Categories
વાચન સમૃદ્ધિ

જૉર્ડન

અરબી દ્વીપકલ્પના વાયવ્ય કિનારા પર હાશેમી વંશના રાજ્યકર્તાઓની હકૂમત હેઠળનો અરબ દેશ. ભૌગોલિક સ્થાન  ૩૧° ઉ. અ. અને ૩૬° પૂ. રે.. મહંમદ પયગંબરના દાદા હાશેમના વંશના નામ પરથી તે હાશેમી રાજ્ય તરીકે ઓળખાય છે. મધ્યપૂર્વ વિસ્તારમાં વચ્ચોવચ આવેલો આ દેશ જૉર્ડન નદીના પૂર્વ તથા પશ્ચિમ કિનારા પર વસેલો છે. તેની ઉત્તરે સીરિયા, પૂર્વે ઇરાક તથા સાઉદી અરેબિયા, દક્ષિણે સાઉદી અરેબિયા તથા પશ્ચિમે ઇઝરાયલ દેશો આવેલા છે. તેનો કુલ વિસ્તાર ૮૯,૨૮૭ ચોકિમી. છે. તેનું સર્વોચ્ચ બિંદુ સમુદ્રસપાટીથી ૧,૭૫૪ મી. ઊંચાઈ પર છે, તો લઘુતમ બિંદુ સમુદ્રસપાટીથી ૩૯૬ મીટર નીચું છે. તેની કુલ વસ્તી ૧,૧૪,૮૪,૦૦૦ (૨૦૨૩, આશરે) તથા વસ્તીની ગીચતા ૩૫ પ્રતિ ચોકિમી. છે. કુલ વસ્તીના ૬૮% લોકો શહેરી વિસ્તારમાં તથા ૩૨% લોકો ગ્રામ વિસ્તારમાં વસે છે. દેશમાં સાક્ષરતાનું પ્રમાણ ૭૭% છે. કુલ વસ્તીમાં ૯૫% સુન્ની મુસલમાનો છે. કુલ વસ્તીમાંના ૫૫% લોકો મૂળ દેશવાસીઓ છે અને બાકીના પૅલેસ્ટાઇન પ્રદેશમાંથી આવેલા છે. ૧૦% વસ્તી શરણાર્થી શિબિરોમાં વસે છે. અરબી એ રાષ્ટ્રભાષા છે, જોકે અંગ્રેજી ભાષાનો દેશમાં બહોળો ઉપયોગ થાય છે. એક જમાનામાં આ દેશ ટ્રાન્સજૉર્ડન નામથી ઓળખાતો હતો. ઇસ્લામ રાજ્યનો અધિકૃત ધર્મ છે.

અલ અકાબા બંદર                                         મૃત સરોવર

જૉર્ડન નદીની પૂર્વે ૫૫ કિમી. અંતરે આવેલું અમાન તેનું પાટનગર અને દેશનું મોટામાં મોટું નગર છે. અકાબાના અખાત પર આવેલું અકાબા એકમાત્ર બંદર છે. દેશની પશ્ચિમ તરફની સરહદ જેરૂસલેમ નગરમાંથી પસાર થતી હતી.

૧૯૬૭ પહેલાંના તેના કુલ વિસ્તારમાંથી માત્ર ૧૦% ખેતીલાયક છે, ૭૫% રણથી છવાયેલ છે અને ૧% વિસ્તાર જંગલ હેઠળ છે. જૉર્ડન નદીના પૂર્વ કિનારા પરનો પ્રદેશ, તેના પૂર્વ તરફનો રણપ્રદેશ, પશ્ચિમી કિનારા તરફનો પ્રદેશ તથા જૉર્ડનની ખીણનો પ્રદેશ એ ૪ જૉર્ડનના મુખ્ય ભૌગોલિક કે ભૂપૃષ્ઠ વિભાગ ગણાય છે. તેના પૂર્વ કિનારા પરનો મેદાની પ્રદેશ પૂર્વ તરફ ઢળતો જાય છે. આ પ્રદેશની દક્ષિણ તરફની ઊંચાઈ આશરે ૧,૭૫૦ મી. જેટલી છે અને તેમાં ૧,૭૫૪ મી. ઊંચાઈ ધરાવતું જેબેલ રામ્મ શિખર આવેલું છે. જૉર્ડન નદીના પશ્ચિમ કિનારા તરફનો પ્રદેશ પૅલેસ્ટાઇનના ઉચ્ચ પ્રદેશથી વ્યાપ્ત છે. આ પ્રદેશને પૂર્વ તરફના મેદાની વિસ્તારથી જુદા પાડતો પ્રદેશ જૉર્ડન નદીની સમતલ ખીણનો પ્રદેશ છે. ખીણોથી છવાયેલો આ પ્રદેશ વિશાળ ફાટખીણ(ધ ગ્રેટ રિફ્ટ વૅલી)નો ભાગ છે. વિશ્વનું સૌથી વધુ ખારા પાણીનું સરોવર (૨૪૦% ક્ષારતા) આ ખીણપ્રદેશના સૌથી નીચાણવાળા ભાગમાં આવેલું છે અને તે ‘મૃત સરોવર’ના નામથી ઓળખાય છે. તે પૃથ્વીતલનો સૌથી નીચો ભાગ પણ છે. જૉર્ડનનો સૌથી મોટો ભૂભાગ ટ્રાન્સજૉર્ડન પઠારનો સર્વોચ્ચ મેદાની પ્રદેશ છે.

દેશની આયાતોમાં ખાદ્ય પદાર્થો, યંત્રો, ખનિજ-તેલ તથા વાહનવ્યવહારનાં સાધનો મુખ્ય છે, નિકાસમાં ફૉસ્ફેટ, શાકભાજી તથા ફળફળાદિનો સમાવેશ થાય છે. દેશનો મોટા ભાગનો વિદેશવ્યાપાર સાઉદી અરેબિયા, ઇરાક, અમેરિકા, બ્રિટન, જર્મની, ઇટાલી, જાપાન અને ભારત સાથે થાય છે. વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારના ક્ષેત્રે જૉર્ડને નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેના પડોશી દેશો સાથે તે ઘનિષ્ઠ રીતે જોડાયેલું છે. તેનું એકમાત્ર બંદર અલ અકાબા અદ્યતન સગવડો ધરાવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, જૉર્ડન, પૃ. 35)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

સંધિ (રાજકીય કે વ્યવહાર-ક્ષેત્રમાં)

બે દેશો વચ્ચે સ્વીકૃત થયેલ અને નિશ્ચિત પદ્ધતિ દ્વારા સત્તાધીશો દ્વારા માન્ય થયેલું સુલેહનામું.

તેમાં સુલેહ કે શાંતિના કરાર અને સ્વીકૃતિપત્રના ભાવાર્થ આવરી લેવાયા હોય છે. સંધિ સાથે અંગ્રેજીના ‘કન્વેન્શન’, ‘પ્રોટોકૉલ’, ‘કૉવેનન્ટ’, ‘ચાર્ટર’, ‘પૅક્ટ’, ‘સ્ટેચ્યૂટ’, ‘ઍક્ટ’, ‘ડેક્લેરેશન’ વગેરેની અર્થચ્છાયાઓ પણ જોવા મળે છે. આવી સંધિથી બે દેશોની સરકારો વચ્ચે હક્કો અને જવાબદારીઓ નક્કી થાય છે. જે તે સંધિકરારનું પાલન થાય તે માટે જવાબદાર અધિકારીઓને કામની સોંપણી કરવામાં આવે છે. આવી સંધિ તેમાં ભાગ લેનાર સૌ પક્ષકારોને બંધનકર્તા હોય છે. સામાન્ય રીતે આવી સંધિઓની વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ કરવામાં આવે છે. વધુમાં આંતરરાષ્ટ્રીય સંગઠનો આ માટેનાં ધારાધોરણો નક્કી કરે છે. મહદ્અંશે વિવિધ દેશો વચ્ચેના સરહદી ઝઘડાઓ, વ્યાપારી લેવડદેવડ, આયાત-નિકાસ, નાગરિકોની માન્યતા અને જળવિવાદ તેમ જ યુદ્ધો જેવી બાબતે આ પ્રકારની સંધિઓ દ્વારા મતભેદોનો ઉકેલ લાવવામાં આવે છે. આ અર્થમાં સંધિ એ દેશો વચ્ચેના મતભેદોની શાંતિમય અને સમજદારીપૂર્વકની પતાવટ હોય છે.

વર્સાઇલ્સ/વર્સેલ્સની સંધિ

૧૯૧૯માં થયેલી વર્સાઇલ્સ/વર્સેલ્સની સંધિ અનુસાર પ્રથમ વિશ્વયુદ્ધ(૧૯૧૪થી ૧૯૧૮)નો અંત લાવવામાં આવ્યો હતો. જેમાં એક તરફ વિજયી મિત્રરાષ્ટ્રો (allies) હતાં અને બીજી તરફ જર્મની, ઇટાલી (axis) જેવાં પરાજિત રાષ્ટ્રો હતાં. તેમાં મુખ્યત્વે વિશ્વયુદ્ધ બંધ કરી સુલેહને લગતી શરતો સામેલ કરવામાં આવી હતી. દેશો દેશો વચ્ચેના ગુનેગારોને પકડવા અંગેની સંધિ પ્રત્યર્પણ સંધિ તરીકે ઓળખાય છે. વિવિધ દેશો વચ્ચે એકબીજાને મુશ્કેલીના સમયે સહકાર આપવા માટે પણ સંધિ કરવામાં આવે છે. નૉર્થ ઍટલૅન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (NATO) અથવા સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (SEATO) દેશોના સમૂહને સલામતી આપતી સંધિઓ છે. આવી કોઈ સંધિ ટૂંકા સમય માટે નક્કી થઈ હોય તો તે કામચલાઉ સંધિ તરીકે ઓળખાય છે. દેશની અંદર કે બે દેશો વચ્ચે સંઘર્ષોના ઉકેલ માટે સંઘર્ષનિવારણ સંધિઓ પણ કરવામાં આવે છે. ભારત-પાકિસ્તાન દેશો વચ્ચે થયેલા સિમલા કરાર આ પ્રકારની સંધિ છે. આવી સંધિઓ આંતરરાષ્ટ્રીય કાયદાઓથી માન્ય થાય પછી જ તેનો અમલ કરી શકાય છે. સંધિ સંઘર્ષોને સમજદારીથી ઉકેલવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

જોધપુર

રાજસ્થાનના ૩૩ પૈકીનો એક જિલ્લો તથા જિલ્લામથક અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. જોધપુર જિલ્લો ૨૬°થી ૨૭° ૩૭´ ઉ. અ. અને ૭૨° ૫૫´થી ૭૩° ૫૨´ પૂ. રે. વચ્ચે આવેલો છે. ઉત્તરે બિકાનેર અને વાયવ્યે જેસલમેર જિલ્લા, દક્ષિણે બારમેર અને પાલી અને પૂર્વમાં નાગોર જિલ્લો છે. ઉત્તરથી દક્ષિણ ૧૯૭ કિમી. લંબાઈ અને પૂર્વથી પશ્ચિમ ૨૦૮ કિમી. પહોળાઈ છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૨૨,૮૫૦ ચોકિમી. છે. જોધપુર જિલ્લાનો નીચાણવાળો ભાગ, અરવલ્લી ગિરિમાળા, અગ્નિખૂણે આવેલ રાજસ્થાનના ઉચ્ચ પ્રદેશ અને પશ્ચિમે અને વાયવ્ય ખૂણે થરના રણની વચ્ચે આવેલો છે. અર્ધરણ જેવા સપાટ પ્રદેશ વચ્ચે રેતીના ઢૂવા થાય છે. અરવલ્લીના ફાંટા રૂપે આવેલા ડુંગરો ૬૦થી ૧૫૦ મી. ઊંચા છે અને વનસ્પતિ વિનાના છે. જિલ્લાનો શુષ્ક પ્રદેશ રેતાળ છે પણ અરવલ્લી અને લૂણી નદી વચ્ચેનો પ્રદેશ ખેતીલાયક છે. અહીં પાણી ખૂબ ઊંડાઈએ મળે છે. જોધપુર જિલ્લાની આબોહવા રણ જેવી છે. ઉનાળામાં મે માસમાં વધુમાં વધુ તાપમાન ૪૯° સે. અને શિયાળામાં સરેરાશ તાપમાન ૧૪° સે. હોય છે. ઉનાળામાં સખત લૂ વાય છે. સરેરાશ વરસાદ ૨૫૦થી ૫૦૦ મિમી. પડે છે. જિલ્લાની માટીમાં રેતીનું પ્રમાણ વધારે છે. માટી લાલ તથા ખારાશવાળી છે. ખેતીના પાકોમાં જુવાર, બાજરો, સરસવ, એરંડા, ગુવાર, મગ, મઠ વગેરે મુખ્ય છે. પાણીની સગવડ હોય ત્યાં થોડા પ્રમાણમાં ઘઉં અને ચણા થાય છે.

પશુઓમાં ઘેટાં, બકરાં અને ગાય, બળદ, ઊંટ, ઘોડા વગેરે છે. વન્ય પશુઓમાં વાઘ, રીંછ, સાબર, ચીતળ અને રોઝ મુખ્ય છે. ફલોદી પાસેના ખારા તળાવના પાણીનો મીઠું બનાવવા માટે ઉપયોગ થાય છે. આ સિવાય ચિરોડી, બાંધકામ માટેનો પથ્થર અને મુલતાની માટી વગેરે ખનિજો પણ છે. આછો ગુલાબી પથ્થર અને બલુઆ પથ્થર પ્રસિદ્ધ છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ઉદ્યોગો મુખ્યત્વે જોધપુર શહેરમાં આવેલા છે. અહીં ગરમ કાપડની મિલ, સિમેન્ટનું કારખાનું, મોટરના પિસ્ટન અને કૂલર, શાફ્ટ વગેરેના છૂટક ભાગો બનાવવાનું કારખાનું; કાચ, લોખંડનું રાચરચીલું, ચામડાની બૅગ, પગરખાં તથા ઍલ્યુમિનિયમની વસ્તુઓ અને વાસણો વગેરેનાં કારખાનાં છે. રંગાટી તથા છાપકામ, ધાબળા, બાંધણી વગેરે ગૃહઉદ્યોગો વિકસ્યા છે. જોધપુરમાં રાજસ્થાન રાજ્યની સંગીત અકાદમી, વિશ્વવિદ્યાલય, ઇજનેરી તથા અન્ય કૉલેજ, સંગ્રહસ્થાન વગેરે આવેલાં છે. જોધપુર જિલ્લાની વસ્તી ૨૦૨૪માં ૪૭,૯૦,૦૦૦ (આશરે) છે. તે ધોરી માર્ગે રેલવે દ્વારા બિકાનેર, જેસલમેર, જયપુર, અમદાવાદ, દિલ્હી, અજમેર તથા રાજસ્થાનનાં મુખ્ય વેપારી કેન્દ્રો તથા જિલ્લામથકો સાથે જોડાયેલું છે. અહીં ઍર ઇન્ડિયાનું વિમાનઘર તથા વાયુસેનાનું મથક છે. જસવંત થડામાં ટકોરા મારવાથી સંગીતના સૂર કાઢતું સંગેમરમરનું સ્ફટિક ભવન છે. જોધપુરની પ્રાચીન રાજધાની મંડોર કે માંડવગઢમાં કિલ્લો, જનાના ઉદ્યાન, દેવતાઓનો સાલ મહેલ અને સંગ્રહાલય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, જોધપુર, પૃ. 27)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી