Categories
વાચન સમૃદ્ધિ

સિક્કા અને સિક્કાશાસ્ત્ર

સિક્કા : નિયત ધાતુ અને તોલનું શાસક દ્વારા અધિકૃત વિનિમય-માધ્યમ, ચલણી નાણું. સિક્કાશાસ્ત્ર : સિક્કાઓનો અભ્યાસ, જેમાં કરવામાં આવે છે તે શાસ્ત્ર. તેને મુદ્રાવિજ્ઞાન (numismatics) પણ કહે છે. ઇતિહાસનો એક મહત્ત્વનો સ્રોત સિક્કાશાસ્ત્ર ગણાય છે. તે પરથી રાજકીય, આર્થિક, ધાર્મિક ઇતિહાસ તથા તે પ્રદેશ અને તે કાળની ભાષા અને લિપિ પર પ્રકાશ પડે છે. પ્રાચીન સમયમાં સોના, ચાંદી, તાંબું, લોખંડ જેવી અનેક ધાતુઓમાંથી સિક્કાઓ બનાવવામાં આવતા હતા. સોનામાંથી બનાવેલા સિક્કા સોનામહોર કહેવાતા હતા. સિક્કાઓમાં રાજા કે રાણીની છાપ, વર્ષ, તેમના ઇષ્ટદેવ કે દેવીની આકૃતિઓ કે ધર્મનું સૂત્ર છપાતાં. ભારતનાં જુદાં જુદાં સંગ્રહસ્થાનો, ખાનગી સંસ્થાઓ અને વ્યક્તિઓ સિક્કાનો સંગ્રહ કરે છે. ખોદકામ દરમિયાન કેટલીક વાર સિક્કાઓનો ચરુ પણ મળી આવે છે. સિક્કાઓ લાંબા સમય સુધી એવા ને એવા રહે છે; આથી તેના દ્વારા ઇતિહાસ જાણી શકાય છે. તેના વડે ભૂતકાળ પર વધારે પ્રકાશ પડી શકે છે.

ભારતના સૌથી પ્રાચીન સિક્કા, આહત સિક્કા (punch marked) છે. તે ઈ. સ. પૂ. ત્રીજીથી ચોથી સદીમાં પ્રચલિત હતા. આ પછીના ઈ. સ. પૂર્વે ૧૨૦ની સાલના ઇન્ડો-ગ્રીક સિક્કાઓ મળે છે. ત્યારબાદ ઇન્ડો-પાર્થિયન, કુશાન અને ક્ષત્રપ સિક્કાઓ પણ જોવા મળ્યા છે. ભારતમાં અનેક નાનામોટા રાજ્યવંશોની સત્તા રહી હતી. તેઓના સિક્કા જોવા મળે છે; દા. ત., મૌર્ય વંશ, પંચાલ, કૌશાંબી, કુશાણ, ગુપ્તવંશ વગેરેના. ભારતના ઇતિહાસમાં ગુપ્તકાલને સુવર્ણકાલ ગણવામાં આવે છે. તે હકીકત સિક્કાના ક્ષેત્રમાં પણ લાગુ પડે છે. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારપછી ૧૯૫૦ના આરંભ સુધી બ્રિટિશ ઢબના સિક્કા ચલણમાં રહ્યા હતા. ત્યારબાદ ભારત પ્રજાસત્તાક થતાં ભારતે નવા સિક્કા પાડવાના શરૂ કર્યા. તેનાં તોલમાપ અને આકાર બ્રિટિશ સિક્કા જેવાં જ રખાયાં. ત્યારે ૧ પૈસો, ૨ પૈસા, ૧ આનો, ૨ આના, ૪ આના (પાવલી), ૮ આના (અડધો) તથા ૧ રૂપિયાના સિક્કા ચલણમાં હતા. ૧૯૫૭માં ભારતે તોલમાપમાં દશાંશપદ્ધતિ અપનાવી. ૧ પૈસો, ૫ પૈસા, ૧૦ પૈસા, ૨૫ પૈસા, ૫૦ પૈસા તથા રૂપિયાના સિક્કા ચલણમાં મુકાયા. એટલે હવે માત્ર ૧ રૂપિયો અને પૈસો – એમ બે જ એકમ રખાયા. આનાનું એકમ સદંતર રદ થયું, ગણતરી સરળ બની. સમય જતાં સિક્કાઓની ધાતુ અને વજનમાં ફેરફાર થતા રહ્યા. હાલમાં ૧ રૂપિયો, ૨ રૂપિયા, ૫ રૂપિયા અને ૧૦ રૂપિયાના સિક્કા ચલણમાં આવ્યા છે. હવે ૧ રૂપિયાથી ઓછા મૂલ્યના સિક્કા વપરાશમાંથી લગભગ બંધ થઈ ગયા છે. સિક્કામાં વપરાયેલી ધાતુની કિંમત પ્રમાણે સિક્કાનું જે મૂલ્ય થાય તેને સિક્કાનું ધાતુઈ મૂલ્ય કહેવાય છે. કાયદાથી નક્કી થયા મુજબ તેના લેવડદેવડના મૂલ્યને ચલણી મૂલ્ય કહેવાય છે. આ મુજબ પહેલાંના સમયમાં ચાંદી-સોનાના સિક્કા તેમના ચલણી મૂલ્ય કરતાં ઘણા મૂલ્યવાન હતા.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિક્કા અને સિક્કાશાસ્ત્ર, પૃ. ૧૯૦)

Categories
વાચન સમૃદ્ધિ

ટબ્રિઝ (tabriz)

ઈરાનના પૂર્વ ઍઝારબૈજાન પ્રાંતની રાજધાની અને મુખ્ય શહેર. તેનું નામ ઈરાની ભાષાના ‘ટપરીઝ’ ઉપરથી પડ્યું છે, જેનો અર્થ વહેતી ગરમી થાય છે. તે આર્મેનિયા રાજ્યની સરહદથી દક્ષિણે ૯૭ કિમી., તુર્કસ્તાનથી પૂર્વમાં ૧૭૭ કિમી. અને ઉર્મિયા સરોવરથી આશરે ૫૫ કિમી. અંતરે છે. તે ૩૮° ઉ. અ. અને ૪૬° ૩´ પૂ. રે. ઉપર, કૂહઈ-સહંડ પર્વતની ઉત્તર તરફ છે. તે ચારે બાજુ પર્વતોથી ઘેરાયેલું છે. ઈરાનનાં શહેરોમાં તેનું ચોથું સ્થાન છે. ૨૦૨૪માં તેની વસ્તી ૧૬ લાખ ૭૦ હજાર (આશરે) હતી. તેની આસપાસ ગરમ પાણીના ઝરાઓ આવેલા છે. આ સ્થળની આબોહવા ખંડસ્થ છે. ઉનાળો ગરમ અને સૂકો છે. દિવસનું સરેરાશ તાપમાન ૩૨°થી ૩૬° સે. રહે છે, જ્યારે રાત્રિનું તાપમાન ૧૧°થી ૧૭° સે. રહે છે. શિયાળામાં બરફ પડે છે ત્યારે તાપમાન –૮° સે. થઈ જાય છે. નવેમ્બરથી માર્ચ દરમિયાન આશરે ૬૩૫ મિમી. વરસાદ પડે છે. ટબ્રિઝ ધરતીકંપના વિસ્તારમાં છે. ઈ. સ. ૭૯૧, ૮૫૮, ૧૦૪૧, ૧૭૨૧, ૧૭૮૦, ૧૭૯૧ અને ૧૯૯૦માં થયેલા ધરતીકંપને લીધે જાન-માલની ખૂબ હાનિ થઈ હતી.

ટબ્રિઝ શહેર

તે મહત્ત્વનું વેપારી કેન્દ્ર છે. હાથવણાટના કીમતી ગાલીચા અહીં તૈયાર થાય છે અને તેની નિકાસ થાય છે. આ ઉપરાંત ચામડાની વસ્તુઓ બનાવવાનાં, ખાદ્ય પદાર્થો, ગરમ, રેશમી અને સુતરાઉ કાપડ અને સૂતર, દીવાસળી, મોટરસાઇકલ, ઘરગથ્થુ વપરાશનાં સાધનો બનાવવાનાં કારખાનાં તથા ક્રૂડ ઑઇલ શુદ્ધ કરવાનું કારખાનું અહીં છે. તે ઇજિપ્ત અને મધ્ય એશિયાનાં શહેરોને જોડતા વણઝાર-માર્ગ ઉપર આવેલું હોવાથી ભૂતકાળમાં આ પ્રદેશો સાથે તેનો બહોળો વેપાર હતો. હાલ પાકા ધોરી માર્ગો તથા તહેરાન અને રશિયાના વર્ચસવાળા દેશો સાથે રેલવે અને ભૂમિમાર્ગો દ્વારા તે જોડાયેલું છે. તેનું વિમાનમથક આંતરિક સ્થળો અને બાહ્ય દેશોને સાંકળે છે. મૉંગોલ શહેનશાહ મહમૂદ ઘાઝાન(૧૨૯૫-૧૩૦૯)ના રાજ્યનું તે પાટનગર હતું. ૧૩૯૨માં તૈમૂરે તે જીતી લીધું હતું. કેટલાક દશકા બાદ તે કારા કોયુનબુ તુર્કોનું, ૧૪૩૬માં ઈરાનનું અને સોળમી સદીમાં શાહ ઇસ્માઇલના રાજ્યનું પાટનગર હતું. ઑટોમન તુર્ક અને રશિયાનાં આક્રમણોનું તે અવારનવાર ભોગ બન્યું હતું. ૧૮૨૬માં રશિયાએ તેના પર આક્રમણ કરેલું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન શરૂઆતમાં તુર્કીએ અને ત્યારપછી રશિયાએ તે કબજે કર્યું હતું. ૧૯૪૬માં ઈરાની લશ્કરે ટબ્રિઝમાંના ઍઝરબૈજાન પ્રજાસત્તાકના મુખ્ય મથકનો નાશ કર્યો હતો. ૧૯૭૮-૭૯માં ઈરાનના શાહ વિરુદ્ધની ક્રાંતિને કારણે ત્યાં હુલ્લડો અને અથડામણો થઈ હતી. મસ્જિદ-એ-કબુદ તરીકે ઓળખાતી ‘ભૂરી મસ્જિદ’ (૧૪૬૫-૬૬), ઘાઝાન ખાનની બાર બાજુઓવાળી કબરના અવશેષો છે. ૧૩૨૨ પૂર્વે મસ્જિદ તરીકે બંધાયેલો કિલ્લો વગેરે જોવાલાયક છે. અહીં યુનિવર્સિટી સ્થપાતાં, વિદ્યાધામ તરીકે તેનો વિકાસ થયો છે — પ્રવાસધામ તરીકે પણ તેની ખ્યાતિ છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

સાંચીનો સ્તૂપ

વિશ્વપ્રસિદ્ધ બૌદ્ધ સ્થાપત્ય.

ભારતમાં બૌદ્ધ સમયનાં અનેક સ્થાપત્યો આવેલાં છે. મયપ્રદેશમાં ભીલસાથી ૮.૮૫ કિમી. દૂર સાંચીમાં આવેલો આ સ્તૂપ જગપ્રસિદ્ધ છે. સાંચીમાં મોટી સંખ્યામાં બૌદ્ધ સ્થાપત્યના અવશેષો આવેલા છે, જે ‘ભીલસા ટૉપ્સ’ના નામે ઓળખાય છે. અહીં આવેલા ત્રણ સ્તૂપો પૈકી મોટો સ્તૂપ સાંચીના સ્તૂપ તરીકે જાણીતો છે.

સાંચીનો સ્તૂપ

સાંચીનો અસલ સ્તૂપ ઈંટોનો બનેલો હતો અને તે સમ્રાટ અશોકે બંધાવ્યો હતો. અશોકના સમયનો મૂળ સ્તૂપ વર્તમાન સ્તૂપની નીચે ઢંકાયેલો છે. તેનું સ્વરૂપ શુંગકાલીન છે. શુંગકાળમાં સ્તૂપની ઉપર રાતા પથ્થરનું આચ્છાદન (encasing) કરીને તેનો વિસ્તાર બમણો કરવામાં આવ્યો હતો. વર્તમાન સ્તૂપના અંડનો વ્યાસ ૩૬ મીટર છે અને ઊંચાઈ ૧૬ મીટર છે. તેનો આકાર અર્ધવૃત્તાકાર છે. અંડના મથાળાને છેદીને સપાટ કરીને તેની પર ચોરસ કઠેડો (railing) ઊભો કરવામાં આવ્યો છે. સ્તૂપને ફરતો પ્રદક્ષિણાપથ છે. ત્યાં પહોંચવા માટે દક્ષિણ દિશાએ સામસામે પગથિયાં આવેલાં છે. પથ્થરની ઊભી અને આડી છાટો એકબીજાને જોડીને વેદિકાઓ બનાવેલી છે. બબ્બે સ્તંભોની વચ્ચે ત્રણ આડી છાટો જોડેલી છે. તેના ઉપર કમળો, વેલો વગેરે ભાતો કોતરેલી છે. કઠેડાની સ્તંભિકાઓ પર મૂર્તિશિલ્પો કોતરેલાં છે. સ્તૂપની ચારેય દિશામાં ચાર સુંદર, કલાત્મક પ્રવેશદ્વારો આવેલાં છે, તે ચારેયને સુંદર તોરણો છે. દરેક તોરણ ૧૦ મીટર ઊંચું અને ૬ મીટર પહોળું છે. સ્તંભોની ચારેય બાજુએ અને આડી પીઢની બંને બાજુએ અર્ધમૂર્ત શિલ્પો કંડારેલાં છે. તેમાં ભગવાન બુદ્ધના જીવનપ્રસંગો, ઐતિહાસિક પ્રસંગો તથા બુદ્ધના પૂર્વજીવનને વર્ણવતી જાતકકથાઓના પ્રસંગો, તેમના જીવન સાથે સંબંધ ધરાવતાં વૃક્ષો, પશુ-પંખીઓ, ઊડતા ગાંધર્વો, વિવિધ પુષ્પો અને વેલીઓનાં સુંદર આલેખનો છે. કોરણીની દૃષ્ટિએ સૌથી ઉત્તમ તોરણ ઉત્તરનું છે. પ્રથમ અને છેલ્લા તોરણદ્વાર વચ્ચેના બાંધકામમાં ચાળીસ વર્ષનો ગાળો પડે છે, છતાં ઘાટ અને કોતરણીની દૃષ્ટિએ ચારેય તોરણદ્વારો સરખાં લાગે છે. સાંચીની સમગ્ર શિલ્પકળામાં કોઈ પણ સ્થળે બુદ્ધની મૂર્તિ નથી; પરંતુ મૂર્તિને બદલે તેમનાં પગલાં, વૃક્ષ, આસન કે સ્તૂપ જેવાં પ્રતીકો છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી