Categories
વાચન સમૃદ્ધિ

સાઇબીરિયા

ઉત્તર એશિયાનો રશિયાના તાબા હેઠળનો ભૂમિવિસ્તાર.

તે આશરે ૪૨° ઉ. અ.થી ૮૦° ઉ. અ. અને આશરે ૬૪ પૂ. રે.થી ૧૭૦° ૫. રે. વચ્ચે આવેલો છે. તેના ઉત્તર ભાગમાંથી ઉ.ધ્રુવવૃત્ત (૬૬ ૧/૨૦ ઉ. અક્ષાંશવૃત્ત) પસાર થાય છે. તેના પૂર્વ છેડાના ભાગોને ૧૮૦ રેખાંશવૃત્ત સ્પર્શે છે. પશ્ચિમે યુરલ પર્વતમાળાથી પૂર્વે પ્રશાંત મહાસાગરના કાંઠા સુધી સાઇબીરિયાનો પ્રદેશ આશરે ૧૩ કરોડ ચોકિમી. વિસ્તારને આવરે છે. સાઇબીરિયા પૃથ્વીનો લગભગ 10 % ભૂમિવિસ્તાર તથા રશિયાનો આશરે ૭૭% વિસ્તાર આવરી લે છે. ઉત્તરમાં મહાસાગરથી દક્ષિણ તરફ જતાં તે કઝાખસ્તાનની ટેકરીઓ તથા ચીન અને મૉંગોલિયાની સરહદને સ્પર્શે છે. આર્કટિકના ભાગ રૂપે કારા સમુદ્ર, લેપ્ટેવ સમુદ્ર, પૂર્વ સાઇબીરિયાનો સમુદ્ર, ચુકચી વગેરે સમુદ્રો આવેલા છે. તેમાં સેવેરનાયા ઝેમલ્યા, ન્યૂ સાઇબીરિયન, રેન્ગેલ (Wrangel) વગેરે ટાપુઓ આવેલા છે. બેરિંગ તથા ઓખોટ્સ્ક સમુદ્ર પૅસિફિક મહાસાગરના ઉપસમુદ્રો છે. તેના દરિયાકાંઠાના ભાગોમાં કામચત્કા તથા ચુકચી દ્વીપકલ્પો તેમ જ સખાલીન, ક્યુરાઇલ (Kuril) વગેરે દ્વીપો આવેલા છે. સાઈબીરિયાની વસ્તી ૩ કરોડ ૬૮ લાખ જેટલી છે (૨૦૨૩).

નૉવોસીબિસ્ક રેલવે-સ્ટેશન, સાઇબીરિયા

આ પ્રદેશના નામનો શબ્દ ‘સાઇબીરિયા’ પ્રાચીન ટર્કિક (Turkic) શબ્દ છે. ‘સ્લીપિંગ લૅન્ડ’ અથવા ‘બ્યૂટીફુલ’ અર્થવાળા શબ્દ ઉપરથી તે નામ પાડવામાં આવ્યું હોય એવું મનાય છે; જ્યારે અમુક લોકોના મત પ્રમાણે આ નામ ત્યાં વસવાટ કરતી પ્રાચીન વિચરતી જાતિ ‘સાબિર’ (Sabir) પરથી પડ્યું છે. આ સાબિર જાતિ પછીથી ‘સાઇબીરિયન તાર્તાર’ નામે જાણીતી બની હતી. પ્રાકૃતિક દૃષ્ટિએ સાઇબીરિયાને મુખ્યત્વે ચાર વિભાગોમાં વહેંચી શકાય : (૧) પશ્ચિમ સાઇબીરિયાનાં મેદાનો, જેમની રચના ઑબ- યેનિસી નદીઓ તથા તેમની ઉપનદીઓએ કરી છે. આ મેદાનો કાદવકીચડ અને જંગલવાળાં છે. (૨) મધ્ય સાઈબીરિયાનો ઉચ્ચપ્રદેશ ઓબ-યેનિસી નદીઓનાં મેદાનોથી પૂર્વ બાજુએ છેક લીના(Lena) નદીની ખીણ સુધી વિસ્તરેલો છે. તે સમુદ્રસપાટીથી લગભગ ૨૦૦થી ૨,૦૦૦ મી.ની ઊંચાઈ ધરાવે છે. (૩) સાઇબીરિયાની દક્ષિણમાં તથા પૂર્વમાં પર્વતીય હારમાળાઓ આવેલી છે, જેમાં અનેક સક્રિય તથા નિષ્ક્રિય જવાળામુખીઓ છે. છેક દક્ષિણમાં અલ્તાઈ(Altai)ની ગિરિમાળા આવેલી છે. તેનું સૌથી ઊંચામાં ઊંચું શિખર બેલુખા ૪,૫૦૬ મી.ની ઊંચાઈએ આવેલું છે. તેની પૂર્વ તરફ સાયન ગિરિમાળા આવેલી છે. તેની પડોશમાં દુનિયાનું સૌથી ઊંડું સરોવર બૈકલ, ધનુષાકારે લગભગ ૩૧,૦૮૦ ચોકિમી.ના વિસ્તારમાં પથરાયેલું છે. સાઇબીરિયાના ઉત્તરના ટુન્ડ્ર પ્રદેશમાં ધ્રુવીય શિયાળ અને રીંછ, લેમિન્ગ્ઝલ, રૅન્ડિયર વગેરે પ્રાણીઓ જોવા મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાઇબીરિયા, પૃ. ૯0)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

જૌનપુર

ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો, શહેર અને જિલ્લાનો વિસ્તાર : ૪૦૩૮ ચોકિમી. જિલ્લાનું વડું મથક. ૨૫° ૪૪´ ઉ. અક્ષાંશ અને ૮૨° ૪૧´ પૂ. રેખાંશ પર વારાણસીથી વાયવ્ય ખૂણામાં ગોમતી નદીના કાંઠે તે આવેલું છે. જિલ્લાની પૂર્વે આઝમગઢ, દક્ષિણે વારાણસી અને સંત રવિદાસનગર ઉત્તરે ફૈઝાબાદ, વાયવ્ય ખૂણે સુલતાનપુર નૈર્ઋત્યે અલ્લાહાબાદ અને પશ્ચિમે પિથોરગઢ જિલ્લા આવેલા છે. સમગ્ર જિલ્લો સપાટ છે. ગંગાના મેદાનનો તે ભાગ છે. પૂરને લીધે અવારનવાર જમીનનું ધોવાણ થાય છે. સમુદ્રથી દૂર આવેલો હોઈને અહીં આબોહવા વિષમ છે. ઉનાળો અને શિયાળો આકરા હોય છે. મે માસમાં ૪૧°થી ૪૫° સે. તાપમાન રહે છે. શિયાળામાં સૌથી ઓછું તાપમાન ૧૦° સે.થી ૧૭° સે. રહે છે. ઉનાળા અને શિયાળા તથા રાત્રિ અને દિવસના તાપમાનમાં ઘણો તફાવત રહે છે. આશરે ૧૦૦૦થી ૧૨૫૦ મિમી. વરસાદ પડે છે. ગંગાની નહેરોથી સિંચાઈ થાય છે. વસ્તી  ૪૪,૯૪,૨૦૪ (૨૦૨૪ આશરે). રેલ અને સડકમાર્ગે રાજ્યનાં ગાઝીપુર, અલ્લાહાબાદ, લખનૌ, ફૈઝાબાદ, ગોરખપુર વગેરે શહેરો સાથે સંકળાયેલું છે. તે ખાસ કરીને કૃષિ બજારકેન્દ્ર તરીકે વિકાસ પામ્યું છે. તેની આસપાસના ભાગોમાં ફૂલોના બગીચા આવેલા છે. અત્તર અને અન્ય સુગંધિત દ્રવ્યો તથા ફળફળાદિ અને શાકભાજીના વ્યાપારનું તે મુખ્ય કેન્દ્ર છે. ત્યાં ગોરખપુર યુનિવર્સિટી સાથે સંલગ્ન કૉલેજો છે. કેટલીક મસ્જિદો ઉપરાંત સોળમી સદીમાં બંધાયેલો ગોમતી નદી પરનો પુલ જોવાલાયક છે. જૌનપુર જિલ્લો ગંગાનાં ફળદ્રૂપ મેદાનોમાં આવેલો છે સિંચાઈની સુવિધાવાળા મોટા ભાગના વિસ્તારો ખેતી હેઠળ છે. ડાંગર, મકાઈ, જવ અને શેરડી જેવા પાકો મુખ્ય છે. જિલ્લાના શાહગંજ ખાતે ખાંડની મિલ છે.

ગોમતી નદી પરનો પુલ

ઇતિહાસ : શહેરની સ્થાપના અગિયારમી સદીમાં થઈ. પણ તે પછી ગોમતી નદીના ભારે પૂરથી તેનો વિનાશ થયો. ૧૩૬૦માં ફિરોઝશાહ તુઘલુકે તેને ફરીથી વસાવ્યું. તે સમયમાં બંધાયેલો કિલ્લો ત્યાં હજુ છે. જૌનપુર રાજ્યનો સ્થાપક મલિક સરવર મૂળ ફિરોઝશાહ તુઘલુકના પુત્ર મુહમ્મદનો હબસી ગુલામ હતો. તેને ૧૩૮૯માં વજીરપદ પ્રાપ્ત થયું અને તેને ‘ખ્વાજા જહાન’(પૂર્વનો રાજા)નો ઇલકાબ આપવામાં આવ્યો. છેલ્લા તુઘલુક સુલતાન મુહમ્મદે તેને ‘મલિક ઉસ શર્ક’નો ઇલકાબ આપ્યો અને પૂર્વ ભારતનો સૂબો નીમ્યો. ૧૩૯૪માં તેણે ઇટાવા, કોઇલ અને કનોજનો બળવો દબાવી દીધો અને અવધ, કનોજ, બહરીચ, સંદીલ, દલમાઉ અને બિહાર પરગણાં જીતી લીધાં. પશ્ચિમમાં કોઇલથી પૂર્વમાં તિરહુત અને બિહાર સુધીનો ગંગાની ખીણનો પ્રદેશ તેના કબજા નીચે હતો. બંગાળનો શાસક પણ તેને ખંડણી આપતો હતો. ૧૩૯૯માં તેનું મૃત્યુ થયું. તેણે સ્વતંત્રતા જાહેર કરી ન હતી. મલિક સરવરના અનુગામી તેના દત્તકપુત્રે સુલતાન મુબારકશાહનું નામ ધારણ કર્યું હતું. તેણે સ્વતંત્રતા જાહેર કરતાં, મુહમ્મદ તુઘલુકના શક્તિશાળી વજીર મલ્લુ ઇકબાલખાને ૧૪૦૦માં જૌનપુર ઉપર ચડાઈ કરી. બંને પક્ષો વચ્ચેના યુદ્ધનો નિર્ણાયક અંત આવે તેમ ન હોવાથી સુલેહ થઈ અને બંને લડનારા તેમની રાજધાનીઓમાં પાછા ફર્યા. મુબારકશાહનું ૧૪૦૨માં મૃત્યુ થયું. મુબારકશાહનો અનુગામી તેનો પુત્ર ઇબ્રાહીમ શમ્સ-ઉદ્-દીન નામ ધારણ કરીને જૌનપુરની ગાદીએ બેઠો. દિલ્હીના સુલતાન મુહમ્મદ તુઘલુકે અને તેના વજીર મલ્લુ ઇકબાલે જૌનપુર ઉપર ફરી ચડાઈ કરી. વજીરના સ્વભાવથી કંટાળીને સુલતાને નાસી જઈને, કનોજમાં આશ્રય લીધો અને મલ્લુ ઇકબાલખાન લડ્યા વિના જ દિલ્હી પાછો ફર્યો. સુલતાન મુહમ્મદ મલ્લુ ઇકબાલખાનના મૃત્યુ પછી ૧૪૦૫માં દિલ્હી પાછો ફર્યો. ૧૪૦૭માં સુલતાન ઇબ્રાહીમે દિલ્હીના સુલતાન પાસેથી કનોજ જીતી લીધું અને દિલ્હી તરફ પ્રયાણ કર્યું. પણ ગુજરાતનો સુલતાન મુઝફ્ફરશાહ દિલ્હીની મદદે આવે છે તેવી અફવા સાંભળી ઇબ્રાહીમશાહ જૌનપુર પાછો ફર્યો. તેના ૧૪ વરસના શાસન દરમિયાન તેણે સાહિત્ય, કલા અને સંગીતને પ્રોત્સાહન આપ્યું. જૌનપુરના સુલતાને બયાના ૧૪૨૭માં અને કાલ્પી ૧૪૨૮ અને ૧૪૩૧માં જીતવા પ્રયત્ન કર્યા પણ તે નિષ્ફળ ગયો.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, જોનપુર, પૃ. ૫૯)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

સાગ

ભારતમાં મોટે પાયે ઊગતી, ઇમારતી લાકડું આપતી એક વનસ્પતિ. સાગનાં ઝાડ ભારત ઉપરાંત અગ્નિ-એશિયાના બીજા દેશોમાં પણ થાય છે. ભારતમાં સાગ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓરિસા તથા દક્ષિણ ઉત્તરપ્રદેશમાં થાય છે. કેરળ, તમિળનાડુ અને કર્ણાટકનાં વનોમાં ઘણી જગ્યાએ સાગનાં વિશાળ કદનાં વૃક્ષો જોવા મળે છે. સ્વરૂપ અને બાહ્ય લક્ષણો : સાગનું થડ નળાકાર અને મોટા ઘેરાવાવાળું હોય છે. તેનાં પર્ણો સાદાં, સામસામાં ગોઠવાયેલાં, ૩૦થી ૬૦ સેમી. લાંબાં અને ૨૦થી ૩૦ સેમી. પહોળાં હોય છે. તેઓ તળિયેથી લાલાશ પડતાં હોય છે. તેનાં પુષ્પો નાનાં, સફેદ, મીઠી સુવાસવાળાં અને ઝૂમખામાં ઊગે છે. તેને ફળો ખૂબ જૂજ બેસે છે. ફળો નાનાં, સખત, કાષ્ઠમય, અનિયમિત ગોળાકાર અને ઉપરથી રુવાંટીવાળાં હોય છે. બીજ સફેદ રંગનાં હોય છે.

સાગનાં પર્ણો શુષ્ક ૠતુઓમાં નવેમ્બરથી જાન્યુઆરીમાં ખરી પડે છે. ભેજવાળાં સ્થળોએ પર્ણો માર્ચ કે તેથી પણ વધુ સમય ટકે છે. સાગનાં વૃક્ષો ગરમ ૠતુના મોટા ભાગના સમય દરમિયાન પર્ણો વિનાનાં હોય છે. નવાં પર્ણો એપ્રિલથી જૂન દરમિયાન ઊગે છે. વૃક્ષ પર જૂનથી સપ્ટેમ્બર દરમિયાન પુષ્પો ફૂટે છે. અસાધારણ ભેજવાળી પરિસ્થિતિમાં એપ્રિલમાં પુષ્પનિર્માણ થાય છે. નવેમ્બરથી જાન્યુઆરીમાં ફળ પરિપક્વ બને છે. સાગ ઝડપથી વિકાસ પામતું વૃક્ષ છે. તે પૂરતી ભેજવાળી, ઉષ્ણ અને ઉષ્ણકટિબંધીય આબોહવામાં સૌથી સારી રીતે થાય છે. તેને ફળદ્રૂપ અને ભેજવાળી જમીન વધુ માફક આવે છે. કાષ્ઠ : સાગનું લાકડું સૌથી ટકાઉ ગણાતાં લાકડાં પૈકીનું એક છે. તે પાણીમાં કોહવાતું નથી અને કડવું હોવાથી તેમાં કીડા લાગતા નથી. સૌથી ચડિયાતો સાગ મલબારનો હોય છે. તેનાથી ઊતરતો જાવામાં અને તેથી ઊતરતો બ્રહ્મદેશમાં થાય છે. સાગમાં ઘણાબધા સારા ગુણો હોવાથી તે લાકડાનો રાજા ગણાય છે. સાગનું વૃક્ષ ઉત્તમ અને કીમતી ઇમારતી લાકડું આપે છે. તે આકાર-જાળવણી અને ટકાઉપણાનો ગુણ ધરાવે છે. તે રંગ, રૂપ, ઘાટ-ઘડતર માટેની ક્ષમતા અને આંતરિક રેસાગુંફનની દૃષ્ટિએ બહુ જ ઉચ્ચ પ્રકારનું કાષ્ઠ ગણાય છે. તેનો બહારનો ભાગ સફેદથી આછા પીળાશ પડતા રંગનો અને મધ્ય ભાગ સોનેરી પીળો હોય છે. તેમાં ઘેરા લિસોટા હોય છે. તેનું કાષ્ઠ સખત, બરછટ, જાડું, અનિયમિત બંધારણ ધરાવતું અને તીવ્ર વાસવાળું હોય છે. સાગનો મધ્ય ભાગ સૌથી ટકાઉ હોય છે. કાષ્ઠમાં રહેલા વાયુના શોષણની દૃષ્ટિએ સાગનું કાષ્ઠ ઉત્તમ ગણાય છે. તે ભેજમાં થતા ફેરફારો સારી રીતે સહન કરી શકે છે. તેને સહેલાઈથી વહેરી શકાય છે અને તેમાંથી કોઈ પણ ઘાટ સરળતાથી ઉતારી શકાય છે. ઉપયોગો : સાગ દુનિયાની મોંઘી ઇમારતી જાતોમાં સ્થાન ધરાવે છે. તેનું કાષ્ઠ રાચરચીલું, ઇમારતો, પુલ, રેલવેના સ્લીપરો, પ્લાયવૂડ-ઉદ્યોગ અને સંગીતનાં વાદ્યો બનાવવાના ઉદ્યોગો માટે; ખેતીનાં ઓજારો, હળ અને ઇજનેરીનાં સાધનો બનાવવા માટે ઉપયોગી છે. વળી તે કોતરકામ અને નિર્ધારિત નમૂનાઓ (મૉડલ) માટે; ટેલિગ્રાફ, ટેલિફોન અને વિદ્યુતના થાંભલાઓ માટે ઉપયોગી છે. તે વહાણવટાના ઉદ્યોગમાં પણ ખૂબ ઉપયોગી છે. સાગ પ્રયોગશાળાઓમાં મેજના ઉપરના તખ્તા જડવામાં મોટે પાયે વપરાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાગ, પૃ. ૯૭)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી