Categories
વાચન સમૃદ્ધિ

સ્તૂપ

ભગવાન બુદ્ધ કે તેમના ધર્મોપદેશકોના શરીરના અવશેષ (જેમ કે, વાળ, દાંત, અસ્થિ અને ભસ્માવશેષ) પર રચવામાં આવતું વિશિષ્ટ આકારવાળું સ્થાપત્ય. પાલિ ભાષામાં ‘સ્તૂપ’ને ‘થૂપ’, મ્યાનમારમાં ‘પૅગોડા’ અને  શ્રીલંકામાં ‘દાભગા’ કહેવાય છે. અવશેષને ધાતુપાત્રમાં રાખી તેને પથ્થરના દાબડામાં મૂકી, લેખ સાથે દાટવામાં આવતો. તેની ઉપર અંડાકાર ઘાટનું ઈંટોનું કે પથ્થરનું ચણતર કરવામાં આવતું. સ્તૂપના મુખ્ય ભાગને અંડ કહેવાય છે. અંડના પેટાળમાં ધાતુપાત્રમાં પવિત્ર અવશેષની સાથે વિવિધ રત્નો; સોનું, ચાંદી કે હાથીદાંતનાં નાનાં ‘રત્નપદ્મ’ રાખવામાં આવતાં. ક્યારેક આ પવિત્ર અવશેષો સોનાના પાત્રમાં એ પાત્રને ચાંદીના પાત્રમાં, એ પાત્રને તાંબાના પાત્રમાં અને અંતે તેને પથ્થરના પાત્રમાં મૂકવામાં આવતા. ક્યારેક પથ્થરના દાબડા પર અવશેષોને લગતો કે સ્તૂપના નિર્માણને લગતો લેખ કોતરવામાં આવતો.

શાંતિ સ્તૂપ, લેહ

સ્થાપત્યનો આ અંડ ભાગ ચોરસ પીઠિકા પર રચવામાં આવતો. અંડનું મથાળું કાપીને તેને ઉપરથી સપાટ કરવામાં આવતું. ત્યાં પથ્થરનો કઠેડો બનાવવામાં આવતો. જેને ‘હર્મિકા’ કહેવામાં આવે છે. હર્મિકાની મધ્યમાં છત્રદંડ રોપવામાં આવતો. દંડને મથાળે ત્રણ છત્રો મૂકવામાં આવતાં. તે નીચેથી ઉપર જતાં મોટાં થતાં હોય છે. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા થાય તેવી વ્યવસ્થા કરાય છે. સ્તૂપનું નિર્માણ મોટા ભાગે રાજાઓ કરાવતા. આ માટે બુદ્ધનાં જીવન અને કાર્ય સાથે સંબંધ ધરાવતાં સ્થળોની પસંદગી કરાઈ છે. મધ્યપ્રદેશમાં સાંચી, ઉત્તરપ્રદેશમાં સારનાથ તથા તક્ષશિલાના સ્તૂપ જાણીતા છે. સ્તૂપ ગમે તેટલા જીર્ણ થાય તોપણ તેને કાઢી નખાતા નથી. તેનો જીર્ણોદ્ધાર કરાવાય છે. સ્તૂપની આસપાસ પથ્થરની વેદિકા (રેલિંગ) ચણી અને તેમાં પ્રવેશદ્વારો બનાવાય છે. આ પ્રવેશદ્વારને તોરણ કહે છે. સાંચીનો સ્તૂપ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. શ્રીલંકા, મ્યાનમાર, થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયામાં પણ સ્તૂપો જોવા મળે છે. જોકે વિવિધ સ્તૂપોના આકારમાં થોડા થોડા ફેરફારો પણ નજરે ચડે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦

Categories
વાચન સમૃદ્ધિ

ડીસા

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા  : તે 24° 15´ ઉ. અ. અને 72° 11´ પૂ. રે. પર સ્થિત છે. બનાસ નદીના પૂર્વ કાંઠે આ શહેર વસેલું છે. આ શહેર પાલનપુરથી 29 કિમી. દૂર છે. તેની પૂર્વ દિશાએ દાંતીવાડા અને પાલનપુર તાલુકો, ઉત્તરે અને ઈશાને ધાનેરા તાલુકો, પશ્ચિમે દિયોદર અને થરાદ તાલુકાઓ તેમજ દક્ષિણે જિલ્લાનો કાંકરેજ તાલુકો અને પાટણ જિલ્લાનો વાગદોડ તાલુકાઓથી તે ઘેરાયેલ છે. આ તાલુકામાં ત્રણ શહેરો અને 14 ગામડાંઓ આવેલાં છે. ડીસા તાલુકાનો પૂર્વ ભાગ ફળદ્રૂપ છે. જ્યારે પૂર્વે બનાસ અને સીપુ નદી વહે છે. ગાલીઆ અને રાણપુરા પાસે ઉપરોક્ત બંને નદીઓનો સંગમ થાય છે. પશ્ચિમ ભાગ નદી અને વરસાદની ઓછી માત્રાને કારણે પ્રમાણમાં વેરાન છે. આ તાલુકાની આબોહવા વિષમ છે. ડીસાનું દૈનિક ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 44.8° સે. અને 5.4° સે. રહે છે. જુલાઈ અને ઑગસ્ટ માસ દરમિયાન સરેરાશ વરસાદ 203થી 260 મિમી. અનુભવાય છે.  હવામાન ખાતાનું નિરીક્ષણ કેન્દ્ર અહીં આવેલું છે.

બટાટાની ખેતી

અર્થતંત્ર : આ તાલુકામાં વરસાદની અછત વર્તાતી હોવાથી પૂર્વભાગમાં ખેતી થાય છે. અહીંના મુખ્ય ખેતીકીય પાકોમાં ઘઉં, બાજરી, રાગી, કઠોળ જ્યારે રોકડિયા પાકોમાં શેરડી, એરંડા મુખ્ય છે. ડીસા બટાટાની ખેતી માટે પ્રખ્યાત છે. અહીં બટાટાનું ખેતીવિષયક  સંશોધન કેન્દ્ર આવેલું છે. સરદાર કૃષિનગર  દાંતીવાડા ઍગ્રિકલ્ચરલ સંશોધન કેન્દ્ર આવેલું છે, જ્યાં બટાટાનું ઉત્પાદન વધુ મેળવવા  ગહન સંશોધન થઈ રહ્યું છે. ડીસાને ‘Capital of Batata’ની વિશિષ્ટ  ઓળખ પ્રાપ્ત થઈ છે.

તે મહત્ત્વનું વેપારીમથક છે. અહીં તેલની મિલો અને સાબુનાં કારખાનાં આવેલાં છે. આ સિવાય સિમેન્ટની પાઇપ, જાળીવાળી બારી, ટાઇલ્સનાં મધ્યમ કક્ષાનાં કારખાનાં આવેલાં છે. હાડકાં પીસવાનાં કારખાનાં, સો મિલ, ઑઇલ એન્જિન, ટ્રૅક્ટરો મરામત કરવાના, લોખંડ, લોખંડની ખુરશી, કપાટ વગેરેના એકમો કાર્યરત છે. ખેતી સાથે પશુપાલનનો વેપાર કરનારી પ્રજા અહીં ભટકતું જીવન ગાળે છે. આ શહેરમાં ઘેટાંઉછેર ફાર્મ અને ઘેટાં ઊન વિતરણ કેન્દ્ર આવેલાં છે. વસ્તી – જોવાલાયક સ્થળો : આ શહેરની વસ્તી 2025 મુજબ 1,60,000 જ્યારે તાલુકાની વસ્તી 4,58,803 છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 895 છે. સાક્ષરતાનું પ્રમાણ 50.2%  છે. ઈ. સ. 1853માં સ્થપાયેલી સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલ જે સૌથી જૂની છે. આ સિવાય સેંટ ઝેવિયર્સ, DNJ આદર્શ સ્કૂલ, સરદાર પટેલ સ્કૂલ, એન્જલ્સ  ઇંગ્લિશ સ્કૂલ તેમજ સાયન્સ શાળા પણ છે. અહીં રામજી મંદિર, રેજીમેન્ટ મહાદેવ, ગાયત્રી મંદિર, જલારામ મંદિર, રસાલા મહાદેવ, વિશ્વેશ્વર મહાદેવ, જૈન મંદિર અને મસ્જિદ પણ આવેલાં છે. 1824ના વર્ષમાં બ્રિટિશરો દ્વારા  બનાવેલ હવાઈ પીલર કે જેને આધારે હવાનું દબાણ જાણી શકાતું હતું, તેનું 2013માં પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે, જે ‘હેરિટેજ’ તરીકે જાણીતું બન્યું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : https://gujarativishwakosh.org/ડીસા/)

Categories
વાચન સમૃદ્ધિ

સ્ટૉકહોમ

સ્વીડનનું મોટામાં મોટું શહેર અને પાટનગર. તે ૫૯° ૨૦´ ઉ. અ. અને ૧૮° ૦૩´ પૂ. રે. પર આવેલું છે. આ શહેર ૧૨૫૦ના દાયકામાં તત્કાલીન સ્વીડિશ નેતા બર્ગર જાર્લે વસાવેલું હોવાનું કહેવાય છે. સ્ટૉકહોમ માલેરન સરોવર અને બાલ્ટિક સમુદ્ર વચ્ચેના સ્વીડનના પૂર્વ કાંઠે વસેલું છે. તે સ્વીડનનું મુખ્ય વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. તેનો વિસ્તાર ૬,૫૧૯ ચોકિમી. જેટલો છે. તેની વસ્તી ૨૪,૧૫,૦૦૦ (૨૦૨૩, આશરે) જેટલી છે. ૧૬૩૪માં તે સ્વીડનનું પાટનગર બન્યું. સ્ટૉકહોમનું શહેરી આયોજન ખૂબ વ્યવસ્થિત રીતે કરવામાં આવેલું છે. તેની ગણના દુનિયાનાં અતિ સુંદર શહેરોમાં થાય છે. તે આશરે ૫૦ પુલોથી સંકળાયેલા ૧૪ જેટલા ટાપુઓ પર વસેલું છે. ગીચ વનરાજીથી આચ્છાદિત ટેકરીઓ વચ્ચેના રમણીય કુદરતી સ્થળદૃશ્યો તેની ભવ્યતામાં ઉમેરો કરે છે. સ્ટૉકહોમની પૂર્વ તરફ આવેલા સમુદ્રમાં નાના-મોટા કદના હજારો ટાપુઓ દ્વીપસમૂહ રચે છે. આ ટાપુઓમાં નાની નાની વસાહતો તેમ જ નાના કદની કુટિરો જોવા મળે છે. આ ટાપુઓ પ્રવાસીઓનું આકર્ષણકેન્દ્ર બની રહેલા છે. સ્ટૉકહોમનું મધ્યસ્થ સ્થળ તેનું પુરાણું નગર છે. તે ‘ગમલાસ્તાન’ તરીકે ઓળખાય છે. અહીં અઢારમી સદીનો વિશાળ શાહી મહેલ આવેલો છે. આ મહેલ જે ટાપુ પર છે, તે જ ટાપુ પર સ્વીડનનું સંસદભવન પણ આવેલું છે. ગમલાસ્તાનની ઉત્તરે આધુનિક ધંધાદારી મથકો તથા મુખ્ય બજાર આવેલાં છે. સ્ટૉકહોમ સ્વીડનનું મહત્ત્વનું બંદર પણ છે.

સ્ટૉકહોમ શહેર

શહેરમાં પ્રકાશન, રસાયણો, કપડાં, યંત્રસામગ્રી, ધાતુપેદાશો અને રબર-પેદાશોના એકમો આવેલા છે. શહેરના મોટા ભાગના લોકો કેન્દ્રસરકારની, રાજ્યકક્ષાની કે ખાનગી નોકરીઓ કરે છે. અન્ય કેટલાક લોકો વેપાર તથા ઉત્પાદનપ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. સ્ટૉકહોમ ભૂગર્ભીય રેલમાર્ગની સુવિધા ધરાવે છે. તે સડકમાર્ગે, રેલમાર્ગે તથા હવાઈ માર્ગે અન્ય શહેરો સાથે જોડાયેલું છે. આ શહેરમાં સ્ટૉકહોમ યુનિવર્સિટી, પુસ્તકાલય, શાહી નૃત્યશાળા, ઑપેરા અને થિયેટર આવેલાં છે. આ ઉપરાંત અહીં ઘણી કલાદીર્ઘાઓ (art gallaries) અને સંગ્રહાલયો પણ છે. વળી મનોરંજન માટે લોકપ્રિય સ્કાનસેન નામનો ઉદ્યાન, પ્રાણીસંગ્રહાલય અને ઓપન ઍર સંગ્રહાલય પણ આવેલાં છે. વીસમી સદીના મધ્યકાળથી સ્ટૉકહોમના જૂના આવાસોને પાડી નાખી નવા આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ સાથે સાથે તેની રમણીયતાને પણ જાળવી રાખવાનો પ્રયાસ કરાયો છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