Categories
વાચન સમૃદ્ધિ

હરણ

ખરીવાળા પગવાળું, વાગોળનારું, એક સસ્તન પ્રાણી.

આ વન્ય પ્રાણી જંગલ, પર્વત તથા ઘાસિયાં મેદાનોમાં વસે છે. ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, ઍન્ટાર્ક્ટિકા, મધ્ય અને દક્ષિણ આફ્રિકા સિવાયના વિશ્વના અન્ય દેશોમાં તે જોવા મળે છે. હરણની આશરે ૫૩ જાતિઓ છે, જે વિવિધ કદ ધરાવે છે. ‘મૂસ’ (Moose) મોટામાં મોટા કદનું હરણ છે અને તે ઉત્તર અમેરિકા અને કૅનેડામાં વસે છે. નરમૂસ ૨.૩ મીટરની ઊંચાઈ તથા ૮૧૫ કિગ્રા. વજન ધરાવે છે. તેનાં શિંગડાં ૧.૪ મીટર પહોળાં અને ૨૭ કિગ્રા. વજન ધરાવે છે. જ્યારે પુડુ તે સૌથી નાના કદનું હરણ દક્ષિણ અમેરિકામાં વસે છે. તે ૩૦ સેમી. ઊંચું અને ૬.૮ કિગ્રા. વજન ધરાવે છે. હરણની અન્ય જાતોમાં રેન્ડિયર, રેડ ડિયર, હંગલ (કાશ્મીરી સાબર), સાબર, ચીતળ, ભસતું હરણ, કસ્તૂરીમૃગ વગેરેનો સમાવેશ થાય છે. નીલગાય, કાળિયાર, શિંકારા, ચતુ:શૃંગી વગેરે હરણની જાતિનાં પણ અલગ પ્રકારનાં મૃગો છે – તે ઘેટાં-બકરાં કે ગાય-ભેંસના સમૂહનાં (bowidas) પ્રાણીઓ છે. હરણની બે મુખ્ય જાતિઓ તેમનાં શિંગડાંથી અલગ પડે છે. તેમાં એક જાતનાં મૃગો, ખરી પડે તેવાં શાખા-વિભાજિત શિંગડાં ધરાવે છે. તેમનાં શિંગડાં ઉપર મખમલ જેવી રુવાંટીનું આચ્છાદન હોય છે, જ્યારે બીજી જાતનાં મૃગો શાખાવિહીન અને ખરે નહીં તેવાં શિંગડાં ધરાવે છે. તેમનું મૂળ અસ્થિ સાથે જોડાયેલું હોય છે. આવાં મૃગો ‘ઍન્ટિલોપ’ કહેવાય છે. તેમનાં શિંગડાં વળવાળાં અને અણીદાર હોય છે; દા. ત., કાળિયાર, શિંકારા વગેરે.

હરણ

હરણ લાંબા પગ, મોટી આંખો, સુંદર ત્વચા અને શિંગડાં ધરાવે છે. તેની શ્રવણશક્તિ અને ઘ્રાણશક્તિ ઘણી તીવ્ર હોય છે. શિંગડાં વડે નર માદાને મેળવવા માટે બીજા નર જોડે યુદ્ધ કરે છે. પોતાના રક્ષણ માટે પણ તે શિંગડાંનો ઉપયોગ કરે છે. માદાને શિંગડાં હોતાં નથી. હરણ ટોળામાં રહેવાનું પસંદ કરે છે. માદાઓ તેનાં બચ્ચાં સાથે સમૂહમાં રહે છે. તે જ્યારે નરની સરહદમાં પ્રવેશે છે ત્યારે નર આ જૂથનો વડો બની જાય છે. રામાયણમાં સીતાના હરણ માટે સુવર્ણમૃગનું રૂપ લઈ મારીચ રાક્ષસ તેને લલચાવે છે અને તેનો વધ કરવા રામને જવું પડે છે તે વાત જાણીતી છે. ઘણી બાળવાર્તાઓમાં હરણની વાત આવે છે. ‘હરણ’ અને ‘મૃગ’ શબ્દો એક જ અર્થમાં વપરાય છે, પરંતુ ‘Deer’ માટે ‘હરણ’ અને ‘ઍન્ટિલોપ’ માટે ‘મૃગ’ શબ્દ વપરાય તો ઇષ્ટ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હરણ, પૃ. 116)

Categories
વાચન સમૃદ્ધિ

તરણેતરનો મેળો

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી છ માઈલ દૂર આવેલા તરણેતરમાં ભરાતો મેળો. જંગલમાં તરણેતરનું પ્રાચીન મંદિર છે. એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે. અહીં તરણેતર (ત્રિનેત્રેશ્વર) મહાદેવનું દસમા સૈકાનું કલાપૂર્ણ મંદિર છે. આ ભૂમિ દેવપાંચાલ તરીકે જાણીતી છે. અર્જુને અહીં મત્સ્યવેધ કરીને દ્રૌપદીનું પાણિગ્રહણ કર્યું હતું એવી લોકવાયકા છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના નામ ઉપરથી આ ગામનું નામ અપભ્રંશ થઈને તરણેતર પડ્યું છે. અહીં ભાદરવા મહિનામાં ત્રણ દિવસનો મેળો ભરાય છે. તેની ખ્યાતિ સમગ્ર રાષ્ટ્રમાં વિસ્તરેલી છે. ગાન, વાદન ને નૃત્યમાં મસ્ત એવા લોકોની લીલાનું મંદિરની છતમાંનું શિલ્પ ઉત્કીર્ણ શિલ્પનો શ્રેષ્ઠ નમૂનો છે. આજે પણ સૌરાષ્ટ્રભરનાં લોકનૃત્ય જાણીતાં છે. આ મંદિરના પ્રાંગણમાં મેળો ભરાય છે તેથી તે મંદિરના નામ કરતાં તરણેતરના મેળાના સ્થાન તરીકે જાણીતું બન્યું છે.

તરણેતરનો મેળો

આ મેળામાં કોળણ સ્ત્રીઓ ત્રણ તાળીના રાસ લેતી ગાતી હોય ત્યારે રાસડામાં એવી ચગે છે, જાણે સો શરણાઈઓ સામટી વાગતી હોય એવું વાતાવરણ સર્જાય છે. મીઠી હલકે, મોકળે કંઠે ગાતી અને વાયુવેગે ઊપડતી કોળણોમાં રાસડા આકર્ષક હોય છે. ભરવાડોના રાસમાં 30થી 60 સ્ત્રી-પુરુષો હોય છે. અહીં રાસદાંડિયા રમે ત્યારે સ્ફૂર્તિથી દાંડિયા ઠોકી દૂર જઈ ઊભા રહે અને એટલી જ સ્ફૂર્તિથી પાછા ભેગા થઈ જાય. પઢારોના જેવી જ સ્ફૂર્તિ કોળી લોકોમાં હોય છે. કોળી સૌરાષ્ટ્રની રંગીલી કોમ છે. ત્યાં તો ગમે તે ઉંમરનો આદમી પણ ઉત્સવ ટાણે આંખમાં સુરમો, માથે લાલ મદ્રાસીઆની આંટિયાળી ગોળ પાઘડી, પાઘડીને આભલાં ભરેલ લીલા પટ્ટાનું બાંધણું, કેડે બાંધી હોય રંગીલી ભેટ, વળી વધારે રંગીલો હોય તો રાસની વચમાં બબ્બે હાથમાં બે છત્રીઓ ઝુલાવતો જાય. છત્રી પણ કેવી ? સુંદર ભરત ભરેલી સોળ સોળ સળિયાની, સળિયે સળિયે લાલ, પીળા ને લીલા રેશમી રૂમાલ ફરકતા હોય, બહુ લાંબા નહિ તેમ બહુ ટૂંકા નહિ. આ છત્રી કલારસિકોનું આકર્ષણ બને છે. પાતળી કાઠીનાં શરીર અને પાછાં અજબ ચેતનવંતાં, રાસની સાથે ધ્રબુકતા ચાર ચાર ઢોલ, જોડિયા પાવા સાથે સેંકડોની સંખ્યામાં સ્ત્રીઓ રાસડા લેતી હોય. આ બધાંની સાથે તેમનો ભવ્ય પોશાક ! હીરમાં આભલે ચોડેલાં કમખાં, ઘાઘરા અને ઓઢણાં હોય. આ પ્રસંગે  પ્રણાલિકાગત વસ્ત્રો અને તેવાં જ આભૂષણો પહેરેલાં અનેક કોમોનાં સ્ત્રીપુરુષો અનેરો રંગ જમાવે છે. રાસમાં કોળીઓ જેમ દાંડિયાથી રમે છે તેમ સ્ત્રીઓ મટકી પણ બહુ સરસ લે છે. બંને હાથમાં લોઢાના કે રૂપાના કરડા પહેર્યા હોય અને હાથમાં તાંબા પિત્તળના ઘડા હોય. હીંચ સાથે ઘડા ઝુલાવતી જાય. ઉપર, નીચે અને પાછા ખભેથી સરકાવીને માથા ઉપરથી હિલોળીને હેઠા લાવતી જાય અને ઘડા સાથે તાલબદ્ધ કરડા વગાડતી જાય. તરણેતરનો મેળો આમ રાસ, તાલ, લય, ગીત અને નૃત્યની દૃષ્ટિએ તેમજ ભાતીગળ પોશાકના વૈવિધ્યથી દેશવિદેશમાં ખૂબ લોકપ્રિય બન્યો છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8

Categories
વાચન સમૃદ્ધિ

હરડે

દ્વિદળી વર્ગમાં આવેલી ઔષધીય ગુણ ધરાવતી એક વનસ્પતિ.

હરડે દેશી ઔષધિઓમાં સૌથી વધુ જાણીતી છે. તેને હિન્દીમાં ‘હરડ’, ‘હડ’ કે ‘હર્રે’ કહે છે. સંસ્કૃતમાં ‘હરીતકી’ કહે છે. હરડેનાં વૃક્ષો ભારતમાં સર્વત્ર થાય છે. ખાસ કરીને હિમાલયના નીચેના વિસ્તારોમાં રાવીથી પૂર્વ-પશ્ચિમ બંગાળ તેમ જ આસામમાં પંદરસો ચોવીસ મીટરની ઊંચાઈ સુધીમાં તે થાય છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતની  ટેકરીઓ પર તે નાના વૃક્ષ સ્વરૂપે મળે છે. પંજાબના કાંગડા અને અમૃતસર વિસ્તારમાં સારી હરડે થાય છે. હરડેનાં વૃક્ષો આશરે ૧૫થી ૨૪ મીટરની ઊંચાઈનાં જોવા મળે છે. તેનાં વૃક્ષો ભરાવદાર હોય છે. હરડેનાં પાન સાદાં, એકાંતરિક, ૭થી ૨૦ સેમી. લાંબાં, ૫-૧૦ સેમી. પહોળાં અને અંડાકાર હોય છે. પર્ણદંડની ટોચ ઉપર મોટી ગ્રંથિઓની એક જોડ આવેલી હોય છે. પુષ્પો નાનાં, આછાં પીળાં, સફેદ ધાવડીના પુષ્પના આકારનાં હોય છે. ફળ ૨.૫૪ સેમી.થી ૫ સેમી. લાંબું અને ખૂબ જ મજબૂત હોય છે; જેના ઉપર પાંચ ઊપસેલી ધાર હોય છે. કાચાં ફળો લીલા રંગનાં હોય છે અને પાકી ગયા પછી પીળાં સોનેરી રંગનાં થઈ જાય છે. ફળો વિવિધ આકારનાં જોવા મળે છે. ઔષધોમાં હરડેની છાલનો ઉપયોગ થાય છે. છાલ કાઢતાં તેમાંથી ઠળિયો નીકળે છે. તે ઠળિયામાં પણ નાનું લાંબું મીંજ હોય છે. હરડેનાં નાનાં નાનાં ખરી ગયેલાં ફળો કાળા રંગનાં અને લાંબી ગોળ ધારોવાળાં હોય છે, જે હીમજ તરીકે ઓળખાય છે. એપ્રિલ-મે મહિનામાં નવાં પાન અને પુષ્પો આવે છે. ઠંડીની ઋતુમાં ફળો લાગે છે. જાન્યુઆરીથી એપ્રિલ મહિનામાં ફળોનો સંગ્રહ કરી લેવામાં આવે છે. ખરી ગયેલાં નાનાં ફળો – હીમજ ખૂબ જ રેચક અને તીક્ષ્ણ હોય છે. ભારતીય ઔષધકોશમાં છ પ્રકારની હરડે છે, પણ વ્યાવહારિક દૃષ્ટિએ હરડેની ત્રણ જાત મળે છે : ૧. નાની હરડે કે હીમજ, ૨. પીળી હરડે અને ૩. મોટી હરડે કે કાબુલી હરડે.

હરડે

આયુર્વેદની દૃષ્ટિએ હરડે અત્યંત ઉપયોગી હોવાથી તેને સંસ્કૃતમાં ‘नास्ति यस्य गृहे माता तस्य माता हरीतकी ।’ (‘જેના ઘરે નથી માતા, તેની માતા હરીતકી.’) – એ રીતે વર્ણવાય છે. હરડેમાં ખારા રસ સિવાય બાકીના પાંચેય રસ હોય છે. ગુણમાં તે હળવી, રુક્ષ, વિપાકે મધુર અને પ્રભાવથી ત્રિદોષહર છે. જોકે વિશેષભાવે તે કફદોષ દૂર કરનાર છે. તેનો લેપ સોજા, પીડા અને ઘા મટાડી તેને રૂઝવે છે. તે રક્તસ્રાવ પણ બંધ કરે છે. આ ઉપરાંત તે ખોરાકને પચાવવામાં, બુદ્ધિ વધારવામાં તથા આંખના રોગ મટાડવામાં મદદ કરે છે. હરડેના વૃક્ષનું લાકડું ખાસ મૂલ્યવાન નથી, પણ તેનો ઉપયોગ બાંધકામ માટે અને સ્તંભ તથા પાટડા તરીકે થાય છે. તે ગાડાંમાં મુખ્યત્વે માળખાં, ધરીઓ કે દંડ બનાવવામાં ઉપયોગી થાય છે. કેટલીક વાર તેનો ઉપયોગ હોડીઓ અને રેલવેના વૅગનનું તળિયું બનાવવા માટે પણ થતો હોય છે. આયુર્વેદમાં સૌથી જાણીતી ત્રિફળાની ઔષધિમાં હરડે, બહેડાં અને આંબળાંનું મિશ્રિત ચૂર્ણ હોય છે.

ગુજરાત બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી