Categories
વાચન સમૃદ્ધિ

જૌનપુર

ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો, શહેર અને જિલ્લાનો વિસ્તાર : ૪૦૩૮ ચોકિમી. જિલ્લાનું વડું મથક. ૨૫° ૪૪´ ઉ. અક્ષાંશ અને ૮૨° ૪૧´ પૂ. રેખાંશ પર વારાણસીથી વાયવ્ય ખૂણામાં ગોમતી નદીના કાંઠે તે આવેલું છે. જિલ્લાની પૂર્વે આઝમગઢ, દક્ષિણે વારાણસી અને સંત રવિદાસનગર ઉત્તરે ફૈઝાબાદ, વાયવ્ય ખૂણે સુલતાનપુર નૈર્ઋત્યે અલ્લાહાબાદ અને પશ્ચિમે પિથોરગઢ જિલ્લા આવેલા છે. સમગ્ર જિલ્લો સપાટ છે. ગંગાના મેદાનનો તે ભાગ છે. પૂરને લીધે અવારનવાર જમીનનું ધોવાણ થાય છે. સમુદ્રથી દૂર આવેલો હોઈને અહીં આબોહવા વિષમ છે. ઉનાળો અને શિયાળો આકરા હોય છે. મે માસમાં ૪૧°થી ૪૫° સે. તાપમાન રહે છે. શિયાળામાં સૌથી ઓછું તાપમાન ૧૦° સે.થી ૧૭° સે. રહે છે. ઉનાળા અને શિયાળા તથા રાત્રિ અને દિવસના તાપમાનમાં ઘણો તફાવત રહે છે. આશરે ૧૦૦૦થી ૧૨૫૦ મિમી. વરસાદ પડે છે. ગંગાની નહેરોથી સિંચાઈ થાય છે. વસ્તી  ૪૪,૯૪,૨૦૪ (૨૦૨૪ આશરે). રેલ અને સડકમાર્ગે રાજ્યનાં ગાઝીપુર, અલ્લાહાબાદ, લખનૌ, ફૈઝાબાદ, ગોરખપુર વગેરે શહેરો સાથે સંકળાયેલું છે. તે ખાસ કરીને કૃષિ બજારકેન્દ્ર તરીકે વિકાસ પામ્યું છે. તેની આસપાસના ભાગોમાં ફૂલોના બગીચા આવેલા છે. અત્તર અને અન્ય સુગંધિત દ્રવ્યો તથા ફળફળાદિ અને શાકભાજીના વ્યાપારનું તે મુખ્ય કેન્દ્ર છે. ત્યાં ગોરખપુર યુનિવર્સિટી સાથે સંલગ્ન કૉલેજો છે. કેટલીક મસ્જિદો ઉપરાંત સોળમી સદીમાં બંધાયેલો ગોમતી નદી પરનો પુલ જોવાલાયક છે. જૌનપુર જિલ્લો ગંગાનાં ફળદ્રૂપ મેદાનોમાં આવેલો છે સિંચાઈની સુવિધાવાળા મોટા ભાગના વિસ્તારો ખેતી હેઠળ છે. ડાંગર, મકાઈ, જવ અને શેરડી જેવા પાકો મુખ્ય છે. જિલ્લાના શાહગંજ ખાતે ખાંડની મિલ છે.

ગોમતી નદી પરનો પુલ

ઇતિહાસ : શહેરની સ્થાપના અગિયારમી સદીમાં થઈ. પણ તે પછી ગોમતી નદીના ભારે પૂરથી તેનો વિનાશ થયો. ૧૩૬૦માં ફિરોઝશાહ તુઘલુકે તેને ફરીથી વસાવ્યું. તે સમયમાં બંધાયેલો કિલ્લો ત્યાં હજુ છે. જૌનપુર રાજ્યનો સ્થાપક મલિક સરવર મૂળ ફિરોઝશાહ તુઘલુકના પુત્ર મુહમ્મદનો હબસી ગુલામ હતો. તેને ૧૩૮૯માં વજીરપદ પ્રાપ્ત થયું અને તેને ‘ખ્વાજા જહાન’(પૂર્વનો રાજા)નો ઇલકાબ આપવામાં આવ્યો. છેલ્લા તુઘલુક સુલતાન મુહમ્મદે તેને ‘મલિક ઉસ શર્ક’નો ઇલકાબ આપ્યો અને પૂર્વ ભારતનો સૂબો નીમ્યો. ૧૩૯૪માં તેણે ઇટાવા, કોઇલ અને કનોજનો બળવો દબાવી દીધો અને અવધ, કનોજ, બહરીચ, સંદીલ, દલમાઉ અને બિહાર પરગણાં જીતી લીધાં. પશ્ચિમમાં કોઇલથી પૂર્વમાં તિરહુત અને બિહાર સુધીનો ગંગાની ખીણનો પ્રદેશ તેના કબજા નીચે હતો. બંગાળનો શાસક પણ તેને ખંડણી આપતો હતો. ૧૩૯૯માં તેનું મૃત્યુ થયું. તેણે સ્વતંત્રતા જાહેર કરી ન હતી. મલિક સરવરના અનુગામી તેના દત્તકપુત્રે સુલતાન મુબારકશાહનું નામ ધારણ કર્યું હતું. તેણે સ્વતંત્રતા જાહેર કરતાં, મુહમ્મદ તુઘલુકના શક્તિશાળી વજીર મલ્લુ ઇકબાલખાને ૧૪૦૦માં જૌનપુર ઉપર ચડાઈ કરી. બંને પક્ષો વચ્ચેના યુદ્ધનો નિર્ણાયક અંત આવે તેમ ન હોવાથી સુલેહ થઈ અને બંને લડનારા તેમની રાજધાનીઓમાં પાછા ફર્યા. મુબારકશાહનું ૧૪૦૨માં મૃત્યુ થયું. મુબારકશાહનો અનુગામી તેનો પુત્ર ઇબ્રાહીમ શમ્સ-ઉદ્-દીન નામ ધારણ કરીને જૌનપુરની ગાદીએ બેઠો. દિલ્હીના સુલતાન મુહમ્મદ તુઘલુકે અને તેના વજીર મલ્લુ ઇકબાલે જૌનપુર ઉપર ફરી ચડાઈ કરી. વજીરના સ્વભાવથી કંટાળીને સુલતાને નાસી જઈને, કનોજમાં આશ્રય લીધો અને મલ્લુ ઇકબાલખાન લડ્યા વિના જ દિલ્હી પાછો ફર્યો. સુલતાન મુહમ્મદ મલ્લુ ઇકબાલખાનના મૃત્યુ પછી ૧૪૦૫માં દિલ્હી પાછો ફર્યો. ૧૪૦૭માં સુલતાન ઇબ્રાહીમે દિલ્હીના સુલતાન પાસેથી કનોજ જીતી લીધું અને દિલ્હી તરફ પ્રયાણ કર્યું. પણ ગુજરાતનો સુલતાન મુઝફ્ફરશાહ દિલ્હીની મદદે આવે છે તેવી અફવા સાંભળી ઇબ્રાહીમશાહ જૌનપુર પાછો ફર્યો. તેના ૧૪ વરસના શાસન દરમિયાન તેણે સાહિત્ય, કલા અને સંગીતને પ્રોત્સાહન આપ્યું. જૌનપુરના સુલતાને બયાના ૧૪૨૭માં અને કાલ્પી ૧૪૨૮ અને ૧૪૩૧માં જીતવા પ્રયત્ન કર્યા પણ તે નિષ્ફળ ગયો.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, જોનપુર, પૃ. ૫૯)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

સાગ

ભારતમાં મોટે પાયે ઊગતી, ઇમારતી લાકડું આપતી એક વનસ્પતિ. સાગનાં ઝાડ ભારત ઉપરાંત અગ્નિ-એશિયાના બીજા દેશોમાં પણ થાય છે. ભારતમાં સાગ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓરિસા તથા દક્ષિણ ઉત્તરપ્રદેશમાં થાય છે. કેરળ, તમિળનાડુ અને કર્ણાટકનાં વનોમાં ઘણી જગ્યાએ સાગનાં વિશાળ કદનાં વૃક્ષો જોવા મળે છે. સ્વરૂપ અને બાહ્ય લક્ષણો : સાગનું થડ નળાકાર અને મોટા ઘેરાવાવાળું હોય છે. તેનાં પર્ણો સાદાં, સામસામાં ગોઠવાયેલાં, ૩૦થી ૬૦ સેમી. લાંબાં અને ૨૦થી ૩૦ સેમી. પહોળાં હોય છે. તેઓ તળિયેથી લાલાશ પડતાં હોય છે. તેનાં પુષ્પો નાનાં, સફેદ, મીઠી સુવાસવાળાં અને ઝૂમખામાં ઊગે છે. તેને ફળો ખૂબ જૂજ બેસે છે. ફળો નાનાં, સખત, કાષ્ઠમય, અનિયમિત ગોળાકાર અને ઉપરથી રુવાંટીવાળાં હોય છે. બીજ સફેદ રંગનાં હોય છે.

