Categories
વાચન સમૃદ્ધિ

સરોવર (Lake)

બધી બાજુએથી ભૂમિ દ્વારા ઘેરાયેલું કુદરતી જળાશય.

સરોવર મોટા ભાગે તો બધી બાજુએથી જમીનથી બદ્ધ થયેલું હોય છે, પરંતુ કેટલાંક સરોવરોમાં ઝરણાં કે નદી દ્વારા જળ-ઉમેરણ અને તેમાંથી જળ-નિર્ગમન થતું હોય છે. નાનાથી માંડીને દરિયા જેવડાં મોટા કદનાં સરોવર પણ હોય છે. કેટલાંક સરોવરો પર્વતોની ઊંચાઈ પર (દા.ત., ટિટિકાકા સરોવર) તો કેટલાંક ભૂમિસપાટી પર (દા.ત., નળસરોવર) આવેલાં હોય છે. પૃથ્વીના તળ પર આવેલ ગર્ત, ખાડા કે થાળામાં પાણીનો પૂરતો પુરવઠો જમા થાય ત્યારે ત્યાં સરોવર રચાય છે. સરોવર બે પ્રકારનાં હોય છે : મીઠા (સ્વચ્છ) જળનાં અને ખારા જળનાં. જે સરોવરથાળામાં મળી રહેતા જળપુરવઠાના પ્રમાણમાં બાષ્પીભવનનું પ્રમાણ વધારે રહેતું હોય ત્યાં કાળક્રમે ક્ષારોનું પ્રમાણ વધી જાય છે, પરિણામે એવા સરોવરનું પાણી ખારું બની જાય છે. ક્યારેક પવનને લીધે મીઠાના કે ક્ષારના રજકણો ઊડીને સરોવરમાં પડ્યા કરતા હોવાથી સરોવરનું પાણી ખારું બની જાય છે. સૂકા પ્રદેશોના સરોવરમાં જળઆવક ઓછી હોય અને બાષ્પીભવન વધારે થતું રહેતું હોય તો તેનું પાણી ખારું થઈ જાય છે. કેટલાંક છીછરાં સરોવરો તો બાષ્પીભવનથી સૂકાં થાળાં બની રહે છે; પરંતુ ચોમાસા દરમિયાન તેઓ પાણીથી ભરાય છે. આથી ઊલટું, ભેજવાળા પ્રદેશમાંનાં સરોવર મીઠા પાણીનાં હોય છે, કારણ કે ત્યાં બાષ્પીભવનનું પ્રમાણ ઓછું હોય છે.

દાલ સરોવર

સરોવરની તેની આજુબાજુના પ્રદેશની આબોહવા તથા તેના લોકજીવન પર અસર થાય છે. સરોવરને લીધે તેની આજુબાજુના વિસ્તારમાં ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડી ઓછી લાગે છે. સરોવરના જળનો ઉપયોગ માણસોની અવરજવર, માલસામાનની હેરફેર માટે થાય છે. એ રીતે વેપાર-વાણિજ્યના જળમાર્ગ તરીકે તેની ઉપયોગિતા જોવા મળે છે. સરોવરની આસપાસ વસતા લોકો મનોરંજન અર્થે સરોવરનો લાભ લે છે. સરોવરમાં નૌકાવિહાર, માછીમારી, વૉટર-સ્કેટિંગ વગેરે થઈ શકે છે. સરોવરમાં વિવિધ જાતની વનસ્પતિ તથા કાચબા, મગર, માછલી, દેડકાં જેવાં પ્રાણીઓ રહેતાં હોય છે. ત્યાં યાયાવર પક્ષીઓ મુલાકાતે આવે છે. ભારતના વિશાળ ભૂભાગમાં અનેક સરોવરો આવેલાં છે; જેમ કે, દાલ સરોવર, વુલર સરોવર, પૅંગોગ, નૈનિતાલ, ચિલ્કા, કોલેરુ સરોવર, પુલિકટ સરોવર, પેરિયાર સરોવર, નળ સરોવર, સાંભર સરોવર અને લોણાર સરોવર.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સરોવર, પૃ. ૪૨)

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

જેતલપુર

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનું ગામ. ભૌગોલિક સ્થાન : આશરે ૨૨° ૫૪´ ઉ. અ. અને ૭૨° ૩૦´ પૂ. રે.. તે અમદાવાદથી દક્ષિણ તરફ ૧૬ કિમી.ને અંતરે તથા બારેજડીથી ૯ કિમી.ને અંતરે અમદાવાદ-મુંબઈને જોડતા ૮ નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલું છે. તેની પૂર્વ તરફ જેટલે અંતરે ખારી નદી વહે છે, એનાથી બમણા અંતરે પશ્ચિમ તરફ સાબરમતી નદી વહે છે, આ કારણે તેનું ભૂપૃષ્ઠ નદીકાંપના સમતળ મેદાની પ્રદેશનું બનેલું છે. જેતલપુરની સીમની ક્યારીની જમીનોમાં મુખ્યત્વે ડાંગરનો પાક લેવાય છે. કૃષિપાકોને ખારીકટ કૅનાલનો લાભ મળે છે. અહીં નળકૂપ (ટ્યૂબવેલ) પણ તૈયાર કરવામાં આવેલા છે. ખેડૂતોને અદ્યતન કૃષિસાધનો માટે સહાય આપવામાં આવે છે. અહીં ડાંગર છડવાની આશરે ૩૦થી વધુ મિલો આવેલી છે તથા ડેરીનો ગૃહઉદ્યોગ ચાલે છે. અમદાવાદના કેટલાક ઉદ્યોગોનો બોજો ઘટાડવા અહીં કેટલાંક ગોદામો ઊભાં કરાયાં છે. ખેડૂતો તેમજ ગ્રામજનોની સુવિધા જળવાય તે માટે રાષ્ટ્રીયકૃત અને સહકારી બૅન્કો સ્થાપવામાં આવેલી છે.

સ્વામિનારાયણ મંદિર, જેતલપુર

ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, કન્યાવિદ્યાલય, છાત્રાલય અને શ્રી એમ. પી. પંડ્યા વિવિધલક્ષી હાઈસ્કૂલની સગવડ છે. અહીં એક જૂનો જર્જરિત કિલ્લો, રાણીનો મહેલ તથા ગામની ભાગોળે એક તળાવ આવેલાં છે. આ ઉપરાંત અહીં રામજી મંદિર, શિવમંદિર, જૈન મંદિર, ચર્ચ તથા જેને કારણે જેતલપુરનું નામ જાણીતું બનેલું છે તે સ્વામિનારાયણ મંદિર આવેલાં છે. આ સ્વામિનારાયણ મંદિર વિલક્ષણ શોભાવાળું અને વિશિષ્ટ બાંધણીવાળું છે. આ મંદિરનાં ત્રણ શિખરો અને ઘુમ્મટો  બે મજલાનાં બાંધવામાં આવ્યાં છે. અષ્ટકોણાકાર મંડપ ઉપર મંદિરના મુખ્ય ઘુમ્મટ ઉપરાંત ચાર સ્તંભો વચ્ચે રચાતા દરેક ચોરસ પર લઘુ ઘુમ્મટોની રચના પણ કરવામાં આવી છે. મંદિરની પ્રવેશ-ચોકીઓના સ્તંભો તથા બહારની અને અંદરની સ્તંભાવલિને ઈંટ-ચૂનાની સાદી અર્ધ-વૃત્ત ખંડોની બનેલી મુઘલ કમાનોથી અલંકૃત કરવામાં આવી છે. આમ આ મંદિરની શોભા અનેરી છે. દર વર્ષે ભાદરવા સુદ અગિયારસે આ ગામમાં દેવ-સરોવરના કિનારે જળઝીલણા મેળો ભરાય છે, આજુબાજુથી હજારો લોકો આ મેળો માણવા અહીં ઊમટી પડે છે. ઇતિહાસ : આ ગામની સ્થાપના ઈ. સ. ૧૩૩૯ના અરસામાં થયેલી છે. ગુજરાતના સૂબા શાહજહાંએ તેના પિતા જહાંગીર વિરુદ્ધ બળવો કર્યો, ત્યારે દીવાન સાફીખાન જહાંગીરને વફાદાર રહ્યો; તેથી શાહજહાંના સૈન્ય અને સાફીખાનના સૈન્ય વચ્ચે ૧૪ જૂન, ૧૬૨૩ના રોજ જેતલપુર પાસે લડાઈ થઈ. તેમાં સાફીખાન જીત્યો. જહાંગીરે સાફીખાનને ‘સૈફખાં’નો ખિતાબ આપી, ગુજરાતનો સૂબો નીમ્યો. તેણે જેતલપુરનો ગઢ, સૈફબાગ, મહેલ વગેરે બાંધકામો કરાવ્યાં. કિલ્લાનાં ખંડેરો હાલ મોજૂદ છે. ગાયકવાડે અમદાવાદ જીતીને પોતાની હકૂમત સ્થાપ્યા બાદ, હવેલી પરગણાનું મુખ્ય મથક જેતલપુર થયું અને જેતલપુરના ગઢમાં તાલુકાની ગાયકવાડી કચેરી સ્થપાઈ. મરાઠી કચેરીનું થાણું જેતલપુરમાં ઈ. સ. ૧૮૦૯ સુધી રહ્યું. જેતલપુર મુકામે ઈ. સ. ૧૮૦૯માં સહજાનંદ સ્વામીએ પ્રથમ એક અહિંસક યજ્ઞ કર્યો. તેની છત્રી અને યજ્ઞપીઠિકા મહેલની બાજુમાં મોજૂદ છે. સહજાનંદ સ્વામીની આજ્ઞાથી આનંદાનંદ સ્વામીએ જેતલપુરનું મંદિર બંધાવ્યું. આ મંદિરમાં અનેક ઉત્સવો, મહાયજ્ઞો અને પાટોત્સવો અવારનવાર ઊજવાય છે. ગુજરાતના જાણીતા કવિ અખા ભગત જેતલપુરના વતની હતા અને પછીથી અમદાવાદ આવીને વસ્યા હતા.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

નીતિન કોઠારી, જયકુમાર ર. શુક્લ

Categories
વાચન સમૃદ્ધિ

સરીસૃપ પ્રાણીઓ

પૃષ્ઠવંશી પ્રાણીઓનો પેટે ઘસડાઈને ચાલતો એક વર્ગ.

 કાચબો

આ પ્રાણીઓ ભીંગડાંવાળી સૂકી ચામડી ધરાવે છે. ફેફસાં વડે શ્વાસ લે છે. કાચબો, કાચિંડો, ગરોળી, મગર, સાપ, ઘો, અજગર વગેરે સરીસૃપ વર્ગનાં પ્રાણીઓ છે. આશરે ૬,૦૦૦ જુદી જુદી જાતિનાં સરીસૃપ પ્રાણીઓ છે. સરીસૃપ વર્ગનાં પ્રાણીઓનાં કેટલાંક લક્ષણો આ પ્રમાણે છે : તેઓ પૃષ્ઠવંશી છે, કરોડસ્તંભ ધરાવે છે. તેઓ ફેફસાં વડે શ્વાસ લે છે. મોટા ભાગનાં સરીસૃપો ઈંડાં મૂકે છે, કેટલાંક બચ્ચાને જન્મ આપે છે. તેઓ જમીન પર ઈંડાં મૂકે છે. પાણીમાં રહેતાં સરીસૃપો પણ જમીન પર આવીને ઈંડાં મૂકે છે. આ પ્રાણીઓ વિશ્વમાં સર્વત્ર જોવા મળે છે, પણ વિશેષ કરીને ઉષ્ણપ્રદેશોમાં સવિશેષ. તેઓ ઍન્ટાર્કટિકા સિવાય દરેક ખંડમાં તથા બધા સમુદ્રોમાં વસે છે. તેઓ રણમાં, જંગલમાં, જમીનની અંદર તથા દરિયા કે અન્ય જળાશયના પાણીમાં પણ વસે છે. તેઓ પોતાના શરીરના તાપમાનનું નિયંત્રણ કરી શકતાં નથી, તેથી ઉષ્ણપ્રદેશમાં તેઓ પથ્થરની નીચે કે છાંયડામાં રહે છે. તેમને પર્યાવરણ પર આધાર રાખવો પડે છે. અતિ ઉષ્ણપ્રદેશમાં તેઓ રાત્રે જ બહાર નીકળે છે. ખૂબ ઠંડી પડે ત્યારે તેઓ શીતનિદ્રા (hibernation) લઈ લે છે. આમ અતિશય ઠંડી અને ગરમીથી બચવાનો તેમનો પ્રયત્ન હોય છે.

મગર

તેઓના કદમાં પણ મહાકાય અજગર, મગરથી માંડી નાની અમથી ગરોળીઓનો પણ સમાવેશ થાય છે. સરીસૃપવર્ગમાં સૌથી મોટામાં મોટું પ્રાણી છે એનાકોન્ડા સાપ(દક્ષિણ અમેરિકા). એશિયા ખંડમાં મહાકાય અજગર (૧૦ મીટર) તથા મહાકાય મગર (૭ મીટર લાંબા) મળે છે. આ વર્ગનાં સૌથી વજનદાર પ્રાણીઓ કાચબાઓમાં મળે છે. અમુક પ્રકારના કાચબા ૧ ટન સુધીનું વજન ધરાવે છે. સરીસૃપ વર્ગનાં પ્રાણીઓમાં કેટલાંક ખૂબ લાંબું જીવે છે. ઘણા કાચબા લગભગ ૧૦૦ વર્ષ જીવે છે. માદા પોતાનાં ઈંડાં જમીનમાં ખાડો ખોદીને અથવા પાંદડાંના ઢગલામાં મૂકે છે. જ્યાં સૂર્યની ગરમી કે સડતાં પાંદડાંની ગરમીથી ઈંડાં સેવાય છે. આ વર્ગનાં પ્રાણીઓ ઈંડાં કે બચ્ચાંની કાળજી નહીંવત્ લે છે. મોટા ભાગે તેઓ વધારે સંખ્યામાં ઈંડાં મૂકે છે. બચ્ચાં જન્મે ત્યારે તેમનાં મા-બાપ જેવાં લાગે છે અને જન્મ થતાં જ સ્વતંત્ર રીતે રહી શકે તેવાં તે હોય છે. સરીસૃપો પોતાના શરીર પરની ચામડી વર્ષમાં એકાધિક વાર ઉતારે છે. — તેને ‘કાંચળી ઉતારવી’ કહેવામાં આવે છે. ભૂતકાળમાં પૃથ્વી પર સરીસૃપ વર્ગનાં ઘણાં પ્રાણીઓ હતાં. ડાયનોસૉર સરીસૃપ વર્ગનાં મહાકાય પ્રાણીઓ હતાં. પૃથ્વી પર ત્યારે સરીસૃપનું જ રાજ હતું. કોઈ કારણસર તેમનો નાશ થયો. હાલમાં ચાર મુખ્ય જાતિઓ કાચબો, ગરોળી, સાપ અને મગર રહ્યાં છે. ઘણાં મનુષ્યોને સરીસૃપ પ્રાણીઓની બીક લાગે છે. ખરું જોતાં તે પ્રાણીઓ મનુષ્યથી ડરતાં હોય છે. મોટા ભાગનાં આ પ્રાણીઓ નિરુપદ્રવી હોય છે. જોકે મગર તથા અમુક ઝેરી સાપ મનુષ્ય માટે ભયજનક છે. મનુષ્યો મગર, સાપ અને ગરોળીને તેમની ચામડી માટે મારી નાખે છે, તેમાંથી કમરપટ્ટા, પર્સ, પાકીટ વગેરે બનાવાતાં હોય છે. હવે ઘણાંબધાં પ્રાણીઓ નામશેષ થઈ ગયાં હોવાથી તેમના શિકાર પર પ્રતિબંધ મુકાયો છે. મગર, કાચબા, સાપ જેવાં સરીસૃપો પાણીમાં રહેવા છતાં જમીન ઉપરનાં પ્રાણીઓ ગણાય છે, કેમ કે તે બધાં ભૂસ્તર પ્રાણીઓની જેમ શ્વાસોચ્છવાસ પોતાનાં ફેફસાં વડે જ લે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

અંજના ભગવતી