Categories
વાચન સમૃદ્ધિ

માઇકલ ફૅરડે

જ. ૨૨ સપ્ટેમ્બર, ૧૭૯૧ અ. ૨૫ ઑગસ્ટ, ૧૮૬૭

પ્રસિદ્ધ અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી માઇકલ ફૅરડેનો જન્મ લંડનની નજીકના પરગણામાં થયો હતો. તેમણે અનેક પ્રયોગો દ્વારા વિદ્યુત-ચુંબકત્વની ઘટના સમજાવવામાં અગત્યનો ફાળો આપ્યો હતો. તેમના પિતા લુહારીકામ કરીને ગુજરાન ચલાવતા હતા. શાળામાં જઈને શિક્ષણ મેળવવાનું તેમને માટે શક્ય નહોતું. આથી તેમણે ઘરે રહીને જ જ્ઞાન મેળવ્યું. તેર વર્ષની ઉંમરે પુસ્તકના એક વેપારીએે તેમને ઘેર ઘેર છાપાંઓ નાખી આવવાની નોકરી આપી. ત્યારબાદ એક પુસ્તકવિક્રેતાએ તેમને પોતાની દુકાનમાં રાખી બુકબાઇન્ડિંગનું કામ શીખવ્યું. અહીં મળતા ફાજલ સમયમાં માઇકલ પુસ્તકો વાંચતા. તેમનો માલિક પણ તેમને આ માટે ખૂબ પ્રોત્સાહન આપતો. એકવીસ વર્ષની વયે તેમને પ્રખ્યાત અંગ્રેજ રસાયણશાસ્ત્રી સર હમ્ફ્રી ડેવીના મદદનીશ તરીકે કામ કરવાની તક મળી. ૧૮૨૧માં તેમણે વિદ્યુત મોટરના સિદ્ધાંતની શોધ કરી અને તેનું પ્રાથમિક પ્રતિરૂપ (Primitive Model) બનાવ્યું. ક્લોરિન વાયુનું પ્રવાહીકરણ કરનાર પ્રથમ વિજ્ઞાની બન્યા. ૧૮૨૫માં તેમણે કોલટારમાંથી બેન્ઝિનને છૂટું પાડ્યું. ૧૮૩૧માં વિદ્યુત-ચુંબકીય પ્રેરણની ઘટના શોધી કાઢી. તેમણે સૌપ્રથમ ડાયનેમો બનાવ્યો. તેમણે પરાવૈદ્યુતો (dielectrics), અવાહક પદાર્થોનો અભ્યાસ કર્યો. તેમણે ‘ફૅરડે અસર’ તરીકે જાણીતી ઘટનાની શોધ કરી. ૧૮૩૨ અને ૧૮૩૩માં તેમણે રસાયણશાસ્ત્રમાં વીજવિઘટન માટે સંખ્યાત્મક નિયમો આપ્યા. વિદ્યુત-મોટર અને વિદ્યુત-જનરેટરના તેઓ જનક હતા. તેમનાં વિજ્ઞાનને લગતાં અનેક પ્રકાશનો જાણીતાં થયાં છે. તેમનું મરણોત્તર પ્રકાશન ‘ધ વેરિયસ ફોર્સીઝ ઇન નેચર’ છે. ૧૮૧૩થી ફૅરડેએ રૉયલ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્યભાર સંભાળ્યો. તેઓ ડેવીના ઉત્તરાધિકારી બન્યા અને ઇન્સ્ટિટ્યૂટની પ્રયોગશાળામાં ડિરેક્ટર બન્યા. વિદ્યુત-રસાયણમાં તથા ધાતુ-વિજ્ઞાનમાં અનેક પ્રયોગો કર્યા. અત્યંત પ્રસિદ્ધ ‘ડેવી સેફ્ટી લૅમ્પ’માં પણ ફૅરડેનો મહત્ત્વનો ફાળો હતો. સર ડેવી તેમનાં છેલ્લાં વર્ષોમાં કહેતા કે ‘મારા જીવનની સૌથી મોટી જો કોઈ શોધ હોય તો તે છે માઇકલ ફૅરડે !

Categories
વાચન સમૃદ્ધિ

શ્રદ્ધા સાથે સાવચેતી જરૂરી છે

જીવનમાં અન્ય પ્રતિ આદર અને સન્માન હોવાં જોઈએ, પરંતુ કોઈના પ્રભાવથી પૂર્ણ રીતે અભિભૂત થઈને જીવવું જોઈએ નહીં. આદર સાહજિક છે, કિંતુ પ્રભાવિત થવું અસાહજિક છે. પ્રભાવિત થાવ ત્યારે પૂર્ણ સાવચેત રહેવું. એ ખતરાથી ખાલી નથી. સાહિત્યમાં કોઈ નવો સિદ્ધાંત આવે, પ્રજાજીવનમાં કોઈ નવો નાયક પેદા થાય કે કોઈ વિભૂતિનું જીવન સ્પર્શી જાય અને તમે તેનાથી પૂર્ણ રૂપે પ્રભાવિત થઈ જશો તો તમારું વ્યક્તિત્વ ખંડિત રહી જશે. અખંડિત વ્યક્તિત્વની સાધના કરનાર રામ કે બુદ્ધ પાસે જશે, પરંતુ શ્રદ્ધાની સાથે સાવચેતી રાખશે. એમની પાસેથી જે કંઈ સાંપડશે, તેમાંથી જરૂરી ગ્રહણ કરશે. એમનું અનુકરણ કરવાને બદલે સ્વજીવનમાં એમની ગુણસમૃદ્ધિનો સાદર કરવાનો પ્રયત્ન કરશે. એમને આત્મસાત્ જરૂર કરો, પણ એમાં તમારી જાતને ડુબાડશો નહીં. વિભૂતિઓ કે સદગુરુની ભાવનાઓને પામવી, સમજવી અને આચરવી જોઈએ, પરંતુ એ ભાવનાને માર્ગે ચાલતાં વિભૂતિપૂજામાં દોરવાઈ જઈએ નહીં એનો ખ્યાલ રાખવો જોઈએ. હૃદયની ઊર્ધ્વતા માટે ભાવ જરૂરી છે, ભીતરની મસ્તી માટે ભક્તિ જરૂરી છે, આત્માને પંથે ચાલવા માટે મુમુક્ષુતા જરૂરી છે, પરંતુ એ બધું મેળવવા જતાં ક્યાંય ભૂલા પડી જઈએ નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. આત્મસાત્ કરવું તે શ્રદ્ધા છે. જાતને ડુબાડવી તે અંધશ્રદ્ધા છે. શ્રદ્ધા સત્ય પાસે લઈ જાય છે. અંધશ્રદ્ધા અંધકારમાં ડુબાડી દે છે. કોઈ બાબત જીવનમાં ઉતારવા જેવી લાગે તો એને જીવનમાં ઉતારીને આત્મસમૃદ્ધ બનવું, પરંતુ અમુક જ વ્યક્તિની કે વિભૂતિની વાત આંખો મીંચીને માનવી કે પાળવી તે તમારામાં અપૂર્ણતા સર્જશે. પૂર્ણ પાસે જાવ, ત્યારે અભિભૂત થઈને અતિભક્તિ ન કરશો. એમના હૃદયવૈભવને આત્મસાત્ કરીએ.

Categories
વાચન સમૃદ્ધિ

છોટુભાઈ સુથાર

જ. ૨૧ સપ્ટેમ્બર, ૧૯૧૧ અ. ૧૧ ઑક્ટોબર, ૧૯૯૩

ગુજરાતના સુપ્રસિદ્ધ ખગોળવિદ છોટુભાઈ સુથારનો જન્મ ખેડા જિલ્લાના ચકલાસી ગામમાં થયો હતો. શાળાકીય શિક્ષણ નડિયાદમાં લઈ પુણેની કૉલેજમાંથી બી.એસસી.ની ઉપાધિ મેળવી ખેડા જિલ્લાની કેટલીક શાળાઓમાં અધ્યાપન કર્યું. ૧૯૬૮માં નિવૃત્ત થયા. ત્યારબાદ ખગોળવિદ હરિહર ભટ્ટ અને ગણિતજ્ઞ ડૉ. પી. સી. વૈદ્યની રાહબરી હેઠળ ખગોળના ઇતિહાસમાં સંશોધન કરી ગુજરાત યુનિવર્સિટીમાંથી પી.એચડી. થયા. જે ‘ભારતીય ખગોળશાસ્ત્ર, મૌલિક કે પરપ્રાપ્ત’ નામે પુસ્તક રૂપે પ્રગટ થયું. આ ઉપરાંત ૧૯૬૭માં વલ્લભવિદ્યાનગરમાંથી ઉત્તમ સંદર્ભગ્રંથશ્રેણી જ્ઞાન-ગંગોત્રી ગ્રંથમાળાનું પ્રથમ પુસ્તક ‘બ્રહ્માંડદર્શન’ પણ તેમણે લખ્યું. ૧૯૬૮માં નિવૃત્ત થયા બાદ અમદાવાદમાં તૈયાર થતી પ્રથમ વેધશાળાના પ્રથમ નિયામક તરીકેનો હોદ્દો સંભાળ્યો અને અઢી વર્ષ દરમિયાન ખગોળના પ્રચાર માટે નોંધપાત્ર કામ કર્યું. ૧૯૭૪માં ‘અવકાશની સૃષ્ટિ’ નામે ખગોળનું એક પાઠ્યપુસ્તક લખ્યું હતું. આ ઉપરાંત પણ તેમણે બીજાં ત્રણ પાઠ્યપુસ્તકો લખ્યાં હતાં. તેમણે ‘વિજ્ઞાનદર્શન’ નામે પણ એક સામયિકનું તંત્રીપદ સંભાળ્યું હતું. વળી ‘કુમાર’ ઉપરાંત અનેક સામયિકોમાં તેમણે વિજ્ઞાનવિષયક લેખો લખ્યા હતા. ૧૯૬૭માં તેમણે ‘આપણાં પક્ષીઓ’ નામક પક્ષીજીવનના બે ગ્રંથો લખ્યા હતા. આમ નાનાંમોટાં થઈ તેમણે લગભગ પચાસેક પુસ્તકો લખ્યાં છે. વિજ્ઞાનક્ષેત્રે તેમની સેવાઓ બદલ રાષ્ટ્રીય ઍવૉર્ડ આપી તેમને સન્માનવામાં આવ્યા હતા.