Categories
વાચન સમૃદ્ધિ

એમ. એસ. સુબ્બુલક્ષ્મી

જ. ૧૬ સપ્ટેમ્બર, ૧૯૧૬ અ. ૧૧ ડિસેમ્બર, ૨૦૦૪

અત્યંત મધુર કંઠ, સંસ્કૃત ભાષાના ઉચ્ચારની સ્પષ્ટતા, આરોહ-અવરોહની ખૂબી તથા લય અને તાલની મોહિની ધરાવતાં એમ. એસ. સુબ્બુલક્ષ્મીનો જન્મ મદુરાઈમાં એક જાણીતા સંગીત પરિવારમાં થયો હતો. તેથી બાળપણથી જ સુબ્બુલક્ષ્મીને સંગીતના સંસ્કાર મળ્યા હતા. ફક્ત ચાર ધોરણ સુધી અભ્યાસ કરી તેમણે શાળાકીય શિક્ષણ લેવાનું છોડી દીધું અને સમગ્ર ધ્યાન સંગીતસાધનામાં પરોવ્યું. કિશોરાવસ્થા સુધીમાં તો તેઓ કર્ણાટકી શાસ્ત્રીય સંગીતમાં નિપુણતા મેળવી ચૂક્યાં હતાં. ૧૯૪૦માં તેમનાં લગ્ન શ્રી ટી. સદાશિવમ્ સાથે થયાં હતાં. પતિ પાસેથી તેમને સંગીતમાં માર્ગદર્શન, મદદ અને મમતાભરી માવજત મળી. ૧૯૪૪માં મુંબઈમાં અખિલ ભારતીય સંગીત સંમેલનમાં કાર્યક્રમ રજૂ કરી તેમણે ભારતભરમાંથી આવેલા સંગીતકારોને પ્રભાવિત કર્યા હતા. સૌંદર્ય અને સૂરોનો અનોખો સંગમ ધરાવતાં આ કલાકારે ૧૮ વર્ષની ઉંમરે તમિળ ફિલ્મોમાં અભિનેત્રી તરીકે પદાર્પણ કર્યું. તેમની ફિલ્મ ‘મીરાં’એ અદભુત સફળતા પ્રાપ્ત કરી હતી. આ ફિલ્મમાં ૧૮ જેટલાં ભજનો તેમણે પોતાના સુરીલા કંઠે ગાયાં હતાં જે ખૂબ જ લોકપ્રિય બન્યાં હતાં. સુબ્બુલક્ષ્મીએ કર્ણાટકી સંગીતનું શિક્ષણ માતાથી માંડીને અરિયકુડી રામાનુજ આયંગર જેવા મહાન દક્ષિણ ભારતીય સંગીતકારો દ્વારા પ્રાપ્ત કર્યું તો દ્વિજેન્દ્રલાલ રૉય પાસેથી ઉત્તર હિન્દુસ્તાની શૈલીના ‘ખયાલ’ અને સિદ્ધેશ્વરી દેવી પાસેથી ‘ઠૂમરી’ અને ‘ટપ્પા’નું શિક્ષણ મેળવ્યું હતું. મીરાંનાં ભજનો ગાયાં બાદ સૂરદાસ, કબીર, તુલસીદાસ, નરસિંહ મહેતા વગેરે અનેક ભક્તકવિઓનાં ભજનો અને પદોને મધુર કંઠ આપ્યો હતો. તેમણે અનેક વાર ગાંધીબાપુની સમક્ષ સંગીત પીરસ્યું હતું. ૧૯૬૬માં ન્યૂયૉર્કમાં તેમણે રાષ્ટ્રસંઘની સામાન્ય સભા સમક્ષ પણ સંગીત પીરસ્યું હતું. સુબ્બુલક્ષ્મીએ દેશ-વિદેશમાં કરેલા પોતાના કાર્યક્રમો દ્વારા અનેક સંસ્થાઓને સમાજોપયોગી કાર્યો માટે લાખો રૂપિયાનું નાણાભંડોળ એકત્રિત કરી આપ્યું હતું. ૧૯૫૪માં ‘પદ્મભૂષણ’, ૧૯૫૬માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર, ૧૯૭૪માં મૅગ્સેસે ઍવૉર્ડ, ૧૯૭૫માં ‘પદ્મવિભૂષણ’ પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ૧૯૯૮માં તેમને ‘ભારતરત્ન’નો સર્વોચ્ચ ખિતાબ પણ એનાયત થયો હતો. આ સન્માન મેળવનારાં તેઓ સર્વપ્રથમ સંગીતકાર હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રશંસાનો પ્રત્યુત્તર

દ્વિતીય વિશ્વયુદ્ધમાં બ્રિટનને સફળ આગેવાની પૂરી પાડનાર રાજપુરુષ વિન્સ્ટન ચર્ચિલ (જ. ૩૦ નવેમ્બર ૧૮૭૪; અ. ૨૪ જાન્યુઆરી, ૧૯૬૫) મહામુત્સદ્દી અને કુશળ લેખક હતા. હિટલરના ભયની સામે અંગ્રેજ પ્રજાનું ખમીર અને દેશાભિમાન ટકાવી રાખનાર વિન્સ્ટન ચર્ચિલ અંગ્રેજી ભાષાની વાક્છટાને કારણે તથા આગવી લેખનશૈલીને કારણે પણ પ્રસિદ્ધ થયા હતા. એમની પાસે વ્યક્તિના મનોભાવોને પારખવાની આગવી સૂઝ હતી. બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ અમેરિકા પ્રવાસે ગયા હતા, ત્યારે અમેરિકાની એક સ્કૂલમાં ભાષણ આપવા માટે ગયા. સ્કૂલની મુખ્ય અધ્યાપિકાએ વિન્સ્ટન ચર્ચિલને આવકાર આપ્યો. એમની અતિપ્રશંસા કરવા લાગ્યાં. વિન્સ્ટન ચર્ચિલ આવા આડંબરથી અકળાઈ ઊઠ્યા હતા, પરંતુ એમણે અણગમો વ્યક્ત કરવાને બદલે મૌન ધારણ કરવાનું ઉચિત માન્યું.

એ પછી ભાષણને માટે સ્કૂલના વિશાળ ખંડમાં ગયા, ફરી મુખ્ય અધ્યાપિકા એમને વિશે અતિશયોક્તિભરી પ્રશંસાના ઉદગારો કાઢવા લાગ્યાં. મુખ્ય અધ્યાપિકાએ ચર્ચિલને પૂછ્યું, ‘મિસ્ટર ચર્ચિલ, તમારી અવર્ણનીય વક્તૃત્વ કલાની વાત શી કરવી ? તમારાં વક્તવ્યોએ તો બ્રિટિશ પ્રજામાં ઉત્સાહ પ્રેર્યો અને એને વિશ્વયુદ્ધમાં વિજયી બનાવ્યું.’ ચર્ચિલે સહેજ સ્મિત કરીને ઉત્તર આપવાનું ટાળ્યું. પેલી મહિલાએ પ્રશ્ન કર્યો, ‘તમારા દરેક ભાષણ સમયે હૉલ ખીચોખીચ ભરેલો હોય છે, ત્યારે તમને કેવું લાગે છે ? એ જોઈને તમારા મનમાં શો વિચાર જાગે છે ?’ ચર્ચિલે હસતાં હસતાં કહ્યું, ‘માત્ર એક જ વિચાર જાગે છે કે, મારું રાજનીતિવિષયક ભાષણ સાંભળવા માટે આટલી મોટી ભીડ એકઠી થાય છે, તો જો મને ફાંસી આપવામાં આવે તો કેટલી મોટી ભીડ થાય.’

Categories
વાચન સમૃદ્ધિ

લાન્સ નાયક કરમિંસહ

જ. ૧૫ સપ્ટેમ્બર, ૧૯૧૫ અ. ૨૦ જાન્યુઆરી, ૧૯૯૩

ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અપ્રતિમ બહાદુરીનાં દર્શન કરાવનાર લાન્સ નાયક કરમસિંહનો જન્મ પંજાબના સેહના ગામમાં શીખ રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા ખેડૂત હતા. ગામમાં પ્રથમ વિશ્વયુદ્ધના સૈનિકોની પરાક્રમગાથા સાંભળી તેમણે લશ્કરમાં જોડાવાનો નિર્ણય કર્યો. ગામમાં શાળેય શિક્ષણ પૂર્ણ કર્યું. ૧૫ સપ્ટેમ્બર, ૧૯૪૧ના રોજ શીખ રેજિમેન્ટની પહેલી બટાલિયનમાં જોડાયા. બીજા વિશ્વયુદ્ધમાં બર્મા મોરચે જાપાનીઓ સામેની લડાઈમાં તેમને પગમાં ગોળી વાગી છતાં લડત ચાલુ રાખી. એમની નીડરતા અને બહાદુરીથી પ્રભાવિત થઈ બ્રિટિશ તાજ દ્વારા લશ્કરી ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો અને તેમને લાન્સ નાયકના પદ પર બઢતી આપવામાં આવી હતી. ૧૩ ઑક્ટોબર, ૧૯૪૮ના રોજ પાકિસ્તાને તિથવાલના મોરચા પર બ્રિગ્રેડ તૈનાત કરી અને સૈનિકોનું એક જૂથ રિછમાર ગલી મોકલ્યું. સવારે છ વાગ્યે આક્રમણ થયું ત્યારે આગળની હરોળની ખાઈમાં કરમસિંહ સહિત ચાર સૈનિકો જ હતા. તેમ છતાંય તેમણે હુમલો નિષ્ફળ બનાવ્યો. ઉપરાઉપરી હુમલા થતા રહ્યા. કરમસિંહ સાથેના જવાનો ઘાયલ થવાથી બીજી હરોળની ખાઈમાં જવું અનિવાર્ય થયું. ૧૦ વાગ્યે ફરી હુમલો થતાં કરમસિંહ ખાઈ છોડીને બહાર આવ્યા અને ગ્રૅનેડનો મારો ચલાવ્યો. બીજી બાજુ ચોકીનો એક સૈનિક ઘવાયેલા સાથી સૈનિકોને ધીરે ધીરે પાછળની હરોળની ખાઈમાં લઈ ગયો. કરમસિંહ બીજી હરોળમાં પહોંચ્યા ત્યારે તેઓ લોહીથી નીતરતા હતા. રિછમાર ગલીમાં પાકિસ્તાની બ્રિગ્રેડ સામે આપણા ૪૭ જવાનોએ અભૂતપૂર્વ પરાક્રમ બતાવ્યું. ભારતનો વિજય થયો. કરમસિંહે સમયસૂચકતા વાપરી ઘવાયેલા સાથીઓને બચાવ્યા અને પોતે ઘાયલ હોવા છતાં સૌને પ્રોત્સાહિત કરી પોતે પણ લડતા રહ્યા. કરમસિંહના અજોડ પરાક્રમ બદલ ભારત સરકારે ૧૯૫૦માં તેમને પરમવીરચક્રથી સન્માનિત કર્યા. પરમવીરચક્રથી સન્માનિત થનાર તેઓ પ્રથમ જીવિત સૈનિક હતા. સ્વતંત્રતા પછી ભારતીય ધ્વજ ફરકાવવા માટે પસંદ કરાયેલા પાંચ સૈનિકોમાંના તેઓ એક હતા.