Categories
વાચન સમૃદ્ધિ

ડાકર

પશ્ચિમ આફ્રિકામાં કેપવર્ડ દ્વીપકલ્પના દક્ષિણ છેડે આટલાંટિક કિનારે આવેલું  સેનેગલનું  પાટનગર  અને મહત્ત્વનું બંદર. ભૌગોલિક સ્થાન : ૧૫° ઉ. અ., ૧૭° ૩૦´ પ. રે.. ગાંબિયા અને સેનેગલ નદીઓના મુખપ્રદેશ વચ્ચે તે આવેલું છે. વોલોફ લોકોની ભાષાના શબ્દ તથા લેબ્રુ લોકોના આ જ નામના ગામ ‘ડાકહર’ ઉપરથી આ નામ પડ્યું છે. તે દક્ષિણ અમેરિકાના પ્રદેશથી સૌથી નજીક અને તે દેશો સાથેના વેપારનું મહત્ત્વનું કેન્દ્ર છે. તેની પૂર્વે આવેલાં માલી અને મોરેટાનિયા રાજ્યોનું તે પ્રવેશદ્વાર છે. વિસ્તાર ૫૫૦ ચોકિમી. જેટલો છે. 2023 મુજબ આ શહેરની વસ્તી આશરે 40 લાખ જેટલી છે. તેની આબોહવા ઉષ્ણકટિબંધમાં આવેલા દેશો જેવી ભેજવાળી છે, પણ સમુદ્ર ઉપરથી વાતા પવનોને કારણે ત્યાં તાપમાન ઓછું રહે છે. અહીં સરાસરી જાન્યુઆરીનું તાપમાન ૨૨.૨° સે. અને જુલાઈનું ૨૭.૮° સે. રહે છે. એથી ઑક્ટોબર દરમિયાન ૫૪૦ મિમી. વરસાદ પડે છે. તેની આબોહવા ખુશનુમા છે.

ડાકર શહેર

અહીં મગફળીનું મોટા પાયે વાવેતર થાય છે. અનાજમાં બાજરી અને મકાઈ તથા ફળો પૈકી કેળાં છે. અહીં ટ્રકોના જુદા જુદા ભાગોનું જોડાણ, મગફળીનું પિલાણ તથા શુદ્ધીકરણ, જહાજોની મરામત, પ્રક્રિયા બાદ માછલીનું ડબામાં પૅકિંગ, ખાંડ, કાગળ, ચર્મઉદ્યોગ (પગરખાં), ઠંડાં પીણાં, રસાયણ, સાબુ, કાગળ વગેરે ઉદ્યોગો વિકસ્યા છે. હાન ખાતે ઔદ્યોગિક વસાહત છે. ગોરીમાં દરિયાઈ સંગ્રહસ્થાન અને ડાકરમાં ઇતિહાસ, નૃવંશશાસ્ત્ર, પુરાતત્ત્વનાં સંગ્રહસ્થાનો છે. પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટ તથા ૧૯૪૯માં સ્થપાયેલી ડાકર યુનિવર્સિટીનું તે મથક છે. ફ્રેન્ચ સંસ્કૃતિ અને સ્થાપત્યની અસર અહીં જોવા મળે છે. અનેક દેશો સાથે જોડાયેલું હવાઈ માર્ગોનું આ ટર્મિનસ યુરોપ અને દક્ષિણ અમેરિકાના દેશો વચ્ચે વેપારવિનિમય માટે સેતુ સમાન છે. આ બંદર પરથી પેટ્રોલિયમ, યંત્રો વગેરેની આયાત અને મગફળી, મગફળીનું તેલ અને ફૉસ્ફેટની નિકાસ થાય છે. ૧૯૫૯થી તે ટ્યૂના માછલી પકડવા માટેનું બંદર બન્યું છે. ૧૮૬૬માં દક્ષિણ અમેરિકા જતી ફ્રેન્ચ સ્ટીમરો અહીં કોલસા લેવા થોભતી હતી. ૧૮૮૫માં સર્વપ્રથમ વેસ્ટ આફ્રિકન રેલવે સેન્ટ લુઈથી ડાકર સુધી અને ૧૯૨૪માં તે ફ્રેન્ચ સુદાન કે માલી સુધી લંબાવાઈ હતી. ઇતિહાસ : અહીં યુરોપીય પ્રજાઓ પૈકી ડચો સર્વપ્રથમ વસ્યા હતા. તેમણે ૧૬૧૭માં ડાકર પૉઇન્ટ નજીકનો ગોરી ટાપુ કબજે કર્યો હતો. ૧૬૭૭માં આ ટાપુ ફ્રેન્ચોએ જીતી લીધો હતો. ૧૮૫૭ સુધીમાં સ્થાનિક લોકોના સામનાનો અંત આવ્યો હતો. આ જ વરસે ડાકર ખાતે ધક્કો બંધાવ્યો હતો. ૧૮૮૯માં તે ફ્રેન્ચ કૉમ્યૂન ઇલાકો બન્યું. ૧૯૦૨માં ફ્રેન્ચ નૈર્ઋત્ય આફ્રિકાના ગવર્નર-જનરલનું તે નિવાસસ્થાન બન્યું. ૧૯૦૪માં સેન્ટ લુઈને બદલે ડાકર ફ્રેન્ચ પશ્ચિમ આફ્રિકાનું પાટનગર બન્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેનું મહત્ત્વ વધ્યું હતું. ૧૯૪૦માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન તાબેદારી સ્વીકારનાર વીચી ખાતેની ફ્રેન્ચ સરકારને તેણે ટેકો અને સહકાર આપ્યા હતા. ૧૯૪૧માં બ્રિટિશ તથા સ્વતંત્ર ફ્રેન્ચ લશ્કરના હુમલાનો તેણે સામનો કર્યો હતો. ૧૯૪૩માં તે મિત્રરાજ્યો સાથે જોડાયું હતું. ૧૯૫૯–૧૯૬૦ના થોડા સમય દરમિયાન તે માલી સમવાયતંત્રનું પાટનગર બન્યું હતું, પણ આ જોડાણ અલ્પજીવી નીવડતાં ૧૯૬૦ના અંતભાગમાં તે સેનેગલના સ્વતંત્ર રાજ્યનું પાટનગર બન્યું હતું.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮

Categories
વાચન સમૃદ્ધિ

સૌર-ઊર્જા (સોલર ઍનર્જી)

સૂર્ય દ્વારા ઉત્સર્જિત થતી ઊર્જા. સૌર-ઊર્જામાં પ્રકાશ, ઉષ્મા તથા વિદ્યુત-ચુંબકીય વિકિરણનાં સ્વરૂપોનો સમાવેશ થાય છે. સૂર્યની મધ્યમાં અવિરતપણે સંલયન(ફ્યૂઝન)ની ન્યૂક્લિયર-પ્રક્રિયાઓ ચાલતી હોય છે, જેમના કારણે વિપુલ ઊર્જાનું ઉત્પાદન થાય છે. આખા વર્ષ દરમિયાન પૃથ્વી પર લોકો જેટલી ઊર્જાનો ઉપયોગ કરે છે તેટલી ઊર્જા સૂર્ય પૃથ્વી પર ફક્ત ૪૦ મિનિટમાં જ આપાત કરે છે. આમ પૃથ્વી ઉપર પહોંચતી સૌર-ઊર્જાનો થોડો ભાગ જ આપણે વાપરીએ છીએ. સૌર-ઊર્જા પૃથ્વીની સપાટી પર પહોંચે તે પહેલાં વાતાવરણમાં પરાવર્તન, પ્રકીર્ણન અને શોષણ દ્વારા ક્ષીણ થાય છે. તેમાંથી પારજાંબલી અને અધોરક્ત ઊર્જાની તીવ્રતા બહુ ઓછી થઈ જાય છે; તેમ છતાં પૃથ્વીની સપાટી પર દર વર્ષે મળતું સૌર-વિકિરણ વિશ્વની ઊર્જા-વપરાશ કરતાં ૧૦,૦૦૦-ગણું વધારે હોય છે. સૌર-ઊર્જામાંથી ઉષ્મા પ્રાપ્ત કરી તે ઉષ્માનો  ઉદ્યોગો અને ઘરવપરાશ માટે પ્રાયોગિક ધોરણે ઉપયોગ થાય છે. હરિત ગૃહો(green house)માં સૂર્યની ઉષ્માનો વપરાશ થાય છે. મકાનની અગાસી કે છાપરા પર સોલર પૅનલો મૂકી તેમાં પાણીની નળીઓમાં સૂર્યની ગરમી શોષી લેવાય છે. ગરમ પાણીનો પાણીની ટાંકીમાં સંગ્રહ કરવામાં આવે છે.

