ્વર’ કે ‘શ્રીનિવાસ’ તરીકે પણ જાણીતા છે. પર્વત પર બિરાજમાન તિરુપતિ બાલાજીના દર્શને જવા માટે પાંચ માર્ગો છે, જેમાં બે માર્ગ વાહનો માટે જ્યારે ત્રણ માર્ગ પદયાત્રીઓ માટે છે. દરરોજ અહીં સરેરાશ ત્રીસથી પાંત્રીસ હજાર યાત્રાળુઓ આવે છે.

તિરુપતિનું મંદિર, તિરુપતિ

મંદિરમાં દર્શનવિધિ સાથે મુંડનવિધિનું વિશેષ મહત્ત્વ છે. દેવસ્થાનમ્ ટ્રસ્ટ તરફથી આ અંગે ખાસ વ્યવસ્થા છે. આ વિધિની વ્યવસ્થાના વિભાગને અહીં ‘કલ્યાણકટ્ટ’ કહે છે. કલ્યાણકટ્ટ દ્વારા એકત્ર થયેલ વાળની વીગ બનાવવા માટે નિકાસ થાય છે. વરસ દરમિયાન ઊજવાતા અનેક ઉત્સવોમાં નવરાત્રી અહીંનો સૌથી મોટો ઉત્સવ છે. બાલાજીની ભવ્ય મૂર્તિ પર 28,313 હીરાથી જડેલો મુગટ છે, જેની કિંમત રૂપિયા છ કરોડથી અધિક આંકવામાં આવે છે. તિરુપતિનગર ચેન્નાઈથી 131 કિમી., બૅંગાલુરુથી 170 કિમી. અને મુંબઈથી 1,281 કિમી.ને અંતરે આવેલ છે. આ નગરમાં વેંકટેશ્વર યુનિવર્સિટી આવેલી છે. આ ઉપરાંત ટ્રસ્ટ-સંચાલિત સંસ્કૃત વિદ્યાલય અને હૉસ્પિટલ તેમજ અનેક અતિથિગૃહો આવેલાં છે. તિરુપતિનગરમાં પદ્માવતી ગોવિંદરાજનું મંદિર ઉપરાંત નજીકમાં 35 કિમી.ના અંતરે શંકરનું પ્રાચીન મંદિર કાલહસ્તિ જોવાલાયક છે. શહેરની વસ્તી 4,18,000 જ્યારે મેટ્રો શહેરની વસ્તી 6,74,000 (2025, આશરે).

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8

Categories
વાચન સમૃદ્ધિ

રતનજી જમશેદજી ટાટા

જ. 20 જાન્યુઆરી, 1871 અ. 5 સપ્ટેમ્બર, 1918

ભારતીય ઉદ્યોગપતિ અને દાનવીર સર રતનજી જમશેદજી ટાટાનો જન્મ મુંબઈમાં થયો હતો. જમશેદજી ટાટાના તેઓ નાના પુત્ર હતા. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી શિક્ષણ મેળવ્યું. પછી પિતાની કંપનીમાં જોડાયા. 1893માં નવાજબાઈ સાથે તેમનાં લગ્ન થયાં. 1904માં જમશેદજી ટાટાના અવસાન પછી તેમના ભાગે વારસામાં મળેલી સંપત્તિના મોટા ભાગનો ઉપયોગ પરોપકારી કાર્યો અને ભારતનાં સંસાધનોના વિકાસ માટે વિવિધ ઉદ્યોગસાહસો શરૂ કરવામાં કર્યો. 1905માં બૅંગાલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સની સ્થાપના કરી. 1912માં લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં રતન ટાટા ડિપાર્ટમેન્ટ ઑફ સોશિયલ સાયન્સ ઍન્ડ ઍડમિનિસ્ટ્રેશનની સ્થાપના કરી. આર્થિક જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે લંડન યુનિવર્સિટીમાં રતન ટાટા ફાઉન્ડેશનની સ્થાપના કરી. તેમણે 1909માં આફ્રિકાના ટ્રાન્સવાલમાં ન્યાય માટે લડનારા ભારતીયોની લડત માટે મદદ કરવા ગાંધીજીને 50,000 રૂપિયાનું દાન આપ્યું હતું. તેમણે ગોપાલકૃષ્ણ ગોખલેના સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીને સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે દસ વર્ષ સુધી વાર્ષિક 10,000 રૂપિયાનું દાન કર્યું હતું. મુંબઈ મ્યુનિસિપાલિટી દ્વારા શરૂ કરાયેલ કિંગ જ્યોર્જ પંચમ ઍન્ટિટ્યુબર ક્યુલોસિસ લીગને દસ વર્ષ સુધી વાર્ષિક 10,000 રૂપિયાનું દાન આપ્યું. એટલું જ નહીં, ભારતમાં તેના સ્થાપક જનરલ બૂથના સ્મારક માટે એક લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. 1913માં પાટલીપુત્રમાં થયેલ પુરાતત્ત્વીય ઉત્ખનન માટે મોટું ભંડોળ આપ્યું હતું. તેઓ કલાપ્રિય હતા. પ્રાચીન વસ્તુઓ ખરીદવાનો અને સંગ્રહ કરવાનો તેમને શોખ હતો. તેમણે એકઠાં કરેલાં ચિત્રો, વાસણો, કાર્પેટ, હસ્તપ્રતો વગેરે પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈને આપ્યાં હતાં. આજે છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલયમાં સર રતનજી ટાટાના સંગ્રહોનો એક વિભાગ છે. તેમણે સંબંધીના પરિવારમાંથી નવલ ટાટાને દત્તક લીધા. 1918માં તેમનું અવસાન થતાં તેમને લંડન નજીક બ્રુકવુડ કબ્રસ્તાનમાં તેમના પિતા જમશેદજી ટાટાની બાજુમાં દફનાવવામાં આવ્યા. તેમના અવસાન પછી તેમનાં પત્નીએ 1919માં સર રતન ટાટા ટ્રસ્ટની સ્થાપના કરી. તેમને 1916માં નાઇટની ઉપાધિ આપવામાં આવી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

આદર્શ માનવીનું પૉર્ટ્રેટ

નિશાળની શિક્ષિકા લિન્ડા બિરટિશ વિદ્યાર્થીઓમાં પુષ્કળ ચાહના ધરાવતી હતી. અઠ્ઠાવીસ વર્ષની લિન્ડા બિરટિશને એકાએક માથામાં સખત દુ:ખાવો ઊપડ્યો. લાંબા પરીક્ષણને અંતે ડૉક્ટરોએ એના મગજમાં ઘણી ટ્યૂમર હોવાનું નિદાન કર્યું. સાથોસાથ એમ પણ કહ્યું કે એનું ઑપરેશન કરવું મુશ્કેલ છે. ઑપરેશનમાં બચવાની આશા માત્ર બે ટકા જ છે, આથી છ મહિના સુધી રાહ જોવાનું નક્કી કર્યું. આ છ મહિના દરમિયાન લિન્ડા અતિ ઉત્સાહથી આનંદભેર કાવ્યરચના કરતી હતી અને મનગમતા વિષય પર ચિત્રો દોરતી હતી. એના વિપુલ સર્જનમાંથી માત્ર એક જ કવિતા સામયિકમાં પ્રગટ થઈ અને એનું માત્ર એક જ ચિત્ર આર્ટ ગૅલરીમાં વેચાયું, પણ તેથી શું ? લિન્ડાની સ્થિતિ દિન-પ્રતિદિન કથળતી ગઈ. કૅન્સર ફેલાવા લાગ્યું. આખરે ઑપરેશન કરવાનું નક્કી કર્યું. ઑપરેશન પૂર્વે લિન્ડાએ પોતાના વસિયતનામામાં દેહદાન કરવું તેમ લખ્યું. કમનસીબે લિન્ડાનું ઑપરેશન નિષ્ફળ ગયું અને એ મૃત્યુ પામી. લિન્ડાની આંખો એક અઠ્ઠાવીસ વર્ષના અંધ યુવાનને મળી. એ યુવાનના જીવનમાં અજવાળું ફેલાયું. પોતાને રોશની આપનાર વ્યક્તિનાં કુટુંબીજનોનો આભાર માનવા માટે આઈ બૅંકમાંથી સરનામું મેળવીને એ યુવાન લિન્ડાના ઘેર પહોંચ્યો. એણે ‘સગી’ આંખે જોયું તો મૃત લિન્ડા પ્લૅટોનાં પુસ્તકો વાંચતી હતી. એણે પણ બ્રેઇલમાં પ્લૅટોનાં પુસ્તકો વાંચ્યાં હતાં. લિન્ડા હેગલ વાંચતી હતી. એણે પણ બ્રેઇલ લિપિમાં હેગલ વાંચ્યો હતો. લિન્ડાની માતાએ આ યુવકને જોઈને કહ્યું કે તમને ક્યાંક જોયા હોય તેવું લાગે છે. ક્યાં જોયા હશે, તે અંગે ખૂબ વિચાર કર્યો. એકાએક યાદ આવ્યું. લિન્ડાનાં માતા એકાએક દાદર ચડીને લિન્ડાના ખંડમાં ગયાં અને લિન્ડાએ દોરેલું આદર્શ માનવીનું પૉર્ટ્રેટ લઈ આવ્યાં. આ પૉર્ટ્રેટ બરાબર જેને લિન્ડાની આંખ મળી હતી તે યુવાનના જેવું હતું.