Categories
વાચન સમૃદ્ધિ

ઝુનઝુનુ

રાજસ્થાન રાજ્યનો જિલ્લો અને જિલ્લાનું વડું મથક. ભૌગોલિક સ્થાન : ૨૮° ૦૮´ ઉ. અ. અને ૭૫° ૨૪´ પૂ. રે.. પૂર્વ દિશાએ હરિયાણા, વાયવ્ય ખૂણે ચુરુ, પશ્ચિમ અને દક્ષિણે સીકર જિલ્લાઓ આવેલા છે. જિલ્લાના ઉદેપુર, ખેતરી અને ચીરવા ત્રણ તાલુકાઓ છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૫૯.૨૮ કિમી. અને વસ્તી ૨૪,૦૦,૦૦૦ (૨૦૨૪, આશરે) છે. જિલ્લામાં દર ચોકિમી.દીઠ ૮૦૦ માણસોની વસ્તી છે. મોટા ભાગની વસ્તી ગ્રામવિસ્તારમાં રહે છે. આ પ્રદેશ અર્ધસૂકો છે. સરેરાશ તાપમાન ૪૨° સે. રહે છે. પણ સૌથી વધુ તાપમાન ક્યારેક ૪૯° સે. થઈ જાય છે. સૌથી ઓછું રાત્રિનું તાપમાન ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ૧૨° સે. રહે છે. જિલ્લાનો મોટો ભાગ ડુંગરાળ છે. ડુંગરો અરવલ્લીના ફાંટા છે. ડુંગરોની સામાન્ય ઊંચાઈ ૩૦૦થી ૪૫૦ મી. છે. ઊંચામાં ઊંચો ડુંગર લોહગામ પાસે આવેલો છે, જેની ઊંચાઈ ૧૦૫૧ મી. છે. અગ્નિખૂણાનો ભાગ રેતાળ છે. કેટલાક વિસ્તારમાં રેતીના ઢૂવા આવેલા છે, જે ખસતા રહે છે અને તેથી ખેતીને નુકસાન થાય છે. જિલ્લામાં સૌથી લાંબી કાંતલી નદી ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. દોહન, ચન્દ્રાવતી, સુખનદી તથા લોહગામ પાસેની નદીઓ વહેળા જેવી છે, ચોમાસા સિવાય આ નદીઓમાં પાણી હોતું નથી. ખેતરીથી ૧૧ કિમી. દૂર આવેલ અજિતસાગર બંધના પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થાય છે. આ સિવાય સીકરી, કાળા તળાવ અને પોંખ તળાવ નાનાં તળાવો છે.

બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી, પિલાની

જિલ્લામાં બાવળ અને બોરડી જેવાં કાંટાવાળાં વૃક્ષો અને ઘાસનાં બીડો આવેલાં છે. ખીજડો, રોહિડો, લીમડો, પીપળો, વડ ઉપરાંત થોડાં આંબાનાં વૃક્ષો જોવા મળે છે. જિલ્લામાં બાજરી, જુવાર, મગ, મઠ, એરંડા મુખ્ય પાક છે. જ્યાં સિંચાઈની સગવડો છે ત્યાં ઘઉં થાય છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. જંગલી પશુઓમાં ભુંડ, વાંદરાં, લોંકડી, શિયાળ, જરખ વગેરે છે. પાળેલાં પશુઓમાં ગાય, બળદ, ઘેટાં, બકરાં, ઘોડાં, ઊંટ, ગધેડાં વગેરે છે. મારવાડી ઓલાદનાં ઘેટાંનું ઊન ગાલીચા બનાવવા વપરાય છે. અહીંની જમીન જોધપુર જેવી રેતાળ છે. કેટલેક સ્થળે રેતીનું પ્રમાણ ૬૦%થી વધુ છે. ડુંગરાળ પ્રદેશની જમીન ઓછી ઉપજાઉ ને હલકી હોય છે. ક્યાંક લોહયુક્ત લાલ માટી પણ જોવા મળે છે. ક્વાર્ટ્ઝાઇટ, આરસ, શિસ્ટ, ગ્રૅનાઇટ, ફિલાઇટ, કૅલ્સાઇટ અને તાંબું નીકળે છે. ખેતરીની તાંબાની ખાણ જાણીતી છે. આ ઉપરાંત ફ્લોરાઇટ, નિકલ અને ચૂનાના પથ્થરો થોડા પ્રમાણમાં મળે છે. આ ઉપરાંત ખનન પ્રવૃત્તિ થોડા પ્રમાણમાં છે. ઝુનઝુનુ, ચિડાવા, નવલગઢ, સૂરજગઢ, ખેતરી, પિલાની, બિસાઉ વગેરે વેપારી કેન્દ્રો છે. જિલ્લામથક નજીકના ચુરુ, જયપુર, સીકર વગેરે સાથે રાજ્ય અને જિલ્લા માર્ગ દ્વારા જોડાયેલું છે. પાકા રસ્તાઓનું તથા રેલવેનું પ્રમાણ ઓછું છે. પિલાનીમાં બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી છે. તે સિવાય અન્ય ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ પણ આવેલી છે. નવલગઢમાં પણ કૉલેજ છે. રાણી સતી, રામદેવજી, નોહાપીર વગેરેના મેળા ભરાય છે. ખેતરીમાં જૂનો કિલ્લો અને મહેલ જોવાલાયક છે. આઝાદી પછી ખેતરી, બીસો, નવલગઢ, મંડાવા અને ઉદયપુરવટીની જાગીરો મળીને આ જિલ્લો બન્યો. તે પૂર્વે આ સમગ્ર પ્રદેશ જયપુર રાજ્યનો ભાગ હતો.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

સારનાથ

બૌદ્ધો અને જૈનોનું ધાર્મિક સ્થળ. સારનાથ બનારસ(કાશી)થી ૧૩ કિમી. દૂર આવેલું છે. ભગવાન બુદ્ધને ગયામાં જ્ઞાન લાયું. આ જ્ઞાનનો પ્રથમ ધર્મોપદેશ તેમણે સારનાથમાં આપ્યો માટે તે મોટું તીર્થ ગણાયું. તે ઉપરાંત જૈનોના અગિયારમા તીર્થંકર શ્રેયાંસનાથનું નિર્વાણ અહીં થયું હતું. બૌદ્ધ સાહિત્યમાં આ સ્થળને ‘ૠષિપત્તન’, ‘મૃગદાવ’ અથવા ‘મૃગદાય’ તરીકે ઓળખાવ્યું છે. અહીં મૂલગંધકુટિ વિહાર નામનો મઠ છે. તેમાં ભગવાનના જીવનપ્રસંગોનાં સુંદર ચિત્રો છે. પીપળાનું બોધિવૃક્ષ છે. એક જૈનમંદિર પણ છે. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રસાર અર્થે અહીં ધર્મરાજિકા નામનો સ્તૂપ બંધાવ્યો હતો. અને સિંહશીર્ષ સાથેનો એકાશ્મક સ્તંભ ઊભો કરાવ્યો હતો. ચાર સિંહોની આકૃતિ ધરાવતી આપણા દેશની રાજમુદ્રા આ સ્તંભના શિરોભાગમાંથી લેવામાં આવી છે. કુષાણો તથા ગુપ્તોના સમય દરમિયાન સારનાથમાં ઘણી ધાર્મિક અને કલાવિષયક પ્રવૃત્તિઓ થઈ હતી. હર્ષવર્ધનના સમય દરમિયાન ચીની યાત્રી યુઅન શ્વાંગે (હ્યુ એન સંગે) સારનાથની મુલાકાત લીધી હતી. પુરાતત્ત્વની દૃષ્ટિએ સારનાથ ઘણું અગત્યનું હોવાથી અહીં જુદા જુદા સમયે ખોદકામ થયાં હતાં.

ધમેખ સ્તૂપ, સારનાથ

સારનાથમાં જોવાલાયક પુરાવશેષોમાં ધમેખનો સ્તૂપ કે ધર્મરાજિક્ સ્તૂપ, મુખ્ય મંદિર અને સિંહ-શિરાવટીવાળા અશોકના શિલાસ્તંભનો સમાવેશ થાય છે. ધમેખના સ્તૂપની બહારનું સુંદર શિલ્પકામ ગુપ્તકાલનું હોવાનું મનાય છે. મૂળ સ્તૂપ કાદવ અને ઈંટોનો બાંધેલો છે. કનિંગહામને ખોદકામ દરમિયાન મૌર્યકાલીન ઈંટોના અવશેષો મળ્યા હતા. તેથી એવું માનવામાં આવે છે કે મૂળ સ્તૂપ મૌર્યકાલ દરમિયાન બાંધવામાં આવ્યો હતો. ધર્મરાજિકાનો સ્તૂપ તથા સિંહ-શિરાવટી ધરાવતો એકાશ્મક સ્તંભ સમ્રાટ અશોકે બંધાવ્યો હતો. સિંહોના મસ્તક પર એક વખત ૩૨ આરાવાળું ધર્મચક્ર મૂકેલું હતું, જે હાલ ખંડિત છે. અહીંનાં જોવાલાયક બીજાં સ્થળોમાં ધર્મરાજિકા સ્તૂપ પાસેનું મુખ્ય મંદિર, એકાશ્મક વેદિકા, વિહારો, જૈનમંદિર અને મ્યુઝિયમનો સમાવેશ થાય છે. દર વર્ષે ઘણા યાત્રાળુઓ તથા પ્રવાસીઓ સારનાથની મુલાકાતે આવે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

ઝીંઝુવાડા

ગુજરાતની વાયવ્ય સરહદે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની સીમાના ત્રિભેટે આવેલું ગામ. તે સોલંકીકાલીન કિલ્લાને કારણે વધારે જાણીતું બનેલું છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં ૨૩° ૨૧´ ઉ. અ. અને ૭૦° ૩૯´ પૂ. રે. ઉપર આવેલું છે. ખારાઘોડાથી ઉત્તરે ૨૪ કિમી. દૂર આવેલું વીરમગામ-ખારાઘોડા બ્રૉડગેજ રેલવેનું તે મથક છે. ઝીંઝુવાડાથી ચારેક કિમી. દૂર ઝીલેશ્વર મહાદેવનું મંદિર અને કુંડ છે. ભાદરવી અમાસને દિવસે ઝીલેશ્વર મહાદેવનો મેળો ભરાય છે. ઝીંઝુવાડા આઝાદી પૂર્વે એજન્સીનું થાણું હતું. ઝીંઝુવાડાથી ખારાઘોડાનો કાચો રસ્તો ઓડુ થઈને જાય છે. બીજો પાકો રસ્તો તેને પાટડી સાથે જોડે છે. બીજા બે રસ્તાઓ જૈનાબાદ અને આદરિયાણાને ઝીંઝુવાડા સાથે જોડે છે. ઝીંઝુવાડા નજીકનો કચ્છના નાના રણનો વિસ્તાર વડાગરા મીઠાના ઉત્પાદન માટે જાણીતો છે. કૂવો ખોદીને ભૂગર્ભ ખારા જળનો મીઠું પકવવા માટે ઉપયોગ થાય છે. મીઠું પાટડી મોકલાય છે અને ત્યાંથી તેની બિહાર, ઉત્તરપ્રદેશ અને ઓરિસામાં નિકાસ થાય છે. આસપાસના વિસ્તારોમાં જુવાર, બાજરી, કપાસ વગેરે થાય છે. ઝીંઝુવાડા નજીકનાં ગામોનું ખરીદ-વેચાણ કેન્દ્ર છે. નજીકના કચ્છના નાના રણપ્રદેશમાંથી વહાણનું લંગર મળી આવ્યું છે. તેથી અગાઉ પ્રાચીન કાળમાં અહીં સમુદ્ર હશે એવું અનુમાન થાય છે. ચુંવાળનો પ્રદેશ તેની નજીક છે. અહીં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળા, જૈન મંદિરો, રામજીમંદિર અને શિવમંદિર છે. રાજેશ્વરી માતાનું મંદિર કિલ્લાની દીવાલને અડકીને છે.

મડાપોળ દરવાજો, ઝીંઝુવાડા

ગામનો સ્થાપક ઝુંઝો રબારી હતો. દંતકથા પ્રમાણે ઝુંઝાએ કર્ણદેવની રાણી મીનલદેવીને કચ્છના નાના રણના બેટમાં રહેતા તપસ્વીને પુત્ર માટે વિનંતી કરવા સૂચવ્યું. તપસ્વીના વરદાનથી સિદ્ધરાજનો જન્મ થયો. આ કારણથી સિદ્ધરાજે ઝુંઝા રબારીની યાદ સાચવવા ઝુંઝાના નેસને ઝીંઝુવાડા નામ આપ્યું હશે. બીજી અનુશ્રુતિ પ્રમાણે મીનલદેવીએ ગર્ભાવસ્થા દરમિયાન આ સ્થળ પાસે મુકામ કર્યો. નજીકમાં નેસમાં રહેતા ઝુંઝા રબારીએ રાણીની સેવા કરી અને રાણીને તે નેસથી ત્રણ કિમી. દૂર ઝીલેશ્વર મહાદેવના મંદિરે લઈ ગયો. મંદિરના મહંત સિદ્ધનાથે પોતાની ચમત્કારિક શક્તિથી રાણીને ઊપડેલી પીડાનું શમન કર્યું. યોગ્ય સમયે પુત્રનો જન્મ થયો. સિદ્ધના ઉપકારને લીધે રાણીએ પુત્રનું નામ સિદ્ધરાજ રાખ્યું અને નેસનું નામ રબારીના નામ ઉપરથી ઝીંઝુવાડા પાડ્યું. અહીં સોલંકીકાળ દરમિયાન ગુજરાત રાજ્યની સીમાના રક્ષણાર્થે વ્યૂહાત્મક દૃષ્ટિએ કિલ્લો બાંધવામાં આવ્યો. આ કિલ્લો ડભોઈના કિલ્લાને મળતો છે. સિંધમાંથી સૌરાષ્ટ્રમાં પ્રવેશવા માટેના દ્વાર સમાન હોઈ તેનું મહત્ત્વ ઘણું હતું. કિલ્લો સમચોરસ ઘાટનો છે. તેની બાજુઓ ૩/૪ કિમી. લંબાઈની છે. કિલ્લાની ચારે બાજુએ મધ્યમાં પુરદ્વારો છે અને ચાર છેડે ચાર બુરજો આવેલા છે. કિલ્લાને ફરતા કુલ ૨૦ બુરજો છે. કોટની દીવાલ સાદી છે પણ પુરદ્વારો સુંદર કોતરકામવાળાં શિલ્પો ધરાવે છે. ઝીંઝુવાડાનાં પુરદ્વારોમાં દ્વારપાલિકાનાં શિલ્પ લગભગ ૩.૭૫ મી. અને નગરરક્ષક દેવોનાં શિલ્પ ૧.૮૦ મી.થી ૧.૯૫ મી.નાં છે. ચારે પુરદ્વારોનાં અનેક દેવદેવીઓ, અશ્વો અને ગજારૂઢ સ્ત્રીપુરુષોનાં યુગલો, નર્તકો, વાદકો અને મિથુન-શિલ્પો સુંદર કોતરણીયુક્ત છે. રાજગઢી સામેનું તળાવ ધોળકાના મલાવ તળાવને મળતું છે. તે શેષજળતળાવ તરીકે ઓળખાય છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી