Categories
વાચન સમૃદ્ધિ

સુવર્ણમંદિર (અમૃતસર)

પંજાબમાં અમૃતસરમાં આવેલું શીખોનું પવિત્ર મંદિર. તેનું મૂળ નામ હરિમંદિર સાહિબ છે. તેના પર સોનાના ઢોળવાળાં તાંબાનાં પતરાં જડેલાં હોવાથી તે સુવર્ણમંદિર તરીકે જાણીતું છે. ચોથા શીખ ગુરુ રામદાસે અમૃતસર નામનું તળાવ બંધાવી એ જ નામનું ત્યાં નગર પણ વસાવ્યું. શીખોના પાંચમા ગુરુ અર્જુનદેવ(૧૫૮૧–૧૬૦૬)ના સમયમાં ૧૫૮૮માં મંદિરનું બાંધકામ શરૂ થયું અને ૧૬૦૧માં તે પૂરું થયું. મંદિર સરોવરની મધ્યમાં છે. મંદિરનું આરસનું સુશોભન અને સોનાનું કામ ૧૮૦૦ પહેલાંનું છે. આ કામ માટે પંજાબના શીખ રાજ્યના મહારાજા રણજિતસિંહે પુષ્કળ પ્રમાણમાં સોનું અને આરસ પૂરાં પાડ્યાં હતાં. તેમણે મંદિરના ઘુમ્મટ વગેરે ભાગોને સોનાના ઢોળવાળાં તાંબાનાં પતરાં જડાવ્યાં હતાં.

સુવર્ણમંદિર (અમૃતસર), પંજાબ

સુવર્ણમંદિર આરસનું બાંધેલું ચોરસ મંદિર છે. તેનો વિસ્તાર ૨૦ મી.  ૨૦ મી. છે. મંદિરને ફરતું સરોવર છે. સરોવર ૬૧ મી. લાંબા આરસના માર્ગ વડે ઘેરાયેલું છે. તેની ઉપર તોરણવાળો માર્ગ છે. મંદિરને ચાર પ્રવેશ છે. તેના ઘુમ્મટ નીચે રેશમમંડિત બેઠકમાં શીખોના પવિત્ર ગ્રંથ ‘ગુરુ ગ્રંથસાહેબ’ની પ્રતિષ્ઠા કરેલી છે. કોઈ પણ વ્યક્તિ ધર્મ, વર્ણ, પંથ કે જાતિના ભેદભાવ વિના મંદિરમાં પ્રવેશી શકે છે. મંદિરમાં દારૂ, સિગારેટ, માંસ કે અન્ય કોઈ પદાર્થ લઈ જવા પર પ્રતિબંધ છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે મંદિરમાં પ્રવેશે ત્યારે તેણે તેનું માથું ઢાંકેલું રાખવું જોઈએ. મંદિરપ્રવેશ પહેલાં હાથ-પગ ધોયેલા હોવા જરૂરી છે. ગુરુવાણીનું પઠન સાંભળવા મંદિરમાં બેસી શકાય છે. મંદિર સંકુલમાં રોજ લગભગ ૧,૦૦,૦૦૦ લોકો વિનામૂલ્યે ભોજન કરી શકે છે. આ વ્યવસ્થા ‘લંગર’ તરીકે જાણીતી છે. મંદિર સંકુલમાં શીખ ધર્મના ગુરુઓ, શહીદો વગેરેનાં સ્મારકો આવેલાં છે. અહીં બૈસાખી તેમ જ ધર્મગુરુઓના જન્મદિવસો ધામધૂમથી ઊજવાય છે. ૧૯૮૪ના અરસામાં મંદિરને ઘણું નુકસાન થયું હતું. ભારત સરકાર જેને આતંકવાદી માનતી હતી અને શીખો જેને ધાર્મિક નેતા માનતા હતા તે જરનૈલસિંઘ ભિંડરાંવાલે અને તેના સાથીદારોએ સુવર્ણમંદિરમાં આશરો લીધો હતો. આતંક ઉગ્ર બનતાં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ સાહસપૂર્ણ નિર્ણય લઈ ‘ઑપરેશન બ્લૂ સ્ટાર’ નામક લશ્કરી પગલું ભરવું પડ્યું હતું. તેમાં સુવર્ણમંદિરમાં સૈનિકો મોકલી ભિંડરાંવાલે સહિત ઘણા આતંકીઓનો નાશ કર્યો હતો. ગોળીબાર, તોપમારો અને હેલિકૉપ્ટરને કારણે મંદિરના સંકુલને ઘણું નુકસાન પહોંચ્યું હતું. પાછળથી કારસેવકો દ્વારા આ નુકસાનનું સમારકામ કરાવવામાં આવ્યું હતું.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

ટ્રક

ભૂમિ પર માલસામાનના ઝડપી પરિવહન માટે વપરાતું ભારે યાંત્રિક વાહન. આદિમાનવ જાતે ચીજવસ્તુ પાસે પહોંચી જતો. આશરે ૯,૦૦૦ વર્ષ પૂર્વે ભારતમાં તથા આનાતોલિયામાં માણસે ગોવંશને પાળવાની શરૂઆત કરી. બેએક હજાર વર્ષ પછી માણસ ઘોડો પાળતો થયો. પશુની સહાયથી સામાનની હેરફેર કરવાનું સરળ બન્યું. આ પરિસ્થિતિમાં હજારો વર્ષો સુધી ફરક પડ્યો નહિ. ૧૭૬૫માં વરાળયંત્રની શોધ સાથે શરૂ થયેલી ઔદ્યોગિક ક્રાંતિથી પરિસ્થિતિ ઝડપથી બદલાવા લાગી. કારખાનાં માટે કાચા માલ તથા તૈયાર માલની હેરફેર માટે નાનાં અને ઝડપી વાહનો આવશ્યક બન્યાં. પ્રારંભે વરાળયંત્ર ઉપયોગી જણાયું; પણ ટૂંક સમયમાં જ ધીરો વેગ, વધારે પડતો ભાર, પાટાની જરૂર, ઇંધન રાખવાની અગવડ, ખૂણેખાંચરે પહોંચી જવામાં અક્ષમતા વગેરે મર્યાદાઓ સામે આવી. ૧૮૮૫માં જર્મનીના કાર્લ બેન્ઝે અંતરદહન–પેટ્રોલ–એંજિનની શોધ કરી. ૧૮૯૬માં એ જ દેશના ઇજનેર ગોટલીબ ડેમલરે પ્રથમ ટ્રક બનાવી અને નવો યુગ બેઠો. પ્રારંભિક ટ્રકો પ્રમાણમાં અણઘડ યંત્રકામવાળી તથા બહુ ભારે હતી. નગરની પાકી સડકોની બહાર તે નકામી હતી. ૧૯૦૩માં અમેરિકામાં યોજાયેલી ટ્રકસ્પર્ધાએ સુધારેલાં વાહનોના નિર્માણને ઉત્તેજન પૂરું પાડ્યું. પ્રથમ વિશ્વયુદ્ધના અંતસમયે (૧૯૧૮) એકલા અમેરિકામાં જ ૧૦ લાખથી વધારે ટ્રકો લગભગ તમામ ભાગોમાં દોડતી હતી.

આ સમયે ટ્રકોને છાપરું કે બારણાં નહોતાં. આગળ રક્ષણ નહોતું. એંજિન છેક આગળ હતું. પૈડાં પર રબરનો પાટો હતો. કલાકના વધારેમાં વધારે ૩૦ કિમી.ના વેગે આ ટ્રકો માર્ગ પર જમણી બાજુ દોડતી. સમય જતાં વધુ સુધારા થયા. ૧૯૩૦માં વર્તમાન પ્રકારની ટ્રક આવી. હવે વિવિધ પ્રકારનાં ટ્રેલરોનો ઉપયોગ પણ વ્યાપક બન્યો. ત્રીસીના દસકામાં ટ્રક એંજિન માટે ઇંધન તરીકે ડીઝલ તેલનો ઉપયોગ શરૂ થયો. આધુનિક ટ્રક યંત્ર-ઇજનેરીની કુશળતાનો એક અદભુત નમૂનો છે. પોતાનો તથા સામાનનો મળીને એકત્ર ભાર વહન કરવાની ક્ષમતા અનુસાર બે ધરીવાળી ટ્રકોના ત્રણ વર્ગો પાડવામાં આવે છે : (૧) હળવા વજનવાળી ટ્રક : આમાં વાહનના એકંદર વજન(gross vehicle weight)ની મર્યાદા ૬૦૦૦ કિગ્રા. સુધીની હોય છે. (૨) મધ્યમ વજનવાળી ટ્રક : આમાં વાહનના એકંદર વજનની મર્યાદા ૬,૦૦૦ કિગ્રા.થી ઉપર અને ૧૨,૦૦૦ કિગ્રા.થી વધુ નહિ તે મુજબની હોય છે. (૩) ભારે વજનવાળી ટ્રક : આમાં વાહનના એકંદર વજનની મર્યાદા ૧૨,૦૦૦ કિગ્રા.થી વધારે હોય છે. સામાન્ય રીતે આ વજનની મર્યાદા ૧૬,૦૦૦ કિગ્રા. આસપાસની હોય છે. આ ઉપરાંત વધુ વજન વહન કરવા માટે બેથી વધુ ધરી(ઍક્સલ)નો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે માલસામાનના પરિવહન માટે ૯,૦૦૦થી ૧૦,૦૦૦ કિગ્રા. વજન લઈ જવાની ક્ષમતા(pay load)ની ટ્રકનો ઉપયોગ થાય છે, જ્યારે નાના રસ્તાઓ તથા ગીચ ટ્રાફિક માટે હળવાં વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રકની રચનાની વિગતો નીચે મુજબ છે : (૧) વ્હીલ બેજ : આગળની ધરીથી પાછળની ધરી વચ્ચેના અંતરને વ્હીલ બેજ કહેવામાં આવે છે. (૨) રિયર ઓવર હગ : પાછળની ધરીથી પાછળ તરફ ચેસીસનો જેટલો ભાગ લંબાયેલ હોય તેને રિયર ઓવરહગ કહે છે અને મોટર વિહિકલ ઍક્ટ ઍન્ડ રૂલ્સની જોગવાઈને ધ્યાનમાં લઈ ટ્રકનું પાછળનું બૉડી બાંધવામાં આવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટ્રક, પૃ. ૩૭૫)

Categories
વાચન સમૃદ્ધિ

સુરખાબ (Flamingo)

જળાશય પાસે રહેતું મોટા કદનું આકર્ષક પક્ષી. સુરખાબ લાંબી ડોક, લાંબા પગ, લાલ વાંકી ચાંચ અને સફેદ તથા ગુલાબી પાંખોવાળું, આગવી છટા ધરાવતું પક્ષી છે. તે છીછરાં પાણીવાળા કાદવિયા પ્રદેશમાં વસે છે. સુરખાબ સ્થળાંતર કરતું પક્ષી છે. તેઓ ગુજરાતના કચ્છના મોટા રણમાં સમૂહમાં વસવાટ કરતાં હોય છે. આથી આ પક્ષીને ગુજરાતના રાજ્ય-પક્ષીનું સન્માન મળ્યું છે. આ પક્ષી હંજ નામે પણ ઓળખાય છે. સુરખાબ વિશ્વમાં ઘણા ભાગોમાં વસે છે. તે તળાવ તથા કાદવવાળા જમીન-વિસ્તારમાં તેમ જ દરિયાકિનારે રહે છે. તેની પાંચ જાતિઓ (species) જોવા મળે છે. સુરખાબ ૯૦થી ૧૫૦ સેમી. ઊંચું હોય છે. તેની પાંખનાં પીંછાં ઘેરા લાલથી માંડીને આછા ગુલાબી રંગનાં હોય છે. કોઈક પક્ષી અપવાદ રૂપે કાળાં પીંછાં પણ ધરાવતું હોય છે. સુરખાબની ચાંચમાં સૂક્ષ્મ વાળ જેવા દાંતિયાવાળા કાંસકા જેવી રચના હોય છે, જેના વડે સુરખાબ કાદવમાંથી ખોરાક શોધી કાઢે છે અને ગળણી જેવી રચનાને કારણે તેમાંથી રેતી અને કાદવ ગળાઈ જાય છે અને મુખમાં પ્રવેશ કરતાં નથી. સુરખાબ પાણીમાં વસતા નાના જિંગા, નાની માછલીઓ અને શેવાળ ખાય છે. તેના પગની આંગળીઓ જળચર પક્ષીની જેમ ચામડીથી જોડાયેલી હોય છે. આ પક્ષી વધારે સમય પાણીમાં વિતાવે છે સુરખાબ તીવ્ર વેગથી ઊડે છે. ઊડતી વખતે ડોક અને ચાંચ આગળ તરફ લંબાવે છે અને પગ પાછળ તરફ આકાશમાં V આકારની રચના કરી તે ઊડે છે.

સુરખાબ (ફ્લૅમિંગો), કચ્છ

સુરખાબ વસાહતમાં હજારોની સંખ્યામાં વસે છે. ઠંડા પ્રદેશોમાંથી સ્થળાંતર કરી ગુજરાતમાં ઠેકઠેકાણે તે આવે છે. કાદવવાળા પ્રદેશમાં, નદીઓના મુખપ્રદેશોમાં, ખાડીઓ અને જળાશયોમાં ચોમાસા પછી તે ટોળામાં આવે છે. માદા સુરખાબ કાદવવાળી જમીન પર ૧૫થી ૩૦ સેમી. ઊંચા શંકુ આકારના રેતીના ઢૂવા બનાવે છે. તેમાં એક કે બે ઈંડાં મૂકે છે. ૩૦ દિવસ સુધી નર અને માદા ઈંડાંને સેવે છે. બચ્ચાં જન્મ બાદ આશરે પાંચ દિવસ પછી માળામાંથી બહાર આવે છે, નાનાં ટોળાં બનાવે છે. માદા તથા નર પક્ષી બચ્ચાંને તેમની હોજરીમાંથી કાઢેલું પ્રવાહી પિવડાવી મોટાં કરે છે. બે અઠવાડિયાં પછી બચ્ચાં પોતાની મેળે ખોરાક શોધી લે છે. સુરખાબ ૧૫થી ૨૦ વર્ષનું આયુષ્ય ભોગવે છે. થોડા સમય પછી સુરખાબ સ્થળાંતર કરી તેમના વતન પહોંચી જાય છે. ભારતમાં આવતાં સુરખાબ ગ્રેટર ફ્લૅમિંગો પેટાજાતિનાં હોય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી