Categories
વાચન સમૃદ્ધિ

સ્ટેચ્યૂ ઑવ્ યુનિટી

સરદાર વલ્લભભાઈ પટેલની તેમના લોખંડી વ્યક્તિત્વને શોભે તેવી, વિશ્વની ઊંચામાં ઊંચી (૧૮૨ મીટર + ૫૮ મીટરની પડથાર : ઈ. સ. ૨૦૧૮ સુધીમાં), ગુજરાત (ભારત)માં આવેલી પ્રતિમા. આ પ્રતિમા બનાવવા પાછળનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હેતુ વલ્લભભાઈએ રાષ્ટ્રનિર્માણમાં જે મહાન યોગદાન આપ્યું હતું તેની યાદગીરી જળવાય અને વિશ્વને તેની જાણ થતી રહે એ રહ્યો છે. આ પ્રતિમા નોઇડાના શિલ્પકાર રામ સુથાર અને તેમના પુત્ર અનિલ સુથારે તૈયાર કરી છે. ઐતિહાસિક, સાંસ્કૃતિક, રાષ્ટ્રીય અને આધ્યાત્મિક દૃષ્ટિએ અણમોલ એવી આ પ્રતિમા ૧૩૮ મીટર ઊંચા સરદાર સરોવર બંધથી ૩.૨ કિમી. દૂર, વિંધ્યાચલ અને સાપુતારાની ટેકરીઓની વચ્ચે, રાજપીપળાની નજીક આવેલા સાધુ બેટ ઉપર સમુદ્રની સપાટીથી ૨૩૭ મીટરની ઊંચાઈએ આવેલી છે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ તરફથી આ કાર્યનું આયોજન થયું હતું. માઇકલ ગ્રેવ્સ આર્કિટૅક્ચર ઍન્ડ ડિઝાઇનર્સ, ટર્નર કન્સ્ટ્રક્શન અને લાર્સન ઍન્ડ ટુબ્રોએ સાથે મળીને આ પ્રતિમા બનાવી છે. ૨,૯૮૯ કરોડના ખર્ચે તૈયાર થયેલી આ પ્રતિમા ૬.૫ રિક્ટર સ્કેલના ભૂકંપ સામે તેમ જ ૨૨૦ કિમી.ની ઝડપે ફૂંકાતા પવન સામે ટકી રહે તેવી મજબૂત છે. આ પ્રતિમા ૪,૦૦૦ કારીગરોની દિવસરાતની મહેનતનું પરિણામ છે. આ પ્રતિમાના નિર્માણમાં ૯૦ હજાર મેટ્રિક ટન સિમેન્ટ અને ૨૫ હજાર મેટ્રિક ટન લોખંડનો ઉપયોગ થયો છે. ૨૫૦ જેટલા ઇજનેરોનું આ કાર્યમાં યોગદાન રહ્યું છે.

‘સ્ટેચ્યૂ ઑવ્ યુનિટી’ની પ્રતિમા

આ પ્રતિમા વલ્લભભાઈનું વજ્ર જેવું કઠોર મનોબળ છતાં કુસુમ જેવું કોમળ હૃદય દર્શાવતા હાવભાવ તેમ જ તેમની ઊભા રહેવાની ઢબ-છટા તેમના આત્મવિશ્વાસભર્યા પ્રભાવક વ્યક્તિત્વને સુપેરે વ્યક્ત કરે છે. ઊંચું મસ્તક, ખભા પરથી ઝૂલતી શાલ અને બંને હાથની રચના એવી કરવામાં આવી છે કે જાણે વલ્લભભાઈ હમણાં હાલવાચાલવા ને બોલવા લાગશે એવું જોનારને થાય ! ચીનની જિયાન્ગ્ક્સી ટોક્વીન કંપનીની ટીક્યૂ આર્ટ ફાઉન્ડ્રી દ્વારા પ્રતિમાને અંદરથી કૉંક્રીટ તેમ જ ધાતુના માળખાથી તૈયાર કરવામાં આવી છે અને એને બહારથી કાંસ્ય ધાતુથી મઢવામાં આવી છે. અહીં ૧૫૨ ઓરડા ધરાવતી થ્રી સ્ટાર હોટલ છે, ઑડિટોરિયમ છે, લાઇટ ઍન્ડ સાઉન્ડ શો ધરાવતી ગૅલરીઓ છે અને સરદારશ્રીના જીવનકાર્યની ઝાંખી ધરાવતું સંગ્રહાલય છે. આ ઉપરાંત આ પરિસરમાં વેલી ઑવ્ ફ્લાવર, રોપ-વે, અન્ય રાજ્યોનાં ભવનો અને આદિવાસી સંગ્રહાલય (ટ્રાઇબલ મ્યુઝિયમ) છે. વળી સ્થાનિક આદિવાસી યુવાનોને ગાઇડની કામગીરીની તાલીમ આપવાની યોજના પણ છે. લગભગ ૧૫૭ મીટરની ઊંચાઈએ, ૨૦૦ વ્યક્તિ સમાઈ શકે તેવી મુલાકાતીઓ માટેની ગૅલરી બનાવવામાં આવી છે. આ યોજનાની સૌપ્રથમ જાહેરાત ૭ ઑક્ટોબર, ૨૦૧૦ના રોજ થયેલી. આ પ્રતિમા માટેનું ભૂમિપૂજન તત્કાલીન ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૩૧ ઑક્ટોબર, ૨૦૧૩ના દિવસે થયું હતું અને બરોબર પાંચ વર્ષ પછી ૩૧ ઑક્ટોબર, ૨૦૧૮ના રોજ, સરદાર વલ્લભભાઈની ૧૪૩મી જન્મજયંતીના દિવસે, ભારતના વડાપ્રધાન તરીકે તેમના જ હસ્તે તેનું લોકાર્પણ પણ થયું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સ્ટેચ્યૂ ઑવ્ યુનિટી, પૃ. ૬૬)

Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. મનમોહન સિંહ

જ. ૨૬ સપ્ટેમ્બર, ૧૯૩૨ અ. ૨૬ ડિસેમ્બર, ૨૦૨૪

વિદ્વાન અર્થશાસ્ત્રી, ભારતના પૂર્વનાણામંત્રી, પૂર્વવડાપ્રધાન અને આર્થિક ઉદારીકરણની નીતિના પ્રખર પુરસ્કર્તા મનમોહન સિંહનો જન્મ ગાહ, પંજાબ(હાલ પાકિસ્તાન)માં થયો હતો. ૧૯૪૭માં દેશનું વિભાજન થયું ત્યારે તેમનો પરિવાર ભારતમાં આવ્યો. અમૃતસરની હિન્દુ કૉલેજમાં અભ્યાસ કર્યો. તેમણે ૧૯૫૭માં કેમ્બ્રિજમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો ત્યારબાદ ૧૯૬૨માં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડી.ફિલ.ની પદવી પ્રાપ્ત કરી. ભારત પાછા આવીને પંજાબ યુનિવર્સિટીમાં સિનિયર લેક્ચરર, ત્યારબાદ રીડર અને પ્રોફેસર તરીકે કામ કર્યું. તે પછી ૧૯૬૬થી ૧૯૬૯ દરમિયાન યુનાઇટેડ નૅશન્સ કૉન્ફરન્સ ઑન ટ્રેડ ઍન્ડ ડેવલપમેન્ટમાં અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું. તેમને વિદેશી વેપાર મંત્રાલયના મુખ્ય સલાહકાર તરીકે નીમવામાં આવ્યા. તેઓ નાણામંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર અને ત્યારબાદ સચિવ બન્યા. ૧૯૮૨માં તેમને ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. જૂન, ૧૯૯૧માં તત્કાલીન વડાપ્રધાન નરિંસહરાવે તેમને નાણાપ્રધાન બનાવ્યા. તેમણે ભારતના સમાજવાદી અર્થતંત્રને મૂડીવાદી અર્થતંત્રમાં બદલવા માટે ઘણી નીતિઓ અમલમાં મૂકી. તેમણે જાહેર ક્ષેત્રની કંપનીઓનું ખાનગીકરણ કર્યું. બહુરાષ્ટ્રીય એકમોને ભારતમાં આવકારવાની નીતિ અપનાવી દેશને નવો વળાંક આપ્યો. ૨૨ મે, ૨૦૦૪ના રોજ તેઓ ભારતના વડાપ્રધાન બન્યા. તેમણે મહાત્મા ગાંધી નૅશનલ રુલર એમ્પ્લૉયમેન્ટ ગૅરંટી ઍક્ટ (MGNREGA), રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન (NHRM) અને શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE) રજૂ કર્યા હતા. તેમણે ભારતની વધતી જતી ઊર્જાની માંગને પહોંચી વળવા ૨૦૦૬માં અમેરિકન પ્રમુખ જ્યૉર્જ બુશ સાથે પરમાણુ સહયોગ સંધિ માટે વાટાઘાટો કરી હતી. ૨૦૦૯માં તેઓએ બીજી વાર વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.

દેશ-વિદેશની અનેક સંસ્થાઓએ તેમને અનેક પદવીઓ તથા પુરસ્કારોથી સન્માન્યા હતા. ૧૯૮૭માં ભારત સરકાર દ્વારા પદ્મવિભૂષણથી તેમને સન્માનવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

નરકવાસી બનવા માનવી તડપે છે

સ્વર્ગની શોધ કરવા માટે ઊંચે આકાશ ભણી મીટ માંડીને બેઠેલા માનવીએ સ્વર્ગને ગુમાવ્યું. નરકને પારખવા માટે છેક પાતાળ સુધી દૃષ્ટિપાત કરવાની જરૂર નથી. સ્વર્ગ કે નરક બંને માનવીના હૃદયમાં નિહિત છે. ઉપરના સ્વર્ગની કે નીચેના પાતાળની ખોજ કરવા માટે પહેલાં પોતાના ભીતરમાં નજર કરીએ. વ્યક્તિ સ્વયં સ્વર્ગ સર્જે છે અને નરક રચે છે. મોટા ભાગના માનવી પૃથ્વી પર પણ નરકનું જીવન જીવતા હોય છે. આ નરક એટલે શું ? આ નરક એટલે વિકૃત, નકારાત્મક જીવનશૈલી. આ નરક એટલે જીવનમાં આનંદને બદલે વિષાદ શોધવાની મનોવૃત્તિ. આ નરક એટલે બીજાના અપમાનને પોતાનો અધિકાર માનતા માનવીનું વલણ. જીવનના બાગની હરિયાળી છોડીને ઉજ્જડ જમીનને જોતી દૃષ્ટિ. જેને ફૂલને બદલે કાંટા વધુ ગમે છે. જે બધે કાંટા જ શોધે છે, તે નરકમાં વસે છે. સાચા સુખને બદલે ક્ષણિક ભોગને માટે વલખાં મારતો માણસ એટલે નરકનો વાસી. પહેલાં ભીતરના નરકને જોઈએ. પોતે પોતાના જીવનમાં સ્વયં ઊભાં કરેલાં દુઃખોને વળગી રહે તે માનવી એટલે નરકનો માનવી. પોતે પ્રાપ્ત કર્યું હોય તેનો આનંદ હોય નહીં અને જે અસ્થિર છે એનો અજંપો સતત પીડતો હોય છે, આવો નરકવાસી માનવી વિકૃત બનીને જીવન વેડફે છે. સ્વર્ગસમી પૃથ્વી પર રહેતો માનવી પોતાના વિષય-કષાયથી નરકસમું જીવન ગાળે છે. પોતાની લાલસા અને એષણાને ખાતર પૃથ્વીનો માનવી સ્વર્ગને ઠોકર મારે છે. નરકનો એનો શોખ એને સદાનો નરકવાસી બનાવે છે. સ્વર્ગ રચવાની ઇચ્છા હોય તો માનવીએ આટલી બધી હિંસા, હત્યા કે યુદ્ધો શાને માટે કર્યાં? એને જેટલું નરક પસંદ છે, એટલો જ સ્વર્ગ પ્રત્યે ધિક્કાર છે.