સાગનાં પર્ણો શુષ્ક ૠતુઓમાં નવેમ્બરથી જાન્યુઆરીમાં ખરી પડે છે. ભેજવાળાં સ્થળોએ પર્ણો માર્ચ કે તેથી પણ વધુ સમય ટકે છે. સાગનાં વૃક્ષો ગરમ ૠતુના મોટા ભાગના સમય દરમિયાન પર્ણો વિનાનાં હોય છે. નવાં પર્ણો એપ્રિલથી જૂન દરમિયાન ઊગે છે. વૃક્ષ પર જૂનથી સપ્ટેમ્બર દરમિયાન પુષ્પો ફૂટે છે. અસાધારણ ભેજવાળી પરિસ્થિતિમાં એપ્રિલમાં પુષ્પનિર્માણ થાય છે. નવેમ્બરથી જાન્યુઆરીમાં ફળ પરિપક્વ બને છે. સાગ ઝડપથી વિકાસ પામતું વૃક્ષ છે. તે પૂરતી ભેજવાળી, ઉષ્ણ અને ઉષ્ણકટિબંધીય આબોહવામાં સૌથી સારી રીતે થાય છે. તેને ફળદ્રૂપ અને ભેજવાળી જમીન વધુ માફક આવે છે. કાષ્ઠ : સાગનું લાકડું સૌથી ટકાઉ ગણાતાં લાકડાં પૈકીનું એક છે. તે પાણીમાં કોહવાતું નથી અને કડવું હોવાથી તેમાં કીડા લાગતા નથી. સૌથી ચડિયાતો સાગ મલબારનો હોય છે. તેનાથી ઊતરતો જાવામાં અને તેથી ઊતરતો બ્રહ્મદેશમાં થાય છે. સાગમાં ઘણાબધા સારા ગુણો હોવાથી તે લાકડાનો રાજા ગણાય છે. સાગનું વૃક્ષ ઉત્તમ અને કીમતી ઇમારતી લાકડું આપે છે. તે આકાર-જાળવણી અને ટકાઉપણાનો ગુણ ધરાવે છે. તે રંગ, રૂપ, ઘાટ-ઘડતર માટેની ક્ષમતા અને આંતરિક રેસાગુંફનની દૃષ્ટિએ બહુ જ ઉચ્ચ પ્રકારનું કાષ્ઠ ગણાય છે. તેનો બહારનો ભાગ સફેદથી આછા પીળાશ પડતા રંગનો અને મધ્ય ભાગ સોનેરી પીળો હોય છે. તેમાં ઘેરા લિસોટા હોય છે. તેનું કાષ્ઠ સખત, બરછટ, જાડું, અનિયમિત બંધારણ ધરાવતું અને તીવ્ર વાસવાળું હોય છે. સાગનો મધ્ય ભાગ સૌથી ટકાઉ હોય છે. કાષ્ઠમાં રહેલા વાયુના શોષણની દૃષ્ટિએ સાગનું કાષ્ઠ ઉત્તમ ગણાય છે. તે ભેજમાં થતા ફેરફારો સારી રીતે સહન કરી શકે છે. તેને સહેલાઈથી વહેરી શકાય છે અને તેમાંથી કોઈ પણ ઘાટ સરળતાથી ઉતારી શકાય છે. ઉપયોગો : સાગ દુનિયાની મોંઘી ઇમારતી જાતોમાં સ્થાન ધરાવે છે. તેનું કાષ્ઠ રાચરચીલું, ઇમારતો, પુલ, રેલવેના સ્લીપરો, પ્લાયવૂડ-ઉદ્યોગ અને સંગીતનાં વાદ્યો બનાવવાના ઉદ્યોગો માટે; ખેતીનાં ઓજારો, હળ અને ઇજનેરીનાં સાધનો બનાવવા માટે ઉપયોગી છે. વળી તે કોતરકામ અને નિર્ધારિત નમૂનાઓ (મૉડલ) માટે; ટેલિગ્રાફ, ટેલિફોન અને વિદ્યુતના થાંભલાઓ માટે ઉપયોગી છે. તે વહાણવટાના ઉદ્યોગમાં પણ ખૂબ ઉપયોગી છે. સાગ પ્રયોગશાળાઓમાં મેજના ઉપરના તખ્તા જડવામાં મોટે પાયે વપરાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાગ, પૃ. ૯૭)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

જોહાનિસબર્ગ

દક્ષિણ આફ્રિકાનું મોટામાં મોટું નગર, ભૌગોલિક સ્થાન ૨૬° ૧૨´ દ. અ. અને ૨૮° ૦૫´ પૂ. રે.. સમૃદ્ધ ઔદ્યોગિક કેન્દ્ર. સોનાની ખાણો પર આધારિત ઉદ્યોગોનું મથક. તે ટ્રાન્સવાલ પ્રાંતના દક્ષિણે, સોનાનો જથ્થો ધરાવતી ટેકરીઓની હાર વચ્ચે, સમુદ્ર સપાટીથી ૧,૭૫૬ મી. ઊંચાઈ પર વસેલું છે. તેનું ક્ષેત્રફળ ૪૪૩ ચોકિમી. અને મહાનગરની વસ્તી ૪૮,૦૩,૨૬૨ (૨૦૨૨) છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં સોનાની ખાણોની શોધ થતાં ત્યાં વસવાટ શરૂ થયો. ૧૮૮૬માં તેને નગરનો દરજ્જો પ્રાપ્ત થયો. તે ડરબનથી ૪૮૩ કિમી., કેપટાઉનથી ૧,૨૮૭ કિમી. તથા પ્રિટોરિયાથી ૧૬૦ કિમી. અંતરે આવેલું છે. દક્ષિણ આફ્રિકાના અતિ ગીચ વસ્તીવાળા પ્રદેશમાં વિકસ્યું છે. દક્ષિણ આફ્રિકાની ભૂતપૂર્વ સરકારની રંગભેદનીતિ મુજબ આ નગર શ્વેત અને અશ્વેત લોકોના અલાયદા વસવાટો વચ્ચે વિભક્ત થયેલું છે; દા. ત., નગરના ઉત્તર તરફના વિસ્તારમાં શ્વેત વસ્તી ધરાવતાં પરાં તો દક્ષિણ તરફના વિસ્તારમાં સોવેટો, નાન્સફિલ્ડ અને લેનાશિયા જેવા અશ્વેત લોકોના વસવાટો પથરાયેલા છે.

શહેરની આબોહવા ૧૦ સે. અને ૨૦ સે. તાપમાન વચ્ચે રહે છે. તથા વાર્ષિક સરેરાશ વરસાદ ૭૬૦ મિમી. પડે છે. નગરની બાજુમાં સોનાની ખાણો હોવાથી તેના પર આધારિત ખાણ-ઉદ્યોગનો ત્યાં વિકાસ થયો છે તથા વિશ્વની તેને લગતી મોટામાં મોટી પેઢીઓ ત્યાં આવેલી છે. ઉપરાંત દક્ષિણ આફ્રિકાની મોટામાં મોટી ઔદ્યોગિક અને નાણાકીય પેઢીઓનાં મુખ્ય મથકો ત્યાં કેન્દ્રિત થયેલાં છે. શૅરબજાર ત્યાં ધીકતો ધંધો કરે છે. સોનાના ઉત્પાદન ઉપરાંત ઔદ્યોગિક હીરા (industrial diamonds), યુરેનિયમ, ખાણ-ઉદ્યોગનાં ઉપકરણો, સ્વચાલિત વાહનોના છૂટા ભાગ, ટ્રાન્ઝિસ્ટર, વીજળી તથા વાહનવ્યવહારનાં સાધનો, રસાયણો, ઇજનેરી અને છાપકામની વસ્તુઓ અને ખાદ્યપ્રક્રમણના એકમો નગરમાં વિકસ્યા છે.

પર્યટનની દૃષ્ટિએ નગરમાં જોવાલાયક બાંધકામોમાં ૨૩૦ મી. ઊંચાઈ ધરાવતા બે મિનાર (જેમાં એક રેડિયો તથા બીજો ટેલિફોનનો મિનાર છે), (૫૦ માળનું વિશાળ મકાન) જેમાં જુદાં જુદાં કાર્યાલયો છે; મોટું રેલમથક, નાટ્યગૃહો, કલાકેન્દ્ર, વસ્તુસંગ્રહાલય, સર્પ-ઉદ્યાન, પ્રાણીસંગ્રહાલય તથા પક્ષીઓ માટેનું અભયારણ્ય ઉલ્લેખનીય છે.

નગરમાં વિટવૉટર્સરૅન્ડ યુનિવર્સિટી (સ્થાપના ૧૯૦૩), રૅન્ડ આફ્રિકન યુનિવર્સિટી (સ્થાપના ૧૯૬૬), શિક્ષણની તાલીમ માટેની કૉલેજો, સાઉથ આફ્રિકા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅડિકલ રિસર્ચ તથા ૧૯૦૩માં સ્થપાયેલ ટૅકનિકલ કૉલેજ છે. તે સિવાય અન્ય વિદ્યાશાખાઓનું શિક્ષણ આપતી સંસ્થાઓનો પણ વિકાસ થયેલો છે.

આ નગર દક્ષિણ આફ્રિકાનાં મહત્ત્વનાં બધાં જ નગરો સાથે રસ્તાઓ, રેલવે તથા વિમાની સેવાઓથી જોડાયેલું છે. તેનું આંતરરાષ્ટ્રીય વિમાનમથક ૨૪ કિમી. અંતરે છે.

પ્રારંભમાં આ નગર ટ્રાન્સવાલનો ભાગ હતો; પરંતુ ૧૮૯૯-૧૯૦૨ દરમિયાન થયેલા દક્ષિણ આફ્રિકાના યુદ્ધ પછી તેના પર બ્રિટિશ શાસન લાદવામાં આવ્યું.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી