Categories
વાચન સમૃદ્ધિ

ડમરો

દ્વિદળી વર્ગમાં આવેલા લૅબિએટી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ocimum basilicum Linn. Sweet Basil; સં. मुञारिकी सुरसा, वरवाळा; હિં. बाबुई तुलसी, गुलाल तुलसी, काली तुलसी, मरूआ; મ. मरवा, सब्जा, ગુ. ડમરો, મરવો; તે. ભૂતુલસી, રુદ્રજડા, વેપુડુપચ્છા; તા. તિરનિરુપચાઈ, કર્પૂરા તુલસી; ક. કામકસ્તૂરી, સજ્જાગીદા; ઊડિયા : ઢલાતુલસી, કપૂરકાન્તિ; કાશ્મીરી : નીઆજબો; પં. ફુરુન્જ મુશ્ક, બાબુરી, નીઆજબો. તે મધ્ય એશિયા અને વાયવ્ય ભારતની મૂલનિવાસી વનસ્પતિ છે અને ભારતના લગભગ બધા ભાગમાં ઉછેરવામાં આવે છે તેમજ કુદરતી રીતે પણ ઊગે છે. તે ૩૦થી ૯૦ સેમી. ઊંચી, લગભગ અરોમિલ (glabrous), બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે. તેનાં પર્ણો સમ્મુખ, સાદાં અને અંડાકાર કે ભાલાકાર હોય છે. પર્ણકિનારી દંતુરવાળી કે અખંડિત હોય છે. પર્ણો બંને સપાટીએ સુંવાળાં અને ગ્રંથિમય હોય છે. પુષ્પ નાનાં, સફેદ અથવા આછા જાંબલી રંગનાં અને અશાખિત કે શાખિત પુષ્પવિન્યાસમાં ચક્રાકાર રીતે ગોઠવાયેલાં હોય છે. બીજ કાળાં, ચળકતાં, નાનાં ઉપવલયજ (ellipsoid) અને ખાડાવાળાં હોય છે.

ડમરાની ઘણી જાતો છે. ઉછેરવામાં આવતી આ જાતિમાં બહુસ્વરૂપીયતા અને પરપરાગનયનને લીધે તેની ઘણી ઉપજાતિઓ અને જાતો જોવા મળે છે, જે વૃદ્ધિનું સ્વરૂપ, રુવાંટીની ઘટ્ટતા અને પ્રકાંડ, પર્ણ તથા પુષ્પના રંગ વગેરે લક્ષણોમાં ભિન્નતા દર્શાવે છે. આમાં કુંચિત (curly) પર્ણોની જાત ઉછેર માટે સૌથી અનુકૂળ છે. ફ્રાન્સમાં આ જાતનો ઉછેર થાય છે, જે વધુ પ્રમાણમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતું તેલ આપે છે. ડમરાનું પ્રસર્જન (propagation) બીજ દ્વારા થાય છે. સુગંધિત છોડ તરીકે તેને બાગમાં ઉછેરવામાં આવે છે. બીજ વાવવા માટે સૌથી સારી ઋતુ ભારતના મેદાની પ્રદેશમાં ઑક્ટોબર-નવેમ્બર અને પર્વતીય પ્રદેશમાં માર્ચ-એપ્રિલ છે. નર્સરીમાં ઉછેરેલા રોપાની ફેરરોપણી બે હાર વચ્ચે ૩૦ સેમી. અને હારમાં છોડ વચ્ચે ૪૦ સેમી.નું અંતર રાખીને કરવામાં આવે છે. રોપણી બાદ ૨.૫થી ૩ માસમાં કાપણી માટે તે યોગ્ય થઈ જાય છે. એકથી વધારે વખત કાપણી લઈ શકાય છે. જમીનની નજીકથી છોડ કાપી લઈ સૂકવવામાં આવે છે અને  સૂકાં પર્ણ અને પુષ્પ ઉતારી લેવામાં આવે છે. કાનપુર ખાતે અખતરામાં બે કાપણીમાં ૬૮૦૦ કિલો જેટલું પર્ણ-પુષ્પનું ઉત્પાદન પ્રતિ હેક્ટરે મળેલું છે. બંધારણ અને પ્રકાર : ડમરો લવિંગ જેવી સુગંધ ધરાવે છે. તેના તેલનાં બંધારણ અને લક્ષણ ભિન્ન પ્રદેશમાં જુદાં જુદાં હોય છે, તેમાંથી ચાર પ્રકારનાં તેલ પ્રાપ્ત થાય છે : (૧) યુરોપિયન પ્રકાર : યુરોપ અને અમેરિકામાં ઉછેરાતા ડમરામાંથી તેલ નિસ્યંદનથી મેળવાય છે. તેમાં મુખ્યત્વે મિથાઇલ ચેવીકોલ અને લિનાલૂલ હોય છે પણ કપૂર હોતું નથી. તે તેની સારી સુગંધને લીધે અત્યંત કીમતી છે. (૨) રીયુનિયન પ્રકાર : રીયુનિયન ટાપુ, કોમોરો, માડાગાસ્કર અને સીચિલીસ ટાપુઓમાં તેનું ઉત્પાદન થાય છે. તેમાં મિથાઇલ ચેવીકોલ અને કપૂર હોય છે. લિનાલૂલ હોતું નથી. યુરોપિયન પ્રકાર કરતાં ગુણવત્તા ઓછી હોય છે. (૩) મિથાઇલ સિનામેટ પ્રકાર : બલ્ગેરિયા, સિસિલી, ઇજિપ્ત, ભારત અને હાઇટીમાં ઉત્પન્ન થાય છે. તે મિથાઇલ ચેવીકોલ, લિનાલૂલ અને મૂલ્યવાન મિથાઇલ સિનામેટ ધરાવે છે. (૪) યુજેનૉલ પ્રકાર : જાવાસીચિલિસ, સામોઆ અને રશિયામાં ઉત્પન્ન થાય છે. તે મુખ્ય ઘટક તરીકે યુજેનૉલ ધરાવે છે. યુરોપિયન પ્રકારનું તેલ સુગંધ તરીકે મીઠાઈ, બિસ્કિટ, મસાલેદાર રસ, ટમેટા કેચઅપ, માવો, અથાણાં, સરકો, મસાલા ભરેલું માંસ, સુગંધિત પીણાં વગેરેમાં વપરાય છે. દંતમંજનના પાઉડર, પેસ્ટ, માલિશ માટેનાં તેલ અને સુગંધિત અત્તરો ખાસ કરીને જૂઈના અત્તરમાં તેમજ સાબુની બનાવટમાં વપરાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ડમરો, પૃ. ૪૫૯)

Categories
વાચન સમૃદ્ધિ

સેવાગ્રામ (સેગાઁવ)

વર્ધા પાસે મહાત્મા ગાંધીના આશ્રમને કારણે જાણીતું થયેલું ગામ.

સેવાગ્રામ વર્ધાથી ૮ કિમી. દૂર છે. ૧૯૩૦માં ગાંધીજીએ દાંડીકૂચ આરંભી ત્યારે પ્રતિજ્ઞા કરી કે સ્વરાજ્ય લીધા વિના પાછા ફરી અમદાવાદમાં પગ નહિ મૂકે. આ પછી તેમણે અસ્પૃશ્યતાનિવારણના કાર્યનો આરંભ કર્યો. તેમના અનુયાયી જમનાલાલ બજાજે તેમને વર્ધામાં રહેવા આમંત્રણ આપ્યું. ૧૯૩૪માં ગાંધીજી વર્ધા ગયા. ત્યાં થોડો સમય વસવાટ કર્યો, પરંતુ તેમને ગામડું પસંદ હતું એટલે જમનાલાલ બજાજ પાસેથી ૧ એકર જમીન લઈને સેગાંવ પસંદ કર્યું. ગામ બહુ પછાત હતું. વસ્તી મુખ્યત્વે હરિજનોની હતી. સ્વચ્છતા પણ ન જેવી હતી. વિદર્ભમાં બીજું સેગાઁવ હોવાથી ઘણી વાર ગાંધીજીની ટપાલ ત્યાં જતી, એટલે એમણે ‘સેગાઁવ’ને બદલે ‘સેવાગ્રામ’ નામ રાખ્યું. ૧૯૩૬માં ગાંધીજી આ આશ્રમમાં રહેવા ગયા અને ત્યાંથી સેવાયજ્ઞ આરંભ્યો.

વર્ધા આશ્રમમાં જ્યાં ગાંધીજી રહેતા તે કુટિર

ગાંધીજી જે ઝૂંપડીમાં રહેતા હતા તેને ‘બાપુ કુટી’ નામ આપ્યું હતું. ગાંધીજીનાં અનુયાયી મીરાંબહેન પણ અહીં વસતાં હતાં. તે વખતે મહાદેવભાઈ દેસાઈ જે કુટિરમાં રહેતા તેનું નામ પછીથી ‘મહાદેવ કુટી’ રાખવામાં આવ્યું. કિશોરલાલ મશરૂવાળા જે કુટિરમાં રહેતા હતા તે ‘કિશોર-નિવાસ’ નામથી અત્યારે ઓળખાય છે. ૧૯૪૦ના વ્યક્તિગત સત્યાગ્રહ ને ૧૯૪૨ના ‘હિંદ છોડો’ આંદોલનની પૂર્વતૈયારી આ આશ્રમમાં થઈ હતી. આ નાના ગામમાં ગાંધીજીને મળવા વિશ્વના અનેક દેશોના આગેવાનો તથા મહાનુભાવો આવતા. ૧૯૪૨માં અમેરિકન પત્રકાર લૂઈ ફિશર આ આશ્રમમાં એક અઠવાડિયું રહ્યા હતા. બાપુ જેલમુક્તિ પછી ૧૯૪૪માં સેવાગ્રામ આશ્રમ આવ્યા હતા અને ૧૯૪૬માં ‘જમના કુટી’ને બાપુના આખરી નિવાસ તરીકે લાભ મળ્યો હતો. આજે પણ એ ‘આખરી નિવાસ’ તરીકે ઓળખાય છે. સેવાગ્રામના નિવાસીઓ માટે ગાંધીજીએ અગિયાર વ્રતનો આગ્રહ રાખ્યો હતો : સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, અસ્વાદ, અભય, અસ્પૃશ્યતાનિવારણ, જાતમહેનત, સર્વધર્મસમભાવ અને સ્વદેશી. બાપુ કુટી ખૂબ જ સાદગીપૂર્ણ હતી. બાપુ કુટીમાં માત્ર ચટાઈઓ પાથરેલી રહેતી. વાઇસરૉયના આગ્રહથી બાપુ માટે તેમાં ટેલિફોન મૂકવામાં આવેલો. મહાદેવભાઈ દેસાઈ, પ્યારેલાલજી અને રાજકુમારી અમૃતકૌર પણ અહીં રહેતાં. સામૂહિક ભોજનમાં ઘણી વાર બાપુ પોતે પણ પીરસતા. બાપુ એમના મેજ પર ત્રણ વાંદરાનું રમકડું રાખતા. રક્તપિત્તના રોગી પરચુરે શાસ્ત્રીજી માટે આશ્રમમાં એક કુટિર બાંધવામાં આવી હતી. બાપુ નિયમિત રીતે એમની સેવા માટે જતા. પ્રાર્થનાભૂમિમાં સવાર-સાંજ નિયમિત પ્રાર્થના થતી. બપોરના સમૂહકાંતણ થતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સેવાગ્રામ (સેગાઁવ), પૃ. ૪૨)

Categories
વાચન સમૃદ્ધિ

ડભોઈ

વડોદરા જિલ્લામાં આવેલ તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : ૨૨° ૧૧´ ઉ. અ. અને ૭૩° ૨૬´ પૂ. રે.. તાલુકાનું ક્ષેત્રફળ ૬૩૨.૬ ચોકિમી. છે. આ તાલુકામાં એક શહેર ડભોઈ તથા ૧૧૮ ગામો આવેલાં છે. ડભોઈ શહેરની વસ્તી આશરે ૭૩,૦૦૦ (૨૦૨૪) છે. ડભોઈના ‘દર્ભાવતી’ અને ‘દર્ભવતી’ તરીકે પ્રાચીન ઉલ્લેખો મળે છે. તાલુકાની જમીન સમતલ અને ફળદ્રૂપ છે. નર્મદા, ઢાઢર, ઓરસંગ અને હિરણ આ તાલુકામાંથી વહે છે. તાલુકામાં મુખ્યત્વે ડાંગર, જુવાર, ઘઉં અને બાજરીનું તથા કઠોળમાં તુવેરનું વાવેતર થાય છે. ઉદ્યોગોમાં મુખ્યત્વે લાકડાં વહેરવાની મિલો, જિનો અને સાબુનાં અને લોખંડનું ફર્નિચર બનાવવાનાં કારખાનાં તથા તેલની મિલો છે. એક રસાયણનું કારખાનું તથા તાંબાપિત્તળનાં વાસણોનાં કારખાનાં પણ છે. હાથસાળનું કાપડ, ઘોડિયાં વગેરે લાકડાની વસ્તુઓ બનાવવાનો ગૃહઉદ્યોગ છે. ડભોઈ તાલુકાનું ખરીદ-વેચાણ માટેનું કેન્દ્ર છે.

હીરા ભાગોળ દરવાજો, ડભોઈ

ડભોઈ એ ડભોઈ–જંબુસર, ચાંદોદ–માલસર અને ડભોઈ–ટીંબા નૅરોગેજ રેલવેનું જંકશન છે. જિલ્લા માર્ગો દ્વારા તે વડોદરા, કરજણ, મિયાંગામ, સંખેડા, જબુગામ, છોટાઉદેપુર, છુછાપુરા વગેરે શહેરો સાથે સંકળાયેલ છે. તાલુકામાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને કૉલેજો છે. ગ્રંથાલયો અને ગ્રંથાલય – વાચનાલયની સગવડ પણ છે. ડભોઈ તેના પથ્થરના દુર્ગને લીધે વિખ્યાત છે. નર્મદા નદીની ઉત્તરે આવેલો આ દુર્ગ વામાવર્ત સ્વસ્તિકના કોઠાવાળાં પ્રવેશદ્વારો ધરાવે છે. આ પ્રવેશદ્વારો પૂર્વમાં હીરા ભાગોળ, દક્ષિણે નાંદોરી ભાગોળ, પશ્ચિમે વડોદરી ભાગોળ અને ઉત્તરે મહુડી ભાગોળ પાસે આવેલાં હોવાથી તે ભાગોળનાં નામ પરથી ઓળખાય છે. ડભોઈના નાંદોદી, વડોદરી અને મહુડીના દરવાજાના બહારના વામાવર્ત કોઠાઓ મોટે ભાગે ખંડિત અવસ્થામાં છે. પરંતુ તેનાં ઇલ્લિકા તોરણોવાળા દરવાજા પરનાં મોટે ભાગે ખંડિત, પરંતુ ઓળખી શકાય એવી હાલતમાં રહેલાં શિલ્પો પૈકી મહુડી ભાગોળ પરનાં નાથ સંપ્રદાયનાં શિલ્પો ઘણાં મહત્ત્વનાં છે. આ દુર્ગના દરવાજાથી અંદર આવતા રસ્તાઓ લગભગ મધ્યમાં મળે છે. અહીંથી દુર્ગના ઈશાન ભાગના તળાવ સાથે તેમનો સંબંધ છે. ડભોઈના દુર્ગમાં પાણી માટેની આ વ્યવસ્થા લાંબા સમયના ઘેરા માટે ઉપયોગી છે. આ દુર્ગ ગુજરાત, મહારાષ્ટ્ર અને માળવાના અનુક્રમે ચૌલુક્ય-વાઘેલા, યાદવો અને પરમારોના સંઘર્ષના આશરે બારમી સદીના અંત પછી તેરમી સદીમાં તૈયાર થયો હતો, ત્યારબાદ તેનો ઉપયોગ અને સમારકામ વારંવાર થયું હોવા છતાં તેની મૂળ રચનાના ઘણા અંશો સચવાયેલા છે. ગુજરાતના વીશલદેવ વાઘેલાએ તેની રચનામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હોવાનું કાલિકા માતાના મંદિર પાસેના શિલાલેખ પરથી જાણવા મળે છે. ડભોઈની આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાઈ રહેતું હોવાથી આ નૈસર્ગિક પરિસ્થિતિનો લાભ દુર્ગનું સ્થાન નક્કી કરવામાં મળ્યો હતો. આ દુર્ગની હીરા ભાગોળ તેના કાલિકા માતાના મંદિર તથા હાલ નષ્ટપ્રાય થયેલા વૈદ્યનાથના મંદિરને લીધે વિશેષતા ધારણ કરે છે. કાલિકા માતાના મંદિરના મહાપીઠ અને મંડોવરના ભાગો સચવાયેલા છે. તેના પર વિવિધ આખ્યાયિકાઓ, દેવ અને દેવીઓનાં શિલ્પો ઉપરાંત સામાન્ય જીવનનાં દૃશ્યો પણ કોતરેલાં છે. વૈદ્યનાથના મંદિરની મહાપીઠના ભાગો સચવાયેલા છે. મંદિરોનું તથા કિલ્લા અને દરવાજાઓનું સમારકામ હીરાધર શિલ્પી દ્વારા થયું એમ મનાય છે. મૂળ કિલ્લો વગેરે બાંધનાર દેવા શિલ્પી હતો તેમ જણાય છે. ઋષભદેવ જયતિલકપ્રાસાદ અને ત્રણ જૈન મંદિરો, નાગેશ્વર તળાવ વચ્ચેનું નાનું શિવમંદિર, બીબીની બગી, મિનારાવાળી દરગાહ તથા અન્ય દરગાહો, પાછળથી બંધાયેલાં વાઘનાથ, મંગળેશ્વર, આશાપુરી તથા ગઢ ભવાનીનાં મંદિરો વગેરે જોવાલાયક છે. વડોદરા, ચાંપાનેરી વગેરે ચાર દરવાજાઓનું શિલ્પ બેનમૂન છે. હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર ઉપરની વૃત્તિનો થોડો ભાગ અહીં લખ્યો હતો. સત્તરમી સદીમાં રત્નો કવિ તથા ઓગણીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન અહીં ‘ગરબી’ પ્રકારનાં કાવ્યોના રચયિતા કવિ દયારામ થઈ ગયા છે. સોલંકીકાળ દરમિયાન આ સમૃદ્ધ શહેરનાં દેવમંદિરોનો અલ્લાઉદ્દીન ખલજીના સેનાપતિ ઉલૂઘખાને નાશ કર્યો હતો.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