‘સલાટ’ શબ્દને ‘શિલાકાર’, ‘શિલા-પટ્ટ’ જેવા શબ્દો સાથે સંબંધ હોવાનું જણાય છે. આમ શિલા(પથ્થર)પાટ ચીરનાર સલાટના કામને ચોસઠ કળાઓમાં વાસ્તુવિદ્યામાં સ્થાન મળ્યું છે. સલાટ પથ્થર ઘડવા ઉપરાંત મૂર્તિઓ બનાવવાનું કામ પણ કરે છે. રાજાઓના સમયમાં ગુપ્ત ભોંયરાં, ધનભંડારોનાં ગુપ્ત દ્વારો, ભુલભુલામણીવાળા ગુપ્ત માર્ગો તેમ જ મનુષ્ય અને દેવોની મૂર્તિઓ વગેરે બનાવવાનું કાર્ય સલાટો કરતા.
પથ્થર ઘડતો સલાટ
વર્તમાન સમયમાં મોટા ભાગે હિંદુ અને જૈન ધર્મનાં મંદિરો-દેરાસરો બનાવવામાં અને તેમના સમારકામ માટે સલાટની કળાનો લાભ લેવાય છે. તેઓ ઘંટીનાં પડ ટાંકવાનું અને ઘંટીઓ, ખલ, ઓરસિયા વગેરે ઘડીને વેચવાનું કામ પણ કરતા હોય છે. સલાટોમાં થેરા સલાટ એ પેટાજાતિ છે. થેરા સલાટો ઘંટીના પથ્થરો ટાંકવા એક ગામથી બીજે ગામ ફરતા રહે છે. તેઓ પોતાના કુટુંબ સાથે શહેર બહાર ઝૂંપડાં બાંધીને રહે છે. આ જાતિમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ ખૂબ ઓછું છે. થેરા સલાટો – સલાટો શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત વર્ગોની યાદીમાં આવે છે. સોમપુરા સલાટોને બ્રાહ્મણ ગણવામાં આવે છે. તેઓ મંદિરો બાંધવાની પ્રવૃત્તિ કરે છે. તેમની આર્થિક સ્થિતિ અન્ય સલાટો કરતાં વધુ સારી હોવાથી તેમનો સમાવેશ આર્થિક પછાત જાતિમાં થતો નથી. ધ્રાંગધ્રા અને તેની આસપાસના સોમપુરા સલાટો જાણીતા છે. ડભોઈની હીરાભગોળ સાથે સંકળાયેલા હીરા સલાટની દંતકથા જાણીતી છે.
દરિયાઈ પાણીમાં તરતાં કોષ્ઠાંત્રી (coelenterata) સમુદાયના સ્કાયફોઝોઆ વર્ગનાં પ્રાણી. શરીર મૃદુ જેલી જેવાં, આકારે ઘંટી જેવાં. કચ્છના અખાતમાં પાણીના ઉપલે સ્તરે સારી રીતે પ્રસરેલાં હોય છે. ઘણી વાર ઓટ સમયે દરિયાકાંઠે જેલીના લોચા જેવા આકારનાં ઘણાં પ્રાણીઓ નજરે પડે છે. ભરતી વખતે કિનારા તરફ તરીને આવેલાં આ જેલી પ્રાણીઓ ઓટ વખતે દરિયાકાંઠે ફસાઈ જાય છે. સ્વરૂપે તે ઘુમ્મટ, છત્રી કે તકતી જેવા આકારનાં હોય છે. સાયાનિયા આર્કટિકા (cyanea arctica) નામનું જેલી પ્રાણી સૌથી મોટા વ્યાસની છત્રી (૨૦થી ૨૫ સેમી. વ્યાસવાળી) ધરાવે છે. અપવાદ રૂપે કેટલાંક સાયાનિયાનો વ્યાસ ૨ મી. જેટલો હોય છે. સૌથી મોટું ૨.