સોલર પ્લાન્ટ દ્વારા સૌર-ઊર્જાનું ઉત્પાદન

ક્યારેક સૂર્ય-ભઠ્ઠીમાં સૂર્યની ગરમીને વિદ્યુતમાં ફેરવાય છે. વક્ર અરીસાનો ઉપયોગ કરી સૂર્યની ગરમીથી વિદ્યુત-ભઠ્ઠીમાં પાણીને વરાળમાં ફેરવાય છે. તે વરાળથી વીજળીઘરમાં ટર્બાઇન ફેરવી વિદ્યુતનું ઉત્પાદન કરાય છે. સૌર-વીજકોષ દ્વારા સીધી રીતે પણ વીજપ્રવાહ ઉત્પન્ન કરી શકાય છે. સૌર-વીજકોષ અતિ શુદ્ધ સિલિકોનની પાતળી પટ્ટીઓથી બનાવવામાં આવે છે. સિલિકોન રેતીમાંથી મળી આવે છે. બે જુદા પ્રકારની સિલિકોનની પટ્ટીઓ પર જ્યારે સૂર્યપ્રકાશ પડે છે ત્યારે વિદ્યુત ઉત્પન્ન થાય છે. આ રીતે ખૂબ અલ્પ પ્રમાણમાં વિદ્યુત ઉત્પન્ન થાય છે, પણ  જ્યારે આવા અનેક વિદ્યુતકોષ હારોહાર લગાડ્યા હોય ત્યારે તેમાંથી ખાસી મોટી માત્રામાં વિદ્યુત પેદા થાય છે. સૌર-વિદ્યુતકોષ હાલમાં બનાવવા ઘણા ખર્ચાળ છે, પણ હવે ધીમે ધીમે તેનું ઉત્પાદન ઓછી કિંમતમાં થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. અવકાશમાં ઊડતાં અવકાશયાનનાં મોટાં પાંખિયાંઓ પર સૌર-કોષવાળી પૅનલો લગાડવામાં આવે છે. જેના વડે વિદ્યુત-ઊર્જા ઉત્પન્ન થાય છે અને તેની મદદથી અવકાશયાનો ચાલે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સેવાગ્રામ સૌર-ઊર્જા, પૃ. ૫૩)

Categories
વાચન સમૃદ્ધિ

ડહેલિયા

વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલા એસ્ટરેસી કુળની નાની પ્રજાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Dahlia Variabilis, Dest છે. તે બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને ગુચ્છેદાર સાકંદ (tuberous) મૂળ અને સુંદર સ્તબક પુષ્પવિન્યાસ ધરાવે છે. તેનાં લગભગ ૩,૦૦૦ બાગાયત સ્વરૂપોનું નામકરણ થયું છે. તેનાં પર્ણો સમ્મુખ અને એકપીંછાકાર (unipinnate) કે દ્વિપીંછાકાર (bipinnate) હોય છે. ખૂબ જ સુંદર આકારનાં લગભગ બધા રંગનાં (એક ભૂરા રંગ સિવાય) પુષ્પવિન્યાસથી શોભતો મોસમી પુષ્પોનો આ છોડ ઉદ્યાનની શોભા અનેરી રીતે વધારી મૂકે છે, ૩૦–૪૦ સેમી.થી એકાદ મીટર ઊંચા થાય તેવા છોડવાળી જાતો બજારમાં પ્રાપ્ય છે. પુષ્પના કદ અને પાંખડીઓની રચનાને આધારે તેની જુદી જુદી જાતો આવે છે; દા.ત., સિંગલ જાત, ડબલ જાત (પાંદડીઓ કમળની માફક ભરાવદાર અને પુષ્પ ૧૦ –૧૫ સેમી. વ્યાસવાળાં), કૅક્ટસ ડહેલિયા (પાંખડીઓ ઉપર પ્રમાણે પણ લગભગ ઊભી), રિફ્લેક્સ ડહેલિયા (પાંખડીઓ બહિર્વલિત), પૉમ્પોન ડહેલિયા (પાંખડીઓ ડબલ, સજ્જડ અને પુષ્પ પ્રમાણમાં નાનાં અને લગભગ ગોળ), ડહેલિયાની વામન જાત અને ઊંચી જાત – એમ પણ વર્ગીકરણ કરવામાં આવે છે અને તે માટે ઑગસ્ટથી તે ઑક્ટોબર સુધીમાં રોપવામાં આવે છે. સમગ્ર ભારતનાં ઉદ્યાનોમાં પુષ્કળ પ્રમાણમાં ઉગાડાય છે. ગુજરાતમાં મુખ્યત્વે શિયાળામાં પુષ્પનિર્માણ થાય છે. તે ક્યારામાં તેમજ કૂંડામાં ઉછેરી શકાય છે. રેતાળ અને ગોરાડુ (sandy loam) પણ ફળદ્રૂપ જમીન, સૂર્યનો તડકો અને સીધા પવનથી પૂરતું રક્ષણ તથા પૂરતા પ્રમાણમાં પાણી એ ડહેલિયાની જરૂરિયાત છે.

ડહેલિયાની જુદી જુદી જાતો

વંશવૃદ્ધિ જુદી જુદી રીતે થાય છે : (૧) બીજથી. આ પદ્ધતિથી ઇચ્છિત જાત મળતી નથી. (૨) ગુચ્છેદાર સાકંદ મૂળને છૂટાં કરીને તથા (૩) કંદમાંથી ઊગેલા છોડમાંથી શરૂ શરૂમાં કટિંગ કરી લેવાથી દુર્લભ જાતો અધિરોપણ (grafting) દ્વારા તૈયાર કરી શકાય છે. પ્રદર્શન માટે એક છોડ ઉપર એક કે બે પુષ્પ રાખી તેની ખૂબ દરકાર લેવામાં આવે છે. ઉદ્યાન માટે છૂટથી પુષ્પ ખીલવા દેવામાં આવે છે. ક્યારેક છોડ લચી પડે છે. આમ ન બને તે માટે શરૂ શરૂમાં ટોચનું કૃન્તન (pruning) કરવામાં આવે છે, જેથી બાજુમાં શાખાઓ વધારે ફૂટે છે. પુષ્પનિર્માણ બાદ છોડને સુકાવા દેવામાં આવે છે અને એના સાકંદ મૂળને કાઢીને રેતીમાં ઠંડકવાળી જગ્યાએ બીજી મોસમ સુધી સાચવી રાખવામાં આવે છે. ગુજરાતમાં આ રીતે સાચવવામાં ઘણી મુશ્કેલી પડે છે એટલે મોટે ભાગે બહારથી જ છોડ મંગાવવામાં આવે છે. ડહેલિયાનાં સાકંદ મૂળ લિવ્યુલોઝના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તે સાકંદ મૂળના શુષ્ક વજનના ૬૨% ઇન્યુલિન ધરાવે છે, જેના જલવિભાજનથી લિવ્યુલોઝ ઉત્પન્ન થાય છે. સાકંદ મૂળ લગભગ ૮૩.૩% પાણી, ૦.૭૪ % નાઇટ્રોજનયુક્ત પદાર્થો, ૧૦.૩૩% ઇન્યુલિન અને ૧.૨૭% અપચાયક (reducing) શર્કરાઓ ધરાવે છે. તેમાં ફાઇટિન, આર્જિનિન, એસ્પરજિન, હિસ્ટીડિન, ટ્રાઇગોનેલિન અને વેનિલિન વગેરે રાસાયણિક પદાર્થોની હાજરી માલૂમ પડી છે. પુષ્પનો રંગ ફ્લેવૉન અને ઍન્થોસાયનિન નામનાં દ્રાવ્યરંજક દ્રવ્યોને આભારી છે. જુદી જુદી જાતોમાંથી મળી આવેલાં રંજક દ્રવ્યોમાં એપીજેનિન, લ્યુટિયોલિન, ડાયોસ્મિન અને ફ્રેગેસિનનો સમાવેશ થાય છે.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