૨૮ મી. વ્યાસનું ૩૬.૫ મી. લાંબું અંગ ધરાવતું જોવા મળ્યું છે. હૃદયની જેમ સ્પંદન કરતું અને ખાબોચિયામાં વાસ કરતું કૅસિયોપિયા જેલી પ્રાણી સૌ કોઈનું ધ્યાન ખેંચે છે. જેલીની ચપટી તકતી જેવું દેખાતું ૩થી ૬ સેમી. વ્યાસવાળું ઇક્વેરિયા પ્રાણી દરિયાકિનારે જ્યાંત્યાં જોવા મળે છે. ક્યુબોમેડ્યુસી શ્રેણીના ઘન આકારનાં જેલી પ્રાણીઓ (દા. ત., સી – વાસ્પ) પોતાની આસપાસ સંમોહક વિષનો સ્રાવ કરતાં હોય છે. કેટલીક વાર તે માનવી માટે પ્રાણઘાતક નીવડે છે. આમ તો અન્ય કોષ્ઠાંત્રી પણ સંમોહક વિષનો સ્રાવ કરતાં હોય છે. તેથી કિનારે અસહાય સ્થિતિમાં પડેલાં સાયાનિયા જેવાં પ્રાણીઓને બને ત્યાં સુધી અડવું જોઈએ નહિ. પાણીમાં તરતાં આ પ્રાણીઓ નજીકથી પસાર થતાં પગે ખૂજલી આવે છે.
જેલી પ્રાણીઓનું વર્ગીકરણ નીચે જણાવેલી શ્રેણીઓમાં કરવામાં આવે છે : (૧) સ્ટૉરોમેડ્યુસી : છત્રી જેવા આકારનાં, કદમાં નાનાં, વ્યાસ ૨થી ૩ સેમી., તેનાં સૂત્રાંગો (tentacles) ૮ સમૂહોમાં વહેંચાયેલાં હોય છે. (૨) ક્યુબોમેડ્યુસી (કેરિબ્ડેઇડા) : ઘંટી જેવું સ્વરૂપ, પણ ચારે બાજુએથી સહેજ ચપટાં એટલે કે ઘન આકારનાં હોય છે. તેના ચારેય ખૂણેથી એકલ અથવા તો સમૂહમાં સૂત્રાંગો નીકળે છે. દા. ત., સી-વાસ્પ. (૩) કોરોનાટે : શંકુ, ઘુમ્મટ કે ચપટા આકારનું શરીર – કેટલાંક પ્રાણીઓ દરિયાના તળિયે વાસ કરતાં હોય છે. (૪) સિમાઇયોસ્ટોમી : આકારે તેનું શરીર ઘુમ્મટવાળું, ચપટ કે છત્રીના જેવું. આ શ્રેણીનાં મોટા ભાગનાં પ્રાણીઓ ઉષ્ણકટિબંધ પ્રદેશમાં જોવા મળે છે. દા. ત., ઑરેલિયા, સાયનિયા, પેલાજિયા. જેલી પ્રાણીનું શરીર દ્વિસ્તરીય એટલે કે બાહ્ય સ્તર (ectoderm) અને અંત:સ્તર(endoderm)નું બનેલું હોય છે. તેના શરીરના ઉપલા છત્રી જેવા આકારના ભાગને છત્રક કહે છે. તેની નીચેની સપાટીના મધ્યભાગમાં મુખછિદ્ર આવેલું હોય છે. કેટલાંક જેલી પ્રાણીઓમાં મધ્યભાગમાં એક પ્રવર્ધ આવેલું હોય છે અને તેની મધ્યમાં મુખછિદ્ર આવેલું હોય છે. મુખછિદ્રની ફરતે સૂત્રાંગો આવેલાં હોય છે. કેટલાંક પ્રાણીઓમાં આ સૂત્રાંગો ૪, ૬ અથવા ૮ સમૂહોમાં ગોઠવાયેલાં હોય છે. સૂત્રાંગો પરથી ડંખાંગો નીકળે છે, જે સંમોહક વિષનો સ્રાવ કરે છે. સ્નાયુઓની મદદથી આ પ્રાણી તાલબદ્ધ પ્રચલન કરે છે. પ્લવન- ક્રિયા દરમિયાન છત્રક દ્વારા પાણીની સેર છોડી સહેલાઈથી તરતાં હોય છે તેને જલપ્રણોદન (hydropropulsion) કહે છે. એનો ખોરાક સમુદ્રવાસી સૂક્ષ્મજીવો(plankton)નો હોય છે. મુખ, હસ્તો અને સૂત્રાંગોથી ભક્ષ્યને પકડીને ડંખકોષોથી બેભાન કરીને આરોગે છે. પાચન અને પરિવહનતંત્ર સંયુક્ત હોય છે. પાચન કોષ્ઠાંત્ર(coelenteron)માં થાય છે. તે કાર્બોદિતો, તેલો, ચરબી, પ્રોટીન તથા કાઇટિન જેવા પદાર્થોને પચાવી શકે છે. શરીરસપાટી વડે શ્વસન અને ઉત્સર્જન ક્રિયા થાય છે. ચેતાતંત્ર દ્વિશાખિત ચેતાકોષોથી રચાયેલ જાલિકાનું વિકસિત તંત્ર હોય છે. વિવિધ સંવેદનગ્રાહી અંગો હોય છે, જેમાં મુખ્ય સંતુલન અને પ્રકાશગ્રાહી અંગો છે.
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જેલી પ્રાણી, પૃ. ૯11)
ઇઝરાયલનું પાટનગર તથા યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને મુસલમાનોનું ધાર્મિક સ્થાન. ભૌગોલિક સ્થાન : ૩૧° ૪૬´ ઉ. અ. અને ૩૫° ૧૪´ પૂ. રે.. ઈ. પૂ. ૧૦૦૦ વર્ષે રાજા ડૅવિડે આ નગરને ઇઝરાયલની ભૂમિના પાટનગર તરીકે જાહેર કર્યું, ત્યારથી તે વિશ્વના યહૂદીઓ માટે ઐતિહાસિક, આધ્યાત્મિક તથા રાષ્ટ્રગૌરવના સ્થાન તરીકે ખ્યાતિ પામ્યું છે. વસ્તી ૯,૮૧,૭૧૧ (૨૦૨૨), ભૌગોલિક વિસ્તાર ૬૫૩ ચોકિમી. (પૂર્વ જેરૂસલેમ સહિત), સમુદ્રતલથી ઊંચાઈ ૭૩૨ મી.. જુડાકન ટેકરીઓ વચ્ચે, ભૂમધ્ય સાગરથી ૫૫ કિમી. અંતરે તે વસેલું છે. પરંપરા અનુસાર નગરનું નામ હિબ્રૂ ભાષાના બે શબ્દોના સંયોજનથી પાડવામાં આવ્યું છે : ‘irs’ એટલે નગર તથા ‘shalom’ એટલે શાંતિ. આમ જેરૂસલેમ એટલે શાંતિનું નગર. ૧૯૪૮ના ઇઝરાયલ અને જૉર્ડન વચ્ચેના યુદ્ધના પરિણામે નગરના બે ભાગ પડ્યા. પશ્ચિમ જેરૂસલેમ ઇઝરાયલના કબજામાં અને પૂર્વ જેરૂસલેમ જૉર્ડનના કબજા હેઠળ ગયું. ૧૯૬૭ના ઇઝરાયલ-અરબ યુદ્ધમાં ઇઝરાયલના લશ્કરે પૂર્વ જેરૂસલેમ પર વિજય મેળવ્યો, જેને પરિણામે નગરના બંને ભાગ ઇઝરાયલના શાસન હેઠળ આવ્યા. પશ્ચિમ જેરૂસલેમનો વિકાસ આધુનિક ઢબે થયો છે. પૂર્વ જેરૂસલેમ જૂના શહેરનો ભાગ છે, જેમાં મોટા ભાગનાં ધાર્મિક સ્થળો આવેલાં છે.
નગરનું સરેરાશ તાપમાન જાન્યુઆરી માસમાં ૧૩° સે. અને જુલાઈ માસમાં ૨૪° સે. રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ ૫૧૦ મિમી. પડે છે. નગરના મોટા ભાગના ઔદ્યોગિક એકમો પશ્ચિમ જેરૂસલેમમાં વિકસ્યા છે. તેમાં હીરાનું પૉલિશિંગ, ખાદ્ય પદાર્થોની પ્રક્રિયા, રસાયણ, પ્લાસ્ટિકની બનાવટો, યંત્રો, ચામડાની વસ્તુઓ, વસ્ત્રો, છાપકામ એકમો ઉપરાંત ચાંદીનાં વાસણો, કાષ્ઠની વસ્તુઓ, કુંભારકામ, ભરતકામ જેવા હસ્તઉદ્યોગો નોંધપાત્ર છે. પૂર્વ જેરૂસલેમમાં હળવી તથા વપરાશી વસ્તુઓના ઉત્પાદન એકમો ઠીક ઠીક પ્રમાણમાં વિકાસ પામ્યા છે. નગરમાં બધી જ વિદ્યાશાખાઓનું શિક્ષણ આપતી સંસ્થાઓ છે. ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ હિબ્રૂ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. નગરનો સ્થાનિક વહીવટ ૨૧ સભ્યો ધરાવતી નગરપાલિકા કરે છે. તેનો કાર્યકાળ ૪ વર્ષનો હોય છે. મેયર તેના વડા છે. નગરપાલિકાની મોટા ભાગની આવક પ્રવાસન ઉદ્યોગમાંથી મળે છે, જે નગરનો મુખ્ય ઉદ્યોગ ગણાય છે. પશ્ચિમ જેરૂસલેમ વિભાગમાં રાજા ડૅવિડનો મકબરો તથા ઈસુએ જ્યાં અંતિમ ભોજન (last supper) કર્યું તે કક્ષ (cinacle) આવેલા છે. પૂર્વ વિભાગમાં ઉદ્યાનો, રમતગમતનાં મેદાનો, વિદ્યાલયો, યુવા મંડળોનાં મકાનો તથા રહેવાસ માટેની અદ્યતન ઇમારતો વિકસી છે. ૧૯૬૭માં પૂર્વ વિસ્તાર પર ઇઝરાયલનું આધિપત્ય થયા પછી તે વિસ્તારનો વિકાસ થયો છે. બાઇબલકાળથી જ ધાર્મિક સ્થળ તરીકે નગરનો મહિમા હતો. ઈ. સ. પૂ. ૧૦૦૦માં યહૂદીઓના કબીલાઓના પાટનગર તરીકે રાજા ડૅવિડે તેની પસંદગી કરી અને તેના પુત્ર સૉલોમને નગરમાં પ્રથમ દેવળ બાંધ્યું ત્યારથી યહૂદીઓ માટે તે પવિત્ર સ્થળ બન્યું. આ જ નગરમાં ઈસુના જીવનની કેટલીક મહત્ત્વની ઘટનાઓ બની અને ત્યાં જ તેમને વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યા, તેને લીધે ખ્રિસ્તીઓ માટે પણ તે પવિત્ર સ્થળ બન્યું. આ જ સ્થળેથી મહંમદ પયગમ્બરે સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું હતું એવી મુસલમાનોની માન્યતા હોવાથી મક્કા અને મદીના પછી વિશ્વના ત્રીજા પવિત્ર સ્થળ તરીકે તેઓ આ નગરની ગણના કરે છે. નગરનો ઇતિહાસ ૪૦૦૦ વર્ષ પૂર્વે પ્રાગૈતિહાસિક કાળથી શરૂ થાય છે. ઈ. સ. પૂ. ૧૦૦૦ આસપાસ રાજા ડૅવિડે આ નગરને પોતાના સામ્રાજ્યની રાજધાની બનાવી. ઈ. સ. પૂ. ૯૦૦માં તેના બે ભાગ પડ્યા. જુડાએ તેને પોતાના સામ્રાજ્યનું પાટનગર બનાવ્યું.
ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જેરૂસલેમ, પૃ. ૯૦૬)